પૂર્વછાયો :-

જંજીર બંધે બાંધિયો, મારીને લીધો મો’ર ।।

ડગલે ડગલે દુઃખું ઘણું, નહિ લેવાં સુખ કોઈ ઠોર ।। ૧ ।।

બસેં ને સડતાળીશ જોજન, જમ ચલાવે છે નીત ।।

જેવાં જેનાં કર્મ છે, તેવી તે દંડની રીત ।। ૨ ।।

મર્મસ્થળે મારે ઘણું, તેણે પાપી કરે પોકાર ।।

પુણ્ય હીણા પ્રાણી તણી, એ સમે કરે કોણ સાર ।। ૩ ।।

શોધી સંધ્ય શરીરની, તિયાં માર દિયે મનગમતી ।।

દંડ દેવાની રીતને જાણે છે જમદૂત અતિ ।। ૪ ।।

તાળવે કપાળે કોણિયે, ગોઠણે માર દિયે ઘણી ।।

છાતી નખ છેદે તેની, થાય પીડા અતિ તે તણી ।। ૫ ।।

નાશી ભાગી નવ શકે, પડિયો જમને હાથ ।।

કષ્ટ સહેવાય કેટલું, અતિ પામે પીડા અનાથ ।। ૬ ।।

જેમ નર વાનરને, બળે ગળે બાંધે છે બંદ ।।

તેમ જાયે કયાં જીવ પાપી, પડિયો જમને ફંદ ।। ૭ ।।

જેને દીઠે દુઃખ ઊપજે, વળી સ્પર્શે જાય પ્રાણ ।।

વજ્ર જેવી વાણી વદે, એવા ભૂંડા જમરાણ ।। ૮ ।।

ચોપાઈ :-

તેેને સાથે ચાલિયો અનાથ રે, ઘણું ઘણું ઘસતો હાથ રે ।।

કરે ઓરતો મનમાં બહુ રે, મારો મારો કરે જમ સહુ રે ।। ૯ ।।

પડે માથે મુદગર માર રે, કરે હાય હાય ત્યાં પોકાર રે ।।

દઈ દઈ પાપનાં એંધાણ રે, દિયે દુઃખ ઘણું જમરાણ રે ।।૧૦।।

જેહ સમે કર્યાં પાપ જેવાં રે, કહે એંધાણ સહિત એવાં રે ।।

ત્યારે સાંભરે સર્વે વાત રે, એમ જાય જમને સંઘાત રે ।।૧૧।।

ચાલતાં ચાલતાં પો’ર ચાર રે, પ્રાણી પામે છે પીડા અપાર રે ।।

હારી થાકી થયો છે હેરાણ રે, અતિ પીડાને પામ્યો છે પ્રાણ રે ।।૧૨।।

પડી રાત્ય આવ્યું તિયાં ગામ રે, જાણે જીવ કરીશ આરામ રે ।।

ત્યાં તો આવે છે ગામનાં વાસી રે, ખાય માંસ રુધિરનાં પ્યાસી રે ।।૧૩।।

હાથે કાતાં છરા ને કુઠાર રે, કાપી પાપીનો કરે આહાર રે ।।

ખાઈખાઈ ધરાય જમ જયારે રે, બહુ વખાણ કરે છે ત્યારે રે ।।૧૪।।

અમે ખાધું માંસ બહુ તણું રે, પણ સૌથી સ્વાદુ તારું ઘણું રે ।।

ખારું ખાટું તીખું તમતમું રે, જમતો તું બહુ મનગમ્યું રે ।।૧૫।।

ગળ્યું ચીકણું તળેલ તાવ્યું રે, વઘાર્યું ઘુંગાર્યું મનભાવ્યું રે ।।

શુદ્ધાશુદ્ધ ખાધા ખટ રસ રે, તેણે કરી તારું માંસ સરસ રે ।।૧૬।।

એમ કહી કાપી કાપી ખાય રે, તેને દુઃખે કરે હાય હાય રે ।।

કરી પોકાર પડે અચેત રે, નથી ખમાતો માર મેં નિત્ય રે ।।૧૭।।

ત્યારે કિંકર કહે સુણ્ય પ્રાણી રે, તેં આ વાટને કેમ ન જાણી રે ।।

યાં તો કોઈ કોઈનું જ નથી રે, અમે કહિયે તુંને શું કથી રે ।।૧૮।।

એમ કહીને આપે છે માર રે, તેને દુઃખે કરે છે પોકાર રે ।।

પછી સાંભરે પાપ પોતાનાં રે, જે કાંઈ કર્યાં છે પ્રગટ છાનાં રે ।।૧૯।।

કહે છે મનુષ્ય દેહને પામી રે, મારી શુભ મતિ સર્વે વામી રે ।।

પાળ્યો નહિ મેં પવિત્ર ધર્મ રે, કર્યાં વિકળ થઈ વિકર્મ રે ।।૨૦।।

મૂરખાઈ મૂકી સદાચાર રે, મેં તો કાંઈ ન કર્યો વિચાર રે ।।

બા’ર ભીતર અપવિત્ર રહ્યો રે, સત્ય પુરુષનો ગુણ ન ગ્રહ્યો રે ।।૨૧।।

અન્ન ધન જે આયુષ્ય મારું રે, ખોયું સત્ય માર્ગથી મેં બા’રું રે ।।

ભજયા નહિ ભાવે ભગવંત રે, સેવ્યા નહિ સાચા સદ્ગુરુ સંત રે ।।૨૨।।

આવી એવી મુજને કુબુદ્ધિ રે, ભૂલ્યો જન્મથી મરણ સુધી રે ।।

આજ કોણ કરે મારી સા’ય રે, એમ કહી કરે હાય હાય રે ।।૨૩।।

ત્યારે કિંકર કહે છે પ્રાણી રે, તેં આ વાતને નહોતી શું જાણી રે ।।

જાવું જો’શે જમપુરી માંય રે, જિયાં નથી સગાં કોઈ સા’ય રે ।।૨૪।।

નહિ મળે ત્યાં ઉછી-ઉધારું રે, નહિ કરે કોઈ દંડમાં વારુ રે ।।

યાં તો કર્મ કર્યું જેણે જેવું રે, ભોગવવું પડે છે જો તેવું રે ।।૨૫।।

જે જે ભેળું લાવ્યો તું ભાતું રે, તેનું વાંચી દેખાડિયે ખાતું રે ।।

પોષ્યો અન્યાયે અસત્ય દેહ રે, કર્યો અસત્ય સગાંશું નેહ રે ।।૨૬।।

તે તો રહ્યાં છે તિયાંનાં તિયાં રે, કોણ સગું થાય તારું ઇયાં રે ।।

સત્ય પુરુષ ન સેવ્યા કદાપિ રે, માટે આ વાટે આવ્યો છું પાપી રે ।।૨૭।।

કરતો પાપ ન ડરતો લગાર રે, ચાલ્યો મન ગમતે ગમાર રે ।।

નો’તી બીક શંકા મનમાંય રે, કરતો પાપ આપ ઇચ્છાય રે ।।૨૮।।

તેં તો જમપુરીને ન જાણી રે, તેમ સુણીને બીક ન આણી રે ।।

જો તું અમથી બી’ત અભાગી રે, તો તું પાપબુદ્ધિ દેત ત્યાગી રે ।।૨૯।।

માટે અમને ન ગણ્યા ગમાર રે, એમ કહી દિયે બહુ માર રે ।।

દિયે માર અપાર તે સહે રે, વળી મુખે કિંકર એમ કહે રે ।।૩૦।।

થયા ભૂખ્યા ને તરસ્યા ભારે રે, આપ્ય ખાવા ને પીવા આ વારે રે ।।

તે તો જોઈશે અમારે જરૂર રે, લાગી ભૂખ ને જાવું છે દૂર રે ।।૩૧।।

આપ્ય ખાવા નહિ તો તુંને ખાશું રે, ત્યારે મૂકશું સૌ જયારે ધરાશું રે ।।

પછી કેડે દીધું હોય કાંય રે, ભાગ ત્રણ વહેંચે છે ત્યાંય રે ।।૩૨।।

એક ભાગ જમદૂત લિયે રે, બીજો પ્રેતના ગણને દિયે રે ।।

ત્રીજો ભાગ તે પોતે જમે રે, એમ દિન અઢાર નિગમે રે ।।૩૩।।

દ્વાદશ મો’રના એહ અઢાર રે, મળી માસ થાય નિરધાર રે ।।

રાત દિવસ ચાલે દડીદોટે રે, ચડ્યો જમના દૂતની ચોટે રે ।।૩૪।।

ભૂખપ્યાસે પીડાણો છે અતિ રે, મહાદુઃખે મૂંઝાણી છે મતિ રે ।।

થયો બફોયો ફોમ ન રહી રે, નિત્ય માર શકે કેમ સહી રે ।।૩૫।।

ત્રાહી તોભા કરી ત્રિશ દન રે, અતિ કષ્ટે કર્યા ઉલ્લંઘન રે ।।

તૈયે આવ્યું યમપુર જેહ રે, તિયાં પહોંચ્યો છે પ્રાણિયો એહ રે ।।૩૬।।

તેમાં પ્રેત વસે છે જો ઘણા રે, બહુ ભયંકર બિયામણા રે ।।

તિયાં પુષ્પભદ્રા નદી તટ રે, એક અતિ વિસ્તારે છે વટ રે ।।૩૭।।

તિયાં બેઠાં છે પ્રેતનાં બાળ રે, દેખી જીવ આવે તતકાળ રે ।।

કાપી કાપી કલેવર ખાય રે, વળગ્યાં અંગે અળગાં ન થાય રે ।।૩૮।।

કાઢી લઈયે એનું કલેજુ રે, પછી મારે તીર કરી વેજું રે ।।

દિયે દુઃખ દયા નહિ દલ રે, પામે દુઃખ સુખ નહિ પલ રે ।।૩૯।।

તને તપે છે તાપ વિષમ રે, પ્રલયકાળના સૂરજ સમ રે ।।

જીવે જોઈ એ વટનું વૃખ રે, છાંયે બેસવા કર્યો’તો હરખ રે ।।૪૦।।

ત્યાં તો પ્રેત બાળ બીજાં મળી રે, ખાવા લાગ્યાં છે પાપીનેે વળી રે ।।

ત્યાંથી આવ્યો પુરદ્વારે પ્રાણી રે, ઊઠ્યા લાગ લેવા દરવાણી રે ।।૪૧।।

લીધું માંસ પીધું છે રુધિર રે, તેને દુઃખે રુવે છે અધીર રે ।।

પછી જાય છે જમપુર માંય રે, લિયે લાગ ભાગ માગી ત્યાંય રે ।।૪૨।।

લીધું માંસ રુધિર પીવાને રે, રાજા પ્રધાન વજીર દીવાને રે ।।

કહે લઈ જાઓ જમ આંયથી રે, ઉતાવળો આ પુર માંયથી રે ।।૪૩।।

આપી લાગ ને નીસર્યો બા’ર રે, ઉત્તરદ્વારેથી દક્ષિણ દ્વાર રે ।।

મેલ્યું શહેર એક સોળમાં રે, એમ રાત દી જાય રોળમાં રે ।।૪૪।।

કંપે કાળજ દેખી દૂતને રે, અતિ થરથર ધૂ્રજે છેે તને રે ।।

કેમ આવશે આ દુઃખ અંત રે, એમ કરે ઓરતો અત્યંત રે ।।૪૫।।

તેને જોઈને જમના દૂત રે, દુઃખ દિયે છે એને અદ્ભુત રે ।।

મો’રે કરે છે કિંકર મારી રે, જીવ ભોગવે છે દુઃખ ભારી રે ।।૪૬।।

નિત્યે આવે છે જમનાં ગામ રે, તિયાં નથી સુખ લેવા ઠામ રે ।।

સાંજ પડે ને થાય સવાર રે, દિયે નાનાં મોટાં સહુ માર રે ।।૪૭।।

નરનારીને ન મળે મે’ર રે, જાણે ગોળનું ગાડું આવ્યું ઘેર રે ।।

ખાય ધરાય થાય રળિયાત રે, વળી કરે પરસ્પર વાત રે ।।૪૮।।

આનું માંસ લાગે છે મીઠું રે, આવું બીજા કોયનું ન દીઠું રે ।।

ઘણે દને મળ્યું આજ ગળ્યું રે, આજ દિન મો’ર આવું ન મળ્યુ  રે ।।૪૯।।

એમ પામે છે દુઃખ અપાર રે, કષ્ટ પામે પાપ કરનાર રે ।।

પામે દુઃખ જાય નહિ સહ્યું રે, સત્ય નિષ્કુળાનંદે એ કહ્યું રે ।।૫૦।।