(રાગ :- ધોળ) ‘લાગી રે લાગી લગની રૂપાળા આ લાલની રે’- એ ઢાળ.

અહો ધન્ય ધન્ય ભાગ્ય આ ભૂમિના રે,

અહો ધન્ય ધન્ય વૃક્ષ વેલી વન રે; અલોકી રીત આજની રે.

અહો ધન્ય ધન્ય સર સરિતા સિંધુ રે,

સ્પરશી હરિપદ થયાં છે પાવન રે.. અલોકી ।। ૧ ।।

અહો ધન્ય ધન્ય ખગ મૃગ જાતને રે,

જેનો આરે સમામાં અવતાર રે.. અલોકી ।। ૨ ।।

અહો ધન્ય ધન્ય અશ્વ તે એહને રે,

જેને ઉપર છે હરિ અસવાર રે.. અલોકી ।। ૩ ।।

અહો ધન્ય ધન્ય સતસંગી સંતને રે,

જે કોઈ સદાય રહે છે હરિ સાથ રે.. અલોકી ।। ૪ ।।

જેને અરસ પરસ રહે એકતા રે,

હરિ હેતે જમે છે જેને હાથ રે.. અલોકી ।। ૫ ।।

અહો ધન્ય ધન્ય સુર નર નાગને રે,

જે કોઈ વસિયા આ બ્રહ્માંડે વાસ રે.. અલોકી ।। ૬ ।।

તે તો અંતરે ઇચ્છે છે તન ધારવા રે,

થાવા ચરણકમળના દાસ રે.. અલોકી ।। ૭ ।।

તે તો કોણ જાણે જે કેમે હશે રે,

તેનો મર્મ જાણે છે મહારાજ રે.. અલોકી ।। ૮ ।।

શમ દમ આદિ જે આગે કહ્યા રે,

તે તો તન ધરી રહ્યા આજ રે.. અલોકી ।। ૯ ।।

સર્વે સમાજ સહિત પધારિયા રે,

સંતજનને તે આપવા સુખ રે.. અલોકી ।।૧૦।।

અહો ધન્ય ધન્ય સર્વે એ જનને રે,

મોટાં ભાગ્ય ન જાય કહ્યાં મુખ રે.. અલોકી ।।૧૧।।

કહ્યું નથી જાતું રે સુખ મુખથી રે,

જેવું આપ્યું છે અલબેલે આજ રે.. અલોકી ।।૧૨।।

મારા અંતરમાં બેસીને બોલિયા રે,

હતું કે’વાનું જેટલું કાજ રે.. અલોકી ।।૧૩।।

વિવા’ વરણવ્યો પદ છંદ વિશમાં રે,

કહ્યું સંક્ષેપે સર્વેનું રૂપ રે.. અલોકી ।।૧૪।।

વર નર તો એક નારાયણ છે રે,

બીજા સર્વે છે સખીને સ્વરૂપ રે.. અલોકી ।।૧૫।।

એવું નિશ્ચે જાણી રે જન સર્વેને રે,

રે’વું સખી સ્વરૂપે સર્વે અંગ રે.. અલોકી ।।૧૬।।

વર નિષ્કુળાનંદનો નાથ છે રે,

રાખો હેત પ્રીત સ્વામીને સંગ રે.. અલોકી ।।૧૭।।

ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતઃ વૃત્તિવિવાહઃ સંપૂર્ણઃ ।