ઉપજાતિ:-
કહે ભૂમાનંદ મુનીન્દ્ર મુકત, હે વાઘજીભાઇ સુણો સુભકત;
વિહારીલાલે મનમાં વિચારી, બોલાવિયા સદ્ગુરૂ બુદ્ધિ સારી. 1
તેનાં કહું નિરમળ શુદ્ધ નામ, તથા કહું સદ્ગુણ એહ ઠામ;
આચાર્ય પાસે મુનિ એહ આવ્યા, જોતાં ભલા અંતર માંહિ ભાવ્યા. 2
સ્રગ્ધરા:-
જ્ઞાની ધ્યાની અમાની મુનિશિરમણિ શ્રી અદ્ભુતાનંદસ્વામી,
જેણે કામાદિ જીત્યા તજી તનમમતા તીવ્ર વૈરાગ્ય પામી;
સારી સેવા સજીને સમય સમયમાં શ્રીજીને રાજી કીધાં,
પામ્યા હાર પ્રસાદી ચરણ હરિ તણા છાતિમાં ચાંપિ લીધા. 3
ગોપાળાનંદ કેરા સુગુણી મુનિ હતા શિષ્ય સારા અનેક,
તે સૌમાં મુખ્ય તે તો સકળ જન કહે પુરુષાનંદ એક; 5
જેણે કાંઇ જુદાઇ લવ સમ ન ગણી શ્રી રઘુવીર સાથે,
સાચું સખ્યત્વ તેથી સતત મન ધર્યું તેહ ધર્માધિનાથે. 4
શિખરિણી:-
અનંતાનંદાખ્ય પ્રભુપદ તણા પૂજક સદા,
વડા તે વર્ણીન્દ્ર પ્રગટ હરિવાર્તાકર મુદા;
મુકુંદાનંદે તો નિજ સકળ શિષ્યોપરી ભણ્યા,
વિહારીલાલે તે સ્વમત પૂછવા ઉત્તમ ગણ્યા. 5
સ્રગ્ધરાઃ-
વિજ્ઞાનાનંદસ્વામી વિદુષજ નમણી હું હતો તેહ પાસ,
નિષ્કામાનંદ વર્ણી અતિ શુભમતિમાન્ બાળમુકુંદદાસ;
આવ્યા ત્યાં આઠમા તો પરમ નિપુણ જે કૃષ્ણજીવનદાસ,
આચાર્યે માન આપ્યું મધુર વચનથી આપ બેસારી પાસ.6
ઉપજાતિ:-
ભકિત મળી વલ્લભદાસ નામ, જે સાધુ છે સદ્ગુણના સુધામ;
ચૈતન્ય આનંદમુનીન્દ્ર કેરા, તે શિષ્ય સારા મતિમાન્ ઘણેરા. 7
લાગ્યા ભલા તે રઘુવીરજીને, મહાંત કીધા ગુણી તે મુનીને;
સદૈવ કાળે સત્સંગ કેરો, મમત્વ રાખે મનમાં ઘણેરો. 8
સેવ્યા ઘણા સદ્ગુરુ સ્નેહ આણી, તેથી થઇ તેની વિશુદ્ધ વાણી;
તે સંતને ગ્રંથ વિચાર કાળે, બોલાવિયા પાસ વિહારીલાલે. 9
કેવા દિસે તે નવ સંત સાથ, જેવા વિરાજે નવ યોગિનાથ;
તેમાં વિરાજે વૃષવંશિભૂપ, જેવા વિદેહી નૃપતિ અનૂપ. 10
વૈતાલીય:-
મુનિ તે નવને તહાં સહી, વૃષવંશે બધી વારતા કહી;
શુભ પ્રાકૃત ગ્રંથ તો ખરો, હરિભકતો મુજને કહે કરો. 11
કરું પ્રાકૃત કે ન આ સમે, ઉચરો શાસ્ત્રપ્રમાણ તે તમે;
સુણી વર્ણી સુસંત બોલિયા, ન કરો એમ કહે જે ભોળિયા. 12
ધર્માધિપતિપણું ધરી, સમઝાવે મત પ્રાકૃતે કરી;
વળી ભાગવતે લખ્યું દિસે, શુભ એકાદશકંધને વિષે. 13
સ્તુતિ પ્રાકૃત સંસ્કૃતે કરી, કરવાથી દિલ રીઝશે હરિ;
વળી વાંચી જુવો સુધિયની , શુભ શિક્ષા મુનિ પાણિનીયની. 14
શુભ પ્રાકૃત સંસ્કૃતે ધર્યા, વરણોચ્ચાર સ્વયંભુયે કર્યા;
નથી પ્રાકૃતની નિષિદ્ધતા, લખી કોઇ મુનિયે પ્રસિદ્ધતા. 15
વચનામૃત વિઠ્ઠલેશનાં, વ્રજભાષાકૃત છે સ્વદેશનાં;
જડ પ્રાકૃતને નિષેધશે, પણ પોતે મુખ બોલતો હશે. 16
જન જે વિદુષો ન નિંદશે, ખળ નિંદે કદી તેથી શું થશે;
સુખથી શુભ ગ્રંથ આદરો, હરિભકતો ખુશી થાય તે કરો. 17
સુણી તે વૃષગાદીના પતિ, મુદ પામ્યા નિજ અંતરે અતિ;
પછી મુખ્ય સુકારભારીને, વળી પૂછ્યું મનમાં વિચારીને. 18
ઉપજાતિ:-
મુખ્યત્વ ગોવર્ધનદાસ નામ, છે ઠાસરા તેહનું જન્મઠામ;
વિખ્યાત છે નાગર વૈશ્ય નાતે, છે રાજનીતિ શુભ જાણ જાતે. 19
પિતાતણું નામ દયાળજી છે, ભ્રાતા વડા મોહનલાલજી છે;
છે ભાઇ બીજો પણ કૃષ્ણદાસ, ત્રીજોય પીતાબંર તેની પાસ. 20
ચતુર્થ તો જાદવજી ગણાય, તે પાંચ ભાઇ સુખિયા સદાય;
બે બેન તેમાં પણ એમ જાણો, સુભાગ્યશાળી નવલ પ્રમાણો. 21
જે ઠાસરાના જન બાપુભાઇ, તેની સુપત્નિ સતિ તે ગણાઇ;
સત્સંગી બાઇ કઠલાલ કેરી, વાતો પ્રભુ કેરી કરે ઘણેરી. 22
તે એક કાળે અવલેંજ આવી, સત્સંગની વાત ઘણી સુણાવી;
તે સાંભળીને નવલે વિચાર્યું, દાસત્વ શ્રીજીતણું દિલ ધાર્યું. 23
તે નાત કેરા જન જે બધાય, સત્સંગનો દ્વેષ કરે સદાય;
તે કારણે ગુપ્ત ભજે હરિને, પિતા પતિ આદિકથી ડરીને. 24
તેણે પ્રતિજ્ઞા કરી એવી આપે, જો પુત્ર પામું પ્રભુને પ્રતાપે;
તો શ્રીહરિને ચરણે લગાડું, તે પુત્રને અન્ન પછી જમાડું. 25
દયાનિધિ સ્વામી દયા કરે છે, મનોરથો ભકત તણા પુરે છે;
તે બાઇ પોતે શુભ પુત્ર પામી, ખુશી થવા માંહિ રહી ન ખામી. 26
ખુશી થયું એ થકી આખું ગામ, માયે ધર્યું માધવલાલ નામ;
ભાળી ભલો એવું ભવિષ્ય ભાસે, પરાક્રમી પુત્ર પ્રવિણ થાસે. 27
મોટા થયા માધવલાલભાઇ, પિતા થકી કીર્તિ કરી સવાઇ;
અંગ્રેજ લોકો પણ માન આપે, રાજા ઘણા વેણ નહીં ઉથાપે. 28
કર્યો ભલો ભૂપતિ કારભાર, સત્સંગમાં પ્રીતિ ધરી અપાર;
રહ્યાં ગૃહસ્થાશ્રમમાં સદાય, તથાપિ જુદા જળકંજ ન્યાય. 29
હવે કહું વાત દયાળજીની, તેણે લીધી આશ્રયતા હરિની;
સુપત્નિ તેની અવલ પ્રમાણી, તેણે પતિને કહી એવી વાણી. 30
સત્સંગી થાતાં ભય છે અપાર, મુકે મળી સૌ ઘર નાતબાર;
સત્સંગ છાનો મન માંહિ રાખો, કંઠી તથા તીલક કાઢી નાખો. 31
મારું કહ્યું સ્વામી જરૂર માનો, નૈ તો મહાકલેશ નક્કી થવાનો;
બોલ્યા સુણી શેઠ દયાળદાસ, તમે ન રાખો તૃણમાત્ર ત્રાસ. 32
સત્સંગ દ્રુઢ રાખવા વિષે:-
સર્વે થકી શ્રીહરિ છે સમર્થ, બીજા તણી બીક બધાની વ્યર્થ;
શરીરને સંકટ શ્રેષ્ઠ થાય, તથાપિ સત્સંગ નહીં તજાય. 33
ફણીન્દ્રને તો મણિ પ્રિય લાગે, તે જીવતાં તો કદીયે ન ત્યાગે;
સત્સંગ કીધો નિજ શીશ સાટે, નહીં તજુ નાતતણે ઉચાટે. 34
પૂર્વે કર્યો છે સતસંગ જેણે, તજયો નથી તે ભય પામી તેણે;
પ્રહલાદને દુઃખ અપાર દીધું, સત્સંગ માટે સહુ સાંખી લીધું. 35
વિભીષણે જો સતસંગ કીધો, તે ભ્રાત બીકે નહીં ત્યાગી દીધો;
ડર્યો નહીં દૈહિક દુઃખ માટે, સત્સંગ રાખ્યો નિજ શીશ સાટે. 36
નારી સતી જે પતિને વરે છે, તે ત્યાગ શું તે પતિનો કરે છે ?
મેં શ્રીહરિને તન ચિત્ત તેમ, અર્પી દીધું તે લઉં પાછું કેમ ? 37
જો કોઇ રાજા કદી કાંધ મારે, જો લોક ધિક્કાર ઘણા ઉચારે;
સંબંધિ સર્વે પ્રતિકૂળ થાય, તથાપિ સત્સંગ નહીં તજાય. 38
જેને જણાણો વ્યવહાર ખોટો, સત્સંગમાં માલ ગણ્યો જ મોટો;
તે જ્ઞાતિ માટે નહીં કંઠી તોડે, બદામ માટે મણિ કોણ છોડે. 39
જેણે સુધાપાન કર્યું જ લેશ, તે થાય પ્રત્યેક રગે પ્રવેશ;
પછી ભલે મસ્તક જો કપાય, તથાપિ પીધું ન પીધું ન થાય.40
એવી જ રીતે સતસંગ રંગ, વ્યાપી રહ્યો અંતર બાહ્ય અંગ;
આત્મા વિષે તો અતિરંગ ભાસે, શરીર જાતાં પણ તે ન જાશે. 41
ફરે કદાપિ બહુ દેશ કાળ, દશે દિશે દર્શિત દુઃખ ઝાળ;
જો દૈવિ માયા મુજને ડગાવે, ડગું નહીં હું કદીયે ડગાવ્યે. 42
સતી પતિસંગ બળે જઇને, નાસે નહીં દુઃખિત તે થઇને;
તેવી રીતે દુઃખ અથાગ થાય, તથાપિ સત્સંગ નહીં તજાય. 43
મેરૂ ચળે ભૂમિ ફણીન્દ્ર મૂકે, કે વેદ વાણી વિધિદેવ ચૂકે;
ભાનૂ ઉદે પશ્ચિમ પાસ થાય, તથાપિ સત્સંગ નહીં તજાય. 44
ધીરાં રહી ધીરજ ચિત્ત ધારો, સત્સંગ કેરો મહિમા વિચારો;
સારું ચણાવે ઘર શ્રેષ્ઠ ઘાટે, તજાય શું મચ્છર દુઃખ માટે ? 45
રથોદ્ધતા:-
શેઠ ચાર સુતને વરાવિયા, તે ગૃહસ્થ કરીને ઠરાવિયા;
પાંચમે પરણવાનિ ના કહી, બ્રહ્મચર્ય ધરીને રહ્યાં સહી. 46
કૃષ્ણદાસ સુત જે બીજો કહ્યો, પ્રેમચંદ સુત તેહનો થયો;
શુદ્ધચિત્ત સતસંગ તો ધર્યો, થૈ વકીલ જય ધર્મનો કર્યો. 47
રીઝિયા શ્રીભગવત્પ્રસાદજી, અદ્ભુતાખ્ય મુનિ અપ્રમાદજી;
જે પવિત્ર પછી નંદજી કહ્યા, એહ આદિક પ્રસન્ન સૌ થયા. 48
તે પછી પણ પ્રધાન તે થયા, બાબી પાસ વડશિણોરમાં રહ્યાં;
કૃષ્ણભકિત ભલી ભાતથી કરે, ધર્મપક્ષ શિરસાટ તે ધરે. 49
જાદવાખ્ય સુત જેહ ચારમો, તે થયો બીજી વારમો;
સ્ત્રી મુવા પછી વિરાગ આવિયો,સાંખ્યયોગ નિજ ચિત્ત ભાવિયો. 50
ત્યાગમાર્ગ ધરવા રુચી ધરી, તાત કેરી સ્તુતિ બે સુતે કરી;
તાત આવી વરતાલમાં સિધા, વીર બેય રઘુવીરને દિધા. 51
હાથ જોડી કરી શેઠ વિનતિ, બેય પુત્ર વિતરાગિ છે અતિ;
ત્યાગમાર્ગ તણી રૂચી લાવિયા, તેથી લાવી તમને ભળાવિયા. 52
એવી વાણી કહી ઘેર તે ગયા, સાંખ્યયોગી સુત બેય તો થયા;
ધન્યભાગ્ય સુત ને પિતાતણું, શું માહાત્મ્ય મુખથી કહું ઘણું ! 53
વિક્રમાર્ક શક વર્ષ સંભવે, ઓગણીશ શત ઊપરે નવે;
બેય ભાઇ વરતાલ આવિયા, ભકતરાજ ગુરુચિત્ત ભાવિયા. 54
ઉપજાતિ:-
શ્રીજી તણા જાદવજી સુદાસ, રહ્યાં ગુણાતીત મુનીન્દ્ર પાસ;
થોડેક કાળે પ્રભુને ભજીને, મોક્ષે ગયા તે તનને તજીને. 55
બીજાનું ગોવર્ધનદાસ નામ, તે તો રહ્યાં શ્રીવરતાલ ધામ;
પોતા તણી પુંજિ સમસ્ત જેહ, સત્સંગમાં વાવરી દીધી તેહ. 56
સંતો જમાડ્યા વળી વસ્ત્ર કીધાં, ચાંદી તણાં પાત્ર રચાવી દીધાં;
તે પાત્ર અર્પ્યા રઘુવીરજીને, પ્રસન્ન કીધા પ્રભુને ભજીને. 57
નિષ્કામ નિઃસ્વાદ નિરાભિમાન, સત્સંગની વૃદ્ધિ કર્યાનું તાન;
સ્વાચાર્યનો પક્ષ પ્રસિદ્ધ સાચે, પેખ્યા અસાધારણ ગુણ પાંચે. 58
શ્રીલક્ષ્મીનારાયણદેવ કેરાં, છે મંદિરો દેશ વિષે ઘણેરાં;
તે સર્વના ઉપરી કારભારી, તેને જ કીધા મતિ જોઇ સારી. 59
આચાર્યજી શ્રીરઘુવીર જેહ, સ્વપુત્ર તુલ્યે ગણતા જ તેહ;
અનન્યદાસત્વ નિહાળી અંગ, વિશ્વાસ રાખ્યો ઉરમાં અભંગ.60
પછી થયા શ્રીભગવત્પ્રસાદ, તેણેય રાખ્યા ગુણ સર્વ યાદ;
તેથી જ ગોવર્ધનદાસ કેરો, વિશ્વાસ રાખ્યો હૃદયે ઘણેરો. 61
કહે ભૂમાનંદ મુનીન્દ્ર વાણી, સુણો કહું તે ઉર નેહ આણી;
દયાળજી કેરું કુટુંબ કેવું, સુભકત સર્વે વ્રજવાસી જેવું. 62
પ્રત્યક્ષ કેરો મહિમા ન જાણે, પરોક્ષને લોક પછી વખાણે;
એવી જ છે આ જગકેરી રીત, જ્ઞાની કરે ચાહિ વિચાર ચિત્ત. 63
આખ્યાન આવાં હરિભકત કેરાં, કથા પ્રસંગે સુણિયે ઘણેરાં;
તો વાસના અંતરમાંથી તૂટે, સંસારનાં બંધન છેક છૂટે. 64
પ્રત્યક્ષ જયાં શ્રીહરિ હોય જયારે, એવા દિસે ભકત અનેક ત્યારે;
પછી પુરો પુણ્ય પ્રતાપ જેને, તેવા તણું દર્શન થાય તેને. 65
પુષ્પિતાગ્રા:-
પરમ પુનિત આ કથા પ્રસંગ, હરિજન કીર્તિ કથાનું એહ અંગ;
સુણી જન મન સદ્ય શુદ્ધ થાય, પ્રભુ મહિમા પણ એ થકી જણાય. 66
ઈતિ શ્રી વિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે ભૂમાનંદમુનીન્દ્ર વાઘજીભાઈ સંવાદે કથાપ્રસંગે ઠાસરાનિવાસી દયાળદાસાખ્યાનકથનનામ તૃતીયો વિશ્રામઃ ।। 3 ।।