(રાગ :- ધોળ) ‘મારી સાર લેજયો અવિનાશી રે’- એ ઢાળ.

ચોરી સ્તંભ રચ્યા તિયાં ચાર રે, રહે વ્રતમાને નર નાર રે ।।

પિયુ સ્પરશી પ્રદક્ષિણા કરે રે, તે તો ભવમાં તે ફેરા ન ફરે રે ।। ૧ ।।

ધન્ય સખી સુંદર વર પરણે રે, તન મન સોંપી હરિશરણે રે ।।

કામ ક્રોધના જવ તલ બાળ્યા રે, સંશય શોક સર્વે તિયાં ટાળ્યા રે ।। ૨ ।।

પિયુ પરણીને પાવન થયાં રે, સુખ મુખે ન જાય તે કહ્યાં રે ।।

હરિહાથે જમ્યા જે કંસાર રે, તેને સ્વપને ન ગમે સંસાર રે ।। ૩ ।।

ફેરા ફરીને આજ ઊતર્યા રે, સર્વે કાજ અમારાં તે સર્યા રે ।।

પ્રેમ નેમ ને ભકત ભાવે રે, સખી ચાર મળીને વધાવે રે ।। ૪ ।।

વર વધાવી વારણે જાય રે, નાથ નીરખતા તૃપ્ત ન થાય રે ।।

નાથ નીરખીને લોભ્યા છે નેણ રે, મુખ જોઈ મન થયાં મેણ રે ।। ૫ ।।

મુખ જોઈ મેલ્યું નવ જાય રે, રહેજયો અખંડ અંતર માંય રે ।।

વા’લા વા’લપ્ય આવે છે હૈયે રે, જાણું અંગે આલિંગન લૈયે રે ।। ૬ ।।

પૂરું મનોરથ મારા મનના રે, ખંગ વાળું હું ખોયલા દનના રે ।।

સખી પૂરણ પુણ્યે હું પામી રે, વર નિષ્કુળાનંદનો સ્વામી રે ।। ૭ ।।