(રાગ :- ધોળ) ‘મારી અવિચળ ચૂંકને રાખજો’- એ ઢાળ.
એવું સુણીને બોલી છે સુંદરી, સખી સાંભળ તો કહું વાત, હો બેની એમ ન કહ્યે એહને
વળી વિચાર વિના જે બોલવું, તે તો જીવ જણાવે જાત્ય. હો ।। ૧ ।।
સખી બોલીને કેમ બગાડીએ, બોલ્યું અણબોલ્યું કેમ થાય.હો ।।
જે કોઈ વચન નીસરે મુખથી, તે તો પાછું કેમ સમાય.હો ।। ૨ ।।
તું ન જાણીશ નંદજીનો લાડીલો, એ છે અખિલ ભુવનનો આધાર.હો ।।
સખી શેષ મહેશ ને શારદા, એનો કોઈ ન પામે પાર.હો ।। ૩ ।।
એનો બ્રહ્મા તે ભેદ જાણે નહિ, વળી વેદ ન પામે પાર.હો ।।
સખી અનેક જનને ઉદ્ધારવા આવી, લીધો છે આ અવતાર.હો ।। ૪ ।।
તમે જાણો છો એમ તો એ નથી, એ છે પંચવિષયને પાર.હો ।।
જેને વચને તે વિકાર વામીએ, તેને કેમ વળગે વિકાર.હો ।। ૫ ।।
એ તો ચૈતન્ય ઘનમય મૂરતિ, એને સ્પરશે નહિ પંચભૂત.હો ।।
એનું પૂરણકામ જો નામ છે, વળી કા’વે અખંડ અચ્યુત.હો ।। ૬ ।।
દીન જાણી દયાળે દયા કરી, થયા નિર્ગુણ સગુણ સ્વરૂપ.હો ।।
એ છે કોટી કલ્યાણની મૂરતિ, એ છે કોટી કૃપાનું રૂપ.હો ।। ૭ ।।
હાથ જોડીને હરિ આગળે, રહિયે દીન આધીન એમ.હો ।।
સખી નિષ્કુળાનંદના નાથને, કટું વચન જો કૈ’યે કેમ.હો ।। ૮ ।।