દોહા :-

મંગળકારી મૂરતિ, શ્રીસહજાનંદ સુખધામ ।।

ભકિતધર્મસુત ભાવશું, રહ્યા અંતરમાં ઘનશ્યામ ।। ૧ ।।

એવા ઇષ્ટ એહ માહેરા, તેના ઇષ્ટ તે શ્રીકૃષ્ણ ।।

જેને વામ રાધા ઉર રમા, વૃન્દાવનરમણ મન પ્રસન્ન ।। ૨ ।।

એવા ઇષ્ટને ઉર ધરી, બોલ્યા તે સહજાનંદ ।।

મુજ આશ્રિત ત્યાગી ગૃહી, સુણો નર ત્રિય વૃન્દ ।। ૩ ।।

શિક્ષાપત્રી સુંદર અતિ, તમે સાંભળજયો મુજ જન ।।

લખું વસી વરતાલમાં, આ છે છેલાં વચન ।। ૪ ।।

ચોપાઈ :-

બહુ બહુ કરી મેં વાત રે, તે સાંભળી તમે સાક્ષાત રે ।।

હવે છેલ્લી વાત છે આ મારી રે, તમે સહુ લેજયો હૈયે ધારી રે ।। ૫ ।।

દેશ પ્રદેશમાં જે રહેનાર રે, મારાં આશ્રિત જે નરનાર રે ।।

તમ પ્રત્યે શિખામણ મારી રે, સુખદાયક છે અતિ સારી રે ।। ૬ ।।

ધર્મપુત્ર પવિત્ર બે ભાઈ રે, મારા વીર જન સુખદાઈ રે ।।

મોટા ભાઈ છે રામપ્રતાપ રે, નાનાભાઈ ઇચ્છારામ આપ રે ।। ૭ ।।

તેના પુત્ર બે ગુણ ગંભીર રે, અવધપ્રસાદ ને રઘુવીર રે ।।

તેને દત્તપુત્ર કરી સ્થાપ્યા રે, મંદિર દેશ વહેંચીને આપ્યા રે ।। ૮ ।।

કર્યા સાધુ સતસંગી અમે રે, તેના આચાર્ય છોજી તમે રે ।।

હવે સાંભળો મુજ આશ્રિત રે, મારાં વચનમાં દઈ ચિત્ત રે ।। ૯ ।।

વર્ણી મુકુંદ આદિ સમસ્ત રે, ભટ્ટ મયારામ આદિ ગૃહસ્થ રે ।।

સધવા વિધવા નારી સુભાગી રે, સુણો મુકતાનંદ આદિ ત્યાગી રે ।।૧૦।।

એવા સતસંગી મુનિરાજ રે, તમારી ધર્મરક્ષાને કાજ રે ।।

શાસ્ત્રપ્રમાણ જનસુખ કરણ રે, જેમાં શ્રીનારાયણ સ્મરણ રે ।।૧૧।।

એવાં આશિષનાં જે વચન રે, સહુ અંતરે ધારજયો જન રે ।।

શિક્ષાપત્રી લખ્યાનું કારણ રે, કરજયો એકાગ્ર મને ધારણ રે ।।૧૨।।

સર્વ જીવને છે સુખકારી રે, એવી શિક્ષાની પત્રી અમારી રે ।।

શ્રીમદ્ભાગવતાદિ જે ગ્રંથ રે, સતશાસ્ત્ર કહ્યાં મોક્ષપંથ રે ।।૧૩।।

તેણે પ્રતિપાદન કર્યા જેહ રે, સર્વ જીવ હિતકારી તેહ રે ।।

એવા અહિંસાદિ સદાચાર રે, પાળે પળાવે જે નરનાર રે ।।૧૪।।

તે આ લોક પરલોક માંય રે, મોટા સુખને પામે સદાય રે ।।

સદાચાર ઉલ્લંઘી જે વર્તે રે, મેલી મર્યાદ મનને મતે રે ।।૧૫।।

તે તો કુબુદ્ધિવાળા કહેવાય રે, લોક પરલોકે તે દુઃખી થાય રે ।।

માટે મારા શિષ્ય સહુ પ્રીતે રે, વર્તો આ શિક્ષાપત્રીની રીતે રે ।।૧૬।।

હવે વર્ત્યાની રીત છે જેહ રે, સર્વે સત્સંગી સુણજયો તેહ રે ।।

નાનાં મોટાં જેહ જીવ પ્રાણી રે, તેને મારવા નહિ કયારે જાણી રે ।।૧૭।।

ચાંચડ માંકડ જૂ જંતુ લહિ રે, તેની હિંસા તે કરવી નહિ રે ।।

દેવપિતૃયજ્ઞ કર્મ સારુ રે, મૃગ મીન શશ ને બાકરું રે ।।૧૮।।

એહ આદિ ન મારવા પ્રાણી રે, અહિંસાદિ ધર્મ મોટો જાણી રે ।।

એમ સચ્છાસ્ત્રમાંહી કહે છે રે, મારી પણ શિક્ષા તમને એ છે રે ।।૧૯।।

દામ વામ મળે માલ મહી રે, તોય મનુષ્ય મારવો નહીં રે ।।

તેમ તીર્થમાં જઈ કોઈ જન રે, આત્મઘાત ન કરો કોઈ દન રે ।।૨૦।।

ક્રોધ કરી ન તજવું તન રે, એહ માનો શિક્ષાનાં વચન રે ।।

અયુકત કર્મ થાય જો કાંઈ રે, તોયે મરવું નહિ મૂંઝાઈ રે ।।૨૧।।

વિષ ફાંસી કૂવે પડી તન રે, નહિ મરવું ભેરવજપે જન રે ।।

યજ્ઞશેષ પ્રસાદી જે માંસ રે, તે ન ખાવું કે દી મારા દાસ રે ।।૨૨।।

મદ્ય કીધું વિધ અગિયાર રે, સુરા તે પણ ત્રણ પ્રકાર રે ।।

દેવ નૈવદ્યનું ભલે હોય રે, મારા જનોએ ન લેવું તોય રે ।।૨૩।।

આપોઆપથી આચરણ અયોગ્ય રે, થઈ જાય કોઈ કર્મ ભોગ રે ।।

તોય શસ્ત્રાદિકે કરી તન રે, આપોઆપનું ન કરવું છેદન રે ।।૨૪।।

ક્રોધે કરી ન કરવો દાસ રે, નિજ પરના પિંડનો નાશ રે ।।

સુણો સર્વ શિષ્ય વાત મારી રે, ધર્મ સારુયે ન કરો ચોરી રે ।।૨૫।।

કાષ્ઠ આદિક ફળ ફૂલ પાતી રે, જે કોઈ વસ્તુ હોય ધણિયાતી રે ।।

તે તો ધણી આપે તો જ લેવી રે, અમારી તો આજ્ઞા છે એવી રે ।।૨૬।।

વળી મારા આશ્રિત નરનાર રે, તેણે કરવો નહિ વ્યભિચાર રે ।।

દ્યુતાદિક વ્યસનને મેલી રે, ત્યાગો કેફ થાવું નહિ ફેલી રે ।।૨૭।।

ગાંજા ભાંગ્ય મફર માજમને રે, ચડે કેફ તે તજો કહું તમને રે ।।

જેનાં અન્ન જળે હોય વટાળ રે, તે ન ખાવું પીવું કોઈ કાળ રે ।।૨૮।।

હરિપ્રસાદી ને ચરણામૃત રે, જાતિ વટાળે તજવું તર્ત રે ।।

જગન્નાથપુરીને માંહિ રે, હરિપ્રસાદનો દોષ નહિ રે ।।૨૯।।

આપ સ્વાર્થને સિદ્ધ કરવા રે, ખોટાં કલંક કોઈને ન ધરવાં રે ।।

જેમ ન નાખવી જૂઠી આળ રે, તેમ ન દેવી કોઈને ગાળ રે ।।૩૦।।

દેવ તીર્થ સતી સંત જાણો રે, વિપ્ર વેદવચન પ્રમાણો રે ।।

તેની નિંદા કેદિયે ન કરવી રે, કોઈ કરે તો કાને ન ધરવી રે ।।૩૧।।

જગમાં જે દેવતા આગળે રે, પૂજે માંસ મદિરા ને જળે રે ।।

વળી પશુહિંસા થતી હોય રે, તેની પ્રસાદી ન લેશો કોય રે ।।૩૨।।

વાટે જતાં શિવાલય આવે રે, બીજા દેવનાં સ્થાનક કહાવે રે ।।

તેને નમસ્કાર કરી જન રે, કરવું આદર સહિત દર્શન રે ।।૩૩।।

પોતાનો જે વર્ણ આશ્રમ રે, તેનો તજવો નહિ કે દી ધર્મ રે ।।

પરધર્મમાં પગ ન ભરવો રે, પાખંડી કલ્પત પરહરવો રે ।।૩૪।।

કૃષ્ણભકત જે પોતાનો ધર્મ રે, તેમાં મોળા પાડે જે બેશર્મ રે ।।

તેનાં મુખથી હરિકથા જ્ઞાન રે, કે દી ન સાંભળો દઈ કાન રે ।।૩૫।।

એહ સાંભળ્યામાં નહિ સારું રે, માટે કરું છું તમને વારું રે ।।

જેણે હોય નિજ પારકો નાશ રે, એવું સત્ય ન બોલીએ દાસ રે ।।૩૬।।

કૃતઘ્નીનો સંગ નવ કીજે રે, કેની લાંચ ભાડ્ય નવ લીજે રે ।।

પાપી પાખંડી વ્યસની ચોર રે, પરત્રિયલંપટ જે નિઠોર રે ।।૩૭।।

વળી ધુતારા એ ષટ ખળ રે, તેનો ન કરો સંગ કોઈ પળ રે ।।

ભકત જ્ઞાન તણી ઓથ લઈ રે, ત્રિય ધન રસ વશ રહ્યા થઈ રે ।।૩૮।।

એને અર્થે પાપ કરનારા રે, તેનો સંગ તજો શિષ્ય મારા રે ।।

કૃષ્ણ કૃષ્ણ અવતાર કહીએ રે, તેનું ખંડન કરે જે યુકતએ રે ।।૩૯।।

એવાં શાસ્ત્ર ન સુણવા કાને રે, હોય નાસ્તક તે એને માને રે ।।

ઘૃત દૂધ પાણી ગળી પીવું રે, ઝીણાં જંતુ જળે ન ન્હાવું રે ।।૪૦।।

મદ્ય માંસ જે ઔષધે ભળે રે, તે ન ખાવું પીવું કોઈ પળે રે ।।

આપે ઔષધ વૈદ અજાણ્યો રે, તે ન લેવું સમજીને સુજાણો રે ।।૪૧।।

મળ મૂત્ર ત્યાગ કર્યા સારુ રે, કયુર્ં લોકશાસ્ત્રે જયાં વારુ રે ।।

તે તો જીર્ણ દેવાલય જાણો રે, નદી તળાવ તટ પ્રમાણો રે ।।૪૨।।

વાવ્યું ક્ષેત્ર વાટી વૃક્ષ છાંય રે, ફૂલબાગ બગીચાદિ માંય રે ।।

ત્યાં મળમૂત્ર ત્યાગ ન કરીએ રે, થૂંકવું નહિ મનમાં ડરીએ રે ।।૪૩।।

ચોર માર્ગે ન આવીએ જયે રે, જો સદા કુશળને ચાહિયે રે ।।

જે ધણિયાતી જાયગા હોય રે, પૂછ્યા વિના ન ઉતરો કોય રે ।।૪૪।।

જ્ઞાન વારતા નારીવદન રે, મારા જન ન સુણો કોઈ દન રે ।।

નારી નૃપ નૃપજન આદે રે, તેશું બોલવું નહિ વિવાદે રે ।।૪૫।।

ગુરુ વળી જે મોટા મનુષ્ય રે, લોકે માન્યા એવા જે પુરુષ રે ।।

શસ્ત્રધારી વળી વિદ્યાવાન રે, એનું કરવું નહિ અપમાન રે ।।૪૬।।

કરવું કાર્ય કરીને વિચાર રે, ધર્મ કાર્યમાં કરવી ન વાર રે ।।

ભણી વિદ્યા ભણાવવી વળી રે, કરવો સંત સમાગમ મળી રે ।।૪૭।।

દેવ ગુરુ નરેશની પાસ રે, ઠાલે હાથે જવું નહિ દાસ રે ।।

વિશ્વાસઘાત તજી તે દેવો રે, પોતે પોતાનો યશ ન કે’વો રે ।।૪૮।।

ઝીણું પાખું વસ્ત્ર જે કુઢંગ રે, તે ન પે’રવું દેખાય જેણે અંગ રે ।।

ધર્મ રહિત હરિની ભકિત રે, તે કે દી ન કરવી સુમતિ રે ।।૪૯।।

મૂર્ખ મનુષ્યની નિંદા સાંભળી રે, કૃષ્ણસેવા ન તજવી વળી રે ।।

સર્વે વચન એ સંભારી રાખો રે, માંહો માંહી પ્રેમભાવ ભાખો રે ।।૫૦।।

દોહા :-

ઉત્સવ અથવા નિત્ય પ્રતિ, આવે કૃષ્ણ મંદિર નરનાર ।।

પરસ્પર અડવું નહિ, મારા જનને નિરધાર ।।૫૧।।

મંદિરમાંથી નીસરી, રહેવું પોતે પોતાની રીત ।।

વળી કહું એક વારતા, સહુ સાંભળો દઈ ચિત્ત ।।૫૨।।

ધર્મવંશી ગુરુ થકી, શ્રીકૃષ્ણની દીક્ષા લહી ।।

દ્વિજ ક્ષત્રિય વૈશ્ય ત્રણેની, રીત દેખાડું હું કહી ।।૫૩।।

કંઠે તુલસી માળા બેવડી, લલાટ હૃદય બે હાથ ।।

ઊર્ધ્વપુંડ્ર તિલક કરીને, સદા રહેવું સનાથ ।।૫૪।।

ચોપાઈ :-

સુંદર તિલક ગોપીચંદને રે, કરવું અમારા આશ્રિત જને રે ।।

અથવા હોય હરિની પ્રસાદિ રે, કુંકુમ કેસર ચંદન આદિ રે ।।૫૫।।

સુંદર તિલક કરવું તેનું રે, મધ્યે બિંદુ પણ કરવું એનું રે ।।

કાં તો કરો ચાંદલો કુંકુમે રે, એમ કરો તિલક જન તમે રે ।।૫૬।।

તે કુંકુમ પ્રસાદી કરેલ રે, રાધાલક્ષ્મીજીનું ધરેલ રે ।।

વળી પોતાના ધર્મમાં રહ્યા રે, શૂદ્ર શ્રીકૃષ્ણના ભકત થયા રે ।।૫૭।।

એવા સતશૂદ્ર જે સઘળા રે, કંઠે રાખો તુલસીની માળા રે ।।

ઊર્ધ્વપુંડ્ર તિલક કરો એવું રે, પ્રથમ ત્રિવર્ણને કહ્યું તેવું રે ।।૫૮।।

તેથી ઊતરતા જાતે જન રે, રાખો માળા કાષ્ઠ જે ચંદન રે ।।

બાંધો બેવડી કંઠમાં સારી રે, હરિપ્રસાદીની સુખકારી રે ।।૫૯।।

કેવળ ચાંદલો કરવો લલાટ રે, તિલક કરવા મૂકવો ઘાટ રે ।।

દ્વિજ આદિ સુણો સહુ ચિત્તે રે, રાખવું ત્રિપુંડ્ર રુદ્રાક્ષ પ્રીતે રે ।।૬૦।।

નિજ કુળતણી રીત હોય રે, મારા આશ્રિત ન તજો કોય રે ।।

નારાયણ અને શિવજી એક રે, એમ સમજવો સૌને વિવેક રે ।।૬૧।।

હરિ હર બે બ્રહ્મસ્વરૂપ રે, તેનાં કહ્યાં છે વેદમાં રૂપ રે ।।

કહ્યો શાસ્ત્રમાંહી આપદ્ધર્મ રે, તેને સાંભળી સમજવો મર્મ રે ।।૬૨।।

થોડાં દુઃખમાંહી પણ એને રે, કહું મુખ્ય ન કરવો કેને રે ।।

અર્ક ઉદય પે’લા સહુ જાગી રે, હરિ સમરો સહુ સુભાગી રે ।।૬૩।।

હરિકૃષ્ણ કૃષ્ણ મુખે ગાવું રે, પછી દેહક્રિયા કરવા જાવું રે ।।

દાતણ કરવું બેસી એક સ્થળે રે, પછી નહાવું નિર્મળ જળે રે ।।૬૪।।

ધોયાં વસ્ત્ર સુંદર બે સાથે રે, એક પહેરો ઓઢો એક માથે રે ।।

શુદ્ધ આસન ને શુદ્ધ જાગ રે, બેસવું જોઈ મોકળે માગ રે ।।૬૫।।

પૂર્વ કે ઉત્તર મુખે રે, બેસી કરવું આચમન સુખે રે ।।

પુરુષમાત્ર તણી એહ રીત રે, કરો તિલક ચાંદલા સહીત રે ।।૬૬।।

સુવાસિની નારી સુણી લીજે રે, કુંકુમ ચાંદલો કપાળે કીજે રે ।।

ચાંદલો અથવા જે તિલક રે, વિધવાને ન કરવું એક રે ।।૬૭।।

કરો સત્સંગી માનસી સેવ રે, ચંદન પુષ્પે પૂજો કૃષ્ણદેવ રે ।।

પછી ચિત્રની મૂરતિ સારી રે, રાધાકૃષ્ણ તણી સુખકારી રે ।।૬૮।।

તેનું આદરે દર્શન કરી રે, કરવો નમસ્કાર ભાવ ભરી રે ।।

જપો આપણી શકિત પ્રમાણ રે, અષ્ટાક્ષર મંત્ર સુજાણ રે ।।૬૯।।

કૃષ્ણમંત્ર જપી નરનાર રે, પછી કરવો પોતાનો વ્યવહાર રે ।।

આત્મનિવેદી જે મારા જન રે, રાજા અંબરીષ જેવા પાવન રે ।।૭૦।।

પ્રથમ કહ્યું અનુક્રમે જેવું રે, કરો માનસીપૂજા લગી તેવું રે ।।

પછી કૃષ્ણની પ્રતિમા જેહ રે, હોય ધાતુ પાષાણની તેહ રે ।।૭૧।।

અથવા શાળગ્રામ સુખકારી રે, તેને પૂજવા પ્રેમ વધારી રે ।।

નિત્ય જોઇ દેશ કાળ જેવો રે, શકિત પ્રમાણે પૂજાપો લેવો રે ।।૭૨।।

ચંદન પુષ્પ ફળ જળ આદિ રે, પૂજો પ્રભુને તજી ઉપાધિ રે ।।

પછી કૃષ્ણમંત્ર અષ્ટાક્ષર રે, તેને જપવો આનંદભર રે ।।૭૩।।

પછી કૃષ્ણસ્તોત્ર પાઠ કરવા રે, કાં તો ગ્રંથ વાંચી વિચારવા રે ।।

જે ભણ્યા ન હોય ગીર્વાણ રે, તે જપો હરિનામ સુજાણ રે ।।૭૪।।

કરી હરિનું નૈવેદ્ય નિત્ય રે, લેવી પ્રસાદી તે જન પ્રીત્ય રે ।।

આત્મનિવેદીએ સદાકાળ રે, પ્રીતે સેવવા કૃષ્ણ દયાળ રે ।।૭૫।।

માયિક ગુણ રહિત શ્રીકૃષ્ણ રે, તેના સંબંધી એવા તમે જન રે ।।

આત્મનિવેદી ભકત જે તમે રે, ક્રિયાસહિત નિર્ગુણ જાણું અમે રે ।।૭૬।।

મળે જળ ફળાદિ જમ્યા જેવું રે, કૃષ્ણપ્રસાદી વિના ન લેવું રે ।।

આવે અંગે રોગ વૃદ્ધપણું રે, આપત્કાળતણું દુઃખ ઘણું રે ।।૭૭।।

તેમાં ન શકો મૂરતિ સેવી રે, ત્યારે બીજા તે ભકતને દેવી રે ।।

એમ સમજી સર્વે સુજાણ રે, વર્તો પોતાની પહોંચ પ્રમાણ રે ।।૭૮।।

કૃષ્ણમૂર્તિ આચાર્યે જે આપી રે, અથવા તેણે હસ્તે કરી સ્થાપી રે ।।

કરો એ બે સ્વરૂપની સેવા રે, બીજે નમસ્કાર કરી લેવા રે ।।૭૯।।

સંધ્યાકાળે સહુ જન મળી રે, જવું હરિમંદિરમાં વળી રે ।।

ઉચ્ચ સ્વરે કરો ત્યાં કીર્તન રે, હેતે હરિના નામનું ભજન રે ।।૮૦।।

કથા વાર્તા ત્યાં કૃષ્ણની નિત્ય રે, કહેવી સુણવી આદર સહિત રે ।।

તાલ મૃંદગે કૃષ્ણકીર્તન રે, ગાવાં જન ઉત્સવને દન રે ।।૮૧।।

મારા જન કહ્યું જે મેં આગે રે, એવી રીતે રાખો અનુરાગે રે ।।

ભાષા ગીર્વાણના ગ્રંથો દાસ રે, કરો બુદ્ધિ પ્રમાણે અભ્યાસ રે ।।૮૨।।

જે જનથી થાય કામ જેવું રે, તેને કામ બતાવવું તેવું રે ।।

તેપણ પ્રથમ વિચારી લેવું રે, પછી કામ કરવા સોંપી દેવું રે ।।૮૩।।

જે જે જનના જે હોય દાસ રે, તેની રખાવવી બરદાસ રે ।।

અન્ન વસ્ત્ર શકત પ્રમાણ રે, આપી સુખી રાખવા સુજાણ રે ।।૮૪।।

જેવા ગુણવાળો જન જેહ રે, તેવે વચને બોલાવવો તેહ રે ।।

દેશ કાળ અનુસારે એને રે, અયોગ્ય રીતે ન બોલાવવો તેને રે ।।૮૫।।

ગુરુ ભૂપ વૃદ્ધ ત્યાગી હોય રે, વિદ્યાવાન તપસ્વી એ છોય રે ।।

એને આવતાં આદર કીજે રે, ઊઠી મીઠું બોલી માન દીજે રે ।।૮૬।।

ગુરુદેવ સભા જયાં ભૂપતિ રે, ત્યાં બેસવું મર્યાદાએ અતિ રે ।।

પગ પર પગ ન ચઢાવવો રે, પગ પટે કરી ન બાંધવો રે ।।૮૭।।

નિજ આચાર્યને અનુસરવું રે, તેની સાથે વિવાદ ન કરવું રે ।।

સર્વ પોતાની શકત પ્રમાણ રે, પૂજવા અન્ન ધન વસ્ત્રે સુજાણ રે ।।૮૮।।

આચાર્યને આવતા સાંભળી રે, જવું સન્મુખ ઉતાવળું વળી રે ।।

ચાલે આપણા ગામથી જયારે રે, જવું વળાવવા ગામ બા’રે રે ।।૮૯।।

બહુ ફળવાળું હોય કર્મ રે, પણ ન હોય જો તેમાં ધર્મ રે ।।

એવું કર્મ તેને તજી દેવું રે, ધર્મ રાખતાં સુખને લેવું રે ।।૯૦।।

માટે ફળલોભે કરી જન રે, ધર્મ ત્યાગવો નહિ કોઈ દન રે ।।

પૂર્વે મોટા ઋષિ મુનિમાંઈ રે, થયો હોય અધર્મ જો કાંઈ રે ।।૯૧।।

તે અધર્મની ઓટ્ય ન લહીએ રે, તેણે ધર્મ કર્યો તે ગ્રહીએ રે ।।

છાની વાત જો કોઈની હોય રે, તેની છતી કરશો મા કોઈ રે ।।૯૨।।

જગમાંહી હોય જીવ જેવો રે, તેને તેવો સનમાન દેવો રે ।।

સર્વમાં સમદષ્ટ ન આરોપવી રે, મોટાની મર્યાદા ન લોપવી રે ।।૯૩।।

નિ’મ અધિક ચોમાસામાં ધારી રે, સમરો શ્રીકૃષ્ણ દેવ મોરારી રે ।।

શકિત ન હોય તો એક માસ રે, રાખો નિયમ શ્રાવણમાં દાસ રે ।।૯૪।।

નિયમ અધિક તે સુણી લઈએ રે, કૃષ્ણકથા સાંભળી કહીએ રે ।।

કીર્તન મહાપૂજા કરીએ રે, જપી મંત્ર ને સ્તોત્ર ઉચ્ચરીએ રે ।।૯૫।।

પ્રેમે કરી પ્રદક્ષિણા દીજે રે, તેમ સાષ્ટાંગ દંડવત કીજે રે ।।

એહ આઠ નિયમમાંથી એક રે, રાખો જન હૃદય ધારી ટેક રે ।।૯૬।।

સર્વ એકાદશી સુખકારી રે, કરવું વ્રત પ્રીતે નરનારી રે ।।

કૃષ્ણ જન્મદિન શિવરાતે રે, કરો ઉપવાસ ઉત્સવ ખાંતે રે ।।૯૭।।

કરી વ્રત સૂવું નહિ દિવસ રે, સૂવે તો વ્રત પામે તર્ત નાશ રે ।।

ભાંગે વ્રત કરે નારીસંગ રે, તેમ દિવસે સૂતે વ્રતભંગ રે ।।૯૮।।

વૈષ્ણવરાજ વલ્લભાચારજ રે, તેના સુત વિઠ્ઠલજી મહારાજ રે ।।

વ્રત ઉત્સવ કહ્યાં એણે જેમ રે, તમે કરજયો જન સહુ તેમ રે ।।૯૯।।

વ્રત ઉત્સવ કરવાં એવાં રે, એની રીતે કરો કૃષ્ણસેવા રે ।।

તીર્થ દ્વારિકા આદિ સુજાણ રે, કરવાં વિધિએ શકત પ્રમાણ રે ।।૧૦૦।।

પોતપોતા તણી શકત ભર રે, રાખો દયા દીનની ઉપર રે ।।

વળી વિષ્ણુ શિવ પાર્વતી રે, સૂર્યદેવ તથા ગણપતિ રે ।।૧૦૧।।

એહ પંચદેવ પ્રમાણ રે, પૂજો મારા આશ્રિત સુજાણ રે ।।

ઉપદ્રવ આવે કોઈ અંગે રે, ભૂત પ્રેત આદિ પ્રસંગે રે ।।૧૦૨।।

તેને ઇચ્છો જો ટાળવા આપ રે, કરો નારાયણકવચ જાપ રે ।।

કાં તો હનુમાન મંત્ર જપ જપીજે રે, ક્ષુદ્રદેવ મંત્ર ન પ્રતીજે રે ।।૧૦૩।।

થાય શશી સૂર્ય ગ્રહણ જયારે રે, ક્રિયા તજી દેવી સર્વ ત્યારે રે ।।

થઈ શુદ્ધ સહુ જન આપ રે, કરો શ્રીકૃષ્ણમંત્રનો જાપ રે ।।૧૦૪।।

મટે ગ્રહણ ત્યારે જઈ ન્હાવું રે, વસ્ત્રે સહિત નાહી શુદ્ધ થાવું રે ।।

ગૃહસ્થે દાન દેવું શકત જેવી રે, ત્યાગીએ સુખ લેવું કૃષ્ણ સેવી રે ।।૧૦૫।।

ચારે વર્ણના મનુષ્ય જે કા’વે રે, જન્મ મરણ સૂતક તેને આવે રે ।।

તે તો સંબંધી સહુનું પાળો રે, શાસ્ત્રમર્યાદા કોઈ મા ટાળો રે ।।૧૦૬।।

શમ દમ ક્ષમાદિ સુંદર રે, રહો સંતોષી સહુ વિપ્રવર રે ।।

ક્ષત્રિય વર્ણે રહેવું અતિ ધીર રે, કામ પડ્યે થવું શૂરવીર રે ।।૧૦૭।।

ગાયો ધન વેપાર ખેતી વ્યાજ રે, વર્તો વૈશ્ય કરી એવું કાજ રે ।।

વિપ્ર આદિ ત્રણ વર્ણ એવા રે, વર્તો શૂદ્ર કરી તેની સેવા રે ।।૧૦૮।।

ગર્ભાધાન આદિ સંસ્કાર રે, નિત્યકર્મ શ્રાદ્ધ નિરધાર રે ।।

પોતાના ગૃહ્યસૂત્ર પ્રમાણ રે, કરો દ્વિજ જન તે સુજાણ રે ।।૧૦૯।।

જેવો અવસર ને જેવું ધન રે, કરવું શકત પ્રમાણે એ જન રે ।।

જાણે અજાણે કરીને આપ રે, થાય નાનું મોટું કોઈ પાપ રે ।।૧૧૦।।

દોહા :-

તેનો દોષ નિવારીએ, પોતાની શકત પ્રમાણ ।।

ત્યાર પછીની વારતા, કહું સુણો સર્વ સુજાણ ।।૧૧૧।।

વ્યાસસૂત્ર વેદ વળી, શ્રીમદ્ભાગવત સુખરૂપ ।।

વિષ્ણુસહસ્રનામ ભારતે, શ્રી ભગવદ્ગીતા જે અનુપ ।।૧૧૨।।

વિદુરનીતિ ને સ્કંદપુરાણે, વૈષ્ણવખંડમાં સાર ।।

વાસુદેવમાહાત્મ્ય કહ્યું, અતિ સુંદર જ્ઞાન ઉદાર ।।૧૧૩।।

યાજ્ઞવલ્કય ઋષિ સ્મૃતિ, ધર્મશાસ્ત્રમાંહી જેહ ।।

સચ્છાસ્ત્ર આઠ એ કહ્યાં, અમારે ઇષ્ટ છે અતિ એહ ।।૧૧૪।।

ચોપાઈ :-

મારા શિષ્ય સુણો દઈ ચિત્ત રે, તમે ઇચ્છો તમારું જો હિત રે ।।

સત્શાસ્ત્ર આઠ એ અનુપ રે, સહુએ સાંભળવા સુખરૂપ રે ।।૧૧૫।।

મારા આશ્રિત વિપ્ર એને ભણી રે, કરો કથા તે શાસ્ત્રતણી રે ।।

એ આઠમાં કહ્યો જે સદાચાર રે, દોષનિવારણ ને વ્યવહાર રે ।।૧૧૬।।

એનો નિર્ણય કરવા હિત રે, મિતાક્ષરા ટીકાએ સહિત રે ।।

એવી યાજ્ઞવલ્કયની જે સ્મૃતિ રે, તેનું ગ્રહણ કરો મહામતિ રે ।।૧૧૭।।

વળી શ્રીમદ્ભાગવત મધ્ય રે, દશમ પંચમ જે બે સ્કંધ રે ।।

કૃષ્ણમાહાત્મ્ય જાણવા એને રે, સહુથી અધિક માનવા તેને રે ।।૧૧૮।।

દશમ પંચમ જે દુઃખહરણ રે, યાજ્ઞવલ્કયસ્મૃતિ એ ત્રણ રે ।।

એ છે શાસ્ત્ર ભકત યોગ ધર્મ રે, તેનો કરી સમજાવું મર્મ રે ।।૧૧૯।।

દશમસ્કંધ ભકતશાસ્ત્ર કહિયે રે, પંચમસ્કંધ યોગશાસ્ત્ર લહીએ રે ।।

યાજ્ઞવલ્કયની સ્મૃતિ છે જેહ રે, ધર્મશાસ્ત્ર એ જાણજો તેહ રે ।।૧૨૦।।

શારીરકસૂત્ર સુણો દાસ રે, જેનું કયુર્ં રામાનુજે ભાષ્ય રે ।।

વળી ભગવદ્ગીતા જે પુનિત રે, રામાનુજના ભાષ્ય સહિત રે ।।૧૨૧।।

એ બે શાસ્ત્ર જાણવાં સારાં રે, અધ્યાત્મશાસ્ત્ર છે એ અમારાં રે ।।

સતશાસ્ત્ર એ સર્વ અનુપ રે, તેમાં વચન જે છે સુખરૂપ રે ।।૧૨૨।।

કૃષ્ણસ્વરૂપ ને ધર્મ વળી રે, ભકત વૈરાગ્ય એ ચાર મળી રે ।।

એની મોટ્યપ કહી છે જેહ રે, સહુ કરતાં મુખ્ય માનો તેહ રે ।।૧૨૩।।

કૃષ્ણભકત કરો ધર્મે સહિત રે, એ છે શાસ્ત્રનું સાર પુનિત રે ।।

શ્રુતિ સ્મૃતિએ કહ્યો સદાચાર રે, તે તો ધર્મ જાણો નિરધાર રે ।।૧૨૪।।

માહાત્મ્યજ્ઞાન સહિત હેત અતિ રે, એનું નામ જાણવી ભકત રે ।।

કૃષ્ણ વિના બીજું જેને આગ્ય રે, એનું નામ જાણજો વૈરાગ્ય રે ।।૧૨૫।।

જીવ માયા ઈશ્વરનું રૂપ રે, શુદ્ધ જાણો એ જ્ઞાન અનુપ રે ।।

હૃદયે વસ્યો સૂક્ષ્મ અણુ જેવો રે, જ્ઞાતા ચૈતન્યરૂપ છે એવો રે ।।૧૨૬।।

જ્ઞાનશકતએ કરી નિજદેહ રે, નખશિખા વ્યાપ્યો છે તેહ રે ।।

અજર અમર ને ન ભેદાય રે, ઇત્યાદિ ગુણે જીવ કે’વાય રે ।।૧૨૭।।

ત્રિગુણાત્મક તમરૂપ જાણો રે, પ્રભુની શકત માયા પ્રમાણો રે ।।

જીવ દેહ ને દેહના સંબંધી રે, જેણે અહંમમતે રાખ્યા બંધી રે ।।૧૨૮।।

એહ જાણજો માયાનું રૂપ રે, હવે કહું ઈશ્વરનું સ્વરૂપ રે ।।

જેમ હૃદયમાં જીવ રહ્યા રે, તેમ જીવમાં ઈશ્વર રહ્યા રે ।।૧૨૯।।

અંતર્યામી સ્વતંત્ર આધાર રે, જીવના કર્મફળ દેનાર રે ।।

તેને ઈશ્વર શ્રીકૃષ્ણ પ્રમાણો રે, પરબ્રહ્મ પુરુષોત્તમ જાણો રે ।।૧૩૦।।

તે શ્રીકૃષ્ણ છે આપણા ઇષ્ટ રે, સદા ઉપાસના યોગ્ય અભીષ્ટ રે ।।

સુંદર મૂરતિ અતિ સારી રે, સર્વે અવતારના અવતારી રે ।।૧૩૧।।

જયારે રાધા સહિત એ રહે રે, ત્યારે રાધાકૃષ્ણ એને કહે રે ।।

રુકમણી સહિત સોહાવે રે, ત્યારે લક્ષ્મીનારાયણ કા’વે રે ।।૧૩૨।।

જયારે અર્જુન સહિત રહે શ્યામ રે, ત્યારે નરનારાયણ નામ રે ।।

જયારે રહે બળભદ્રાદિ સંગે રે, નામ કે’વાય તે તે પ્રસંગે રે ।।૧૩૩।।

કયારેક રાધા આદિક હરિજન રે, ડાબે પડખે હોય પાવન રે ।।

કયારેક રાધાદિ શ્રીકૃષ્ણ માંઈ રે, અતિ સ્નેહે રહે છે સમાઈ રે ।।૧૩૪।।

ત્યારે કૃષ્ણ કે’વાય છે એક રે, એમ સમજી લેવો વિવેક રે ।।

માટે કૃષ્ણના સ્વરૂપ માંય રે, ભેદ સમજવો નહિ સદાય રે ।।૧૩૫।।

ચાર ભુજ અષ્ટ ભુજ જેહ રે, સહસ્રાદિ ભુજ કા’વે તેહ રે ।।

તે તો દ્વિભુજમૂર્તિ જે શ્રીકૃષ્ણ રે, તેહની ઇચ્છાએ જાણજો જન રે ।।૧૩૬।।

એવા કૃષ્ણદેવ જે મુરારી રે, તેની ભકત સદા સુખકારી રે ।।

પૃથ્વીમાં રહ્યા જે મનુષ્ય રે, તે સર્વેએ કરવી અવશ્ય રે ।।૧૩૭।।

ભકતથી બીજું કલ્યાણકારી રે, નથી સાધન લેવું વિચારી રે ।।

વિદ્યાવાન ગુણીજન જેહ રે, તેના ગુણનું શુભ ફળ એહ રે ।।૧૩૮।।

કરવી કૃષ્ણની ભકત અભંગ રે, નિત્યે રાખવો સંતનો સંગ રે ।।

ન હોય સત્સંગ ન હોય ભકત રે, એવો પંડિત તોય અધોગતિ રે ।।૧૩૯।।

કૃષ્ણ ને કૃષ્ણઅવતાર રે, અથવા કૃષ્ણપ્રતિમા સાર રે ।।

ધ્યાન કરવા યોગ્ય છે એહ રે, ધરો ધ્યાન કરી તેમાં સ્નેહ રે ।।૧૪૦।।

તે વિના મનુષ્યાદિ દેવતા રે, કૃષ્ણભકત હોય બ્રહ્મવેત્તા રે ।।

તોય ન કરવું તેનું ધ્યાન રે, એમ સમજવું બુદ્ધિવાન રે ।।૧૪૧।।

સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહ રે, તેથી પર નિજ આત્મા જેહ રે ।।

તેમાં બ્રહ્મભાવ આણી અતિ રે, કરો અહર્નિશ કૃષ્ણ ભકત રે ।।૧૪૨।।

દશમસ્કંધ ભાગવત માંય રે, તેનું કરો શ્રવણ સદાય રે ।।

કાં તો વર્ષો વર્ષ વાર એક રે, સાંભળો સહુ સહિત વિવેક રે ।।૧૪૩।।

પંડિતે વાંચવો નિત્યે પ્યારે રે, નહિ તો વર્ષમાં એકવારે રે ।।

વાંચો સાંભળો પૂરણ પ્રીતે રે, મારા આશ્રિત આદર સહિતે રે ।।૧૪૪।।

દશમનો પાઠ શુભ સ્થળે રે, કરવો નિજ સામર્થી બળે રે ।।

વિષ્ણુસહસ્રનામ આદિ જપીજે રે, અથવા જપ કરાવી ફળ લીજે રે ।।૧૪૫।।

મનુષ્ય દેવથી આપત્તિ આવે રે, અથવા રોગાદિ પીડા કહાવે રે ।।

તેમાં પર પોતાનું રક્ષણ રે, શકત ભર કરો તતક્ષણ રે ।।૧૪૬।।

એમાં જતન થાય તે કીજે રે, પણ વર્તો નહિ રીત બીજે રે ।।

એક આચાર બીજો વ્યવહાર રે, ત્રીજો પાપ ટાળવા વિચાર રે ।।૧૪૭।।

તે તો દેશ કાળ વય દેખી રે, સામર્થી દ્રવ્ય જાતિને પેખી રે ।।

એટલાને જાણી અનુસરવું રે, જેને જેમ ઘટે તેમ કરવું રે ।।૧૪૮।।

મત અમારો વિશિષ્ટાદ્વૈત રે, ધામ ગોલોક પ્યારું પુનિત રે ।।

કૃષ્ણ સેવો બ્રહ્મરૂપ થઈ રે, મુકત એ જ માની બીજી નઈ રે ।।૧૪૯।।

પ્રથમ ધર્મ કહ્યા અમે જેહ રે, સહુ જનને સાધારણ તેહ રે ।।

મારા આશ્રિત ત્યાગી ને ગૃહસ્થ રે, બાઈ ભાઈ સત્સંગી સમસ્ત રે ।।૧૫૦।।

કહ્યા ધર્મ સહુના સામાન્ય રે, પાળો સરખા થઈ સાવધાન રે ।।

હવે વિશેષધર્મ છે જેહ રે, કહું જુદા જુદા કરી તેહ રે ।।૧૫૧।।

ધર્મવંશી આચાર્ય પુનિતા રે, તેની પત્નીઓ બન્ને પતિવ્રતા રે ।।

તેના ધર્મ કહું છું વિશેષ રે, અથ ઇતિ પર્યંત અશેષ રે ।।૧૫૨।।

મોટા નાના બે ભાઈ અમારા રે, તેના સુત સુંદર બેઉ સારા રે ।।

અવધપ્રસાદ ને રઘુવીર રે, તમે સાંભળો બેઉ સુધીર રે ।।૧૫૩।।

નિજ સંબંધ વિના બાઈયો તેને રે, મંત્ર ઉપદેશ ન દેવો કેને રે ।।

વળી ન અડવું કોઈ દન રે, તેશું બોલવું નહિ વદન રે ।।૧૫૪।।

કોઈ ઉપર ન રહેવું ક્રૂર રે, ન રાખવી થાપણ જરૂર રે ।।

કોઈના વ્યવહારમાં જમાન રે, ન થવું સાંભળો બુદ્ધિવાન રે ।।૧૫૫।।

પડે આપત્કાળ જો તમારે રે, ભિક્ષા માગી ખાવું તે વારે રે ।।

એમ આપત્કાળ ઊતરવું રે, પણ કોઈનું કરજ ન કરવું રે ।।૧૫૬।।

શિષ્યે આપ્યું ધર્મ અર્થ અન્ન રે, તેને વેચવું નહિ કોઈ દન રે ।।

થાય જીર્ણ તો દેઈ નવું લેવું રે, તે તો અન્ન વેચ્યું નવ કે’વું રે ।।૧૫૭।।

ભાદ્ર સુદિ તિથિ ચતુરથી રે, તે દી ગણપતિ પૂજો પ્રેમથી રે ।।

આસો વદિ ચૌદશ આવે રે, તે દી પૂજો હનુમાન ભાવે રે ।।૧૫૮।।

વળી સત્સંગી મારા આશ્રિત રે, તેના ધર્મ રખાવવા હિત રે ।।

તેના ગુરુપદે સ્થાપ્યા બેહુને રે, આપો કૃષ્ણની દીક્ષા તેહુને રે ।।૧૫૯।।

તે મારા આશ્રિત જે કે’વાય રે, રાખો આપ આપણા ધર્મમાંય રે ।।

માનો સંતને કરી શું ઉલ્લાસ રે, કરો સતશાસ્ત્રનો અભ્યાસ રે ।।૧૬૦।।

દોહા :-

મોટા મંદિર કરી મેં સ્થાપ્યા, લક્ષ્મીનારાયણ આદિ દેવ ।।

તેહ કૃષ્ણસ્વરૂપની, યથાવિધિયે કરજયો સેવ ।।૧૬૧।।

કૃષ્ણમંદિર માંહી આવે, ભૂખ્યો જો કોઈ જન ।।

આપી સનમાન આદરે, દેવું શકત પ્રમાણે અન્ન ।।૧૬૨।।

વિદ્યાર્થી સારુ વિદ્યાશાળા, કરી રાખો પંડિત દ્વિજ સાર ।।

સદ્વિદ્યા ભૂમિપર વિસ્તરે, એ છે પુણ્ય અતિ અપાર ।।૧૬૩।।

અવધપ્રસાદ રઘુવીરની, પત્નીઓ તે ગુણનિધાન ।।

નિજપતિની આજ્ઞા થકી, કહે કૃષ્ણમંત્ર ત્રિય કાન ।।૧૬૪।।

ચોપાઈ :-

એમ વર્તે એહ અહોનિશ રે, નરને ન કરવો ઉપદેશ રે ।।

સમીપ સંબંધી વિના નર સંગ રે, કે દી ન બોલો ન અડો અંગ રે ।।૧૬૫।।

નહિ દેખાડવું વદન રે, એવી રીતે રહો નિશદન રે ।।

અવધપ્રસાદ ને રઘુવીર રે, તેની પત્નીઓ પરમ સુધીર રે ।।૧૬૬।।

કહ્યા વિશેષ ધર્મ એમ રહેજયો રે, મારી આજ્ઞા માની એહ લેજયો રે ।।

ગૃહસ્થ નર અમારા આશ્રિત રે, સુણો વિશેષ ધર્મની રીત રે ।।૧૬૭।।

સમીપ સંબંધ વિના જે વિધવા રે, નથી આજ્ઞા તેને અડવા રે ।।

માતા સુતા ભગિની યુવાન રે, તેને સંગે ન રહેવું બુદ્ધિમાન રે ।।૧૬૮।।

આપત્કાળ વિના એકાંત રે, ન રે’વું નરને એ સંઘાત રે ।।

તેમ પોતાની નારીનું દાન રે, ન કરવું કોઈને નિદાન રે ।।૧૬૯।।

વળી જે નારીનો કોઈ રીત રે, હોય નૃપશું વ્યવહાર નિત્ય રે ।।

તે નારીનો પ્રસંગ ન કરિયે રે, સર્વ પ્રકારે મનમાંહી ડરિયે રે ।।૧૭૦।।

આવે અતિથિ કોઈ આંગણે રે, પૂજો અન્નાદિ કે શકત પ્રમાણે રે ।।

દેવકર્મ હોમાદિક જેહ રે, પિતૃકર્મ શ્રાદ્ધાદિક તેહ રે ।।૧૭૧।।

શકત પ્રમાણે વિધિ સહિતે રે, જેમ ઘટે તેમ કરો પ્રીતે રે ।।

વળી માત પિતા ગુરુ હોય રે, અથવા રોગાતુર જન કોય રે ।।૧૭૨।।

તેની સેવા સદાય સુજાણ રે, કરો પોતાની શકત પ્રમાણ રે ।।

નિજ વર્ણાશ્રમ ઘટિત સોઈ રે, કરો ઉદ્યમ આપશકત જોઈ રે ।।૧૭૩।।

ખેડુ ગાય ધણવાળા હોય રે, રખે બળદ સમારતા કોય રે ।।

સામર્થીને સમય જોઈ લેવું રે, નર પશુનું ખર્ચ હોય જેવું રે ।।૧૭૪।।

તે પ્રમાણે અન્ન ધન ચારો રે, મારા જન સંગ્રહ કરો સારો રે ।।

રાખો એટલાં પશુ આંગણે રે, પાળી શકો સુખે જળ તૃણે રે ।।૧૭૫।।

ગાય બળદ ઘોડા આદિ પ્રાણી રે, ઝાઝાં રાખી દુઃખી ન કરો જાણી રે ।।

પુત્ર મિત્રાદિ સાથે વ્યવહાર રે, ધરા ધનનો કરો જે વ્યાપાર રે ।।૧૭૬।।

સાક્ષી સહિત લખાવી તે લીજે રે, એમ સમજીને વ્યવહાર કીજે રે ।।

પોતાના અને પારકા વિવાહના રે, પરઠ્યા હોય જે દામ દેવાના રે ।।૧૭૭।।

કરો લેખ સાક્ષીએ સહીત રે, કેવળ વાતની નહિ પ્રતીત રે ।।

પોતાની ઉપજ પ્રમાણ રે, કરવું ખરચ સહુએ સુજાણ રે ।।૧૭૮।।

થોડી ઉપજે ખરચ બહુ રે, જે કરે તે દુઃખી થાય સહુ રે ।।

ઉત્પન્ન ને ખરચ થાય જેહ રે, શુદ્ધ અક્ષરે લખવું નિત્ય તેહ રે ।।૧૭૯।।

ધન ધાન્યાદિક જે કમાઈ રે, પોતાની વૃત્તિ ઉદ્યમ માંઈ રે ।।

તેમાંથી દશમો ભાગ કાઢવો રે, તે શ્રીકૃષ્ણને અર્પણ કરવો રે ।।૧૮૦।।

હોય દુર્બળ દાસ જો કોય રે, આપે ભાગ તે વિશમો સોય રે ।।

એકાદશી આદિ વ્રત જેહ રે, જેને શાસ્ત્રપ્રમાણ છે તેહ રે ।।૧૮૧।।

તેને ઊજવવા શકત પ્રમાણે રે, જેમ કહ્યું છે શાસ્ત્ર પુરાણે રે ।।

એને ઊજવ્યાનું ફળ અતિ રે, થાય મનવાંછિત પ્રાપતિ રે ।।૧૮૨।।

શ્રાવણ માસમાં શિવપૂજન રે, બીલીપત્રાદિકે કરો જન રે ।।

કરવું પોતે અતિ ઉલ્લાસે રે, નહિ તો કરાવવું કોઈ પાસે રે ।।૧૮૩।।

આચાર્ય ને શ્રીકૃષ્ણ મંદિરથી રે, ન લેવું કરજ કહું કથી રે ।।

આચાર્ય ને કૃષ્ણભુવન રે, ત્યાંથી વસ્ત્ર ઘરેણાં વાસન રે ।।૧૮૪।।

એ આદિ પોતાના કામ સારુ રે, ન માગવું એ વચન અમારું રે ।।

શ્રીકૃષ્ણ ગુરુ સાધુની પાસ રે, જયારે જાઓ દર્શને દાસ રે ।।૧૮૫।।

ત્યારે કોઈનું અન્ન ન ખાવું રે, એહ રીતે દર્શને જાવું રે ।।

હરિ ગુરુ સંતને સદન રે, ત્યાં ન લેવું જે પારકું અન્ન રે ।।૧૮૬।।

હરે પુણ્યને પારકું અન્ન રે, માટે ગાંઠનું ખાવું ત્યાં જન રે ।।

મજૂરની મજૂરી નિદાન રે, દેવા કહ્યું હોય ધન ધાન્ય રે ।।૧૮૭।।

કહ્યા પ્રમાણે આપવું પૂરું રે, આપિયે નહિ કેને અધૂરું રે ।।

આપ્યું કરજ ને વંશ આપણો રે, તેમ ત્રીજું કન્યાદાન ગણો રે ।।૧૮૮।।

તેને પંચમાં કરવું પ્રસિદ્ધ રે, છાનું રાખવું નહિ કોઈ વિધ રે ।।

દુષ્ટસંગે વ્યવહાર નવ કીજે રે, મારા દાસ સહુ સુણી લીજે રે ।।૧૮૯।।

હોય પોતાને રહેવાનું સ્થળ રે, ત્યાં આવે કઠણ કોઈ પળ રે ।।

શત્રુ રાજાથી ઉપદ્રવ થાય રે, લાજ ધન કાં તો પ્રાણ જાય રે ।।૧૯૦।।

એવા ગામ ગરાસને ત્યાગી રે, બીજા દેશમાં રહેવું સુભાગી રે ।।

તજી તર્ત જવું બીજે દેશ રે, સુખે હરિ ભજવા હમેશ રે ।।૧૯૧।।

ધનવાન સુણો દઈ ચિત્ત રે, ધર્માર્થ ધન વાવર્યાની રીત રે ।।

હિંસા રહિત વિષ્ણુસંબંધી રે, કરો યજ્ઞ યાગ રૂડી વિધિ રે ।।૧૯૨।।

વળી તીર્થ કે દ્વાદશી આદિ રે, હોય પર્વણી દિન ઇત્યાદિ રે ।।

તેમાં જમાડો બ્રાહ્મણ સંત રે, એમ પુણ્ય કરો બુદ્ધિવંત રે ।।૧૯૩।।

વળી ધનવાન જન સર્વ રે, કરો કૃષ્ણમંદિરે ઉત્સવ રે ।।

કાં તો સુપાત્ર બ્રાહ્મણ જોઈ રે, આપો બહુવિધિ દાન સોઈ રે ।।૧૯૪।।

મારાં આશ્રિત રાજા સુજાણ રે, વર્તો ધર્મશાસ્ત્ર પ્રમાણ રે ।।

નિજપુત્રસમ પ્રજા પાળો રે, સ્થાપો ધર્મ ધરામાં પાપ ટાળો રે ।।૧૯૫।।

વળી રાજા ને અંગ રાજયનાં રે, સાત છે સમજવા કાજનાં રે ।।

ચાર ઉપાય છ ગુણ જેહ રે, જાણવા યથાર્થપણે તેહ રે ।।૧૯૬।।

ચાર મૂકયાનાં જે કોઈ સ્થાન રે, તેને જાણવાં જોઈ નિદાન રે ।।

વળી વ્યવહારના જાણનાર રે, જોઈએ સભાસદ નિરધાર રે ।।૧૯૭।।

જોવું મનુષ્ય દંડવા જેવું રે, જાણો મનુષ્ય ન દંડાય એવું રે ।।

એહ સર્વ લક્ષણે જાણવું રે, યથાર્થપણે પ્રમાણવું રે ।।૧૯૮।।

એ છે સર્વ રાજાઓની રીત રે, રાખો રાજા જે મારા આશ્રિત રે ।।

રહો સુવાસિની નારી સૌ પ્રીતે રે, નિજ વિશેષધર્મની રીતે રે ।।૧૯૯।।

જાણી પતિ ઈશ્વર સમાન રે, તેનું કરવું નહિ અપમાન રે ।।

અંધ રોગી દરિદ્ર હોય અતિ રે, હોય નપુંસક નિજપતિ રે ।।૨૦૦।।

તેને ઈશ્વર જાણી સેવવું રે, કે દી કઠણ વચન ન કે’વું રે ।।

બીજો પુરુષ રૂપાળો યુવાન રે, સારા ગુણવાળો ને સુજાણ રે ।।૨૦૧।।

તેનો પ્રસંગ સહજ સ્વભાવે રે, ન કરે પતિવ્રતા જે કા’વે રે ।।

પરપુરુષને ન દેખાડો રે, ઉર નાભિ સાથળ સંતાડો રે ।।૨૦૨।।

ઓઢ્યા વિના ઉઘાડું ન રહેવું રે, ભાંડ ભવાઈ નહિ જોવા જવું રે ।।

નિર્લજજ નારીનો સંગ ન કરીએ રે, નીચ નારીના સંગથી ડરીએ રે ।।૨૦૩।।

સ્વૈરિણી કામિની ને પુંશ્ચલી રે, તેનો સંગ ન કરવો વળી રે ।।

નિજપતિ જાય પરદેશ રે, વસ્ત્ર ઘરેણાં ન ધરવો વેશ રે ।।૨૦૪।।

પરઘેર જઈ ન બેસવું રે, વિનોદ વિલાસે ન હસવું રે ।।

સુણો વિશેષધર્મ વિધવા રે, પતિભાવે કૃષ્ણને સેવવા રે ।।૨૦૫।।

પિતા પુત્રાદિ સગાં સુમતિ રે, એની આજ્ઞામાં રહેવું અતિ રે ।।

કે દી ન રહેવું પોતાને વશ્ય રે, એમ વર્તવું અહોનિશ રે ।।૨૦૬।।

વળી સંબંધી વિના જે પુરુષ રે, તેનો ન કરવો કે દી સ્પર્શ રે ।।

હોય પોતે અંગે યુવાવતી રે, વળી યુવાન પુરુષ સંગતી રે ।।૨૦૭।।

અવશ્ય કાર્ય વિના તેહશું રે, ન બોલવું બીજા નર નેહશું રે ।।

ખોળે ધાવતો બાળક નાનો રે, તેને અડ્યાનો દોષ ન માનો રે ।।૨૦૮।।

જેવો પશુનો સ્પર્શ પ્રમાણો રે, તેવો નાના બાળકનો જાણો રે ।।

અવશ્ય કાર્યમાં વૃદ્ધ નર સાથ રે, નથી દોષ બોલ્યે અડે હાથ રે ।।૨૦૯।।

નિકટ સંબંધી વિના નર પાસ રે, ન કરવો વિદ્યાનો અભ્યાસ રે ।।

વ્રત ઉપવાસ કરી નિજ તન રે, કરવું વારમવાર દમન રે ।।૨૧૦।।

દોહા :-

ધન જો તનનિર્વાહથી, હોય અધિક પોતાની પાસ ।।

શકત પ્રમાણે વાવરો, ધર્મમાં કરી ઉલ્લાસ ।।૨૧૧।।

એહ વચન માની વિધવા, વળી આહાર કરવો એકવાર ।।

સદાય સૂવું ભૂમિયે, કરી મનમાંહી વિચાર ।।૨૧૨।।

મૈથુન યુકત શશ મૃગાદિ, જોવા નહિ પ્રાણીજન ।।

સંન્યાસિની વૈરાગિની સુવાસિની, તેનો વેષ ન ધરવો તન ।।૨૧૩।।

જેવો ન હોય નિજ કુળમાં, વળી દેશમાં પણ વેશ ।।

તેવો ન ધરવો વેશ વિધવા, માની મારો ઉપદેશ ।।૨૧૪।।

ચોપાઈ :-

ગર્ભઘાતકી પાતકી નારી રે, તેનો સ્પર્શ ન કરવો વિચારી રે ।।

નર રસ શૃંગારની વાણી રે, ન કહેવી ન સુણવી સયાણી રે ।।૨૧૫।।

હોય વિધવા યુવાન તન રે, હોય નર નિજ સંબંધી જોબન રે ।।

આપત્તિ વિના એકાંત સ્થળ રે, ન રહેવું વિધવાએ કોઈ પળ રે ।।૨૧૬।।

આપત્કાળમાં દોષ ન જાણો રે, એમ વિધવા સહુ પ્રમાણો રે ।।

હોળી ખેલ ખૂબી નહિ કરો રે, અંગે આભૂષણ નહિ ધરો રે ।।૨૧૭।।

ઝીણાં જરિયાની જે વસન રે, વિધવાએ ન પહેરવાં તન રે ।।

સધવા વિધવા સુણી લેવું રે, વસ્ત્ર પહેર્યા વિના ન ન્હાવું રે ।।૨૧૮।।

ન સંતાડો નિજ રજ કોઈ રે, ધરે ગર્ભશંકા જન જોઈ રે ।।

સધવા વિધવા રજસ્વળા રે, સુણો રીત સર્વે અબળા રે ।।૨૧૯।।

ન કરો મનુષ્ય ને વસ્ત્રનો સ્પર્શ રે, રહો અણઅડે ત્રણ દિવસ રે ।।

ચોથે દિવસ નાહી શુદ્ધ થઈ રે, વર્તો સહુ સહુની રીત માંઈ રે ।।૨૨૦।।

નારી નર આશ્રિત અમારા રે, કહ્યા વિશેષધર્મ તમારા રે ।।

કહું આચાર્ય ને તેની પત્ની રે, એમ જાણજો રીત આપની રે ।।૨૨૧।।

કાં જે ગૃહસ્થ છો માટે તમે રે, રહેજયો એમ જેમ કહ્યું અમે રે ।।

હવે મારા આશ્રિત બ્રહ્મચારી રે, ધર્મ વિશેષ રીત તમારી રે ।।૨૨૨।।

તજો નારીને અષ્ટ પ્રકારે રે, ન અડો ન બોલો એશું કયારે રે ।।

જાણી નારી ન જોવી ન કળવી રે, એની વાત ન કહેવી સાંભળવી રે ।।૨૨૩।।

જે સ્થળે નારીનો પગફેર રે, વર્ણી ન જાવું ત્યાં કોઈ વેર રે ।।

દેવ પ્રતિમા વિના પૂતળી રે, ચિત્ર કાષ્ઠ પાષાણાદિની વળી રે ।।૨૨૪।।

સ્પર્શ દર્શને તેને પરહરવી રે, નારી પ્રતિમા વર્ણીએ ન કરવી રે ।।

નારી પહેરેલ વસ્ત્ર ન છોવું રે, મૈથુનયુકત પ્રાણીને ન જોવું રે ।।૨૨૫।।

નારી વેષધારી નર હોય રે, તેને ન જુવો ન અડો કોય રે ।।

નારીને સંભળાવવા જાણી રે, કથા કીર્તન ન કહેવી વાણી રે ।।૨૨૬।।

થાય બ્રહ્મચર્ય વ્રતનો પાત રે, એવી ગુરુની પણ ન માનો વાત રે ।।

રહેવું વર્ણીએ ધીરજવાન રે, રાખો સંતોષ ને નિરમાન રે ।।૨૨૭।।

નારી આવે સમીપ કોઈ જોર રે, કરી તિરસ્કાર કરવી દૂર રે ।।

કોઈ એવો આપત્કાળ આવે રે, ત્રિયના વા પોતાના પ્રાણ જાવે રે ।।૨૨૮।।

ત્યારે અડે બોલે જો ઊગરો રે, થાય જીવની રક્ષા એમ કરો રે ।।

વળી તેલ મર્દન ન કરવું રે, વર્ણીને આયુધ ન ધરવું રે ।।૨૨૯।।

ન ધરવો ભયંકર વેશ રે, જિહ્વા ઇન્દ્રય જીતવી હંમેશ રે ।।

જો દ્વિજ ઘરે પીરસે નારી રે, ત્યાં ન જમવું જઈ બ્રહ્મચારી રે ।।૨૩૦।।

જયાં પુરુષ હોય પીરસનાર રે, ત્યાં ભિક્ષા લેવી બ્રહ્મચાર રે ।।

વેદ શાસ્ત્ર ભણવાં અભ્યાસે રે, ગુરુસેવા કરવી ઉલ્લાસે રે ।।૨૩૧।।

વળી નારી ને નારીના યાર રે, તેશું રાખવો નહિ વ્યવહાર રે ।।

ચર્મવારિ વિપ્રને ન પીવું રે, લસણ ડુંગળી તે તજી દેવું રે ।।૨૩૨।।

સંધ્યા સ્નાન ગાયત્રી જપિયે રે, પ્રીતિ સહિત વિષ્ણુને પૂજિયે રે ।।

વૈશ્વદેવ કર્યા વિના જન રે, વિપ્ર વર્ણીને ન લેવું અન્ન રે ।।૨૩૩।।

એવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારી રે, રહો વિશેષધર્મને ધારી રે ।।

હવે સાધુના જે વિશેષધર્મ રે, એનો કહી સમજાવું મર્મ રે ।।૨૩૪।।

મારા આશ્રિત સંત સુજાણ રે, રહો નૈષ્ઠિકવર્ણી પ્રમાણ રે ।।

નારી નારીના સંગીને તજી રે, અંતઃશત્રુ જીતો હરિ ભજી રે ।।૨૩૫।।

સર્વ ઇન્દ્રયનું કારણ એક રે, જિહ્વા જીતવી કરી વિવેક રે ।।

ધન ન રાખો ને ન રખાવો રે, એમ રહો તો અમને ભાવો રે ।।૨૩૬।।

ન રાખવી કોઈની થાપણ રે, ન મેલવી ધીરજતા પણ રે ।।

જે જગા રહેતા હો તમે જન રે, નારી નાવે ત્યાં કોઈ દન રે ।।૨૩૭।।

સંગ વિના ન ચાલવું રાત રે, આપત્કાળ તણી નહિ વાત રે ।।

એકાએક ન ચાલવું સંત રે, આપત્ પડ્યા વિના બુદ્ધિવંત રે ।।૨૩૮।।

વસ્ત્ર બહુમૂલાં વિચિત્ર ભાત રે, કસુંબી દુશાલ બહુ જાત રે ।।

આવે અણઇચ્છ્યાં તોય ન લેવું રે, લેવું તો તર્ત વિપ્રને દેવું રે ।।૨૩૯।।

ભિક્ષા કે સભા વિના સંત રે, કેને ઘેર ન જવું બુદ્ધિવંત રે ।।

હરિની ભકત નવધા અવલ રે, તે કર્યા વિના ન ખોઈયે પલ રે ।।૨૪૦।।

રાંધેલ અન્ન પીરસે નર રે, નારી માત્ર ન આવે નજર રે ।।

એવું ગૃહસ્થતણું ઘર હોય રે, ત્યાં જવું સંત સહુ કોય રે ।।૨૪૧।।

નહિ તો માગી લેવું કાચું અન્ન રે, કરો પાક હાથે મારા જન રે ।।

કરી હરિને નૈવેદ્ય જમો રે, હરિભકિતમાં દિન નિગમો રે ।।૨૪૨।।

મોરે ઋષભસુત જે ભરત રે, ભૂમે જડવિપ્ર જે સુવ્રત રે ।।

જેવી રીત્યે એ વરત્યા વળી રે, તેમ વર્તો સંત મારા મળી રે ।।૨૪૩।।

મારા આશ્રિત વર્ણી જે સંત રે, ત્યાગો વ્યસનાદિક અત્યંત રે ।।

ભાંગ્ય તાંબુલ તમાલ જેહ રે, ત્યાગો અફીણ આદિક તેહ રે ।।૨૪૪।।

સુણો બ્રહ્મચારી સંત જન રે, કયારે ન ખાવું દૂષિત અન્ન રે ।।

ગર્ભાધાન આદિક સંસ્કાર રે, તેનું અન્ન ન જમો નિર્ધાર રે ।।૨૪૫।।

એકાદશ દ્વાદશનું અન્ન રે, પ્રેતશ્રાદ્ધ કહે સહુ જન રે ।।

તે ન ખાવું વર્ણી સંત કોયે રે, આપત વિના દિવસે ન સૂયે રે ।।૨૪૬।।

ગ્રામ્યવાર્તા કે દી ન કરીએ રે, કોઈ કરે તો કાને ન ધરીએ રે ।।

ત્યાગીએ વણરોગે ન સૂવું માંચે રે, સાધુ આગળ વર્તો મન સાચે રે ।।૨૪૭।।

વળી મારે કોય ગાળ ભાંખે રે, કોય કુમતિ અપવાદ નાંખે રે ।।

તે તો ત્યાગીએ સર્વે સહીજે રે, તેનું સારું થાય તેમ કીજે રે ।।૨૪૮।।

દૂતકર્મ કેનું ન કરિયે રે, હેરુ ચાડીયાપણું પરહરિયે રે ।।

નિજદેહમાં અહંતા ન ધારો રે, કુટુંબ નિમિત્ત મમત વિસારો રે ।।૨૪૯।।

એમ સંક્ષેપે સર્વના ધર્મ રે, કહ્યા ત્યાગી ગૃહસ્થના પર્મ રે ।।

ઇચ્છો ધર્મ સુણવા વિસ્તારે રે, તો છે સંપ્રદાય ગ્રંથે અમારે રે ।।૨૫૦।।

સત્શાસ્ત્ર સહુનું આ છે સાર રે, બુદ્ધિમાંહી મેં કરી વિચાર રે ।।

પછી શિક્ષાપત્રી લખી સારી રે, મનવાંછિત ફળ દેનારી રે ।।૨૫૧।।

રહો એ રીતે સહુ મારા જન રે, મનગમતું ન કરો કોઈ દન રે ।।

એમ રહો પુરુષ ને વામ રે, પામો ધર્મ અર્થ મોક્ષ કામ રે ।।૨૫૨।।

ચારે પુરુષાર્થની થાય સિદ્ધિ રે, ત્યાગી ગૃહસ્થ રહો એહ વિધિ રે ।।

એમ ન રહે જે નરનાર રે, તે તો અમારા સંપ્રદાય બા’ર રે ।।૨૫૩।।

એમ સમજી મારા આશ્રિત રે, કરો શિક્ષાપત્રી પાઠ નિત્ય રે ।।

ભણ્યા ન હો તો ભાવે સુણજો રે, વાંચનાર ન હોય તો પૂજજો રે ।।૨૫૪।।

મારી વાણી તે મારું સ્વરૂપ રે, માનો આદરે સહુ અનુપ રે ।।

દૈવી સંપત્તિવાળા જે નર રે, તેને દેજો આ પત્રી સુંદર રે ।।૨૫૫।।

આસુરી સંપત્તિવાળા જે જન રે, તેને દેવી નહીં કોઈ દન રે ।।

સંવત અઢાર વર્ષ બ્યાસી રે, મહા સુદિ પંચમી સુખરાશી રે ।।૨૫૬।।

તે દી પત્રી લખી પ્રમાણ રે, જેથી થાય સહુનું કલ્યાણ રે ।।

આશ્રિતની પીડા ટાળનાર રે, ધર્મ સહિત ભકત પાળનાર રે ।।૨૫૭।।

નિજભકતવાંછિત સુખદેણ રે, એવા શ્રીકૃષ્ણ કમળનેણ રે ।।

કરો સર્વે અમારાં તે કાજ રે, મંગળમૂરતિ શ્રીમહારાજ રે ।।૨૫૮।।

સહજાનંદ ગુરુએ એ વિધિ રે, શિક્ષાપત્રી અનુપમ કીધી રે ।।

પત્રી ગીર્વાણ એ કહેવાતી રે, તે પર ભાષા કરી ગુજરાતી રે ।।૨૫૯।।

પત્રી ચોપાઈ બસેં ને સાઠ રે, કહે રહે સુણે કરે પાઠ રે ।।

તેહ પામે અખંડ આનંદ રે, ઘણું શું કહે નિષ્કુળાનંદ રે ।।૨૬૦।।

ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતા શિક્ષાપત્રીભાષા સંપૂર્ણા