(રાગ :- ધોળ) ‘મારી સાર લેજયો અવિનાશી રે’- એ ઢાળ.

સુણી સજજ થયો વૈરાગ, જેને તન મન ધનનો છે ત્યાગ ।।

આવ્યો સંતોષ મહા શૂરવીર, જેથી ધરે મુનિવર ધીર ।। ૧ ।।

આવ્યો શીલ મહા જો સુભટ, જેથી પળાય કામના કોટ ।।

સજજ થઈ ક્ષમા અડીખંભ, જેથી ક્રોધ ન કરે આરંભ ।। ૨ ।।

દયા દીસે છે દલની દયાળ, સર્વે જીવતણી પ્રતિપાળ ।।

ભકત અદીનતા ધરી ધીર, માંહી જ્ઞાન વિજ્ઞાન ગંભીર ।। ૩ ।।

સમદષ્ટ સદા સુખકારી, એક આત્મા રહે ભાવ ધારી ।।

શુભ ગુણ વિવેક વિચાર, એવાં કે’તાં તે ના’વે પાર ।। ૪ ।।

એક એક થકી છે અનુપ, સર્વે સંતને છે સુખરૂપ ।।

સર્વે મળીને શોભે છે જાન, માંહી વર દીસે કોડીલો કાન ।। ૫ ।।

પછી આવ્યા છે પુરને પાસ, દેખી દુર્મતિ પામ્યા છે ત્રાસ ।।

એક કહે છે બુઢાને બાર, વર આવ્યા છે પુર મોઝાર ।। ૬ ।।

ત્યારે કુબુદ્ધિ કરે છે વિચાર, નાસી નીસરો પુરની બાર ।।

હરિએ આવી કર્યો છે મુકામ, સર્વે ટાળ્યા અવિદ્યાના ઠામ ।। ૭ ।।

હાર્યો અહંકાર થઈ છે હાર, ત્યારે વરે સજયો શણગાર ।।

વર સુંદરવર વનમાળી, કહે નિષ્કુળાનંદ નિહાળી ।। ૮ ।।