પૂર્વછાયો :-
હરિજનદ્રોહી વિપ્રવિરોધી, ગુરુદેવનો ગુનેગાર ।।
એવો જે અભાગિયો, તે પડ્યો નરક મોઝાર ।। ૧ ।।
જે જેવાં કર્મ કરે, ભાઈ તેને જ તેવો દંડ ।।
પછી પાપ તપાસી નાખિયો, કાળસૂત્ર નરકને કુંડ ।। ૨ ।।
પિતા વિપ્ર વેદ દ્રોહી, પશુ વેંધી કરે જે પાપ ।।
તેહ પાપે કાળસૂત્રમાં, પાપી પામે છે સંતાપ ।। ૩ ।।
તે કુંડ ઊંડો ભૂંડો ઘણો, એને ઉપમા કેની દઈયે ।।
પાપી પ્રાણીને પીડવા, સર્વે દુઃખનો સિંધુ કહિયે ।। ૪ ।।
દશ હજાર જોજન ફરતો, તાંબાવરણો છે તેહ ।।
ઉપર હેઠે અગ્ન અર્કે, અતિશય તપાવ્યો એહ ।। ૫ ।।
ચોપાઈ :-
ભૂખ પ્યાસ પીડે ત્યાં અપાર, બળે દેહ અંતર ને બા’ર ।।
માર્યા પશુ શરીરના વાળ, તેને લેખે કિંકર તતકાળ ।। ૬ ।।
એટલાં હજાર વર્ષ સુધી, મારે છે એ નરકમાં રુંધી ।।
સુવે બેસે લોટે ઊભો થાય, ધોડે પડે ગોટિકલાં ખાય ।। ૭ ।।
તડફડે ફડફડે ઘણું, આવ્યું પાપ કરેલ આપણું ।।
લીધો ઘેરી વેરી વશ થયો, મારો મારો કહે દુઃખ દિયો ।। ૮ ।।
શું વિચારી રહ્યા છો મનમાં, કરો પ્રહાર અતિ એના તનમાં ।।
પછી તેમ જ દિયે છે દુઃખ, પામે પીડા પ્રભુનો વિમુખ ।। ૯ ।।
એવી રીતે વીતે કંઈ દન, પછી નાંખ્યો અસિપત્ર વન ।।
અસિ જેવી બેઉ કોરે ધાર, એવાં તાડના પત્ર અપાર ।।૧૦।।
નિજધર્મ વેદે કહ્યો જેહ, આપત્કાળ વિના તજે તેહ ।।
પરનો જે પાખંડ મારગ, ભરે અવશે તે માંહી પગ ।।૧૧।।
નિચધર્મ માંહી બાંધી નેહ, તેમાં વટલાવે નિજદેહ ।।
કરે અશુભ આહાર અભાગી, કુળધર્મ પોતાનો ત્યાગી ।।૧૨।।
એહ પાપે અસિપત્ર વને, પડે પ્રાણી સહે દુઃખ તને ।।
ધોડે ધાયે કપાય છે પંડ, દિયે દૂત ઉપરથી દંડ ।।૧૩।।
તેણે કરી કરે હાય હાય, મુવો મુવો આવી મૂરછાય ।।
ફળ પાખંડ ધર્મનું એહ, ભોગવી નર નીસરે તેહ ।।૧૪।।
એવા નરકના કુંડના દુઃખ, તે તો કહ્યાં જાય કેમ મુખ ।।
કે’તાં કે’તાં નાવે જેનો અંત, એવાં અહોનિશ દુઃખ અત્યંત ।।૧૫।।
વળી આલોક માંહી અભાગી, કરે અન્યાય ન્યાયને ત્યાગી ।।
રાજા રાજાના ચાકર જેહ, લૂંટે વણ વાંકે લોક તેહ ।।૧૬।।
દિયે સંત વિપ્ર શિર દંડ, લૂંટે ઘર ગામ શે’ર ખંડ ।।
વણ વાંકે કરે અનરત્ય, પછી નૃપ ને નૃપના ભૃત્ય ।।૧૭।।
પડે સૂકરમુખ તે ઘડી, પીલે જેમ ચીચુંમાં શેલડી ।।
એમ પીલે છે પાપીનું તન, તેણે કરે કાયર રોદન ।।૧૮।।
વણ વાંકે રૈયતને રુંધી, લીધો દંડ મારી મૂવા સુધી ।।
ના’વી મે’ર તેની મનમાંય, પરપીડાને ન જાણી કાંય ।।૧૯।।
અતિ દુષ્ટ દયા નહિ લેશ, એવા પૃથવી પર નરેશ ।।
એવા રાજા ને રાજાના ભૃત્ય, પડે સૂકરમુખે પામી મૃત્ય ।।૨૦।।
સહે દુઃખ કાળ કંઈ જાય, ત્યારે એ દુઃખમાંથી મુકાય ।।
સૂકરમુખનું દુર્ઘટ દુઃખ, તે ભોગવે હરિના વિમુખ ।।૨૧।।
કર્યું નરસું નિઃશંક થઈ, એવા પ્રાણીની એ ગતિ કઈ ।।
વળી આ લોકમાં જે વિમુખ, દિયે અલપ જીવને દુઃખ ।।૨૨।।
ચાંચડ માંકડ જૂ જૂવા જેહ, બગા માંખી કીડી આદિ તેહ ।।
પશુ પંખી વ્યાળાદિક વળી, એવા માર્યા જંતુ બહુ મળી ।।૨૩।।
એહ પાપે પડે અંધકૂપ, જેમાં અતિ તમ દુઃખરૂપ ।।
વળી ઝેરવાળા જંતુ બહુ, આવી વળગે અંગમાં સહુ ।।૨૪।।
નાવે નિદ્રા નહિ સુખ ઘડી, ધોડે અકળાયે જાય પડી ।।
શ્વાસ વિના જણાય શરીર, ચાલે આંખ્યમાં ચોધારાં નીર ।।૨૫।।
હાય મુવો મુવો કહે મુખ, ભાઈઓ નથી ખમાતું આ દુઃખ ।।
એમ ભોગવે દુઃખ અપાર, કૈક કલ્પ વીતે કાઢે બા’ર ।।૨૬।।
પછી કર્યાં કર્મ તેહ વડે, પાપી કૃમિભોજનમાં પડે ।।
જેણે ખાધું નહિ વેં’ચી અન્ન, વળી ન કર્યા પંચ જગન ।।૨૭।।
નાપ્યું અતિથિને અન્ન કાંઈ, ખાધું એકલા ખૂણે સંતાઈ ।।
એ પાપે નાખે જમ પરાણે, કૃમિભોજન નરકની ખાણે ।।૨૮।।
શત સહસ્ર જોજન જેમાં જંત, ભર્યા કૃમિયા જેમાં અત્યંત ।।
તેમાં નાખી કીટ ખવરાવે, દઈ માર મુખે ચવરાવે ।।૨૯।।
કહે પાપ કરતો તું પ્રાણી, જમના દંડને જૂઠા જાણી ।।
તે તો સાચાં થયાં પુણ્ય પાપ, હવે સુખે ભોગવ્ય તું આપ ।।૩૦।।
સુખ સરવે ગયું છે મટી, આવ્યું એકલું દુઃખ ઊલટી ।।
રાત દિવસ રોતાં ને રોતાં, દિન જાશે બહુ દુઃખ ડોતાં ।।૩૧।।
એમ દઈ દૂત દુઃખ ભારે, કૈક વર્ષ વીતે કાઢે બા’રે ।।
ત્યાંથી નાખે સંદશ મોઝાર, જેમાં દુઃખ તણો નહિ પાર ।।૩૨।।
જેહ પાપે પડે એમાં જીવ, તેહ વાત કહુ તતખેવ ।।
નરે ન કર્યાનાં કામ કીધાં, જેને તેને દુઃખ બહુ દીધાં ।।૩૩।।
જેણે આ લોકે વિપ્રનાં ધન, ચોર્યા સુવર્ણાદિક રતન ।।
વળી વણ પડ્યે આપતકાળ, ચોરે હેમ બીજાનું ચંડાળ ।।૩૪।।
જેનું તેનું લેવું ઝડીઝોટી, ખરો તસ્કર નજર ખોટી ।।
પાપી પોતાના સુખને કાજ, કરે દગા બહુ દગાબાજ ।।૩૫।।
તેને નાખે છે સંદશ નરકે, જેના દંડ દુઃખે પ્રાણી થરકે ।।
લાવે લોહસાણસિયો તાતી, તેણે તોડે ત્વચા કર છાતી ।।૩૬।।
કાઢે તન તણી રગો તાણી, રખે ચોરતા જૂઠું એ જાણી ।।
સર્વે ઋષિ મુનિનો એ મત, તે તો કે દી ન થાય અસત ।।૩૭।।
મોટા મોટા ગયા એમ કથી, ખરાખરી છે ખોટી એ નથી ।।
એમ ભોગવી દુઃખ વિકર્મી, ત્યાંથી કાઢી નાખે તપ્તસૂર્મી ।।૩૮।।
જે પાપે એ નરકમાં પડે, કર્યાં કર્મ તે કેમ ન નડે ।।
કામવશ થઈને કુકર્મી, કરે અનર્થ નર અધર્મી ।।૩૯।।
આ લોકે અગમ્ય એવી દાર, પાપી તેશું કરે વ્યભિચાર ।।
અથવા અગમ્ય એવો પુરુષ, કરે નારી સંગ કામવશ ।।૪૦।।
તેહ પુરુષ અને તેહ નાર, પામે નરકમાં દુઃખ અપાર ।।
તિયાં ત્રિયા કરે લોઢા તણી, અતિ તપાવે છે તેહ ઘણી ।।૪૧।।
તેશું બથ લેવારે બહુ વાર, એકવારની વાર હજાર ।।
તેમ લોઢાનો પુરુષ તપાવી, બથ ભરાવે નારીને લાવી ।।૪૨।।
નારી નીરખે ચિંતવે ને સ્પરશે, તે નર મરી જન્મ જયાં ધરશે ।।
તિયાં પામશે તેહનું ફળ, ખરો ખ્વાર થાશે નર ખળ ।।૪૩।।
જેણે જોઈ નયણે પરનારી, થઈ કામાતુર ભૂર ભારી ।।
તે નર જન્મોજન્મ આંધળો, થાય જાય જન્મ સઘળો ।।૪૪।।
વળી જે જન ચિંતવે નારી, વિષયસુખ ન મેલે વિસારી ।।
તે નર ક્ષયરોગમાં ખવાય, એવું ચિંતવ્યાનું ફળ થાય ।।૪૫।।
જે નર સ્પર્શે પરનારી અંગ, થાય કોઢિયો તેને પ્રસંગ ।।
એમ જન્મોજન્મ દુઃખ પામી, ખોશે આવરદાને હરામી ।।૪૬।।
એ પ્રમાણે યોષિતાનું જાણો, મળે ફળ સમ પરમાણો ।।
ભાંગી મર્યાદ મહાપ્રભુ કેરી, તેને કયાંથી મળે સુખ ફેરી ।।૪૭।।
ભેળાં લીધાં છે પૂરણ ભાતાં, તે તો ખૂટશે નહિ ખાતાંખાતાં ।।
કરી આવ્યો છે પૂરી કમાણી, જમપુરનું દુઃખ જૂઠું જાણી ।।૪૮।।
એમ નરનારી થાય હેરાણ, જેના વિષય સાથે બાંધ્યા પ્રાણ ।।
એમ દુઃખ પામે દોય આપ, જેણે કર્યાં છે પૂરણ પાપ ।।૪૯।।
તેની વાત કહી બહુ વિધ, છે જો એમ પુરાણે પ્રસિદ્ધ ।।
કહી નિષ્કુળાનંદે એ કથી, સત્ય માનજયો જૂઠી એ નથી ।।૫૦।।