પૂર્વછાયો :-
સદમતિ સહુ સાંભળો, મેં કહ્યું કુસંગનું રૂપ ।।
અસત્ય નથી એમાં અણુ, છે તેમ જ તે તદરૂપ ।। ૧ ।।
વિષ વ્યાળ વેરી થકી, કહો સુખ પામે કુણ ।।
અનેક જુગ વીત્યા વીતશે, તોય તેમાં તેના તે ગુણ ।। ૨ ।।
તેમ કૃતઘની નરથી, પ્રાણી પામે દુઃખ અપાર ।।
તેનું આશ્ચર્ય નહિ કશું, નિશ્ચય જાણો નિરધાર ।। ૩ ।।
વળી કહ્યું મેં સતસંગથી, મટી જાય છે મહાદુઃખ ।।
કહુ રૂપ હવે તેહનું, જેથી જીવને થાય છે સુખ ।। ૪ ।।
ચોપાઈ :-
સુણો સર્વે હવે નર નાર, કહું સત્સંગનું રૂપ સાર ।।
અતિ મહિમા જેનો છે અપાર, કહેતાં કોઈ પામે નહિ પાર ।। ૫ ।।
શેષ મહેશ ને સરસ્વતી, ગુણ ગાય જેના ગણપતિ ।।
વળી શ્રીહરિ શ્રીમુખે કરી, ગાય સંતના જશ શ્રીહરિ ।। ૬ ।।
શોધી જોતાં સંતની સમાન, નથી ત્રિલોકે વસ્તુ નિદાન ।।
કલ્પતરુ કામધેનુ જેહ, શુદ્ધ પારસ ચિંતામણિ તેહ ।। ૭ ।।
નવ નિધિ સિદ્ધિ સર્વે મળી, એહ આદિ સમૃદ્ધિ સઘળી ।।
શોધી જોતાં એ સર્વેનું સાર, સુખ અલ્પ ને દુઃખ અપાર ।। ૮ ।।
તે તો સંત સમ તોલ નાવે, જેના જશ નિગમ નિત્ય ગાવે ।।
એવા સંત સહુના સુખકારી, જેના હૃદામાં રહ્યા મુરારી ।। ૯ ।।
શુભ ગુણના સદન સંત, તેનો મહિમા મોટો છે અત્યંત ।।
પરમારથી પુણ્ય પવિત્ર, નહિ શત્રુતા સહુના મિત્ર ।।૧૦।।
કહિયે દિલના દયાળુ એને, ક્ષમા કરવાનો સ્વભાવ જેને ।।
સર્વે જીવના છે હિતકારી, શીત ઉષ્ણ સહે દુઃખ ભારી ।।૧૧।।
કેના ગુણમાં અવગુણ ન ગોતે, શાંત સ્વભાવવાળા છે પોતે ।।
નથી શત્રુ જેને જગમાંય, વળી વર્તે છે વણ ઈરષાય ।।૧૨।।
નથી કેને ઉપર જેને વેર, માને રહિત મને અતિ મે’ર ।।
મત્સર નહિ સહુનું સહેવું, ઘટે બીજાને તેમ માન દેવું ।।૧૩।।
સત્યરૂપ સૌને લાગે પ્યારી, એવી વાણી બોલે છે વિચારી ।।
કામ ક્રોધ લોભ મોહ જીતી, નથી કોય મદપર પ્રીતિ ।।૧૪।।
વળી દેહમાંહી અહંબુદ્ધિ, પદારથ જે દેહના સંબંધી ।।
તેમાંથી અહંમમતનો ત્યાગ, સ્વધર્મમાં દઢ અનુરાગ ।।૧૫।।
દંભે રહિત દયાના ભંડાર, સદા પવિત્ર ભીતર ને બા’ર ।।
વળી દેહ ઇન્દ્રયો દમનાર, સરલ સ્વભાવ અતિ ઉદાર ।।૧૬।।
જીતી છે ઇન્દ્રયો સર્વે જાણો, વળી પ્રમાદ રહિત પ્રમાણો ।।
સુખ દુઃખ માન અપમાન, હર્ષ શોક લાભ વળી જયાન ।।૧૭।।
તેણે કરી પરાભવ પામી, ધીરજતામાં ન આવે ખામી ।।
કર્મ ઇન્દ્રયોનું ચપળપણું, ટાળ્યું છે જ્ઞાન ઇન્દ્રયોતણું ।।૧૮।।
નિજધર્મ અનુસારે આવે, તેણે કરીને દેહ નિભાવે ।।
તે વિના અધિક પદારથ, ન સંગ્રહે જાણી અનરથ ।।૧૯।।
વળી બીજાને બોધ કરવા, અતિ ચતુર અજ્ઞાન હરવા ।।
માને પોતાને આતમારૂપ, તેમાં નિષ્ઠા અતિશે અનૂપ ।।૨૦।।
યથા યોગ્ય જીવની ઉપર, કરે ઉપકાર બહુ પેર ।।
કોય પ્રકારનો ભય નથી, નથી ડરતા કોઈના ડરથી ।।૨૧।।
અપેક્ષા પદારથ કોઈની, નથી ઇચ્છા સુખદ સોયની ।।
દ્યૂતાદિક વ્યસને રહિત, સદા વર્તે છે શ્રદ્ધા સહિત ।।૨૨।।
અતિ ઉદાર સ્વભાવે યુકત, તપ કરવા નિષ્ઠા એવા મુકત ।।
ન કરે કોઈ પ્રકારનું પાપ, ત્યાગે વાત ગ્રામ્યકથા આપ ।।૨૩।।
પંચ વિષયની આસકત ટળી, આસ્તક મતિવાળા છે વળી ।।
સત્યાસત્યના વિવેક યુકતે, મદ્ય માંસાદિ કે દી ન ભુકતે ।।૨૪।।
સતશાસ્ત્ર સુણવા વ્યસન, દઢ વ્રત ધાર્યા જેણે મન ।।
ચાડી ચોરી કેદિયે ન કરે, હેરુપણું પરું પરહરે ।।૨૫।।
છાની વાત કોઈની જો હોય, બીજા આગળ ન કહે સોય ।।
જીતી નિદ્રાને જીત્યો આહાર, એવા સંત સદાય ઉદાર ।।૨૬।।
જેવું મળે પદારથ જયારે, સદા સંતોષ રહે છે ત્યારે ।।
નિજધર્મ વિષે બુદ્ધિ ઠેરી, હિંસા રહિત વૃત્તિ જેહ કેરી ।।૨૭।।
પદારથની તૃષ્ણાને ટાળી, થાય પોતાને સુખદુઃખ વળી ।।
તેમ પારકું સુખદુઃખ જાણે, પોતાને થાય તે પરમાણે ।।૨૮।।
સતશાસ્ત્ર પાડે જેની નાજ, તે ન થાય આવે અતિ લાજ ।।
ન કરે પોતે પોતાનાં વખાણ, ન કરે બીજાની નિંદા સુજાણ ।।૨૯।।
સત્યશાસ્ત્રે કહ્યા નિષ્કામ, બ્રહ્મચર્ય વ્રતધારી નામ ।।
અષ્ટ પ્રકારે પાળે છે એહ, જથારથ જાણી લિયો તેહ ।।૩૦।।
યમ નિયમ જુકત છે એ જન, જેણે જીત્યાં છે સર્વે આસન ।।
પ્રાણવાયુને જીત્યો છે જેણે, પ્રીત શ્રીહરિમાંય છે તેણે ।।૩૧।।
શ્રીહરિનાં જે ચરણ કમળ, તેનો દઢ આશ્રય અચળ ।।
શ્રીકૃષ્ણની ભકતપરાયણ, સદા રહે છે દિવસ રયણ ।।૩૨।।
કરે કૃષ્ણ અર્થે ક્રિયા સર્વ, તજી માન મોટાઈ ને ગર્વ ।।
શ્રીકૃષ્ણ અવતાર ચરિત્ર, હરખે સુણે શ્રવણે પવિત્ર ।।૩૩।।
અવતારચરિત્રનું ગાન, કરે કીર્તનને તે નિદાન ।।
કૃષ્ણમૂર્તિનું કરે છે ધ્યાન, તે પરાયણ છે જેનું તાન ।।૩૪।।
હરિભકત વિના કોઈ કાળ, નથી ખોતા એવા છે દયાળ ।।
નિત્ય નારાયણને ભજે છે, અન્ય વાસના સર્વે તજે છે ।।૩૫।।
એવાં લક્ષણે યુકત જે સંત, સત્પુરુષ કે’વાય મહંત ।।
એહ આદિ શુભ ગુણ જેહ, હોય સાચા સંતમાંહી તેહ ।।૩૬।।
એવા સદગુણે જે સંપન્ન, તેને કહિયે સાચા સંતજન ।।
એવા સાચા સંત હોય તિયાં, હોય પ્રગટ શ્રીહરિ જિયાં ।।૩૭।।
હરિ હોય તિયાં હરિજન, સતસંગની રીત પાવન ।।
કાં તો મળે હરિ ધરી તન, કાં તો મળે તેના મળ્યા જન ।।૩૮।।
સતસંગ એ ઉભય કહિયે, તેહ વિના કલ્યાણ ન લહિયે ।।
કહી રીત એ સતસંગ તણી, જથારથ જાતી નથી ભણી ।।૩૯।।
સંત સદા નિર્ભય નિશ્ચિંત, જેને પ્રગટ પ્રભુશું પ્રીત ।।
સાક્ષાત હરિના સુખ માંય, રહ્યા અચળ પર્વતપ્રાય ।।૪૦।।
હરિ અમલમાં હરે ફરે, કોટિ જીવનાં કલ્યાણ કરે ।।
કૃષ્ણચરણમાં માન્યું ચિત્ત, બીજે રહી નહિ જેની પ્રીત ।।૪૧।।
શ્યામસુખમાં રહ્યા સમાઈ, તેણે મગન ઘણું મનમાંઈ ।।
અનુભવે અમલમાં બોલે, જાણે પિંડ બ્રહ્માંડ તૃણતોલે ।।૪૨।।
સુખ સંસારી જે જે કે’વાય, તેને સ્વપ્ને પણ ન ચહાય ।।
નર નિર્જરનાં સુખ જે છે, ઈશ અજનાં સુખને ન ઈચ્છે ।।૪૩।।
એક રાધિકાપતિ શ્રીકૃષ્ણ, તેને પામીને રહ્યા છે પ્રષ્ણ ।।
એવા સંત સુખિયા છે સરે, મળે જેને તેનાં કાજ કરે ।।૪૪।।
એહ સતસંગ સુણો ભાઈ, તે હોય જુગો જુગની માંઈ ।।
એહ મળે ટળે જમત્રાસ, પાછો આવે નહિ ગર્ભવાસ ।।૪૫।।
મળે એવો સમાગમ જયારે, જીવ નિર્ભય થાય છે ત્યારે ।।
સુખી થાવા સંતસમાગમ, નિશ્ચે કહે છે એમ નિગમ ।।૪૬।।
એવા હોય સાચા જિયાં સંત, તિયાં હોય પોતે ભગવંત ।।
તેહ વિના ન હોય એવી રીત, સર્વે લોક થકી જે પુનિત ।।૪૭।।
એમ સમજી સમાગમ કરિયે, તો જન્મ મરણથી તરિયે ।।
મટે માથેથી જમનો માર, આવે સર્વે દુઃખનો તે પાર ।।૪૮।।
એહ વિના નથી જો ઉપાય, જેણે જન્મમરણ દુઃખ જાય ।।
સાર માંહી વાત એ છે સાર, તે તો કહી દેખાડી કઈ વાર ।।૪૯।।
કહે નિષ્કુળાનંદ એમ સત્ય, કહી સતસંગની વિગત્ય ।।
સુખી થાવા જીવને એ ઠામ, તેહ વિના નથી વિશ્રામ ।।૫૦।।