પૂર્વછાયો :-

વળી અભાગી જીવને, સૂઝે જ અવળાં કામ ।।

ઘમગમાં ચાલતાં, કયાંથી સુખને વિશ્રામ ।। ૧ ।।

ડોડા ભૂંડા ખાધાં ખરા, ધાંખે કરી ધંતૂરાતણા।।

ચડ્યો કેફ તેનો ચિત્તને, કહો કાંઈ રહે મણા ? ।। ૨ ।।

સુણો સહું આ લોકમાં, કરે નરનારી મળી પાપ ।।

કાળી ભૈરવ દેવ તામસી, જે જે નર પશુ મારી આપ ।। ૩ ।।

માંસ ખાઈ પશુ મનુષ્યનું, થાય નર નારી પ્રસન્ન ।।

તેહ જાય જમપુરીએ, પડે રક્ષોગણ ભોજન ।। ૪ ।।

માર્યા નર પશુ અવતરી, ત્યાં રાક્ષસના ગણ થાય ।।

જેમ ખાધું’તું માંસ એહનું, તેમ તેનું એહ જ ખાય ।। ૫ ।।

જેમ એ નરનારીએ, કર્યું હતું નૃત્ય ને ગાન ।।

તેમનું તેમ રાક્ષસ કરે, ખાઈ માંસ કરી લોહીપાન ।। ૬ ।।

ચોપાઈ :-

વળી આ લોકમાં અપરાધી રે, કરે પાપ ન કરે પારાધી રે ।।

આવે શરણ જીવવાને જન રે, આણી અતિ વિશ્વાસ મન રે ।। ૭ ।।

એવા વન ગામના જીવ જેહ રે, આવે જીવવા આશરે તેહ રે ।।

તેને શૂળ કે સૂત્રની ફાંસી રે, તેણે કરીને માર્યાં વિશ્વાસી રે ।। ૮ ।।

પછી મરી જમપુર જાય રે, તેને જમદૂત પ્રોવીને ખાય રે ।।

આપે દુઃખ નાપે અન્નપાણી રે, આવે મૂરછા બંધાય વાણી રે ।। ૯ ।।

પડે પૃથવી ઉપર આપ રે, ત્યારે સંભારે પોતાનાં પાપ રે ।।

ભાયો કયાંથી કર્મ આવાં કીધાં રે, કયાંથી જેને તેને દુઃખ દીધાં રે ।।૧૦।।

એમ કહી પોકારે છે પ્રેત રે, પછી પડે ભૂમિએ અચેત રે ।।

પડ્યો જાણી આવે પંખી ઝટ રે, લોહ ચાંચવાળાં કંક બટ રે ।।૧૧।।

તે તો તોડી તોડી તન ખાય રે, પાપી પીડાય પ્રાણ ન જાય રે ।।

એમ બહુ ભાતે દુઃખ ભોગવે રે, નોખા કષ્ટ કુંડ નવાનવે રે ।।૧૨।।

નાવે અંત અત્યંત દુઃખનો રે, નહિ લવલેશ ત્યાં સુખનો રે ।।

વળી આ લોકે નર જે તીખા રે, સ્વભાવ છે સર્પના સરીખા રે ।।૧૩।।

જેને તેને દિયે બહુ દુઃખ રે, જેથી ન હોય કોઈને સુખ રે ।।

પછી મરી જમપુર જાય રે, પડે દંદશૂક નરક માંય રે ।।૧૪।।

સુણો ભાઈ એ નરકની વાત રે, મુખ જંતુનાં પાંચ વા સાત રે ।।

અતિ કરડકણાં કરાળ રે, જાણું પાપી પ્રાણી તણો કાળ રે ।।૧૫।।

ખાઉં ખાઉં ખાઉં એમ કરે રે, વણ વપુએ વડચકાં ભરે રે ।।

તીખી દાઢો દીસે દુઃખદાઈ રે, એવા જંતુ એ નરકની માંઈ રે ।।૧૬।।

ઉગ્ર સ્વભાવવાળાને એહ રે, તર્ત ગળી જાય જંતુ તેહ રે ।।

પામે પીડા અતિ તિયાં ભારી રે, માટે કરવાં કર્મ વિચારી રે ।।૧૭।।

વળી આ લોકમાં જે અભાગી રે, દિયે પરને દુઃખ દયા ત્યાગી રે ।।

ખાડા કોઠલા ગુફા અંધારી રે, બીલ ભોમ જેમાં તમ ભારી રે ।।૧૮।।

ઘર દર માંહી જીવ રૂંધી રે, મૂકે આગ્ય ધૂમ ત્યાં કુબુદ્ધિ રે ।।

પછી તે પાપી પરલોક પામી રે, પડે અવટરોધને હરામી રે ।।૧૯।।

ઝેર સહિત અગ્ન ધૂમાડે રે, રોકી એવે સ્થળે રોળ પાડે રે ।।

ઈયાં જીવે કર્યાં પાપ જેમ રે, દિયે દંડ ત્યાં તેમનો તેમ રે ।।૨૦।।

નથી અધિક ઓછું કરતા રે, રહે છે પ્રભુના ડરથી ડરતા રે ।।

નથી ડરતો એ નર અભાગી રે, દુઃખ લિયે છે મુખથી જો માગી રે ।।૨૧।।

વળી આ લોકે અભાગી નર રે, બાંધી બેઠા છે આશ્રમ ઘર રે ।।

આવે આંગણે અતિથિ રાજ રે,અભ્યાગત અન્ન જળ કાજ રે ।।૨૨।।

તેશું ક્રોધ કરી તતકાળ રે, કરે કરડી દષ્ટ કરાળ રે ।।

અન્ન જળ જરાય ન આપે રે, સામું ક્રોધ કરીને સંતાપે રે ।।૨૩।।

પછી જયારે પામે પાપી મૃત્ય રે, પડે નરકે નામ પર્યાવ્રત રે ।।

તિયાં વજ્ર જેવાં ચાંચવાળાં રે, ગીધ કંક બટ જે રિસાળાં રે ।।૨૪।।

ઝાલી બળે મારી ચાંચો પાંખો રે, કાઢી લિયે છે પાપીની આંખ્યો રે ।।

ડોળા કાઢી લિયે દિયે માર રે, તેણે ચાલે છે રુધિરધાર રે ।।૨૫।।

તેણે ભીંજાય મુખ શરીર રે, એવે દુઃખે રહે કેમ ધીર રે ।।

એમ દિયે છે દંડ અપાર રે, સહે એવા પાપ કરનાર રે ।।૨૬।।

સારું સુંદર નરતન પામી રે, કર્યાં પાપ રાખી નહિ ખામી રે ।।

આવ્યા સમૂહ તેના સામટા રે, જેમ આવે ઘન ચડી ઘટા રે ।।૨૭।।

વળી આલોકે કરી અનર્થ રે, બહુ પાપે કરી મેળ્યું ગર્થ રે ।।

પામે ધન વાધે અભિમાન રે, જાણે નહિ કોય મુજ સમાન રે ।।૨૮।।

ધનમદે બોલે વાંકાં વેણ રે, થયો દુર્બળને દુઃખદેણ રે ।।

ધન ખરચતાં ખરખરો ઘણો રે, રાખે ભય રાજા ચોર તણો રે ।।૨૯।।

મેળ્યું ધન જક્ષના સમાન રે, નાપ્યું તેમાંથી કોડી દાન રે ।।

અભ્યાગત વિપ્ર ને કલોઈ રે, તેને અર્થે નાવ્યો દામ કોઈ રે ।।૩૦।।

મેળ્યું ધન કેવળ કરી પાપ રે, તે ન ખરચ્યું ન ખાધું આપ રે ।।

પછી ધન તન તજી તેહ રે, જાય જમપુરીમાંહી એહ રે ।।૩૧।।

તેને નાખે સૂચિમુખ નરકે રે, પામે દુઃખ પાપી બહુ બરકે રે ।।

જમદૂત દરજીની પેઠ્યે રે, એનું તન સીવી બહુ ગંઠ્યે રે ।।૩૨।।

ચીરી ચામડી સોએ સીવે છે રે, મુવા સરીખો થઈ જીવે છે રે ।।

સર્વે લોભનો લાભ દેખાડી રે, એક સીવે બીજો નાખે ફાડી રે ।।૩૩।।

એમ બહુવિધિ આપે છે દુઃખ રે, તેહ ન કહેવાય ભાઈ મુખ રે ।।

સુણી સર્વે પુરાણે અશેષ રે, કહ્યાં નરક એમ અઠ્ઠાવીશ રે ।।૩૪।।

એહ વિના બીજા છે અપાર રે, સોએ સો ને હજારે હજાર રે ।।

પાપી જીવને પીડવા કાજે રે, ધર્મરાયને રાખ્યા મહારાજે રે ।।૩૫।।

જેણે જેવી કરી છે કમાણી રે, તેને ભોગવાવે તેવી જાણી રે ।।

સંયમિનીને દક્ષિણ દ્વાર રે, નરક અગણિત છે અપાર રે ।।૩૬।।

જેણે જેવાં કર્યાં હોય પાપ રે, તેવે નરક પડે પ્રાણી આપ રે ।।

પડે સર્વે નરકે અધર્મી રે, હોય નર વા નારી વિકર્મી રે ।।૩૭।।

નથી વાત જૂઠી એહ જાણો રે, સર્વે સાચી પુરાણે પ્રમાણો રે ।।

તેને અર્થે કરે છે ઉપાય રે, દાન પુણ્ય વ્રત કહેવાય રે ।।૩૮।।

એહ દુઃખને ટાળવા કાજ રે, કરે ઉપાય રંક ને રાજ રે ।।

પણ પાપીનો સંગ નડે છે રે, તેણે કરી નરકમાં પડે છે રે ।।૩૯।।

ખોટી દિશના દેખાડનાર રે, છે આ જગમાંઈ અપાર રે ।।

તેના સંગને નથી તજતા રે, શુદ્ધ થઈ નથી હરિ ભજતા રે ।।૪૦।।

આપ પાપે કરી નરક એહ રે, ભોગવે છે અનુક્રમે તેહ રે ।।

તેમ ધર્મ અનુક્રમે જીવ રે, જાય સ્વર્ગાદિ લોકે સદૈવ રે ।।૪૧।।

કેટલાક નરકેથી નીસરે રે, કેટલાક નરક માંય ગરે રે ।।

એમ કૈક સ્વર્ગથી પડે છે રે, કૈક સ્વર્ગાદિ લોકે ચડે છે રે ।।૪૨।।

એમ કરતાં વધે પુણ્ય પાપ રે, તેણે ફરે ચોરાશીમાં આપ રે ।।

એમ રચી રહ્યો છે અખાડો રે, પ્રભુ ભજયા વિના છે પવાડો રે ।।૪૩।।

ભજો હરિ તજી બીજી વાત રે, તો ટળે માથેથી જમઘાત રે ।।

પ્રભુ ભજયા વિના એનો પાર રે, નથી આવતો જાણો નિરધાર રે ।।૪૪।।

સાચા સંતનો સંગ કરીને રે, ભજો ભાવે કરીને હરિને રે ।।

જો કોઈ ઇચ્છો એ ટાળવા દુઃખ રે, રહો શ્રીહરિને સનમુખ રે ।।૪૫।।

જે એ દુઃખ કહ્યાં કથી કથી રે, તે તો હરિજન પર નથી રે ।।

માટે હરિજન સહુ થાઓ રે, શીદ જમપુરીમાંહી જાઓ રે ।।૪૬।।

મો’રે મોટા મોટા જો વિચારી રે, થયા ભકત પ્રભુજીના ભારી રે ।।

રાજ સાજ સુખ ને સંપત્તિ રે, તજી ભજયા પ્રભુ પ્રાણપતિ રે ।।૪૭।।

તે તો એ દુઃખ ટાળવા કાજ રે, મેલ્યો સર્વ સુખનો સમાજ રે ।।

સુખ મૂકીને દુઃખને લેવું રે, તે તો ન ગમે કોઈને એવું રે ।।૪૮।।

પણ જમપુરીનાં દુઃખ જાણી રે, ખરી પ્રતીત મનમાં આણી રે ।।

તૈયે મેલી દીધો એ મારગ રે, પછી સુખમારગે ભર્યા પગ રે ।।૪૯।।

માટે સહુને જોવું તપાસી રે, નથી આગળ ખેલ ને હાંસી રે ।।

કહે નિષ્કુળાનંદ નિરધાર રે, કરવો સહુને એનો વિચાર રે ।।૫૦।।