પૂર્વછાયો :-

પછી પ્રાણી પોકારીને, કહે સુણો ધર્મ નિદાન ।।

અધર્મ આવો કાં કરો, કાંરે કોયે ન સાંભળો કાન ।। ૧ ।।

જે દીથી તન મેં ત્યાગિયું, તે દીથી મારો જ માર ।।

અંગોઅંગ ભાંગી ગયાં, તોય હજી ન આવ્યો પાર ।। ૨ ।।

ધર્મ નામ શીદ ધારિયું, જયારે દયા નહિ દિલમાંય ।।

મુજ જેવા કંગાલ પર, નથી કરુણા જો કાંય ।। ૩ ।।

મેં જાણ્યું મન માહરે, ગુહ્ના બક્ષશે ધર્મરાય ।।

ત્યાં તો સામું કોપ કરી, મુને નાખ્યો મહાદુઃખ માંય ।। ૪ ।।

એવું સુણી રાય બોલિયા, તું સાંભળ્ય પાપી વાત ।।

જમદંડને તેં જૂઠા જાણી, ઘણી ઘણી કરતો ઘાત ।। ૫ ।।

કહ્યું શાસ્ત્ર સંતે મળી, સુણી તે ન માન્યું મન ।।

આજ મનાવે છે અમને, જેને છે હરિનું વચન ।। ૬ ।।

સાચા સંતથી સુણ્યું નહિ, સત્યશાસ્ત્રનું તે સાર ।।

નિજ દોષ નથી દેખતો, કરે છે બીજાને ગુનેગાર ।। ૭ ।।

હવે લઈ જાઓ જમદૂત એને, આપું છું આગન્યા એહ ।।

અઠ્ઠાવીશ જે નરક છે, હવે ભોગવે મર તેહ ।। ૮ ।।

એમ રાયે આજ્ઞા કરી, તે ધરી જમદૂતે ચિત્ત ।।

કઠણ છે કૂપ નરકના, મહા ભયંકાર ભયભીત ।। ૯ ।।

તે જુકતે કરી કહું જૂજવાં, કહુ નરકનાં જે નામ ।।

જેહ પાપે પડે નરકમાં, પાપી પુરુષ ને વામ ।।૧૦।।

પંચમસ્કંધે પરીક્ષિત પ્રત્યે, શુકે કહ્યાં નરક સોય ।।

વિધવિધે તે વર્ણવું, તમે સાંભળજયો સહુ કોય ।।૧૧।।

તામિસ્ર અંધતામિસ્ર, રૌરવ મહારૌરવ જે ।।

કુંભીપાક ને કાળસૂત્ર, અસિપત્રવન દુઃખદવ જે ।।૧૨।।

સૂકરમુખ અંધકૂપ કહિયે, કૃમિભોજન ને સંદશ ।।

તપ્તસૂર્મિ વજ્રકંટક, શાલ્મલી જાણો ત્રયોદશ ।।૧૩।।

વૈતરણી પુયોદ પ્રાણરોધ, વૈશાસન નરક દુઃખ વળી ।।

લાલાભક્ષ સારમેયાદન, અવિચિ અયઃપાન મળી ।।૧૪।।

એકવીશ નરક એ કહ્યાં, ક્ષારકર્દમ રક્ષોગણ ભોજન ।।

શૂલપ્રોત દંદશૂક, વળી અવટરોધન ।।૧૫।।

પર્યાવર્તન સૂચિમુખ, એ સર્વે દુઃખના સ્થળ છે ।।

નરક અઠ્ઠાવીશ નામ કહ્યાં, એ પાપીને પાપનું ફળ છે ।।૧૬।।

જેણે જેવાં કર્મ કર્યા, તેહને તેહવો દંડ ।।

પાપી જીવને પીડવા, કરિયા અઠ્ઠાવીશ કુંડ ।।૧૭।।

જેવે પાપે એ જીવ પડે, નરકમાં નર નાર ।।

શ્રવણ દઈ હવે સાંભળો, કહુ નરક તે નિરધાર ।।૧૮।।

પરધન પરદારા પાપી, હરે પરના વળી બાળ ।।

એહ પાપે એહ જીવને, નાખે તામિસ્રમાં તતકાળ ।।૧૯।।

અતિ ભયાનક ભૂંડો ઊંડો, જેમાં જંતુ અતિ અંધાર ।।

જમદૂતે ગળે બળે બાંધી, નાખ્યો તેહની મોઝાર ।।૨૦।।

ખાવું પીવું ન દેવું કે’વું, હવે જોજયે પાપી તારા હાલ ।।

એમ કહીને તાડે પછાડે, પાડે રાડોરાડ્ય કંગાલ ।।૨૧।।

કહે કિયાં જાઉં કેમ કરું, કેમ પામીશ દુઃખનો પાર ।।

પીડા માંહી પ્રાણિયો, કરે કાયર સાદે પોકાર ।।૨૨।।

પછી કંઈક કલપે કાઢિયો, એહ નરકથી બા’ર ।।

પાપ તપાશીને પાપીનાં, નાખે અંધતામિસ્ર મોઝાર ।।૨૩।।

કપટ વિકટ કરતો ભરતો, પાપી પાપમાં પગ ।।

ભોળા પુરુષને છળી વળી, લેતો ધન ત્રિયા તેનું ઠગ ।।૨૪।।

એહ પાપે નાખિયો, તેહ અંધતામિસ્ર માંઈ ।।

યમદૂતના મારથી, જેની મતિ ગઈ છે મુઝાઈ ।।૨૫।।

મહા અંધારું જેમાં મોટા, જંતુ અતિશે અનંત ।।

રોમેરોમે તન તોડી ખાય, તેનો ન આવે અંત ।।૨૬।।

થડ થકી જેમ કાપતાં, વળી ઢળી પડે તરુ જેમ ।।

તેમ પડે એ પ્રાણિયો, પૃથવી ઉપર એમ ।।૨૭।।

નિરાધાર નિરાશ થઈ, બોલી ન શકે મુખ ।।

નિત્ય ઊઠી નવા નવું, કેટલુંક ખમાય દુઃખ ।।૨૮।।

મે’ર ન આવે મારતાં, યમને નિરદયા જોર ।।

તેને હાથ પડ્યો પાપિયો, પાડે બહુ દુઃખે બકોર ।।૨૯।।

પૂરણ દુઃખ દઈ લઈ, કાઢિયો કોઈક કાળ ।।

કર્મ તપાશી તેહનાં, નાખ્યો રૌરવે તતકાળ ।।૩૦।।

અધર્મે ઈયાં ધન મેળી, પોષ્યું નિજકુળ નિજદેહ ।।

આપ સ્વારથ સારુ મારી, જાત્ય જંતુની જેહ ।।૩૧।।

પછી નિજકુળ નિજદેહને, તજી જાયે જમપુરે જંત ।।

તેહ પડે રૌરવમાં, જેમાં દુઃખનો નહિ અંત ।।૩૨।।

વિકટ વ્યાળે ભર્યો ભયાનક, તેમાં જમદૂતે કરી જોર ।।

નાખ્યો પરાણે એ નરકમાં, ભૂખે દુઃખે પાડે બકોર ।।૩૩।।

રાત દિવસ દુઃખી રહે, નહિ સુખનો લવલેશ ।।

જાય ઘડી જુગ જેવડી, હેરાણ ગતિ છે હંમેશ ।।૩૪।।

કંઈક કાળે બા’ર કાઢે, જમદૂત તે એહ જન ।।

પાપી પડે મહારૌરવે, જેમાં જંતુઓ તોડે તન ।।૩૫।।

આ લોકમાં અભાગિયે, માર્યા હતા જીવને જેમ ।।

તે જીવ મરી રુરુ થઈ, મારે છે અધર્મીને એમ ।।૩૬।।

જીહ્વા સ્વાદે જીવનાં, મારીને ખાતો તો માંસ ।।

એમ જ ખાધું એહનું, તેમ જ કરીને તપાસ ।।૩૭।।

અલ્પ પાપ અણું જેટલું, વળી કર્યું હોય કોઈ સ્થળ ।।

તે તે સંભારી સરવે, દિયે દુઃખ તેહ પળ ।।૩૮।।

એવી રીત રુરુ તણી, રાય રંકનો એક ન્યાય ।।

અધિક ન્યૂન એને નહિ, એમ જાણજયો મનમાંય ।।૩૯।।

રુરુનામે ક્રવ્યાદ કે’યે, તે માંસ તોડી તોડી ખાય ।।

જે જીવે નિજદેહ સારુ, કર્યા અસત્ય ઉપાય ।।૪૦।।

એમ દુઃખને ભોગવી જયારે, નીસરે નરકથી બા’ર ।।

પાપી પડે કુંભીપાકમાં, જિયાં દુઃખનો નહિ પાર ।।૪૧।।

પશુ પંખી જીવતાં, રાંધીને ખાતો’તો માંસ ।।

તેને તેલમાં રાંધિયો, કર્યો તેમ જ તનનો નાશ ।।૪૨।।

દીધાં દુઃખ બહુ જીવને, મે’ર મનમાં ના’વી વળી ।।

તે પાપે પડ્યો નરકમાં, કરી કમાણી આવી મળી ।।૪૩।।

ઉગ્ર સ્વભાવી અભાગિયો, જેને નહિ કરુણા લેશ ।।

કોઈ ન કરે કર્મ એવાં, તેવાં કરે છે અહોનિશ ।।૪૪।।

આપ સ્વારથે અનર્થનો, કરતાં ન કરે વિચાર ।।

જુલમ સર્વે જકતનાં, રાખ્યા હૃદયા મોઝાર ।।૪૫।।

પ્રપંચનું નવ પૂછવું, કહિયે કપટનો વળી કોટ ।।

એહ આદિ અઘે ભર્યો, કોઈ વાતની નહિ ખોટ ।।૪૬।।

તેહ પાપે પાપી કરે, કુંભીપાકમાં પ્રવેશ ।।

જમદૂત દુઃખ દે ઘણું, જિયાં સુખનો નહિ લેશ ।।૪૭।।

દુઃખના દરિયા ઊલટ્યાં, વળી મેલી દીધી મરજાદ ।।

આવ્યાં મળી અઘ આપણાં, કરે કિયાં તે ફરિયાદ ।।૪૮।।

હદ્ય મેલીને હાલિયો, બાંધી વૃષભ સાથે વેર ।।

એવા અધર્મીને જોઈને, કહો કેને આવે મે’ર ।।૪૯।।

એવી રીત નરકની કહી, પંચમસ્કંધ માંય જેહ ।।

તેમની તેમ મેં લખી, કહે નિષ્કુળાનંદ એહ ।।૫૦।।