(રાગ :- ધોળ) ‘કંકુ છાંટી કંકોતરી મોકલી,’- એ ઢાળ..
મારા બોલ્યા સામું જોઈ શ્યામ રે, રોષ રખે ધરતા તે રામ રે;
કોઈ નવ સરે જો કામ કે, આવીને આ ભવમાં રે; ।। ૧ ।।
મોટા મન ધરજયો ધીર રે, ગુણવંત ગુણના ગંભીર રે;
ઊનું ટાઢું થાય થોડું નીર કે, તવાઈને તવ્યમાં રે. ।। ૨ ।।
અમારા છે અવગુણિયા અનેક રે, હરિ હૈયે આણશો મા એક રે;
અધમ ઉદ્ધારણ જે ટેક કે, પાળજયો તે પ્રીતશું રે; ।। ૩ ।।
વડાને નવ લાગે વિકાર રે, જેની મતિ અપરમપાર રે;
નવ થાય કેણે નિરધાર કે, આદેશ અજિતશું રે. ।। ૪ ।।
વજ્રને જેમ વીંધ્યું નવ જાય રે, વેંધતલ સામું વીંધાય રે;
અનેક જો કરીએ ઉપાય કે, નિશ્ચે નિષ્ફળ છે રે; ।। ૫ ।।
શશી જેમ શીતળ આપ રે, તેને તન લાગે નહિ તાપ રે;
સ્પરશે નહિ પુણ્ય ને પાપ કે, નાથ નિરમળ છે રે. ।। ૬ ।।
દીસો છો કાંઈ દિલના દયાળ રે, દીનબંધુ દીનપ્રતિપાળ રે;
નટવર નંદ ગોવાળ કે, નીરખી નયણાં ઠર્યા રે; ।। ૭ ।।
નિષ્કુળાનંદના સ્વામી રે, અલબેલા અંતરજામી રે;
તમને નીરખી સુખ પામી કે, સર્વે કારજ સર્યા રે. ।। ૮ ।।