(રાગ :- ધોળ) ‘કંકુ છાંટી કંકોતરી મોકલી,’- એ ઢાળ..

મારા બોલ્યા સામું જોઈ શ્યામ રે, રોષ રખે ધરતા તે રામ રે;

કોઈ નવ સરે જો કામ કે, આવીને આ ભવમાં રે; ।। ૧ ।।

મોટા મન ધરજયો ધીર રે, ગુણવંત ગુણના ગંભીર રે;

ઊનું ટાઢું થાય થોડું નીર કે, તવાઈને તવ્યમાં રે. ।। ૨ ।।

અમારા છે અવગુણિયા અનેક રે, હરિ હૈયે આણશો મા એક રે;

અધમ ઉદ્ધારણ જે ટેક કે, પાળજયો તે પ્રીતશું રે; ।। ૩ ।।

વડાને નવ લાગે વિકાર રે, જેની મતિ અપરમપાર રે;

નવ થાય કેણે નિરધાર કે, આદેશ અજિતશું રે. ।। ૪ ।।

વજ્રને જેમ વીંધ્યું નવ જાય રે, વેંધતલ સામું વીંધાય રે;

અનેક જો કરીએ ઉપાય કે, નિશ્ચે નિષ્ફળ છે રે; ।। ૫ ।।

શશી જેમ શીતળ આપ રે, તેને તન લાગે નહિ તાપ રે;

સ્પરશે નહિ પુણ્ય ને પાપ કે, નાથ નિરમળ છે રે. ।। ૬ ।।

દીસો છો કાંઈ દિલના દયાળ રે, દીનબંધુ દીનપ્રતિપાળ રે;

નટવર નંદ ગોવાળ કે, નીરખી નયણાં ઠર્યા રે; ।। ૭ ।।

નિષ્કુળાનંદના સ્વામી રે, અલબેલા અંતરજામી રે;

તમને નીરખી સુખ પામી કે, સર્વે કારજ સર્યા રે. ।। ૮ ।।