પૂર્વછાયો :-

જૂજવી રીતે જીવને, કહ્યાં જમપુરીનાં દુઃખ ।।

હરિજન મગન રહેજયો, એ તો ભોગવશે વિમુખ ।। ૧ ।।

પ્રભુ વિમુખ પ્રાણિયો, જો કરે કોટિ ઉપાય ।।

દુઃખ માથેથી મટે નહિ, જરૂર જમપુર જાય ।। ૨ ।।

ભૂલી દિશ ભગવાનની, અને લીધી બીજી વાટ્ય ।।

તેમાં જેટલું ચોંપે ચાલશે, તેટલી ખોટ્ય નહિ ખાટ્ય ।। ૩ ।।

સમર્થના શરણ વિના, કુશળ કયાં થકી હોય ।।

આપબળે નવ ઊગરે, જેમ સિંધુ તરવો સોય ।। ૪ ।।

જે જન્મ મરણ જીવને, દુઃખનો ભર્યો દરિયાવ ।।

લે’રી પેઠે લય ઉત્પત્તિ, ઊપજે સહજ સ્વભાવ ।। ૫ ।।

જનમ મરણ જયાં લગી, ત્યાં લગી જમનું જોર ।।

જમ આવે તિયાં જાણજયો, કહ્યાં દુઃખ જે કેડામો’ર ।। ૬ ।।

જેને માથે છે મરવું, તોય ન ડરવું નિરધાર ।।

તેહ જ મૂરખ મંદમતિ, અતિ ગાફલ કહિયે ગમાર ।। ૭ ।।

શું થયું શિયાણો થયે, શું થયું થયો ચતુર ।।

ડાહ્યા સમજુએ શું થયું, જો હરિ ન રાખ્યા ઉર ।। ૮ ।।

પ્રભુ વિમુખ નર પરાક્રમે, જો હોય જગ જાણિત ।।

અનેક ગુણને આશરે, પણ જમપુરે જાવા રીત ।। ૯ ।।

જમ આવે જેને તેડવા, કહુ તેના તનની રીત ।।

અચેત મરે અસાધ્યમાં, જેને પ્રભુ સાથે નહિ પ્રીત ।।૧૦।।

ચોપાઈ :-

જેને આવે લેવા જમરાણ રે, તેનાં ઓળખાવું હું એંધાણ રે ।।

જમ જોરે કાઢે એનો પ્રાણી રે, સર્વે નાડી અનાડીની તાણી રે ।।૧૧।।

ત્યારે સજડ થાય શરીર રે, લોહલાઠ્ય સરખું અચીર રે ।।

જેમ ન વળે સૂકું લક્કડ રે, એમ અંગ થાય છે અક્કડ રે ।।૧૨।।

તે તો જમદૂત જોરે કરી રે, લિયે પાપી તણા પ્રાણ હરી રે ।।

પછી હાથ પગ જેમ હોય રે, વાળ્યા વળે નહિ વળી સોય રે ।।૧૩।।

આંખ્ય મુખ ફાટ્યું રહી જાય રે, પાછું બીડતાં તે ન બીડાય રે ।।

નાડી તણાઈ સરવે ત્રૂટે રે, ગુદા શિષ્નુ તણા બંધ છુટે રે ।।૧૪।।

થાય મળ મૂત્ર ને મગન રે, તેણે ખરડ્યે બગડે તન રે ।।

હાયવોય કરતો તે મરે રે, થઈ વ્યાકુળ વલખાં કરે રે ।।૧૫।।

સુત દારા મારાં શું કરશે રે, મુજ વિના દુઃખી થઈ મરશે રે ।।

એમ આળપંપાળમાં મરે રે, જેના જમ જોરે પ્રાણ હરે રે ।।૧૬।।

આવે જમ તેડવા જેને રે, થાય જેમ કહ્યું તેમ તેને રે ।।

વળી હોય કોઈ વાસનાવાન રે, નાવે જમને હાથ નિદાન રે ।।૧૭।।

તર્ત ભૂૂત પે્રત તન ધરે રે, તે પણ નરકથી નરસું સરે રે ।।

નદી કૂવા વાવ્ય તળાવે રે, તિયાં જળ પીવાને જો જાવે રે ।।૧૮।।

ન દિયે પીવા વરુણની ચોકી રે, મરે પ્યાસે રાખ્યા ઘાટ રોકી રે ।।

પછી અશુદ્ધ જળને ગોતે રે, તેહ વિના ન પીવાય ભૂતે રે ।।૧૯।।

પિયે ગુદા ધોયાનું પાણી રે, અતિશય અશુદ્ધ એ જાણી રે ।।

કાં તો લિંગ ભગ ધોયું તોય રે, ભૂત પ્રેતને પીવાનું સોય રે ।।૨૦।।

નરકથકી નરસું છે જેમાં રે, જાણી જમ મૂકી દિયે તેમાં રે ।।

એમ હરિ વિમુખને દુઃખ રે, જિયાં જાય તિયાં નહિ સુખ રે ।।૨૧।।

એમ ભૂત પ્ર્રેત નર નાગ રે, પ્રભુ વિમુખનાં ભૂંડાં ભાગ્ય રે ।।

કાં તો અતિપાપી તન પામી રે, કરે પાપ રાખે નહિ ખામી રે ।।૨૨।।

ભાવું ભીલ કસાઈ કલાર રે, પારાધી ફાંસિયા મચ્છીમાર રે ।।

મહામ્લેચ્છ છે પાપનું મૂળ રે, મારે જીવ અહોનિશ અતુળ રે ।।૨૩।।

તે તો મરી જમપુર જાય રે, પછી સદા રહે નરકમાંય રે ।।

કોઈ કાળે ન નીસરે બા’ર રે, જેણે કર્યાં છે પાપ અપાર રે ।।૨૪।।

આવે અભાગ્યે મનુષ્યનો વારો રે, નાવે જીવતો ગર્ભથી બા’રો રે ।।

કાં તો ગળી જાય ગર્ભમાંય રે, કાં તો સંકટમાં સ્રવી જાય રે ।।૨૫।।

કાં તો કાઢે ઉદરથી કાપી રે, નાવે ગર્ભથી જીવતો પાપી રે ।।

એમ જન્મોજન્મ વેરેવેરે રે, ખુવે મનુષ્ય આયુષ્ય એ પેરે રે ।।૨૬।।

પણ મનુષ્ય દેહનું જે સુખ રે, પામે નહિ પ્રભુના વિમુખ રે ।।

એવી અતિ અધર્મની રીત રે, કહું બીજી સુણો દઈ ચિત્ત રે ।।૨૭।।

નાના મોટા હોય નામધારી રે, જેની નવ ખંડે નામના ભારી રે ।।

મર આ જગે હોય જાણીત રે, પણ સર્વે તણી એક રીત રે ।।૨૮।।

વિદ્યા ગુણ પેચ પરાક્રમ રે, નો’ય બીજો કોઈ એહ સમ રે ।।

સર્વ વાતનું કહી દેખાડે રે, પણ જમ આગે એક પાડે રે ।।૨૯।।

એમ સાંભળ્યું શાસ્ત્ર સઘળે રે, એવે ગુણે જમત્રાસ ન ટળે રે ।।

હરિ વિના મૃત્યુને ન તરે રે, સાચી વાત માનજયો એ સરે રે ।।૩૦।।

કોઈ પઢે સર્વે પુરાણ રે, કા’વે સર્વે લોકમાં સુજાણ રે ।।

કરી વાતે ડોલાવે બ્રહ્મંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ।।૩૧।।

કોઈ કરે જગનને જાગ રે, આપે સર્વે અમરને ભાગ રે ।।

હોમે નર પશુ કરી પંડ રે, પણ ટળે નહિ જમ દંડ રે ।।૩૨।।

કોઈ પર્વતપરથી પડે રે, જયારે એવે વેગે મન ચડે રે ।।

મળે સુત વિત્ત રાજય રંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ।।૩૩।।

કોઈ ફરે તીરથ સઘળે રે, રહે નિત્ય નવે વળી સ્થળે રે ।।

જઈ જળમાં પખાળે પંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ।।૩૪।।

કોઈ કરે વ્રત ઉપવાસ રે, જાય ઉત્તરે થઈ ઉદાસ રે ।।

જઈ ગાળે હિમાળામાં હંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ।।૩૫।।

કોઈ ચારે કોરે અગ્નિ બાળી રે, બેસે વચ્ચમાં આસન વાળી રે ।।

માથે તપાવે જો માતર્ંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ।।૩૬।।

કોઈ અષ્ટાંગયોગને સાધે રે, એક આત્મારૂપ આરાધે રે ।।

રોકે પ્રાણ અપાન પ્રચંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ।।૩૭।।

કોઈ ભણે વેદાંત અનુપ રે, જાણે જીવેશ્વરમાયાનું રૂપ રે ।।

જે તે સામો રોપે જઈ ઝંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ।।૩૮।।

કોઈ વદે છે વ્યાકરણવાણ રે, સુણી સહુ કરે પ્રમાણ રે ।।

બોલે મુખથી શુદ્ધ અખંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ।।૩૯।।

કોઈ કવિ થઈ કાવ્ય જોડે રે, કોઈ કરે જ્ઞાન ગપોડે રે ।।

જાણું ભેદી જાશે આ બ્રહ્મંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ।।૪૦।।

કોઈ સઉથી થઈ ઉદાસી રે, લિયે કરવત જઈ કાશી રે ।।

મરે જળે બૂડી ભરી ભંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ।।૪૧।।

કોઈ સતી પતિ કેડે થાય રે, કોઈ જીવતાં ભૂમાં સમાય રે ।।

એમ પરાણે કરે પ્રાણ છંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ।।૪૨।।

કોઈ ત્યાગી થઈ વસે વન રે, ફરે નગન ન ખાય અન્ન રે ।।

સહે શીત ઉષ્ણ પીડા પંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ।।૪૩।।

કોઈ સા’ય કરે સિદ્ધિ અષ્ટ રે, પામે નિધિ કરી બહુ કષ્ટ રે ।।

જાય ઇચ્છે તે લોકમાં ઊંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ।।૪૪।।

કોઈ જંત્ર મંત્રને વખાણે રે, બહુ નાટક ચેટક જાણે રે ।।

જાણે બહુ પ્રપંચ પાખંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ।।૪૫।।

કોઈ આપે સર્વસ્વ દાન રે, વાધે કીર્તિ કર્ણ સમાન રે ।।

પડે ખબર સરવે ખંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ।।૪૬।।

કોઈ શૂરા પૂરા સંગ્રામે રે, વડા વેરીથી હાર ન પામે રે ।।

કરે શત્રુ સેનાને વિખંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ।।૪૭।।

સ્વર્ગ મૃત્યુ પાતાળમાં જશે રે, વ્યાપી રહ્યો સહુથી સરસ રે ।।

હોય નર નારી વા ષંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ।।૪૮।।

એવી રીત કિયાં લગી કહું રે, કે’તાં કે’તાં તે પાર ન લહુ રે ।।

અંતે પડે તે નરકને કુંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ।।૪૯।।

એમ કહે છે સર્વે પુરાણ રે, સુણી સમજી લેજયો સુજાણ રે ।।

નથી મુખની વાત મેં લખી રે, નો’ય કલ્યાણ પ્રભુજી પખી રે ।।૫૦।।

જો આપ બળે સિંધુ તરાય રે, નાવ શોધવા તો શીદ જાય રે ।।

હોય પોત પાર થાય સુખી રે, નો’ય કલ્યાણ પ્રભુજી પખી રે ।।૫૧।।

જેમ અર્ક વિના અંધારું રે, કરે ટાળવા ઉપાય હજારું રે ।।

ઉલેચતાં તમ થાય દુઃખી રે, નો’ય કલ્યાણ પ્રભુજી પખી રે ।।૫૨।।

સર સરિતા સાગર સોય રે, ઘન વિના સૂકયાં સહુ કોય રે ।।

એહ એંધાણ લેવું ઓળખી રે, નો’ય કલ્યાણ પ્રભુજી પખી રે ।।૫૩।।

એમ સો વાતની વાત એક રે, સમજુ હોય તે સમજો વિવેક રે ।।

મમતે ન થાવું મનમુખી રે, નો’ય કલ્યાણ પ્રભુજી પખી રે ।।૫૪।।

યમદંડ નામે છે આ ગ્રંથ રે, તેમાં ચરણે ચરણે એ અર્થ રે ।।

લેવું પ્રકટ પ્રભુનું શરણ રે, ત્યારે ટળે જન્મ ને મરણ રે ।।૫૫।।

જન્મ મરણ તિયાં જમ જાણો રે, જમ આવે એ દુઃખ પ્રમાણો રે ।।

જાણો દુઃખ ટળી સુખ થાવું રે, ત્યારે પ્રગટ પ્રભુ પાસે જાવું રે ।।૫૬।।

કહ્યો છેલ્લો મેં એહ ઉપાય રે, હોય હરિ જુગો જુગ માંય રે ।।

તેને મળ્યે ટળે મહાદુઃખ રે, થાય શાંતિ પામે જીવ સુખ રે ।।૫૭।।

આદ્યે અંતે મધ્યે એહ વાત રે, સહુ સમજી લ્યો સાક્ષાત રે ।।

પ્રભુ મળ્યા વિના છે પાંપળાં રે, તજો તેને જાણીને ટાંપળાં રે ।।૫૮।।

કરો પ્રગટ પ્રભુ સાથે પ્રીતિ રે, તો જાઓ જગમાંહી જીતી રે ।।

નથી કઠણ વાત એ કાંઈ રે, સહુ સમજો એવી સુખદાઈ રે ।।૫૯।।

સાચા ખોટામાં સરખો શ્રમ રે, શીદ નથી જાણતા એ મર્મ રે ।।

જેમ દિશ મુવાડે મારગે રે, ચાલે સાંજથી સવાર લગે રે ।। ૬૦।।

જેમ જેમ ચોંપેશું ચલાય રે, તેમ તેમ છેટું થાતું જાય રે ।।

તેમ પ્રભુજીને પૂઠ્ય દઈ રે, જીવ કરે છે ભગતિ કઈ રે ।। ૬૧।।

તે તો નથી આવતી જો અર્થ રે, ઠાલો જન્મ ખુવે છે વ્યર્થ રે ।।

વણ સમજયે વેઠે છે દુઃખ રે, જે કોઈ હરિ થકી છે વિમુખ રે ।। ૬૨।।

મટી વિમુખ સન્મુખ થાઓ રે, જાણી જોઈ કાં જમપુર જાઓ રે ।।

પોતે પોતાનું કરવું કાજ રે, સ્મરી શ્રીઘનશ્યામ મહારાજ રે ।। ૬૩।।

અચળ એક આશરો એહ રે, એહ વાતમાં નથી સંદેહ રે ।।

તેહ વિના ન હોય ભવપાર રે, કહે નિષ્કુળાનંદ નિરધાર રે ।। ૬૪।।

પદ- રાગ :- ધોળ

પામ્યા પામ્યા રે ભવજળપાર, શ્રીહરિ સંત મળી. વામ્યાં વામ્યાં રે દુઃખ અપાર, શ્રીહરિ ।। ૧ ।।

નામ્યાં નામ્યાં રે શીશ પ્રભુ પાય ,શ્રીહરિ જામ્યાં જામ્યાં રે સુખ ઉરમાંય, શ્રીહરિ ।। ૨ ।।

સર્યાં સર્યાં રે સર્વે કાજ, શ્રીહરિ ભર્યાં ભર્યાં રે અભરે આજ, શ્રીહરિ ।। ૩ ।।

ઠર્યાં ઠર્યાં રે પામી સુખઠામ, શ્રીહરિ કર્યાં કર્યાં રે પૂરણકામ, શ્રીહરિ ।। ૪ ।।

ભાગ્યો ભાગ્યો રે ભવનો ભય, શ્રીહરિ જાગો જાગો રે થઈ જિતજય, શ્રીહરિ ।। ૫ ।।

ત્યાગો ત્યાગો રે મનની તાણ, શ્રીહરિ માગો માગો રે પદ નિરવાણ, શ્રીહરિ ।। ૬ ।।

લીધો લીધો રે પૂરણ લાવ, શ્રીહરિ દીધો દીધો રે જમશિર પાવ, શ્રીહરિ ।। ૭ ।।

કીધો કીધો રે જન્મ સફળ શ્રીહરિ પીધો પીધો રે રસ અમળ શ્રીહરિ ।। ૮ ।।

થઈ થઈ રે જગમાંય જીત, શ્રીહરિ ગઈ ગઈ રે અન્યની પ્રતીત, શ્રીહરિ ।। ૯ ।।

રહી રહી રે લાખેણી લાજ, શ્રીહરિ સઈ સઈ રે વાત કહું આજ, શ્રીહરિ ।।૧૦।।

આવ્યો આવ્યો રે આજ આનંદ, શ્રીહરિ ફાવ્યો ફાવ્યો રે ફેરો ફાટ્યા ફંદ, શ્રીહરિ ।।૧૧।।

ભાવ્યો ભાવ્યો રે સાચો સત્સંગ, શ્રીહરિ નાવ્યો નાવ્યો રે અભાવ અંગ, શ્રીહરિ ।।૧૨।।

હર્યો હર્યો રે સર્વે સંતાપ, શ્રીહરિ તર્યો તર્યો રે ભવજળ આપ, શ્રીહરિ ।।૧૩।।

કર્યો કર્યો રે સર્વેનો ત્યાગ, શ્રીહરિ ઠર્યો ઠર્યો રે ઉર વૈરાગ શ્રીહરિ ।।૧૪।।

જોયું જોયું રે જગમાં જરૂર, શ્રીહરિ ખોયું ખોયું રે દુઃખડું દૂર, શ્રીહરિ ।।૧૫।।

મોહ્યું મોહ્યું રે મન જોઈ નાથ, શ્રીહરિ પ્રોયું પ્રોયું રે ચિત્ત એહ સાથ, શ્રીહરિ ।।૧૬।।

દીધું દીધું રે દર્શન દાન, શ્રીહરિ કીધું કીધું રે અમૃતપાન, શ્રીહરિ ।।૧૭।।

લીધું લીધું રે સુખ અપાર, શ્રીહરિ સીઘ્યું સીઘ્યું રે કારજ આ વાર, શ્રીહરિ ।।૧૮।।

લાગ્યો લાગ્યો રે એ સંગે રંગ, શ્રીહરિ ભાગ્યો ભાગ્યો અન્યથી ઉમંગ, શ્રીહરિ ।।૧૯।।

વાગ્યો વાગ્યો રે જીતનો ડંક, શ્રીહરિ ત્યાગો ત્યાગો રે જૂઠી જગશંક, શ્રીહરિ ।।૨૦।।

લીધી લીધી રે શ્યામળે મારી સાર, શ્રીહરિ કીધી કીધી રે વાલે મારી વા’ર, શ્રીહરિ ।।૨૧।।

દીધી દીધી રે મોજ અનુપ, શ્રીહરિ સીધી સીધી રે વાત સુખરૂપ, શ્રીહરિ ।।૨૨।।

મળી મળી રે મહાસુખ મોજ, શ્રીહરિ દળી દળી રે જમદૂત ફોજ, શ્રીહરિ ।।૨૩।।

ટળી ટળી રે સર્વે ત્રાસ, શ્રીહરિ બળી બળી રે અન્ય બીજી આશ, શ્રીહરિ ।।૨૪।।

વળી વળી રે રંગડાની રેલ્ય, શ્રીહરિ ફળી ફળી રે સુફળ વેલ્ય, શ્રીહરિ ।।૨૫।।

ઢળી ઢળી રે ઢળી ગયો ઢાળ, શ્રીહરિ પળી પળી રે ગયાં પંપાળ, શ્રીહરિ ।।૨૬।।

ટળ્યો ટળ્યો રે જમનો ત્રાસ, શ્રીહરિ પળ્યો પળ્યો રે પરો ગર્ભવાસ, શ્રીહરિ ।।૨૭।।

મળ્યો મળ્યો રે સાચો સતસંગ, શ્રીહરિ વળ્યો વળ્યો રે દિન રહ્યો રંગ, શ્રીહરિ ।।૨૮।।

હુવો હુવો રે જય જયકાર, શ્રીહરિ જુવો જુવો રે સુખ અપાર, શ્રીહરિ ।।૨૯।।

સુવો સુવો રે સુખની સજજાય, શ્રીહરિ દુવો દુવો રે કામદુઘાય, શ્રીહરિ ।।૩૦।।

આજ આજ રે વરત્યો આનંદ, શ્રીહરિ કાજ કાજ રે સર્યાં ફાટ્યો ફંદ, શ્રીહરિ ।।૩૧।।

લાજ લાજ રે રહી મારી આજ, શ્રીહરિ નાજ નાજ રે ન કરું અકાજ, શ્રીહરિ ।।૩૨।।

રહે રહે રે સુખ અપાર, શ્રીહરિ વહે વહે રે કોણ ભવભાર, શ્રીહરિ ।।૩૩।।

સહે સહે રે કોણ દુઃખદ્વંદ, શ્રીહરિ કહે કહે રે નિષ્કુળાનંદ, શ્રીહરિ સંત મળી ।।૩૪।।

સોરઠો :-

અગિયારસો ચૌ અગિયાર ચર્ણ, ગણી ચોકસ કર્યાં

યમદંડનો વિસ્તાર, કહ્યો એટલામાંયે કથી ।।૩૫।।

ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતો યમદંડઃ સમાપ્તઃ