પૂર્વછાયો :-
કુસંગ ને સતસંગનું, કહ્યું રૂડી રીતે કરી રૂપ ।।
સર્વે જન હવે સાંભળો, કહું એક વાત અનુપ ।। ૧ ।।
જે સુણી આ જીવને, ઊઘડે અંતરની આંખ્ય ।।
સતસંગ સમજી કરે, તજે કુસંગ કરવા ધાંખ ।। ૨ ।।
જેમ સર્વે સંત તણી, એકરે’ણી ને એક રીત ।।
તેમ હરિની હોય નહિ, કહું તેહ સુણો દઈ ચિત્ત ।। ૩ ।।
જીવના કલ્યાણ કારણે, ધરે જૂજવી જાતના તન ।।
જિયાં જેવું કામ પડે, તિયાં તેવા થાય ભગવન ।। ૪ ।।
ચોપાઈ :-
હવે સાંભળો સહુ સુજાણ રે, કહું વાત શાસ્ત્ર પ્રમાણ રે ।।
જેથી પ્રભુપણું પ્રિછાય રે, પ્રભુ પ્રગટમાં સંશય ન થાય રે ।। ૫ ।।
દશ ચોવીશ આદિ અનંત રે, ધરે તન ઉદ્ધારવા સંત રે ।।
મત્સ્ય કચ્છ ને વરાહ નામ રે, નૃસિંહ વામન પરશુરામ રે ।। ૬ ।।
રામ કૃષ્ણ બુદ્ધ ને કલકી રે, એહ આદિ જે તન અલોકી રે ।।
મત્સ્ય કચ્છ વારિમાં વિચર્યા રે, વરાહ નૃસિંહ વનમાં ફર્યા રે ।। ૭ ।।
વામન પરશુરામ કહું વર્ણી રે, રામ કૃષ્ણની અલૌકિક કર્ણી રે ।।
બુદ્ધ શુદ્ધબોધના દાતાર રે, કલ્કી ભૂમિહરણ ભાર રે ।। ૮ ।।
ક્રિયા એકએકની ન મળે રે, એમ લખ્યું પુરાણ સઘળે રે ।।
પણ કરવું જીવોનું કલ્યાણ રે, ધર્મ થાપી પાપી લેવા પ્રાણ રે ।। ૯ ।।
જુગોજુગ પ્રગટે પાપી રે, કરે અધર્મ ધર્મ ઉથાપી રે ।।
દ્વિજ રાજ વળી વેષ ધારી રે, જેને કહ્યે વર્તે વર્ણ ચારી રે ।।૧૦।।
એમાં આવી રહે છે અધર્મ રે, તેહ કરાવે સૌને કુકર્મ રે ।।
સંત ભકત તપસી ને ત્યાગી રે, પીડે રંક ઋષિને અભાગી રે ।।૧૧।।
સતશાસ્ત્ર શ્રવણે ન સુણે રે, ખોટાં શાસ્ત્ર વાંચે બેસી ખુણે રે ।।
જેમાં મદ્ય માંસ વ્યભિચાર રે, જાતિવિટાળ ને અનાચાર રે ।।૧૨।।
એવાં શાસ્ત્ર સહુને સુણાવે રે, પાપીને તેની પ્રતીત આવે રે ।।
પછી મનને ગમે તે વરતે રે, બિયે નહિ અશુભ આચરતે રે ।।૧૩।।
બાંધી મહાપ્રભુએ મરજાદ રે, તેને ભાખે કુકર્મી ક્રવ્યાદ રે ।।
તેને દેખી ન શકે દયાળ રે, આવે એને અર્થે તત્કાળ રે ।।૧૪।।
ધર્મરક્ષા કરવાને કાજ રે, જુગોજુગ પ્રગટે મહારાજ રે ।।
તેમાં હરિજનનાં દુઃખ હરે રે, જેવું ઘટે તેવું તન ધરે રે ।।૧૫।।
તાતપર્ય એ સર્વેનું એક રે, કહ્યું વિચારી કરી વિવેક રે ।।
જેમ સાધુ સાધુતાયે અતિ રે, તેમ કૃષ્ણ કલ્યાણમૂરતિ રે ।।૧૬।।
પણ એથી ન હોય અકાજ રે, છે એ કલ્યાણમૂર્તિ મહારાજ રે ।।
જોને કામ ભાવે ભજી ગોપી રે, કુળ વેદ મર્યાદાને લોપી રે ।।૧૭।।
ભયે ભજીયા કંસ ભૂપાળ રે, ક્રોધભાવે ભજયા શિશુપાળ રે ।।
સ્નેહે વસુદેવ ને દેવકી રે, દુષ્ટભાવે કરી ભજી બકી રે ।।૧૮।।
સખાભાવે પાંડવ પ્રમાણ રે, દાસભાવે ઉદ્ધવ સુજાણ રે ।।
એહઆદિ સુખી થયા બહુ રે, પ્રગટ પ્રભુને સ્પરશી સહુ રે ।।૧૯।।
માનો ન ફરે એહ એંધાણ રે, પ્રભુ મળ્યે કોટિ કલ્યાણ રે ।।
વળી અજીત એવું આ મન રે, તેને જીતવે એ ભગવન રે ।।૨૦।।
એહ એંધાણે લેવા ઓળખી રે, પણ ક્રિયા તો ન હોય સરખી રે ।।
એહ મર્મ મેં કહ્યો અનુપ રે, સત્ય એમ છે એનું સ્વરૂપ રે ।।૨૧।।
કૃપાસિંધુ જે કૃષ્ણ મુરારિ રે, તે તો અવતારના અવતારી રે ।।
જે જે અવતાર કહ્યા મેં કથી રે, તે તો સર્વે શ્રીકૃષ્ણ માંયથી રે ।।૨૨।।
સર્વેનું છે શ્રીકૃષ્ણ કારણ રે, ભવભયહારી ભકતતારણ રે ।।
આપ ઇચ્છાએ પ્રગટે મહારાજ રે, નિજજનની રક્ષાને કાજ રે ।।૨૩।।
જયારે કરવું હોય જેવું કામ રે, તન તેવું ધરે ઘનશ્યામ રે ।।
પણ સહુનું કારણ કૃષ્ણ રે, તેનું દુર્લભ સર્વને દષ્ણ રે ।।૨૪।।
તે તો સ્વયં પ્રભુ શ્રીહરિદેવ રે, તેનો જાણ્યો છે વિરલે ભેવ રે ।।
જે કોઈ મન વાણીને અગમરે, તે તો થયા છે સહુને સુગમ રે ।।૨૫।।
કરવા કોટિ જીવનાં કલ્યાણ રે, આજ આપે પ્રગટ પ્રમાણ રે ।।
દેવા દર્શ સ્પર્શ અભયદાન રે, ઢળ્યા અઢળક ભગવાન રે ।।૨૬।।
તેને આવી મળે જન જેહ રે, જમદંડથી મુકાય તેહ રે ।।
ટળે સર્વે સંકટ ત્યારે રે, મળે સંત કે શ્રીહરિ જયારે રે ।।૨૭।।
સુખકારી દુઃખહારી દોય રે, સાચા સંત કે શ્રીકૃષ્ણ સોય રે ।।
જેને કહું છું શ્રીકૃષ્ણ અમે રે, તે જ શ્રીહરિ સમજો તમે રે ।।૨૮।।
એહ સર્વે સુખનું છે ધામ રે, સુખદાયી શ્રીઘનશ્યામ રે ।।
જન ઇચ્છે સુખી થાવા જેહ રે, અચળ એક ઠેકાણું છે એહ રે ।।૨૯।।
તેહ વિના નથી સુખ થાવા રે, જન્મ મરણ મહાદુઃખ જાવા રે ।।
કાં તો તે પ્રભુ કાં તેના જન રે, સુખી થાવા ઠામ માનો મન રે ।।૩૦।।
નથી એહ વિના બીજો ઉપાય રે, સત્ય માની લેજયો મનમાંય રે ।।
જેહ સમે જેનું હોય રાજ રે, તેહ સમે સરે તેથી કાજ રે ।।૩૧।।
માટે આ સમે એહ ભગવન રે, નિશ્ચે માની લેજયો સહુજન રે ।।
તે મળ્યા છે જેને મહારાજ રે, તેનાં સર્યાં છે સર્વે કાજ રે ।।૩૨।।
નથી રહ્યું તેને કાંય કરવું રે, જન્મ મરણ ભવફેરા ફરવું રે ।।
છેલ્લો જન્મ છે આ જાણી લેજયો રે, એમ જાણી આનંદમાં રે’જયો રે ।।૩૩।।
જયારે આવશે આ તન અંત રે, તેનું સહુ જાણો છો વરતંત રે ।।
નિશ્ચય આવે છે તેડવા નાથ રે, નિજસંત સખા લઈ સાથ રે ।।૩૪।।
અશ્વ રથ વહેલ્ય વિમાન રે, ગજ ગરૂડ ગાડિયો નિદાન રે ।।
આવે એક બે ત્રણ દિન આગે રે, દેઈ દર્શન ને દુઃખ ભાંગે રે ।।૩૫।।
તેને આવી કહે એમ નાથ રે, તુંને તેડી જાશું અમ સાથ રે ।।
થાજયે સાબદો કહી સહુને રે, કહેજયે આવ્યાં છે તેડવા મુને રે ।।૩૬।।
કરજયે વાયદો વિશ્વાસ લાવી રે, તેડી જાશું તે સમે અમે આવી રે ।।
નહિ પડે તેમાં ફેર કાંઈ રે, નિર્ભય રે’જયે તું મનમાંઈ રે ।।૩૭।।
એમ આગેથી કહે અવિનાશ રે, તેણે મન મગન રહે દાસ રે ।।
તેહ સમે તેડવાને આવે રે, સંગે સાજ અલૌકિક લાવે રે ।।૩૮।।
સર્વે સુખમય તે સમાજ રે, એમ આવે તેડવા મહારાજ રે ।।
વળી તે વિના બીજી છે રીત રે, સહુ સાંભળજો દઈ ચિત્ત રે ।।૩૯।।
જયારે ત્યાગવું હોય તનને રે, ત્યારે મો’રે જણાય જનને રે ।।
પછી બીજા જનને એમ કહે રે, મારો દેહ હવે નહિ રહે રે ।।૪૦।।
આજ થકી પાંચ દશ દન રે, વીશ ત્રીશમાં ત્યાગીશ તન રે ।।
જેને આવવું હોય મારે સંગે રે, તેને તેડી જાઉં હું ઉમંગે રે ।।૪૧।।
કરવું હોય જો સાબિત કેને રે, હરિધામમાં પોં’ચાડું તેને રે ।।
જે ધામમાં સદાય છે સુખ રે, નથી કોઈ વાતનું જિયાં દુઃખ રે ।।૪૨।।
તે ધામ ગોલોક કે’વાય રે, જેને મોટામોટા મને ચા’ય રે ।।
તેહ મધ્યે કરી રહો વાસ રે, જિયાં કાળ માયાનો નહિ ત્રાસ રે ।।૪૩।।
એવી હિંમત સોત હરિજન રે, એમ કહીને ત્યાગે છે તન રે ।।
એવી રીત સત્સંગ માંય રે, તેહ વિના બીજે નથી કયાંય રે ।।૪૪।।
એહ મોટા પ્રતાપને માનો રે, નથી એ પ્રતાપ કાંઈ છાનો રે ।।
સર્વે ધામ તણા જેહ ધામી રે, તે આવ્યા છે સહજાનંદ સ્વામી રે ।।૪૫।।
આવી શક્કો બેસાર્યો નવલ રે, અતિ અનુપમ જે અવલ રે ।।
સર્વે જીવ તણા સુખ કાજે રે, રૂડી રીત ચલાવી મહારાજ રે ।।૪૬।।
સુણી હરિજન રે’જયો મગન રે, મને માની લેજયો ધન્યધન્ય રે ।।
કહ્યાં જમપુરીનાં જે દુઃખ રે, તેના ભોગવનારા વિમુખ રે ।।૪૭।।
જેણે પ્રગટ પ્રભુને ત્યાગી રે, બીજી વાતે વળગ્યા અભાગી રે ।।
તે તો જમપુરીમાંઈ જાશે રે, તિયાં મનગમતો માર ખાશે રે ।।૪૮।।
કહી વિસ્તારી સરવે વાત રે, સુખ દુઃખ કહ્યાં સાક્ષાત રે ।।
નથી કે’વા કેડ્યે કાંઈ રાખ્યું રે, ભલી રીતે એ સર્વે ભાખ્યું રે ।।૪૯।।
જેવું કહ્યું’તું મહારાજે મુને રે, તેવું કહી સમજાવ્યું સહુને રે ।।
એહ મોટો થયો ઉપકાર રે, સુણી તરશે સહુ નરનાર રે ।।૫૦।।
પાપી બી’શે કરતાં તે પાપ રે, સુણી આ ગ્રંથ શ્રવણે આપ રે ।।
માટે રૂડું થયું જાણો જન રે, સુણી સહુ થાશે પાવન રે ।।૫૧।।
કહ્યું સર્વે સૂચવી સહુને રે, જેવું હરિએ ઉપજાવ્યું મુને રે ।।
આ જે જમદંડ ગ્રંથ ગાશે રે, સુણી જમદંડથી મુકાશે રે ।।૫૨।।
દેશે સાંભળી વિપ્રને દાન રે, અન્ન ધન વસ્ત્રાદિ સન્માન રે ।।
તે તો સુખી થાશે નરનાર રે, વળી સહજે તરસે સંસાર રે ।।૫૩।।
કહી સુખદુઃખની મેં વિધિ રે, જેવી મહારાજે આજ્ઞા કીધી રે ।।
કહ્યું મેં તો મતિ પ્રમાણે રે, જથાર્થ તો મહાપ્રભુ જાણે રે ।।૫૪।।
ઓછું અધિકું કહ્યું હોય કાંઈ રે, તે તો નાવ્યું હોય જાણ્યામાંઈ રે ।।
કહે નિષ્કુળાનંદ વિચારી રે, સહુ જન લેજયો હૈયે ધારી રે ।।૫૫।।