શાર્દૂલવિક્રીડિતવૃત્ત:-
જન્મ્યા કૌશલ દેશ વેષ બટુનો લૈ તીર્થ માંહિ ફર્યા,
રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો ને યજ્ઞ મોટા કર્યા;
મોટાં ધામ રચ્યાં રહ્યાં ગઢપુરે બે દેશ ગાદી કરી,
અંતર્ધાન થયા લીલા હરિ તણી સંક્ષેપ એ ઉચ્ચરી. 1
શ્રી વૃત્તાલયમાં અચિંત્યમુનિએ રાજા અભેસિંહને,
જે લીલામૃત કૃષ્ણનું કરી કૃપા પાયું પમાયું જને;
તે વર્ણીવરને નમું વળી નમંુ તે ભૂપતિ હંસને,
તેના પૂર્વજ જે થયા હરિજનો વંદૂ જદુવંશને. 2
નિત્યાનંદ તણા સુશિષ્ય સુમતિ જ્ઞાતા જનો સૌ કહે,
ભૂમાનંદમુનિ ભલા ભગવદી વૃત્તાલયે તે રહે;
સાધૂતા ગુણ શ્રેષ્ઠ શ્રીહરિ તણી લીલા સદા ઉચ્ચરે,
બેસીને દઢ આસને પ્રભુ તણું જે ધ્યાન નિત્યે ધરે. 3
તાપે ગ્રીષ્મ ને તપ્યાં તન અતિ એવા અરણ્યે ચરા,
ગંગા નીર તરંગથી તન વિષે તે શાંતિ પામે ખરા;
તે રીતે ત્રણ તાપથી તપિત જે આવે જનો આદરે,
ભૂમાનંદમુનિની વાણી સરિતા તે તાપ તેના હરે. 4
જૈ બેઠા હરિમંડપે હરિ તણા તે ધ્યાનમાં એકદા,
પાટીદાર વસો નિવાસી જન જે તે આવિયા ત્યાં તદા;
જેના તાત અમીન દાસ તુલસી સદ્ભાગ્યશાળી હતા,
એવા વાઘજીભાઇ આ સમયમાં સત્સંગમાં છે છતા. 5
શ્રીજી નિર્મિત ધર્મસેતુ પર જે પ્રીતિ સુરીતિ કરે,
શ્રીજી સ્થાપિત દેવ ગાદિપતિનો જે પક્ષ પક્કો ધરે;
જેણે મુખ્ય ગુણાતીતાખ્ય મુનિનો સત્સંગ જઇને કર્યો,
સદ્ભકિતશ્રવણાખ્યમાં પૃથુસમો સદ્ભાવ જેણે ધર્યો. 6
ઉપજાતિ:-
તે વાઘજીભાઇ વિવેકી સારા, પ્રીતે હરિમંડપમાં પધાર્યા;
ભૂમાખ્ય મોટા મુનિને નિહાળી, લાગ્યા પગે મસ્તક નેણ ઢાળી. 7
ત્યાં ધ્યાનમાંથી મુનિ તેહ જાગ્યા, પ્રેમે લળી વાઘજી પાય લાગ્યા;
હરિ સુલીલામૃત ગ્રંથ કેરી, કથા વખાણી મુનિએ ઘણેરી. 8
બોલ્યા તહાં વાઘજીભાઇ વાણી, અહો કૃપાનાથ કૃપા સુ આણી;
પૂછું હવે ઉત્તર એહ આપો, સમર્થ છો સંશય સર્વ કાપો. 9
હરિ સુલીલામૃત ગ્રંથ નામ, કેણે રચ્યો છે રહી કેહ ઠામ ?
તે ગ્રંથ કેરી ઉતપત્તિ જેહ, તમે કહો હે મુનિરાજ તેહ. 10
ઇચ્છા મને છે અતિ જાણવાની, સારાંશ એનો ઉર આણવાની;
કહે મુનિ સાંભળ ભકતરાજ, એ ગ્રંથ ઉત્પત્તિ સુણાવું આજ. 11
તે ગ્રંથમાં છે પ્રભુનાં ચરિત્ર, શ્રોતા જનો થાય સુણી પવિત્ર;
શ્રીધર્મપુત્રે રઘુવીરજીને, આચાર્ય કીધા કરુણા કરીને. 12
તેણે વળી જાણી ગતપ્રમાદ, આચાર્ય કીધા ભગવત્પ્રસાદ;
એણે પછી આણી ઉરે વહાલ, સ્થાપ્યા નિજસ્થાન વિહારીલાલ. 13
તે એકદા સંતતણે સમાજે, આંહી સભામંડપમાં બિરાજે;
તારા વિષે શોભિત ચંદ્ર જેમ, શોભે સભામાં વૃષવંશી તેમ. 14
તિથિ હતી રામ જયંતિ જયારે, આવ્યા હતા સંઘ અનેક ત્યારે;
ભાવીક તે ભકત બધા મળીને, આચાર્ય પાસે ઉચર્યા લળીને. 15
રથોદ્ધતા:-
હે દયાળુ દિલમાં દયા કરો, આ અમારી વિનતિ ઉરે ધરો;
ગ્રંથ ધર્મસુતની લીલા તણા, વાંચવા ઉર ઉમંગ છે ઘણા. 16
જે ચરિત્ર પ્રગટ પ્રભુ તણાં, છે લખેલ ગિરવાણમાં ઘણાં;
તે ન વાંચી શકિયે ભણ્યા વિના, કેમ શાંતિ ધરિયે સુણ્યા વિના. 17
જેમ મિષ્ટ ફળ પેટીમાં ભરે, તાળું વાસી પછી આગળે ધરે;
જો ન હોય જન કુંચિદાર તો, લૈ શકે ન ફળ તે લગાર તો. 18
તેમ શાસ્ત્રી જન વાંચીને કહે, તોજ સર્વજન સાંભળી લહે;
હોય ગ્રંથ શુભ દેશિ વાણીમાં, જ્ઞાન પ્રાપ્ત બહુ થાય પ્રાણીમાં. 19
દેશિ વાણી સઉ જેવી ડાળિયો, મૂળ તેહ ગિરવાણ વાણીયો;
ધૂળમાં તરુ સમસ્ત મૂળ છે, ડાળમાં ફળ તથા સુફૂલ છે. 20
સંપ્રદાયતણી શુદ્ધિ નામનો, ગ્રંથ સંસ્કૃત વિશેષ કામનો;
છે રચ્યો ગુરુ તમે કૃપા કરી, વાસુદેવ ભટ નામને ધરી. 21
ગ્રંથ પ્રાકૃતલીલા સુસંગ્રહ, છે રચ્યો શુભ તમે દયા સહ;
કૃત્ય આપ કરવાનું છે કર્યું, ધન્ય દેશિક પણું તમે ધર્યું. 22
ચોપાઈ:-
સુણી બોલ્યા આચાર્ય ઉમંગી, તમે સાંભળો સૌ સત્સંગી;
ગ્રંથ છે ઘણા તે શું ગણાવું, સંખ્યા મુખ્ય ગ્રંથની સુણાવું. 23
સત્સંગિજીવન શુભ નામ, ગ્રંથ ગીર્વાણ છે સુખધામ;
રચનાર શતાનંદ સ્વામી, નથી તેમાં રહી કાંઇ ખામી. 24
ધર્મશાસ્ત્ર ગણાય છે સારું, લીલા પ્રગટ તણી કહેનારું;
પૂરા પ્રકરણ છે પાંચ જેમાં, સુણો શ્વ્લોકની સંખ્યા છે તેમાં. 25
યથાવૃત્ત પ્રમાણે કહીશ, સાડા સોળ હજાર પચીશ;
પણ લેખક ગણતી પ્રમાણે, શ્વ્લોક સત્તર સહસ્ત્ર સૌ જાણે. 26
વળી એથી અધિક તો ગણાય, સાતસેં ને સત્યાવીશ થાય;
હરિલીલાકલ્પતરૂ જેહ, રઘુવીરજી રચનાર તેહ. 27
આખા ગ્રંથના સ્કંધ છે બાર, વૃત્ત ઓગણત્રીસ હજાર;
એ થકી વળી ઉપર જે છે, પૂરેપૂરા પોણા ત્રણસેં છે. 28
પણ લેખક ગણતી પ્રકાર, તેના શ્વ્લોક તેત્રીસ હજાર;
એકત્રીસ બસેં ઉપરાંત, તેમાં ભાસે નહીં કાંઇ ભ્રાંત. 29
એના માહાત્મ્યના જે અધ્યાય, ચૌદનો ગ્રંથ જૂદો જણાય;
શ્વ્લોક લેખક સંખ્યા ગણીશ, સાતસેં ને ઉપર ઓગણીશ. 30
હરિવાકયસુધાસિંધુ જેહ, શતાનંદે રચ્યો ગ્રંથ તેહ;
વચનામૃત તેહનાં ગણી, કહું સંખ્યા સુણો તેહ તણી. 31
ગઢડે ઉચર્યા અવિનાશી, એકસો ઉપરાંત ચોરાશી;
જાણો સારંગપુરનાં અઢાર, કારિયાણી તણાં કહું બાર. 32
છે અઢાર લોયાનાં વિખ્યાત, ગામ પંચાળાનાં ગણો સાત;
વરતાલ તણાં વીશ જાણો, ત્રણ શ્રીપુરનાં ઉર આણો. 33
બધાં બાસઠ ને શત બેય, સંખ્યા સર્વ મળી એવી છેય;
શ્વ્લોક નાના મોટા નિરધાર, દશ ઓછા છે આઠ હજાર. 34
શ્વ્લોક લેખક સંખ્યા કહીશ, આઠ સહસ્ત્ર શત એકત્રીસ;
ગ્રંથ હરિદિગ્વિજય છે સાર, નિત્યાનંદમુનિ રચનાર. 35
એના અધ્યાય નામ હુલાસ, પૂરી સંખ્યા ઓગણપચાસ;
છસેં નવ તથા ત્રણ હજાર, તેમાં વૃત્તનો છે નિરધાર. 36
શ્વ્લોક લેખકના જ પ્રમાણો, સવા ચાર હજાર છે જાણો;
વળી રઘુવીરજી મહારાજે, ગ્રં્રથ કીધો છે નિજજન કાજે. 37
દુર્ગપુરના માહાત્મ્યનો ગ્રંથ, તે છે પાવન મોક્ષનો પંથ;
હરિવાકયસુધા સિંધુ તણી, રચી છે ટીકા ઉત્તમ ઘણી. 38
સર્વમંગળનું ભાષ્ય કીધું, તે તો શિષ્યોને જીવન દીધું;
ભલા શ્રીભગવતપ્રસાદ, તેના ગ્રંથ કહું કરી યાદ. 39
એક તો હરિલીલાપ્રદીપ, રચ્યો છે રમાનાથ સમીપ;
અન્વયાર્થપ્રકાશિકા નામ, ભાગવત પર ટીકા ઉદ્દામ. 40
હરિલીલાકલ્પતરુકેરી, રચી છે ટીકા રુડી ઘણેરી;
હરિનો દિગ્વિજય છે ગ્રંથ, સજી તેની ટીકા શુદ્ધ પંથ. 41
વળી સદ્ગુરૂ ગોપાળાનંદે, ઘણા ગ્રંથ રચ્યા ગુણવૃંદે;
ભગવદ્ગીતા ને ઇશાવાસ્ય, ભલાં તેનાં કરેલાં છે ભાષ્ય. 42
સ્કંધ બીજો અગ્યારમો દશમો,ભાગવતનો છે ભણવાને વસમો;
તેની ટીકા સુગમ કરી દીધી, વ્યાસસુત્ર તણી ટીકા કીધી. 43
શ્રુતિશાસ્ત્ર ઉપર દષ્ટિ સાંધી, વિષ્ણુયાગની પદ્ધતિ બાંધી;
ઝાલાવાડમાં શીયાણી ગામ, ભલા ત્યાં હતા ભટ શિવરામ. 44
ગ્રંથ સત્સંગિજીવન માંય, પાંચમું પ્રકરણ છે જયાંય;
શિવરામને શ્રીહરિ કેરો, સારો સંવાદ દિસે ઘણેરો. 45
થયા તેહ પછી બ્રહ્મચારી, અખંડાનંદ સંજ્ઞા છે ધારી;
એહ વર્ણી તથા ગુણવૃંદ, સાધુ સોમપ્રકાશાનંદ. 46
જેને ભકિતસુતે કહ્યા ભાઇ, સાધુ એવા તે જન સુખદાઇ;
રઘુવીરજીને પ્રભુ જયારે, પદ આપ્યું આચારજ ત્યારે. 47
અખંડાનંદ સોમપ્રકાશ, મુકયા જમણી ને ડાબી પાસ;
રચ્યો વર્ણીયે ગ્રંથ પવિત્ર, તેનું નામ છે હરિચરિત્ર. 48
તેની ટીકા છે મન અભિરામ, તેનું તત્વાર્થબોધિની નામ;
તે તો ગોપાળજી સુત જેહ, રચી કૃષ્ણપ્રસાદે તો તેહ. 49
જયારે હરિયે આચારજ થાપી, ગાદી અવધ્યપ્રસાદને આપી;
વર્ણી વાસુદેવાનંદનામી, સાધુ માહાનુભાવાનંદસ્વામી. 50
ભુજ દક્ષિણ ને વામ સ્થાને, મુકયા તે સમે શ્રી ભગવાને;
આચારજજી અયોધ્યાપ્રસાદે, શ્રુતિ શાસ્ત્ર તણી મરજાદે. 51
ટીકા સત્સંગિજીવન તણી, રચી તે પણ છે શુભ ઘણી;
વર્ણી વાસુદેવાનંદે સીધ, ગ્રંથ સત્સંગિભૂષણ કીધ. 52
તેની ટીકા તે વળી વાંચીયે, કરી કેશવપ્રસાદજીયે;
ટીકા સત્સંગિજીવન તણી, હેતુ નામે છે ઉત્તમ ઘણી. 53
રચનાર શુકાનંદસ્વામી, નથી તેમાં કશી પણ ખામી;
ચૈતન્યાનંદસ્વામીયે જેમ, રચ્યો જ્ઞાનવિલાસ છે તેમ. 54
સીતારામજીભાઇયે સત્ય, રચ્યો શ્રીહરિઆજ્ઞામૃત;
વ્યાસસૂત્રતણું બીજું ભાષ્ય, મુકતાનંદે કર્યું છે પ્રકાશ. 55
ભાષ્ય શાંડિલસૂત્ર જ તણું, નિત્યાનંદે કર્યું શુભ ઘણું;
હરિસંભવાદિક રચ્યા જેહ, અચિંત્યાનંદવર્ણીયે એહ. 56
યોગાનંદ થયા કવિરાજ, ગ્રંથો તેણે રચ્યા જનકાજ;
એ તો સંસ્કૃત ગ્રંથ ગણાવ્યા, મને જે કાંઇ સાંભરી આવ્યા. 57
ગ્રંથ પ્રાકૃતનો નથી પાર, મુકતાનંદ આદિક રચનાર;
બ્રહ્માનંદ પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદે રાખી ન ખામી. 58
ગણતાં કેટલાક ગણાવું, જીભથી કેમ પાર જણાવું;
નિત્ય એક અધ્યાય વંચાવે, શત વર્ષે નહિ પાર આવે. 59
ઇન્દ્રવંશા:-
સત્સંગી સર્વે વળી બોલિયા ફરી, છોજી કૃપાનાથ સુણો કૃપા કરી;
આખ્યાન બીજાય અનેક છે સહી, તે ગ્રંથમાં ક્યાંઈ લખેલ છે નહીં. ૬૦
જે વૃદ્ધ ભક્તો હમણાં હયાત છે, તેને મુખે એવી અનેક વાત છે;
જ્યારે જનો તે હરિધામમાં જશે, આખ્યાન એ સર્વે અદર્શ26 તો થશે. ૬૧
અદ્ભૂત લીલા વળી એકઠી કરો, તે સર્વ તે ગ્રંથ વિષે તમે ધરો;
તે ગ્રંથ ભાષા ભલી ગુર્જરી વિષે, ગુંથાય તો સર્વ જનો ખુશી થશે. ૬૨
આચાર્ય જે જે પૂરવે થઈ ગયા, તે ગ્રંથ તેના મતના રચી ગયા;
જેનાથી ગ્રંથો વધતા રચાય છે, આચાર્ય તો ઉત્તમ તે ગણાય છે. ૬૩
આ લોકમાં ઊંચી ઘણી ઇમારતો, સારી રચે છે બહુ સાહુકાર તો;
સદ્ગ્રંથ મોટા નિજ સંપ્રદાયના, આચાર્ય સાધારણથી રચાય ના. ૬૪
હીરા તણું મૂલ ઝવેરી જાણશે, બીજા જનો કંકર તે પ્રમાણશે;
ગ્રંથોનુ માહાત્મ્ય પુરું પ્રવીણને,27 તે તુચ્છ લાગે જન બુદ્ધિહીણને. ૬૫
પુષ્ટિ વધે ગ્રંથથી સંપ્રદાયની, છે એ જ રીતિ જગમાં સદાયની;
જે પંથના ગ્રંથ નહીં પ્રકાસશે, ભફ્ફાકિયા પંથ સમાન ભાસશે. ૬૬
આ જે કરી પ્રાકૃત ગ્રંથ માગણી, તે તો દયાળુ તમને ભલા ગણી;
જાણે ન જે સંસ્કૃત નારી ને નરો, તે સર્વ માટે ઉપકાર તો કરો. ૬૭
કૂવાનું પાણી ગુણવાન28 પામશે, નિરાશી થૈને ગુણહીન તો જશે;
ગંગા ગુણી નિર્ગુણીને નહીં ગણે, દે સર્વને નીર દયાપણે ઘણે. ૬૮
તેવી દયા દિલ ધરો તમે બહુ, સ્વશિષ્ય જાણો ન ભણ્યા ભણ્યા સહુ;
એવો રચો ગ્રંથ અપૂર્વ29 રંગથી,30 જે ગ્રંથ વાંચે જન સૌ ઉમંગથી. ૬૯
પુષ્પિતાગ્રા:-
કરી સુવિનતિ એવી એહ કાળે,સુણી મન માંહિ ધરી વિહારીલાલે;
નિજજન હિત ચિત્તમાં વિચાસર્યું, દઢ કરી ગ્રંથ રચ્યાનું કામ ધાર્યું. 70
ઈતિ શ્રી વિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે ભૂમાનંદમુનીન્દ્ર વાઘજીભાઈ સંવાદે ગ્રંથરચનાર્થે હરિભકતકૃત આચાર્યવિનતિનામ દ્વિતીયો વિશ્રામઃ ।। 2 ।।