ઉપજાતિ:-

કહે ભૂમાનંદ મુનીન્દ્ર મુકત, હે વાઘજીભાઇ સુણો સુભકત;

વિહારીલાલે મનમાં વિચારી, બોલાવિયા સદ્ગુરૂ બુદ્ધિ સારી. 1

તેનાં કહું નિરમળ શુદ્ધ નામ, તથા કહું સદ્ગુણ એહ ઠામ;

આચાર્ય પાસે મુનિ એહ આવ્યા, જોતાં ભલા અંતર માંહિ ભાવ્યા. 2

સ્રગ્ધરા:-

જ્ઞાની ધ્યાની અમાની મુનિશિરમણિ શ્રી અદ્ભુતાનંદસ્વામી,

જેણે  કામાદિ જીત્યા તજી તનમમતા તીવ્ર વૈરાગ્ય પામી;

સારી સેવા સજીને સમય સમયમાં શ્રીજીને રાજી  કીધાં,

પામ્યા હાર પ્રસાદી ચરણ હરિ તણા છાતિમાં ચાંપિ લીધા. 3

ગોપાળાનંદ કેરા   સુગુણી મુનિ  હતા શિષ્ય  સારા અનેક,

તે સૌમાં મુખ્ય તે તો સકળ જન કહે પુરુષાનંદ  એક; 5

જેણે કાંઇ જુદાઇ લવ સમ ન ગણી શ્રી રઘુવીર સાથે,

સાચું સખ્યત્વ તેથી સતત મન ધર્યું તેહ ધર્માધિનાથે. 4

શિખરિણી:-

અનંતાનંદાખ્ય  પ્રભુપદ  તણા  પૂજક  સદા,

વડા  તે વર્ણીન્દ્ર  પ્રગટ  હરિવાર્તાકર  મુદા;

મુકુંદાનંદે તો નિજ  સકળ શિષ્યોપરી ભણ્યા,

વિહારીલાલે તે સ્વમત  પૂછવા ઉત્તમ  ગણ્યા. 5

સ્રગ્ધરાઃ-

વિજ્ઞાનાનંદસ્વામી વિદુષજ  નમણી  હું હતો  તેહ  પાસ,

નિષ્કામાનંદ વર્ણી અતિ શુભમતિમાન્ બાળમુકુંદદાસ;

આવ્યા ત્યાં આઠમા તો પરમ નિપુણ જે કૃષ્ણજીવનદાસ,

આચાર્યે માન  આપ્યું મધુર વચનથી આપ  બેસારી પાસ.6

ઉપજાતિ:-

ભકિત મળી વલ્લભદાસ નામ, જે સાધુ છે સદ્ગુણના સુધામ;

ચૈતન્ય આનંદમુનીન્દ્ર કેરા, તે શિષ્ય સારા મતિમાન્ ઘણેરા. 7

લાગ્યા ભલા તે રઘુવીરજીને, મહાંત કીધા ગુણી તે મુનીને;

સદૈવ  કાળે સત્સંગ  કેરો,  મમત્વ  રાખે મનમાં ઘણેરો. 8

સેવ્યા ઘણા સદ્ગુરુ સ્નેહ આણી, તેથી થઇ તેની વિશુદ્ધ વાણી;

તે સંતને ગ્રંથ વિચાર કાળે, બોલાવિયા પાસ વિહારીલાલે. 9

કેવા દિસે તે નવ સંત સાથ, જેવા વિરાજે નવ યોગિનાથ;

તેમાં વિરાજે વૃષવંશિભૂપ, જેવા વિદેહી નૃપતિ અનૂપ. 10

વૈતાલીય:-

મુનિ તે નવને તહાં સહી, વૃષવંશે બધી વારતા કહી;

શુભ  પ્રાકૃત ગ્રંથ તો ખરો,  હરિભકતો મુજને કહે કરો. 11

કરું પ્રાકૃત કે ન આ સમે, ઉચરો શાસ્ત્રપ્રમાણ તે તમે;

સુણી વર્ણી સુસંત બોલિયા, ન કરો એમ કહે જે ભોળિયા. 12

ધર્માધિપતિપણું ધરી,  સમઝાવે મત  પ્રાકૃતે કરી;

વળી ભાગવતે લખ્યું દિસે, શુભ એકાદશકંધને વિષે. 13

સ્તુતિ પ્રાકૃત સંસ્કૃતે કરી, કરવાથી દિલ રીઝશે હરિ;

વળી વાંચી જુવો સુધિયની , શુભ શિક્ષા મુનિ પાણિનીયની. 14

શુભ પ્રાકૃત સંસ્કૃતે ધર્યા, વરણોચ્ચાર સ્વયંભુયે કર્યા;

નથી પ્રાકૃતની નિષિદ્ધતા, લખી કોઇ મુનિયે પ્રસિદ્ધતા. 15

વચનામૃત  વિઠ્ઠલેશનાં,  વ્રજભાષાકૃત  છે સ્વદેશનાં;

જડ  પ્રાકૃતને નિષેધશે,  પણ  પોતે મુખ  બોલતો  હશે. 16

જન  જે વિદુષો   ન  નિંદશે, ખળ નિંદે કદી તેથી શું થશે;

સુખથી શુભ ગ્રંથ આદરો, હરિભકતો ખુશી થાય તે કરો. 17

સુણી તે વૃષગાદીના પતિ, મુદ પામ્યા નિજ અંતરે અતિ;

પછી મુખ્ય  સુકારભારીને, વળી પૂછ્યું મનમાં વિચારીને. 18

ઉપજાતિ:-

મુખ્યત્વ ગોવર્ધનદાસ નામ, છે ઠાસરા તેહનું જન્મઠામ;

વિખ્યાત છે નાગર વૈશ્ય નાતે, છે રાજનીતિ શુભ જાણ જાતે. 19

પિતાતણું નામ દયાળજી છે, ભ્રાતા વડા મોહનલાલજી  છે;

છે ભાઇ બીજો પણ કૃષ્ણદાસ, ત્રીજોય પીતાબંર તેની પાસ. 20

ચતુર્થ તો જાદવજી ગણાય, તે પાંચ  ભાઇ  સુખિયા સદાય;

બે બેન તેમાં પણ એમ જાણો, સુભાગ્યશાળી નવલ પ્રમાણો. 21

જે ઠાસરાના જન બાપુભાઇ, તેની સુપત્નિ સતિ તે ગણાઇ;

સત્સંગી બાઇ કઠલાલ કેરી, વાતો પ્રભુ કેરી કરે ઘણેરી. 22

તે એક કાળે અવલેંજ આવી, સત્સંગની વાત ઘણી સુણાવી;

તે સાંભળીને નવલે વિચાર્યું,  દાસત્વ શ્રીજીતણું દિલ  ધાર્યું. 23

તે નાત કેરા જન જે બધાય, સત્સંગનો દ્વેષ કરે સદાય;

તે કારણે ગુપ્ત ભજે હરિને, પિતા પતિ આદિકથી ડરીને. 24

તેણે પ્રતિજ્ઞા કરી એવી આપે, જો પુત્ર પામું પ્રભુને પ્રતાપે;

તો શ્રીહરિને ચરણે લગાડું, તે પુત્રને અન્ન પછી જમાડું. 25

દયાનિધિ સ્વામી દયા કરે છે, મનોરથો ભકત તણા પુરે છે;

તે બાઇ પોતે શુભ પુત્ર પામી, ખુશી થવા માંહિ રહી ન ખામી. 26

ખુશી થયું એ થકી આખું ગામ, માયે ધર્યું માધવલાલ નામ;

ભાળી ભલો એવું ભવિષ્ય ભાસે, પરાક્રમી પુત્ર પ્રવિણ થાસે. 27

મોટા થયા માધવલાલભાઇ, પિતા થકી કીર્તિ કરી સવાઇ;

અંગ્રેજ લોકો પણ માન આપે, રાજા ઘણા વેણ નહીં ઉથાપે. 28

કર્યો ભલો ભૂપતિ કારભાર, સત્સંગમાં પ્રીતિ ધરી અપાર;

રહ્યાં ગૃહસ્થાશ્રમમાં સદાય,  તથાપિ જુદા જળકંજ ન્યાય. 29

હવે કહું વાત દયાળજીની, તેણે લીધી આશ્રયતા હરિની;

સુપત્નિ તેની અવલ પ્રમાણી, તેણે પતિને કહી એવી વાણી. 30

સત્સંગી થાતાં ભય છે અપાર, મુકે મળી સૌ ઘર નાતબાર;

સત્સંગ છાનો મન માંહિ રાખો, કંઠી તથા તીલક કાઢી નાખો. 31

મારું કહ્યું સ્વામી જરૂર માનો, નૈ તો મહાકલેશ નક્કી થવાનો;

બોલ્યા સુણી શેઠ દયાળદાસ, તમે ન રાખો તૃણમાત્ર ત્રાસ. 32

સત્સંગ દ્રુઢ રાખવા વિષે:-

સર્વે થકી શ્રીહરિ છે સમર્થ, બીજા તણી બીક બધાની વ્યર્થ;

શરીરને સંકટ શ્રેષ્ઠ થાય,  તથાપિ સત્સંગ  નહીં તજાય. 33

ફણીન્દ્રને તો મણિ પ્રિય લાગે, તે જીવતાં તો કદીયે ન ત્યાગે;

સત્સંગ કીધો નિજ શીશ સાટે, નહીં તજુ નાતતણે ઉચાટે. 34

પૂર્વે કર્યો છે સતસંગ જેણે, તજયો નથી તે ભય પામી તેણે;

પ્રહલાદને દુઃખ અપાર દીધું, સત્સંગ માટે સહુ સાંખી લીધું. 35

વિભીષણે જો સતસંગ કીધો, તે ભ્રાત બીકે નહીં ત્યાગી દીધો;

ડર્યો નહીં દૈહિક દુઃખ માટે, સત્સંગ રાખ્યો નિજ શીશ સાટે. 36

નારી સતી જે પતિને વરે છે, તે ત્યાગ શું તે પતિનો કરે છે ?

મેં શ્રીહરિને તન ચિત્ત તેમ, અર્પી દીધું તે લઉં પાછું કેમ ? 37

જો કોઇ રાજા કદી કાંધ મારે, જો લોક ધિક્કાર ઘણા ઉચારે;

સંબંધિ સર્વે પ્રતિકૂળ થાય, તથાપિ સત્સંગ  નહીં તજાય. 38

જેને જણાણો વ્યવહાર ખોટો, સત્સંગમાં માલ ગણ્યો જ મોટો;

તે જ્ઞાતિ માટે નહીં કંઠી તોડે, બદામ માટે મણિ કોણ છોડે. 39

જેણે સુધાપાન કર્યું જ  લેશ,  તે થાય પ્રત્યેક રગે પ્રવેશ;

પછી ભલે મસ્તક જો કપાય, તથાપિ પીધું ન પીધું ન થાય.40

એવી જ રીતે સતસંગ રંગ, વ્યાપી રહ્યો અંતર બાહ્ય અંગ;

આત્મા વિષે તો અતિરંગ ભાસે, શરીર જાતાં પણ તે ન જાશે. 41

ફરે કદાપિ બહુ દેશ કાળ,  દશે દિશે દર્શિત દુઃખ  ઝાળ;

જો દૈવિ માયા મુજને ડગાવે, ડગું નહીં હું કદીયે ડગાવ્યે. 42

સતી પતિસંગ  બળે જઇને, નાસે નહીં દુઃખિત  તે થઇને;

તેવી રીતે દુઃખ અથાગ થાય, તથાપિ સત્સંગ નહીં તજાય. 43

મેરૂ  ચળે ભૂમિ  ફણીન્દ્ર મૂકે, કે વેદ વાણી વિધિદેવ ચૂકે;

ભાનૂ ઉદે પશ્ચિમ પાસ થાય, તથાપિ સત્સંગ નહીં તજાય. 44

ધીરાં રહી ધીરજ ચિત્ત ધારો, સત્સંગ કેરો મહિમા વિચારો;

સારું ચણાવે ઘર શ્રેષ્ઠ ઘાટે, તજાય શું મચ્છર દુઃખ માટે ? 45

રથોદ્ધતા:-

શેઠ  ચાર સુતને વરાવિયા, તે ગૃહસ્થ  કરીને ઠરાવિયા;

પાંચમે પરણવાનિ ના કહી, બ્રહ્મચર્ય ધરીને રહ્યાં સહી. 46

કૃષ્ણદાસ સુત જે બીજો કહ્યો, પ્રેમચંદ સુત તેહનો થયો;

શુદ્ધચિત્ત સતસંગ તો ધર્યો, થૈ વકીલ જય ધર્મનો કર્યો. 47

રીઝિયા શ્રીભગવત્પ્રસાદજી, અદ્ભુતાખ્ય મુનિ અપ્રમાદજી;

જે પવિત્ર પછી નંદજી કહ્યા, એહ આદિક પ્રસન્ન સૌ થયા. 48

તે પછી પણ પ્રધાન તે થયા, બાબી પાસ વડશિણોરમાં રહ્યાં;

કૃષ્ણભકિત ભલી ભાતથી કરે, ધર્મપક્ષ શિરસાટ તે ધરે. 49

જાદવાખ્ય  સુત જેહ  ચારમો, તે થયો બીજી વારમો;

સ્ત્રી મુવા પછી વિરાગ આવિયો,સાંખ્યયોગ નિજ ચિત્ત ભાવિયો. 50

ત્યાગમાર્ગ ધરવા રુચી ધરી, તાત કેરી સ્તુતિ બે સુતે કરી;

તાત આવી વરતાલમાં સિધા, વીર બેય  રઘુવીરને દિધા. 51

હાથ જોડી કરી શેઠ વિનતિ, બેય  પુત્ર વિતરાગિ  છે અતિ;

ત્યાગમાર્ગ તણી રૂચી લાવિયા, તેથી લાવી તમને ભળાવિયા. 52

એવી વાણી કહી ઘેર તે ગયા, સાંખ્યયોગી સુત બેય તો થયા;

ધન્યભાગ્ય સુત ને પિતાતણું, શું માહાત્મ્ય મુખથી કહું ઘણું ! 53

વિક્રમાર્ક શક વર્ષ સંભવે,  ઓગણીશ  શત  ઊપરે નવે;

બેય ભાઇ વરતાલ આવિયા, ભકતરાજ ગુરુચિત્ત ભાવિયા. 54

ઉપજાતિ:-

શ્રીજી તણા જાદવજી સુદાસ, રહ્યાં ગુણાતીત મુનીન્દ્ર પાસ;

થોડેક કાળે પ્રભુને ભજીને, મોક્ષે ગયા તે તનને તજીને. 55

બીજાનું ગોવર્ધનદાસ નામ,  તે તો રહ્યાં શ્રીવરતાલ  ધામ;

પોતા તણી પુંજિ સમસ્ત જેહ, સત્સંગમાં વાવરી દીધી તેહ. 56

સંતો જમાડ્યા વળી વસ્ત્ર કીધાં, ચાંદી તણાં પાત્ર રચાવી દીધાં;

તે પાત્ર અર્પ્યા રઘુવીરજીને, પ્રસન્ન  કીધા પ્રભુને ભજીને. 57

નિષ્કામ નિઃસ્વાદ નિરાભિમાન, સત્સંગની વૃદ્ધિ કર્યાનું તાન;

સ્વાચાર્યનો પક્ષ પ્રસિદ્ધ સાચે, પેખ્યા અસાધારણ ગુણ પાંચે. 58

શ્રીલક્ષ્મીનારાયણદેવ કેરાં, છે મંદિરો દેશ વિષે ઘણેરાં;

તે સર્વના ઉપરી કારભારી, તેને જ  કીધા મતિ જોઇ  સારી. 59

આચાર્યજી શ્રીરઘુવીર જેહ,  સ્વપુત્ર તુલ્યે ગણતા જ  તેહ;

અનન્યદાસત્વ નિહાળી અંગ, વિશ્વાસ રાખ્યો ઉરમાં અભંગ.60

પછી  થયા શ્રીભગવત્પ્રસાદ,  તેણેય  રાખ્યા ગુણ સર્વ યાદ;

તેથી જ ગોવર્ધનદાસ કેરો, વિશ્વાસ  રાખ્યો હૃદયે ઘણેરો. 61

કહે ભૂમાનંદ મુનીન્દ્ર વાણી, સુણો કહું તે ઉર નેહ  આણી;

દયાળજી કેરું કુટુંબ  કેવું, સુભકત  સર્વે વ્રજવાસી  જેવું. 62

પ્રત્યક્ષ કેરો મહિમા ન જાણે,  પરોક્ષને લોક પછી વખાણે;

એવી જ છે આ જગકેરી રીત, જ્ઞાની કરે ચાહિ વિચાર ચિત્ત. 63

આખ્યાન આવાં હરિભકત કેરાં, કથા પ્રસંગે સુણિયે ઘણેરાં;

તો વાસના અંતરમાંથી તૂટે, સંસારનાં બંધન છેક છૂટે. 64

પ્રત્યક્ષ જયાં શ્રીહરિ હોય જયારે, એવા દિસે ભકત અનેક ત્યારે;

પછી પુરો પુણ્ય પ્રતાપ જેને,  તેવા તણું દર્શન થાય તેને. 65

પુષ્પિતાગ્રા:-

પરમ પુનિત આ કથા પ્રસંગ, હરિજન કીર્તિ કથાનું એહ અંગ;

સુણી જન મન સદ્ય શુદ્ધ થાય, પ્રભુ મહિમા પણ એ થકી જણાય. 66

ઈતિ શ્રી વિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે ભૂમાનંદમુનીન્દ્ર વાઘજીભાઈ સંવાદે કથાપ્રસંગે ઠાસરાનિવાસી દયાળદાસાખ્યાનકથનનામ તૃતીયો વિશ્રામઃ ।। 3 ।।