પૂર્વછાયો :-

એહ નરકથી નીસર્યો, બહુ વરસ રહી બા’ર ।।

ત્યાર પછી દુઃખ પામશે, તે કહું કરી વિસ્તાર ।। ૧ ।।

વજ્રકંટક શાલ્મલી, નામે નરક નિદાન ।।

જેહ પાપે પાપી પડે, કહું સૌ સુણો દઈ કાન ।। ૨ ।।

પાપી પરત્રિય પશુ આદિ, કરે કામવશ પ્રસંગ ।।

એહ પાપે પરલોકમાં, પામે તે દુઃખ અભંગ ।। ૩ ।।

સ્પર્શના જો સુખ સારુ, કર્યો ધર્મનો તે લોપ ।।

તેની ઉપર દૂત જમના, કરે છે અતિશય કોપ ।। ૪ ।।

સમું કહેતાં વસમું, સમજતો નર સોય ।।

વજ્રકંટકે વસિયો, જયાં સા’ય ન કરે કોય ।। ૫ ।।

વજ્ર સરીખે કાંટે કહિયે, શાલ્મલીનાં ઝાડ ।।

તેહ ઉપર નાખી તાણે, પાડે ત્યાં રાડોરાડ ।। ૬ ।।

દેતાં દંડ જમદૂત હારે, ત્યારે જ આવે અંત ।।

ચાલતો વહીવટ વિપત્તિનો, સત્ય માનજયો બુદ્ધિવંત ।। ૭ ।।

એમ પ્રાણી ભોગવે, નિત્ય પ્રત્યે દુઃખ અનંત ।।

ત્યાંથી પડે વૈતરણીએ, ભાઈ કહું તેનું વરતંત ।। ૮ ।।

ચોપાઈ :-

આલોકે નૃપ નૃપના જન રે, સતકુળમાં થયા ઉત્પન્ન રે ।।

પણ ધર્મ મર્યાદાને ભાંગી રે, વર્તે અધર્મે નર અભાગી રે ।। ૯ ।।

એવા રાજા ને રાજાના ભૃત્ય રે, પડે વૈતરણીએ પામી મૃત્ય રે ।।

જેમાં વિષ્ટા મૂત્ર પરુ લોઈ રે, કેશ નખ અસ્થિ મેદ સોઈ રે ।।૧૦।।

માંસ ત્વચાએ ભરી વૈતરણી રે, દુઃખદાય કૈ’યે શું વરણી રે ।।

નરક ખાઈરૂપ છે એ નદી રે, જેમાં જળ જંતુ રહ્યા મદી રે ।।૧૧।।

જિયાં તિયાંથી તોડીને ખાય રે, તેને દુઃખે કરે હાયહાય રે ।।

કર્યાં કર્મ સંભારેે છે આપ રે, કે’છે કયાંથી કર્યાં આવાં પાપ રે ।।૧૨।।

પામે પીડા પ્રાણ ન નીસરે રે, હાય મુવોમુવો એમ કરે રે ।।

એમ રાજા રાજાના પદાતિ રે, પામે પાપે દુઃખ દિન રાતિ રે ।।૧૩।।

એવી વૈતરણી મહાવિકટ રે, જેમાં દુઃખ અતિ દુરઘટ રે ।।

સહ્યું ન જાય શરીરે સોય રે, તમે સાંભળજયો સહુ કોય રે ।।૧૪।।

વળી કહુ કુંડની રીત રે, જેમાં દુઃખ અતિ અગણિત રે ।।

નર્ક નર્ક પ્રત્યે દુઃખ નોખાં રે, એક એક થકી અતિ ઓખાં રે ।।૧૫।।

જેણે જેવાં કર્યાં હોય પાપ રે, તેવો તે પ્રાણી પામે સંતાપ રે ।।

કર્યું કર્મ પોતાનું તે સે’વું રે, જેણે જેવું કર્યું હોય તેવું રે ।।૧૬।।

વળી આ લોકે શૂદ્રીના સંગી રે, શૌચાચાર નિયમ ઉલ્લંઘી રે ।।

નર પશુ પેઠે લજજા ત્યાગી રે, મનવશ વર્તે છે અભાગી રે ।।૧૭।।

તે તો મરી પરલોકે જાય રે, પડે પુયોદ નરકની માંય રે ।।

પરુ મૂત્ર વિષ્ટા લીંટ લાળ રે, તેનો ભર્યો સમુદ્ર કરાળ રે ।।૧૮।।

તેમાં પડે પિયે ખાય તેહ રે, નર વૃષલીપતિ થયા જેહ રે ।।

એમ વિચારી વિકળ ન થાવું રે, પડશે જરૂર જમપુર જાવું રે ।।૧૯।।

તિયાં રંગીલાપણું નહિ રહે રે, સત્ય ધર્મવાળા સહુ કહે રે ।।

મરડ ઠરડ મટાડશે મારી રે, કરજયો કર્મ વિચારી નરનારી રે ।।૨૦।।

વળી પાપીના પાપ પ્રમાણે રે, નાખે પ્રાણરોધ નરક ખાણે રે ।।

પ્રાણરોધમાં પડે છે પાપી રે, સુણો વાત સહુ કાન આપી રે ।।૨૧।।

આ લોકે બ્રાહ્મણાદિક કૈ’યે રે, ખરા ખર સરીખા તે લૈયે રે ।।

મારે મૃગને કરે અકાજ રે, જેની સત્યશાસ્ત્રે પાડી નાજ રે ।।૨૨।।

તેહ મરી જમપુર જાય રે, પડે પ્રાણરોધ નરક માંય રે ।।

તેનું કિંકર કરી નિશાણ રે, રોમરોમ વેંધે મારી બાણ રે ।।૨૩।।

છેદી નાખે છે પાપીની છાતી રે, પામે પીડા કહી નથી જાતી રે ।।

જોઈ જોઈ શરીરના હાલ રે, પછી રુવે કૃપણ કંગાલ રે ।।૨૪।।

વળી આ લોકે પુરુષ દંભે રે, દંભમય જગન આરંભે રે ।।

મારે પશુ એ જગન માંય રે, તે મરી વૈશાસન જાય રે ।।૨૫।।

ઝાલે જમદૂત ગળે જોરે રે, મારે પશુ પેઠે તે બકોરે રે ।।

પાડે કાળીરાડ્ય તે કુકર્મી રે, જે કોઈ ઇયાં થયા’તા અધર્મી રે ।।૨૬।।

થોડા સુખ સારુ દુઃખ મોટું રે, બાંધી લીધી ભેળી પાપ પોટું રે ।।

તે તો ભોગવે આવશે પાર રે, સહુ નિશ્ચે જાણો નિરધાર રે ।।૨૭।।

વળી પોતાના પાપ પ્રતાપે રે, પડે લાલાભક્ષ માંય આપે રે ।।

લાલાભક્ષનું દુઃખ અપાર રે, કહું કાંઈક તે નિરધાર રે ।।૨૮।।

આ લોકે ત્રણે વર્ણના પુરુષ રે, આપે પાપી થઈ કામવશ રે ।।

પોતાના વર્ણની જે નાર રે, પાપી તેશું કરે વ્યભિચાર રે ।।૨૯।।

તેહ પાપે જમદૂત ત્યાંઈ રે, નાખે છે વીર્યની નદી માંઈ રે ।।

મારી મુદગર મસ્તક માંય રે, પાપી જીવને વીર્ય ત્યાં પાય રે ।।૩૦।।

આવે ઊબકા અતિ ઓકારી રે, તોય પીવરાવે મારી મારી રે ।।

દિયે દંડ એમ દિનરાત રે, પામે પીડા પ્રાણી બહુ ભાત રે ।।૩૧।।

વળી આપ પાપે પાપી જન રે, પડે છે તે સારમેયાદન રે ।।

સારમેયાદનનું જે દુઃખ રે, તે તો કહ્યું જાય નહિ મુખ રે ।।૩૨।।

જેહ પાપે પડે એહ માંઈ રે, તેહ સાંભળજયો કહું ભાઈ રે ।।

કરે ચોરી મૂકે વળી આગ્ય રે, બાળે ગામ પુર વન જાગ્ય રે ।।૩૩।।

દિયે ઝેર લૂંટે ગામ સાર્થ રે, એવો કરે છે પાપી અનર્થ રે ।।

એવા કુકર્મના કરનાર રે, હોય રાજા કે રાજાના ચાકર રે ।।૩૪।।

તે મરી જમપુરીમાં જાય રે, તેને જમના દૂત તોડી ખાય રે ।।

શ્વાન સાતસો ને વીશ વળી રે, ચૂંથી ખાય છે પાપીને મળી રે ।।૩૫।।

વજ્રસરીખી છે જેની દાઢ્યો રે, તોડે તન પાડે તેણે રાઢ્યો રે ।।

કોણ મુકાવે મહાદુઃખમાંથી રે, જેણે સાચી વાત માની નથી રે ।।૩૬।।

હોય સાચી વાતના કે’નારા રે, તે તો એને લાગ્યા નહિ સારા રે ।।

વળી પાપીનો કરી તપાસ રે, નાખે અવિચી નરકમાં તાસ રે ।।૩૭।।

અવિચીનું દુઃખ છે અલેખે રે, તે તો ભોગવશે રાઈ રેખે રે ।।

તેમાં કરશે નહિ કાંઈ માપ રે, દેશે દુઃખ જોઈ જેવા પાપ રે ।।૩૮।।

જેહ પૂરે જૂઠી સાખ્ય જન રે, બોલે અસત્ય લેતાં દેતાં ધન રે ।।

આપી દાન ને બોલે અસત્ય રે, એવી પાપમય જેની મત્ય રે ।।૩૯।।

પછી એને અવિચીથી નાખે રે, પાપીને કોણ પડતો રાખે રે ।।

અવિચી નામે પર્વત જાણો રે, એવો નરક પ્રૌઢ પ્રમાણો રે ।।૪૦।।

તેમાં ઊંચા પગ નીચું શીશ રે, એમ નાખે કિંકર કરી રીશ રે ।।

શત જોજન ઊંચો છે એહ રે, તેને માથેથી નાખે છે તેહ રે ।।૪૧।।

દીસે તરંગ નહિ જળ જેમાં રે, ભર્યા એકરસ પાણા તેમાં રે ।।

થાય તલતલ કટકા તન રે, તોય મરે નહિ પાપી જન રે ।।૪૨।।

એમ અસત્યના બોલનાર રે, સહે દુઃખ અપરમપાર રે ।।

વળી વિપ્ર વિપ્રની જે ઘરુણી રે, કરે પ્રમાદે પાન વારુણી રે ।।૪૩।।

વળી વિપ્ર વિના વર્ણ અન્ય રે, કરે વ્રતદિને સુરાપાન રે ।।

ક્ષત્રી વૈશ્યાદિ પ્રમાદે વળી રે, જે પિયે છે સોમવલી મળી રે ।।૪૪।।

તે પાપે એ જીવ નિદાન રે, પડે નરક નામે અયઃપાન રે ।।

જયારે વિપ્ર આદિ ત્રણે વર્ણ રે, જાય જમપુરી પામી મર્ણ રે ।।૪૫।।

તેની જમદૂત છાતી દબાવી રે, પાય લોહરસ તેને લાવી રે ।।

તેહ દુઃખે કરે હાય હાય રે, ભૂખ પ્યાસે કરી પ્રાણ જાય રે ।।૪૬।।

વળી ઈયાં અધમ નર છોટો રે, માને કરી માને છે હું મોટો રે ।।

જે કોઈ જન્મ તપ વિદ્યા વર્ણે રે, મોટા આશ્રમ ચાર આચર્ણે રે ।।૪૭।।

તેની ગણતી નહિ કહું કાંઈ રે, એવો અભિમાની મનમાંઈ રે ।।

સૌથી જાણે પોતાને સરસ રે, બીજાને તો જાણે છે નરસ રે ।।૪૮।।

તેનું કરે અપમાન અતિ રે, તે કરે ક્ષારકર્દમે ગતિ રે ।।

હેઠું માથું ને ઊંચા છે પગ રે, નાવે થાહ પડ્યો તેમાં ઠગ રે ।।૪૯।।

એવાં જમપુરીનાં જે દુઃખરે, પામે પ્રાણી પ્રભુથી વિમુખ રે ।।

સાચા સંતની શીખ ન માની રે, થયો અસંત સંગે અભિમાની રે ।।૫૦।।

એવી અભાગી નરની રીત રે, ખોટા માંય છે ખરી પ્રતીત રે ।।

જેવું જૂઠું અંતરમાં પેસે રે, તેવું સાચામાં મન ન બેસે રે ।।૫૧।।

કહો કેમ થાય એહ સુખી રે, સાચી વાત ન માને મનમુખી રે ।।

જે જીવના પરમ સનેહી રે, જાણ્યા શત્રુ સરીખા તેહી રે ।।૫૨।।

તેહ પાપે પડે નરક માંય રે, ન મળે ઉપાય એનો હવે કાંય રે ।।

હોય સમજુ તો સમજે સમું રે, લાગે અણસમજુને વસમું રે ।।૫૩।।

વાત હેતની છે રાખો હૈયે રે, વારેવારે કેટલુંક કૈયે રે ।।

કહે નિષ્કુળાનંદ કેટલું રે, આવું સુણી ચેતો તો છે ભલું રે ।।૫૪।।