પૂર્વછાયો :-
સુણો કથા સહુ શુભમતિ, જીવ નહિ નર ને નાર ।।
જે જેવાં કર્તવ્ય કરે, તે ભોગવે આવે પાર ।। ૧ ।।
એમ દુઃખ ભોગવતાં, સાડા પાંચ માસ થાય ।।
વિચિત્ર નામે પુર છે, તેમાં તે પ્રાણી જાય ।। ૨ ।।
વિચિત્ર પેરે વળી વળી, પૂછે પુરના રહેનાર ।।
મનુષ્ય દેહ પામી હરામી, તુંને નર ફટકાર ।। ૩ ।।
દેવ ઇચ્છે જે દેહને, તે પામ્યો હતો તું પાપિયા ।।
એહ દેહે ધર્મ ઉથાપી, અધર્મ અતિશે થાપિયા ।। ૪ ।।
ન્યાય મૂકી અન્યાય કીધો, ચાલ્યો મહા અઘ મારગે ।।
દુર્મતિ અતિ અંધ થઈ, દીઠું નહિ કાઈ દગે ।। ૫ ।।
હદ્ય મેલીને હાલિયો, મૂકી મર્યાદ મહારાજની ।।
પરલોકનાં સુખ પરહરી, કરી ખરચી દુઃખ સમાજની ।। ૬ ।।
ખોટ્ય મોટી ખાધી ખરી, કહીએ તુંને કયાં લગે ।।
મોટા દુઃખ માંહી પડ્યો, આવ્યો જોઈએ આ મારગે ।। ૭ ।।
લાગ આપી લજજાવોણા, નીસર પુરથી બા’ર ।।
આજ પછી અભાગિયા, આવું કરીશ મા કોઈ વાર ।। ૮ ।।
ચોપાઈ :-
લઈ લાગ લોહી માંસ તણો, કરે છે અતિ હેરાન ઘણો ।।
જિયાં તિયાંથી ઊઠે છે ખાવા, ખાઈ ધરાઈ પછી દીધો જાવા ।। ૯ ।।
કાઢ્યો બા’રે પડે શિર માર, જેમ લોહને ઘડે લુહાર ।।
આવી મૂરછા પડિયો ભોમ, થયો બેશુદ્ધ ન રહી ફોમ ।।૧૦।।
પછી ઘસરડી ઘાંઘો કરી, ઉઠાડીને આપે માર ફરી ।।
લડથડે ને પડતો જાય, નિત્ય માર કેટલો ખમાય ।।૧૧।।
મારી કૂટીને મો’રે જ કીધો, જેમ ચોર મારવાને લીધો ।।
ઘડી એકમાં હીંડાડે ઘણું, નહિ પ્રમાણ ચાલવા તણું ।।૧૨।।
એમ દુઃખે વીતે ષટ માસ, આવે બહ્વાપદપુર પાસ ।।
તેને પાદર છે વૈતરણી, દુઃખદાયી તે ન જાય વરણી ।।૧૩।।
શત જોજનમાં પરિવાહ, પરુ પાચે પૂરણ નહિ થાહ ।।
તેમાં સર્પ વીંછી જંતુ ઘણા, સર્વે આહારી લોહી માંસ તણા ।।૧૪।।
વળી ઉપર ઊડે માંસાહારી, લોહ ચાંચવાળાં પંખી ભારી ।।
ભયંકાર ત્યાં ભમરા વળે, તપે વેળું તેમાં પગ બળે ।।૧૫।।
તપે સૂરજ ઉપર તીખો, જાણે પ્રલયના કાળ સરીખો ।।
એવો દેખી સર્વે સામાન, જીવ કરે ત્રાહિ ત્રાહિ માન ।।૧૬।।
ત્યારે કહે છે ઉતારનાર, ગાય આપી હોય તો સંભાર ।।
આવે ગાય તો ઉતારે સુખે, નહિ તો ઊતરીશ ઘણે દુઃખે ।।૧૭।।
તે તો કયાંથી આપી હોય આણે, પછી તેમાં તાણે છે પરાણે ।।
બૂડે મુંડ ને નીસરે બા’ર, વળગે અંગમાં જંતુ અપાર ।।૧૮।।
માથે લોહ ચાંચે ભયાનક, આવી પડે પંખી અચાનક ।।
ભાંગી ભેચો માથાનો લિયે છે, એવી ચોટ એ પંખી દિયે છે ।।૧૯।।
કૈક લિયે કાન નાક તોડી, કૈક નાખે છે આંખ્યોને ફોડી ।।
એમ તન ખાય કાપી કાપી, તિયાં દુઃખ પામે બહુ પાપી ।।૨૦।।
જળ સમળ ટાઢું છે અતિ, તેમાં કરાવે છે એને ગતિ ।।
તાઢ્યે ધ્રૂજી થાય તન શૂન્ય, માટે તે સારુ કરવું પુણ્ય ।।૨૧।।
સહિ દુઃખ ચાલે સાત માસ, ત્યારે આવે દુઃખદ પુર પાસ ।।
તેનું દુઃખ જાયે નહિ કહ્યું, તે તો સર્વે એ પ્રાણિએ સહ્યું ।।૨૨।।
મોટા મોટા વાઘ વરુ વ્યાળ, તે તો લાવ્યા તિયાં તત્કાળ ।।
લાવી વળગાડ્યા એને શરીર, ખાય માંસને પિયે રુધિર ।।૨૩।।
મોટા દાંતને ફાડેલ મુખ, ખાય તન તોડી દિયે દુઃખ ।।
તિયાં પ્રાણીઓ પાડે પોકાર, ભા’યો કોય કરો મારી વા’ર ।।૨૪।।
નથી ખમાતું નિત્યનું દુઃખ, કહો કેમ પામું હવે સુખ ।।
ત્યારે કિંકર કહે છે તે’વાર, મા કર્ય સુખ લાલચ્ય લગાર ।।૨૫।।
પાપ કરતાં પાછું નવ જોયું, ખોટા સુખમાં જીવિત ખોયું ।।
હવે સુખની લાલચ ત્યાગી, કર્યાં કર્મ ભોગવ્ય અભાગી ।।૨૬।।
એમ દુઃખ દઈ જો અપાર, પછી કાઢે છે પુરથી બા’ર ।।
ત્યાંથી નાનાક્રંદ પુર કા’વે, તે તો આઠ માસ વીતે આવે ।।૨૭।।
તેના દંડ છે જૂજવી જાતે, જીવ ભોગવે છે બહુ ભાતે ।।
કાપે તન તળી તળી ખાય, વળી મુખે કહે છે વાહવાય ।।૨૮।।
આવું માંસ કોઈનું ન દીઠું, જમ કે’છે લાગે છે જો મીઠું ।।
માંસ પાપીનું કયાં થકી મળે, એમ વખાણ્યું જમ સઘળે ।।૨૯।।
એમ જીવને દુઃખ દિયે છે, લાગ લોહી માંસનો લિયે છે ।।
નાના પ્રકારના દંડ દઈ, જમકિંકર ચાલે છે લઈ ।।૩૦।।
તેનો તેજ માર્ગ કહેવાય, સુકૃતિને સુખરૂપ થાય ।।
દાન પુણ્ય પાળ્યો સતધર્મ, કર્યાં હોય અહિંસાદિ કર્મ ।।૩૧।।
તેને એ વાટમાં નહિ દુઃખ, દુઃખ પામે પ્રભુના વિમુખ ।।
એમ જમપુરીની વાટ જાણો, કહી છે પુરાણે તે પ્રમાણો ।।૩૨।।
પછી નવ માસે નિરધાર, પોં’ચે સુતપ્ત શહેર મોઝાર ।।
સુતપ્તમાં તપાવીને લોઢું, બાળે હાથ પગ અંગ મોઢું ।।૩૩।।
એમ સર્વે અંગ એનાં બાળે, પુણ્ય વિના શાંતિ કોણ વાળે ।।
છત્ર વસ્ત્ર જોડા પાણી ઠામ, પંખા ચંદન ઘર વિશ્રામ ।।૩૪।।
ચંદ્રવા આદિ આપે જો દાન, તેણે સુખ પામે એ નિદાન ।।
તે તો ન આપ્યું ને ન અપાવ્યું, માટે એ દુઃખ સૌ ભોગવાવ્યું ।।૩૫।।
દઈ દુઃખ કાઢ્યો પુર બા’ર, માથે પડે છે મુદગર માર ।।
ત્યાંથી દશમે માસે જરૂર, આવે છે એ પ્રાણી રૌદ્રપુર ।।૩૬।।
તે તો અતિશય ભયંકાર, આવી જાચે છે ત્યાંના રહેનાર ।।
આપ્ય અમને ખાવું કાંઈ ખાવા, તો તુંને અમે આપિયે જાવા ।।૩૭।।
કયાંથી આપે આપ્યું નહિ કેડે, ભૂખ્યા દૂત પછી આવી પીડે ।।
ખાઈ ધરાઈને કાઢે બા’ર, નથી વાટમાં સુખ લગાર ।।૩૮।।
સેવ્યા હોય ખોટા ગુરુ જેવા, જમ રૂપ ધરી આવે એવા ।।
દેખે દૂરથી આવતા એને, જીવ જોઈ રાજી થાય તેને ।।૩૯।।
જમદૂતને કહે છે પ્રાણી, આવ્યા વા’રે ગુરુ ગુરવાણી ।।
જોને ભેળી છે ભેખની ઝુંડી, કરશે તમારી ગતિ જો ભૂંડી ।।૪૦।।
એમ મનમાં આનંદ આણી, અતિ પ્રફુલ્લત થાય પ્રાણી ।।
જાણે હમણાં મુકાવશે મુને, ત્યાં તો આવી ખાય છે વપુને ।।૪૧।।
તેને દુઃખે દુઃખી જીવ થાય, કહે ભરમાણો હું ભેખમાંય ।।
ત્યારે જમગુરુ કહે છે પ્રાણી, અસદ્ગુરુની એંધાણી ન જાણી ।।૪૨।।
આખા વિશ્વનાં રાખ્યાંતાં ફેલ, વળી વ્યભિચારી ને વટલેલ ।।
કરતા ખોટો પ્રભુનો આકાર, નિંદતા ધર્મ નીમ સદાચાર ।।૪૩।।
હતાં એવાં પ્રસિદ્ધ એંધાણ, તેની ન પડી તુંને ઓળખાણ ।।
ખોયો જન્મ તેં ખોટાને સંગે, એમ કહી ચલાવે છે મગે ।।૪૪।।
એમ વીતે માસ અગિયાર, આવે પ્રયોવૃષણ મોઝાર ।।
તિયાં જીવને આવતો જોઈ, થાય રાજી જમ સહુ કોઈ ।।૪૫।।
ભલે આવ્યો તું ભાંગવા ભૂખ, તુંને જોઈ ચળવળે છે મુખ ।।
જાણું હમણાં જાયે તુંને ચાવી, પણ ખાશું તુને નવરાવી ।।૪૬।।
તિયાં તાઢાં જળ હિમસરખાં, તેનો વરસાવે છે માથે વરષા ।।
તેણે ભીંજી ધૂ્રજે જીવ વળી, ઊડે તાઢ આપી હોય કામળી ।।૪૭।।
પછી ત્યાંથી ચલાવે છે મગે, માસ સાડા અગિયાર લગે ।।
દેખે છે દૂરથી શહેર સારું, પણ માંહી છે જમ હજારું ।।૪૮।।
જોઈ રહ્યા છે જીવની વાટ, ખાવા માંસ પીવા લોહી માટ ।।
આવે છે સહુ ઊઠીને સામા, કે’છે અમે તારા કાકા મામા ।।૪૯।।
અવળે મારગે ચલાવ્યો તુંને, તે તો ખાવા સારુ આ સહુને ।।
આપ્ય ખાવા જાવા દૈયે જાણ, એમ કહે છે સહુ જમરાણ ।।૫૦।।
પછી અંગે ચોળી મરચું મરી, મીઠું ભૂંશી ખાય ખાંતે કરી ।।
એનું નામ શીતાઢ્ય નગર, વ્યાપે શીત ધ્રૂજે થરથર ।।૫૧।।
ગોદડાં ગાદલાં સજયા સોય, ઓછાડ ઓશિશાં આપ્યાં હોય ।।
તેણે સુખ પામે એહ પ્રાણી, માટે દાન દેવું એવું જાણી ।।૫૨।।
તે જો નાપ્યું હોય નિજ હાથે, ત્યારે સંભારે છે સગાં સાથે ।।
તે તો કયાંથી આપે એહ કેડ્યે, પછી રુવે પ્રાણી એહ પીડ્યે ।।૫૩।।
ત્યાંથી જમદૂત દઈ માર, ચલાવે છે પ્રાણીને અપાર ।।
બહુ દુઃખે વીતે માસ બાર, આવે બહુભીતિ પુર તે વાર ।।૫૪।।
તિયાં જમના દંડને જોઈ, ભય પામી પ્રાણી દિયે રોઈ ।।
કહે છે આ રાતાં ઝાડ છે શાનાં, નથી કેશું કેસર ચંપાનાં ।।૫૫।।
ઊંચાં નીચાં ઊડે છે પવને, જાણું હમણાં અડશે ગગને ।।
તેને જમકિંકર એમ કહે છે, નથી ઝાડ એ લોહી ઊડે છે ।।૫૬।।
તું જેવાનો કરે છે તપાસ, માર્યે લોહી ઊડે છે આકાશ ।।
તે સાંભળી જીવ ફડકે છે, કંપે કાળજ છાતી થડકે છે ।।૫૭।।
એવા પે્રતના પ્રહાર સાંભળી, તેવા માને છે પોતાને વળી ।।
કહે કિયાં જાઉં કેમ કરું, આ મારથી હું કેમ ઊગરું ।।૫૮।।
ન કર્યું દાન પુણ્ય સંતસેવા, સેવ્યા તે જમકિંકર જેવા ।।
આપી પાપીએ અવળી મતિ, કરાવી આ મારગમાં ગતિ ।।૫૯।।
કર્યું મોટા કસાઈનું કામ, મોકલ્યો મુને જમને ધામ ।।
એમ શોચે પ્રાણી સુણો સહુ, કહે નિષ્કુળાનંદ શું કહું ।। ૬૦।।