(રાગ :- ધોળ) ‘મારી અવિચળ ચૂંકને રાખજો’- એ ઢાળ.

એવું સુણીને બોલી છે સુંદરી, સખી સાંભળ તો કહું વાત, હો બેની એમ ન કહ્યે એહને

વળી વિચાર વિના જે બોલવું, તે તો જીવ જણાવે જાત્ય. હો ।। ૧ ।।

સખી બોલીને કેમ બગાડીએ, બોલ્યું અણબોલ્યું કેમ થાય.હો ।।

જે કોઈ વચન નીસરે મુખથી, તે તો પાછું કેમ સમાય.હો ।। ૨ ।।

તું ન જાણીશ નંદજીનો લાડીલો, એ છે અખિલ ભુવનનો આધાર.હો ।।

સખી શેષ મહેશ ને શારદા, એનો કોઈ ન પામે પાર.હો ।। ૩ ।।

એનો બ્રહ્મા તે ભેદ જાણે નહિ, વળી વેદ ન પામે પાર.હો ।।

સખી અનેક જનને ઉદ્ધારવા આવી, લીધો છે આ અવતાર.હો ।। ૪ ।।

તમે જાણો છો એમ તો એ નથી, એ છે પંચવિષયને પાર.હો ।।

જેને વચને તે વિકાર વામીએ, તેને કેમ વળગે વિકાર.હો ।। ૫ ।।

એ તો ચૈતન્ય ઘનમય મૂરતિ, એને સ્પરશે નહિ પંચભૂત.હો ।।

એનું પૂરણકામ જો નામ છે, વળી કા’વે અખંડ અચ્યુત.હો ।। ૬ ।।

દીન જાણી દયાળે દયા કરી, થયા નિર્ગુણ સગુણ સ્વરૂપ.હો ।।

એ છે કોટી કલ્યાણની મૂરતિ, એ છે કોટી કૃપાનું રૂપ.હો ।। ૭ ।।

હાથ જોડીને હરિ આગળે, રહિયે દીન આધીન એમ.હો ।।

સખી નિષ્કુળાનંદના નાથને, કટું વચન જો કૈ’યે કેમ.હો ।। ૮ ।।