(રાગ :- ધોળ) ‘મારી સાર લેજયો અવિનાશી રે’- એ ઢાળ.
સુણી સજજ થયો વૈરાગ, જેને તન મન ધનનો છે ત્યાગ ।।
આવ્યો સંતોષ મહા શૂરવીર, જેથી ધરે મુનિવર ધીર ।। ૧ ।।
આવ્યો શીલ મહા જો સુભટ, જેથી પળાય કામના કોટ ।।
સજજ થઈ ક્ષમા અડીખંભ, જેથી ક્રોધ ન કરે આરંભ ।। ૨ ।।
દયા દીસે છે દલની દયાળ, સર્વે જીવતણી પ્રતિપાળ ।।
ભકત અદીનતા ધરી ધીર, માંહી જ્ઞાન વિજ્ઞાન ગંભીર ।। ૩ ।।
સમદષ્ટ સદા સુખકારી, એક આત્મા રહે ભાવ ધારી ।।
શુભ ગુણ વિવેક વિચાર, એવાં કે’તાં તે ના’વે પાર ।। ૪ ।।
એક એક થકી છે અનુપ, સર્વે સંતને છે સુખરૂપ ।।
સર્વે મળીને શોભે છે જાન, માંહી વર દીસે કોડીલો કાન ।। ૫ ।।
પછી આવ્યા છે પુરને પાસ, દેખી દુર્મતિ પામ્યા છે ત્રાસ ।।
એક કહે છે બુઢાને બાર, વર આવ્યા છે પુર મોઝાર ।। ૬ ।।
ત્યારે કુબુદ્ધિ કરે છે વિચાર, નાસી નીસરો પુરની બાર ।।
હરિએ આવી કર્યો છે મુકામ, સર્વે ટાળ્યા અવિદ્યાના ઠામ ।। ૭ ।।
હાર્યો અહંકાર થઈ છે હાર, ત્યારે વરે સજયો શણગાર ।।
વર સુંદરવર વનમાળી, કહે નિષ્કુળાનંદ નિહાળી ।। ૮ ।।