શાર્દૂલવિક્રીડિતવૃત્ત:-

જન્મ્યા કૌશલ દેશ વેષ બટુનો લૈ તીર્થ માંહિ ફર્યા,

રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો ને યજ્ઞ મોટા કર્યા;

મોટાં ધામ  રચ્યાં રહ્યાં ગઢપુરે બે દેશ ગાદી કરી,

અંતર્ધાન  થયા લીલા હરિ તણી  સંક્ષેપ એ  ઉચ્ચરી. 1

શ્રી વૃત્તાલયમાં અચિંત્યમુનિએ રાજા અભેસિંહને,

જે લીલામૃત કૃષ્ણનું કરી કૃપા પાયું પમાયું જને;

તે વર્ણીવરને નમું વળી નમંુ તે ભૂપતિ  હંસને,

તેના  પૂર્વજ  જે થયા  હરિજનો  વંદૂ જદુવંશને. 2

નિત્યાનંદ તણા સુશિષ્ય સુમતિ જ્ઞાતા જનો સૌ કહે,

ભૂમાનંદમુનિ  ભલા  ભગવદી  વૃત્તાલયે તે રહે;

સાધૂતા ગુણ શ્રેષ્ઠ શ્રીહરિ તણી લીલા સદા ઉચ્ચરે,

બેસીને દઢ  આસને પ્રભુ તણું જે ધ્યાન  નિત્યે ધરે. 3

તાપે ગ્રીષ્મ ને તપ્યાં તન અતિ એવા અરણ્યે ચરા,

ગંગા નીર તરંગથી તન વિષે તે શાંતિ પામે ખરા;

તે રીતે ત્રણ તાપથી તપિત જે  આવે જનો આદરે,

ભૂમાનંદમુનિની વાણી સરિતા તે તાપ તેના હરે. 4

જૈ  બેઠા હરિમંડપે હરિ તણા તે ધ્યાનમાં એકદા,

પાટીદાર વસો નિવાસી જન જે તે આવિયા ત્યાં તદા;

જેના તાત અમીન દાસ તુલસી સદ્ભાગ્યશાળી હતા,

એવા વાઘજીભાઇ આ સમયમાં સત્સંગમાં છે છતા. 5

શ્રીજી નિર્મિત ધર્મસેતુ પર જે પ્રીતિ સુરીતિ કરે,

શ્રીજી સ્થાપિત દેવ ગાદિપતિનો જે પક્ષ પક્કો ધરે;

જેણે મુખ્ય ગુણાતીતાખ્ય મુનિનો સત્સંગ જઇને કર્યો,

સદ્ભકિતશ્રવણાખ્યમાં પૃથુસમો સદ્ભાવ જેણે ધર્યો. 6

ઉપજાતિ:-

તે વાઘજીભાઇ વિવેકી સારા, પ્રીતે હરિમંડપમાં પધાર્યા;

ભૂમાખ્ય મોટા મુનિને નિહાળી, લાગ્યા પગે મસ્તક નેણ ઢાળી. 7

ત્યાં ધ્યાનમાંથી મુનિ તેહ જાગ્યા, પ્રેમે લળી વાઘજી પાય લાગ્યા;

હરિ સુલીલામૃત ગ્રંથ કેરી, કથા વખાણી મુનિએ ઘણેરી. 8

બોલ્યા તહાં વાઘજીભાઇ વાણી, અહો કૃપાનાથ કૃપા સુ આણી;

પૂછું હવે ઉત્તર એહ આપો, સમર્થ છો સંશય સર્વ કાપો. 9

હરિ સુલીલામૃત ગ્રંથ નામ,  કેણે રચ્યો છે રહી કેહ  ઠામ  ?

તે ગ્રંથ કેરી ઉતપત્તિ જેહ, તમે કહો  હે મુનિરાજ તેહ. 10

ઇચ્છા મને છે અતિ જાણવાની, સારાંશ એનો ઉર આણવાની;

કહે મુનિ સાંભળ ભકતરાજ, એ ગ્રંથ ઉત્પત્તિ સુણાવું આજ. 11

તે ગ્રંથમાં છે પ્રભુનાં ચરિત્ર, શ્રોતા જનો થાય સુણી પવિત્ર;

શ્રીધર્મપુત્રે રઘુવીરજીને, આચાર્ય કીધા  કરુણા  કરીને. 12

તેણે વળી જાણી ગતપ્રમાદ,  આચાર્ય કીધા ભગવત્પ્રસાદ;

એણે પછી આણી ઉરે વહાલ, સ્થાપ્યા નિજસ્થાન વિહારીલાલ. 13

તે એકદા સંતતણે સમાજે, આંહી સભામંડપમાં બિરાજે;

તારા વિષે શોભિત ચંદ્ર જેમ, શોભે સભામાં વૃષવંશી તેમ. 14

તિથિ હતી રામ જયંતિ જયારે, આવ્યા હતા સંઘ અનેક ત્યારે;

ભાવીક તે ભકત બધા મળીને, આચાર્ય પાસે ઉચર્યા લળીને. 15

રથોદ્ધતા:-

હે દયાળુ દિલમાં દયા કરો, આ અમારી વિનતિ ઉરે ધરો;

ગ્રંથ ધર્મસુતની લીલા તણા,  વાંચવા ઉર ઉમંગ  છે ઘણા. 16

જે ચરિત્ર   પ્રગટ  પ્રભુ તણાં,  છે લખેલ  ગિરવાણમાં ઘણાં;

તે ન વાંચી શકિયે ભણ્યા વિના, કેમ શાંતિ ધરિયે સુણ્યા વિના. 17

જેમ મિષ્ટ ફળ પેટીમાં ભરે, તાળું વાસી પછી આગળે ધરે;

જો ન હોય જન કુંચિદાર તો, લૈ શકે ન ફળ તે લગાર તો. 18

તેમ શાસ્ત્રી જન વાંચીને કહે, તોજ સર્વજન  સાંભળી લહે;

હોય ગ્રંથ શુભ દેશિ વાણીમાં, જ્ઞાન પ્રાપ્ત બહુ થાય પ્રાણીમાં. 19

દેશિ વાણી સઉ જેવી ડાળિયો, મૂળ તેહ ગિરવાણ વાણીયો;

ધૂળમાં તરુ સમસ્ત  મૂળ છે, ડાળમાં ફળ તથા સુફૂલ છે. 20

સંપ્રદાયતણી શુદ્ધિ નામનો, ગ્રંથ  સંસ્કૃત વિશેષ કામનો;

છે રચ્યો ગુરુ તમે કૃપા કરી, વાસુદેવ ભટ નામને ધરી. 21

ગ્રંથ પ્રાકૃતલીલા સુસંગ્રહ, છે રચ્યો શુભ તમે દયા સહ;

કૃત્ય આપ  કરવાનું છે કર્યું, ધન્ય  દેશિક પણું તમે ધર્યું. 22

ચોપાઈ:-

સુણી બોલ્યા આચાર્ય ઉમંગી, તમે સાંભળો સૌ સત્સંગી;

ગ્રંથ છે ઘણા તે શું ગણાવું, સંખ્યા મુખ્ય  ગ્રંથની સુણાવું. 23

સત્સંગિજીવન શુભ નામ, ગ્રંથ ગીર્વાણ છે સુખધામ;

રચનાર શતાનંદ સ્વામી, નથી તેમાં રહી કાંઇ ખામી. 24

ધર્મશાસ્ત્ર ગણાય  છે સારું, લીલા પ્રગટ તણી કહેનારું;

પૂરા પ્રકરણ છે પાંચ જેમાં, સુણો શ્વ્લોકની સંખ્યા છે તેમાં. 25

યથાવૃત્ત  પ્રમાણે કહીશ,  સાડા  સોળ  હજાર  પચીશ;

પણ લેખક ગણતી પ્રમાણે, શ્વ્લોક સત્તર સહસ્ત્ર સૌ જાણે. 26

વળી એથી અધિક તો ગણાય, સાતસેં ને સત્યાવીશ થાય;

હરિલીલાકલ્પતરૂ   જેહ,  રઘુવીરજી  રચનાર   તેહ. 27

આખા ગ્રંથના સ્કંધ છે બાર, વૃત્ત ઓગણત્રીસ હજાર;

એ થકી વળી ઉપર જે છે, પૂરેપૂરા  પોણા ત્રણસેં છે. 28

પણ  લેખક ગણતી પ્રકાર, તેના શ્વ્લોક તેત્રીસ હજાર;

એકત્રીસ  બસેં ઉપરાંત, તેમાં ભાસે નહીં કાંઇ  ભ્રાંત. 29

એના માહાત્મ્યના જે અધ્યાય, ચૌદનો ગ્રંથ જૂદો જણાય;

શ્વ્લોક  લેખક  સંખ્યા ગણીશ, સાતસેં ને ઉપર  ઓગણીશ. 30

હરિવાકયસુધાસિંધુ જેહ,  શતાનંદે રચ્યો  ગ્રંથ  તેહ;

વચનામૃત  તેહનાં ગણી, કહું સંખ્યા સુણો તેહ  તણી. 31

ગઢડે ઉચર્યા અવિનાશી,  એકસો  ઉપરાંત  ચોરાશી;

જાણો સારંગપુરનાં અઢાર, કારિયાણી તણાં કહું બાર. 32

છે અઢાર લોયાનાં વિખ્યાત, ગામ પંચાળાનાં ગણો સાત;

વરતાલ તણાં વીશ જાણો, ત્રણ  શ્રીપુરનાં ઉર આણો. 33

બધાં બાસઠ ને શત બેય,  સંખ્યા સર્વ મળી એવી છેય;

શ્વ્લોક  નાના મોટા નિરધાર,  દશ ઓછા છે આઠ હજાર. 34

શ્વ્લોક  લેખક સંખ્યા કહીશ, આઠ  સહસ્ત્ર શત  એકત્રીસ;

ગ્રંથ  હરિદિગ્વિજય છે સાર, નિત્યાનંદમુનિ  રચનાર. 35

એના અધ્યાય નામ  હુલાસ, પૂરી સંખ્યા ઓગણપચાસ;

છસેં નવ તથા   ત્રણ હજાર, તેમાં વૃત્તનો છે નિરધાર. 36

શ્વ્લોક લેખકના જ  પ્રમાણો,  સવા ચાર હજાર છે જાણો;

વળી રઘુવીરજી  મહારાજે,  ગ્રં્રથ કીધો છે નિજજન  કાજે. 37

દુર્ગપુરના માહાત્મ્યનો ગ્રંથ,  તે છે પાવન  મોક્ષનો પંથ;

હરિવાકયસુધા સિંધુ તણી, રચી છે ટીકા ઉત્તમ ઘણી. 38

સર્વમંગળનું ભાષ્ય કીધું, તે તો શિષ્યોને જીવન દીધું;

ભલા  શ્રીભગવતપ્રસાદ,  તેના  ગ્રંથ  કહું કરી  યાદ. 39

એક તો  હરિલીલાપ્રદીપ,  રચ્યો  છે રમાનાથ  સમીપ;

અન્વયાર્થપ્રકાશિકા  નામ,  ભાગવત  પર ટીકા  ઉદ્દામ. 40

હરિલીલાકલ્પતરુકેરી,  રચી  છે ટીકા  રુડી  ઘણેરી;

હરિનો દિગ્વિજય  છે ગ્રંથ, સજી તેની ટીકા શુદ્ધ  પંથ. 41

વળી સદ્ગુરૂ  ગોપાળાનંદે, ઘણા  ગ્રંથ  રચ્યા  ગુણવૃંદે;

ભગવદ્ગીતા ને ઇશાવાસ્ય, ભલાં તેનાં કરેલાં છે ભાષ્ય. 42

સ્કંધ બીજો અગ્યારમો દશમો,ભાગવતનો છે ભણવાને વસમો;

તેની ટીકા સુગમ  કરી દીધી, વ્યાસસુત્ર તણી ટીકા કીધી. 43

શ્રુતિશાસ્ત્ર ઉપર દષ્ટિ સાંધી, વિષ્ણુયાગની પદ્ધતિ બાંધી;

ઝાલાવાડમાં શીયાણી ગામ, ભલા ત્યાં હતા ભટ શિવરામ. 44

ગ્રંથ  સત્સંગિજીવન  માંય, પાંચમું પ્રકરણ  છે જયાંય;

શિવરામને શ્રીહરિ  કેરો,  સારો  સંવાદ  દિસે ઘણેરો. 45

થયા  તેહ પછી  બ્રહ્મચારી, અખંડાનંદ  સંજ્ઞા છે ધારી;

એહ  વર્ણી તથા  ગુણવૃંદ,  સાધુ સોમપ્રકાશાનંદ. 46

જેને ભકિતસુતે કહ્યા ભાઇ, સાધુ એવા તે જન સુખદાઇ;

રઘુવીરજીને પ્રભુ જયારે, પદ  આપ્યું આચારજ ત્યારે. 47

અખંડાનંદ સોમપ્રકાશ, મુકયા જમણી ને ડાબી પાસ;

રચ્યો  વર્ણીયે ગ્રંથ  પવિત્ર,  તેનું નામ છે હરિચરિત્ર. 48

તેની ટીકા છે મન અભિરામ, તેનું તત્વાર્થબોધિની નામ;

તે તો ગોપાળજી સુત જેહ, રચી કૃષ્ણપ્રસાદે તો તેહ. 49

જયારે હરિયે આચારજ થાપી, ગાદી અવધ્યપ્રસાદને આપી;

વર્ણી વાસુદેવાનંદનામી, સાધુ માહાનુભાવાનંદસ્વામી. 50

ભુજ દક્ષિણ ને વામ સ્થાને, મુકયા તે સમે શ્રી ભગવાને;

આચારજજી  અયોધ્યાપ્રસાદે,  શ્રુતિ  શાસ્ત્ર તણી મરજાદે. 51

ટીકા સત્સંગિજીવન તણી, રચી તે પણ છે શુભ ઘણી;

વર્ણી વાસુદેવાનંદે સીધ,  ગ્રંથ  સત્સંગિભૂષણ  કીધ. 52

તેની  ટીકા  તે વળી  વાંચીયે,  કરી  કેશવપ્રસાદજીયે;

ટીકા સત્સંગિજીવન તણી,  હેતુ નામે છે ઉત્તમ ઘણી. 53

રચનાર શુકાનંદસ્વામી,  નથી તેમાં કશી પણ  ખામી;

ચૈતન્યાનંદસ્વામીયે જેમ, રચ્યો જ્ઞાનવિલાસ છે તેમ. 54

સીતારામજીભાઇયે સત્ય,  રચ્યો  શ્રીહરિઆજ્ઞામૃત;

વ્યાસસૂત્રતણું બીજું ભાષ્ય, મુકતાનંદે કર્યું છે પ્રકાશ. 55

ભાષ્ય શાંડિલસૂત્ર  જ તણું,   નિત્યાનંદે કર્યું શુભ ઘણું;

હરિસંભવાદિક રચ્યા  જેહ,  અચિંત્યાનંદવર્ણીયે એહ. 56

યોગાનંદ  થયા  કવિરાજ,  ગ્રંથો  તેણે રચ્યા  જનકાજ;

એ તો સંસ્કૃત ગ્રંથ ગણાવ્યા, મને જે કાંઇ સાંભરી આવ્યા. 57

ગ્રંથ પ્રાકૃતનો  નથી પાર, મુકતાનંદ આદિક  રચનાર;

બ્રહ્માનંદ પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદે રાખી ન  ખામી. 58

ગણતાં કેટલાક  ગણાવું,  જીભથી  કેમ  પાર  જણાવું;

નિત્ય એક અધ્યાય વંચાવે, શત વર્ષે નહિ પાર આવે. 59

ઇન્દ્રવંશા:-


સત્સંગી સર્વે વળી બોલિયા ફરી, છોજી કૃપાનાથ સુણો કૃપા કરી;

આખ્યાન બીજાય અનેક છે સહી, તે ગ્રંથમાં ક્યાંઈ લખેલ છે નહીં. ૬૦

જે વૃદ્ધ ભક્તો હમણાં હયાત છે, તેને મુખે એવી અનેક વાત છે;

જ્યારે જનો તે હરિધામમાં જશે, આખ્યાન એ સર્વે અદર્શ26 તો થશે. ૬૧

અદ્‌ભૂત લીલા વળી એકઠી કરો, તે સર્વ તે ગ્રંથ વિષે તમે ધરો;

તે ગ્રંથ ભાષા ભલી ગુર્જરી વિષે, ગુંથાય તો સર્વ જનો ખુશી થશે. ૬૨

આચાર્ય જે જે પૂરવે થઈ ગયા, તે ગ્રંથ તેના મતના રચી ગયા;

જેનાથી ગ્રંથો વધતા રચાય છે, આચાર્ય તો ઉત્તમ તે ગણાય છે. ૬૩

આ લોકમાં ઊંચી ઘણી ઇમારતો, સારી રચે છે બહુ સાહુકાર તો;

સદ્‌ગ્રંથ મોટા નિજ સંપ્રદાયના, આચાર્ય સાધારણથી રચાય ના. ૬૪

હીરા તણું મૂલ ઝવેરી જાણશે, બીજા જનો કંકર તે પ્રમાણશે;

ગ્રંથોનુ માહાત્મ્ય પુરું પ્રવીણને,27 તે તુચ્છ લાગે જન બુદ્ધિહીણને. ૬૫

પુષ્ટિ વધે ગ્રંથથી સંપ્રદાયની, છે એ જ રીતિ જગમાં સદાયની;

જે પંથના ગ્રંથ નહીં પ્રકાસશે, ભફ્ફાકિયા પંથ સમાન ભાસશે. ૬૬

આ જે કરી પ્રાકૃત ગ્રંથ માગણી, તે તો દયાળુ તમને ભલા ગણી;

જાણે ન જે સંસ્કૃત નારી ને નરો, તે સર્વ માટે ઉપકાર તો કરો. ૬૭

કૂવાનું પાણી ગુણવાન28 પામશે, નિરાશી થૈને ગુણહીન તો જશે;

ગંગા ગુણી નિર્ગુણીને નહીં ગણે, દે સર્વને નીર દયાપણે ઘણે. ૬૮

તેવી દયા દિલ ધરો તમે બહુ, સ્વશિષ્ય જાણો ન ભણ્યા ભણ્યા સહુ;

એવો રચો ગ્રંથ અપૂર્વ29 રંગથી,30 જે ગ્રંથ વાંચે જન સૌ ઉમંગથી. ૬૯

 પુષ્પિતાગ્રા:-

કરી સુવિનતિ એવી એહ કાળે,સુણી મન માંહિ ધરી વિહારીલાલે;

નિજજન હિત ચિત્તમાં વિચાસર્યું, દઢ કરી ગ્રંથ રચ્યાનું કામ ધાર્યું. 70

ઈતિ શ્રી વિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે ભૂમાનંદમુનીન્દ્ર વાઘજીભાઈ સંવાદે ગ્રંથરચનાર્થે હરિભકતકૃત આચાર્યવિનતિનામ દ્વિતીયો વિશ્રામઃ ।। 2 ।।