સોરઠા :-
મંગળરૂપ અનુપ, સમરતાં સદ્ય સુખ મળે ।।
સો સહજાનંદ સુખરૂપ, જે ભજતાં ભવદુઃખ ટળે ।। ૧ ।।
કરવા માંગલિક કાજ, જન મનમાં જે ઇચ્છા કરે ।।
તે સમરે શ્રી મહારાજ, તો વિઘ્ન તેનાં તર્ત હરે ।। ૨ ।।
એવા શ્રી ઘનશ્યામ, નામે જેને નિર્વિઘ્ન થઈયે ।।
વળી સરે સઘળાં કામ, તેને તજી બીજું શીદ ચહિયે ।। ૩ ।।
સર્વે સુખના સદન, દુઃખહરણ હરિ દીનબંધુ ।।
તે પ્રભુ થઈ પ્રસન્ન, સા’ય કરજયો સદા સુખસિંધુ ।। ૪ ।।
દોહા – પ્રથમ પ્રભુને પ્રણમી, કરું કથા ઉચ્ચાર ।।
યમદંડની જે વારતા, કહું મતિ અનુસાર ।। ૫ ।।
રાગ :- સામેરી
મંગળમૂર્તિ મહાપ્રભુ, બહુનામી બદ્રિકાઈશ ।।
ભકતધર્મ સુત ભાવશું, રહ્યા હૃદયમાં હમિશ ।। ૬ ।।
સુખસાગર સૌના પતિ, અતિ દયાસિંધુ દયાળ ।।
પૂરણકામ સુખધામ સદા, નિજ ભકતવત્સલ પ્રતિપાળ ।। ૭ ।।
તેહ પ્રભુ પૂર્વે પ્રગટ્યા, દ્વિજકુળ ધર્મને ઘેર ।।
નામ ઘનશ્યામ સુંદર હરિ, કરી જન પર મે’ર ।। ૮ ।।
ત્યાંથી પ્રભુજી પધારિયા, પૂર્વથી પશ્ચિમ દેશ ।।
અનેક જીવ ઉદ્ધારિયા, આપી અમળ ઉપદેશ ।। ૯ ।।
તેહ પ્રભુ મળ્યા મુજને, સ્વામી તે સહજાનંદ ।।
જન્મ મરણ યમયાતના, જેથી છૂટ્યો હું સર્વે ફંદ ।।૧૦।।
જેહ દુઃખ ન કહેવાય જીભથી, અતિ વિકટ છે વિપરીત ।।
જે જન સુણે શ્રવણે, તે થાય અતિ ભયભીત ।।૧૧।।
એહ દુઃખ જેને ઉપરે, તે સુખી નહિ નિરધાર ।।
અલ્પ સુખને આશરી, નથી કરતા કોઈ વિચાર ।।૧૨।।
બીજી વાતો બહુ સાંભળી, જીવ થાય રાજી રળિયાત ।।
જન્મ મરણ જમપુરીની, કોઈ કાને ન સુણે વાત ।।૧૩।।
માટે આજ્ઞા મને કરી, એહ વાત વિસ્તારવા કાજ ।।
કૃપા કરી કહ્યું હરિ, શ્રીમુખે શ્રીમહારાજ ।।૧૪।।
કહ્યું પૂર્વે મને પૂછ્યું હતું, પન્નગારિયે કરી પ્રીત ।।
યથારથ યમદંડની, મેં કહી છે તેહને રીત ।।૧૫।।
તેહ રીત હૃદયે ધરી, તું કહેજયે કરી વિસ્તાર ।।
જે સુણી સહુ પાપથી, ડરી ચાલે નર ને નાર ।।૧૬।।
એમ શ્રીમુખેથી મેં સાંભળી, વળી ઉર કર્યો વિચાર ।।
જેમ કહ્યું તેમ કરવું, ફેર પાડવો નહિ લગાર ।।૧૭।।
એહ હરિ આજ્ઞા ઉર ધરી, કહું કષ્ટ જીવનાં જેહ ।।
નરનારી નિજ પાપથી, સહે છે દુઃખ જે દેહ ।।૧૮।।
જન્મ મરણ યમયાતનું, કષ્ટ અતિ ઘણું છે અપાર ।।
શ્રવણ દઈ સહુ સાંભળો, કહું નિરય દુઃખ નિરધાર ।।૧૯।।
જેહ પાપે આ જીવને, નાખે છે નરકને કુંડ ।।
પાપ તપાસી પ્રાણીનાં, જે દિયે છે દુષ્કર દંડ ।।૨૦।।
જેવી વિકટ વાટ છે, જેવા છે યમદૂત ઘોર ।।
કહું સંયમિની શહેરનાં, દુઃખ પામે પ્રભુના ચોર ।।૨૧।।
જેવા નરકના કુંડમાં, છે જૂજવી જાતનાં દુઃખ ।।
તેમાં પડીને પ્રાણિયો, પામે નહિ લેશ સુખ ।।૨૨।।
સહુ મળી હવે સાંભળો, કહું સુંદર કથાસાર ।।
જે સુણી આ જીવનો, નિશ્ચય હોય નિસ્તાર ।।૨૩।।
તે તો પ્રત્યક્ષ પ્રભુને પામિયે, કાં તો તેના મળેલ જન મળે ।।
જન્મમરણનું દુઃખ જીવને, તેહ વારે તર્ત ટળે ।।૨૪।।
તેહ પ્રભુ જુગ જુગ માંહી, અખંડ રહે અવિનાશ ।।
નિજ જ્ઞાન દઈ જીવનાં, કરવા કિલ્બશ નાશ ।।૨૫।।
દશ ચોવીશ આદિ અનંત, નિત્ય નિમિત્ત જે અવતાર ।।
નરતન ધરી રહે નાથજી, કરે અનંત જીવ ઉદ્ધાર ।।૨૬।।
મનુષ્યાકાર અપાર મોટા, વળી કળી ન શકે કોય ।।
મહાસમર્થ થઈ મનુષ્ય જેવા, શ્રીહરિ વરતે સોય ।।૨૭।।
અનંત બ્રહ્માંડ જેના રોમમાં, ઊડે છે અણુંને ઠામ ।।
કોણ લિયે તેના પારને, મન વાણી પામે છે વિરામ ।।૨૮।।
સામર્થ્ય જોતાં સહુને સરે, પાર જોતાં સહુને પાર ।।
મોટપણે મોટા અતિ, તેહ હરિ ધરે અવતાર ।।૨૯।।
દુર્લભ તે સુલભ થઈ, થઈ અગમ સુગમ સ્વરૂપ ।।
અગોચર તે ગોચર થઈ, કરે જીવને કૃપા અનુપ ।।૩૦।।
વળી વિશેષે દયા કરી, વચનની બાંધે છે પાજ ।।
મંદ વૈરાગ્યે ત્યાગે માનવી, તારવા તેહને કાજ ।।૩૧।।
વચન માને જે મહારાજનું, નિશ્ચય કરી નર નાર ।।
તે જાયે હરિના ધામમાં, પામે તે સુખ અપાર ।।૩૨।।
સુખ સુખ સુખ અતિ, નહિ દુઃખનો લવલેશ ।।
જે ધામમાં જાણજયો, નહિ કાળ માયાનો કલેશ ।।૩૩।।
અખંડ આનંદ અતિ ઘણો, જે કહેતાં પણ કહેવાય નહિ ।।
તે ભોગવે છે ભકત હરિના, વા’લાને વચને રહિ ।।૩૪।।
વચન વડે સુખી સહુ, તેહનાં તે કહું એંધાણ ।।
ભવ બ્રહ્મા વિષ્ણુ વળી, જે વડે આ સૃષ્ટ મંડાણ ।।૩૫।।
અજ ઉપાવે વિષ્ણુ પાળે વળી, અને શિવ કરે તે સંહાર ।।
તાન વચન પર તેહનું, નહિ બીજો ઉર વિચાર ।।૩૬।।
સુર શશી સિંધુ શેષ જે, સુણી વચનને એક વાર ।।
સદાય રહે મન ડરતા, નવ પાડે ફેર લગાર ।।૩૭।।
કાળ કંપે જેની બીકથી, ઇન્દ્ર આદિ સર્વે અમર ।।
લોપતાં લેશ વચનને, સહુ કંપે છે થરથર ।।૩૮।।
મોટા એમ મનમાં ડરી, સદા વર્તે છે વચનમાંઈ ।।
સમર્થ જાણી શ્રીહરિ, ફેર પડવા ન દિયે કાંઈ ।।૩૯।।
મંદ ન જાણે એ મર્મને, લોપે છે વચન લબાડ ।।
કૃતઘ્ની નર કુબુદ્ધિ, પાપી જે પાપનો પા’ડ ।।૪૦।।
પ્રભુ વિમુખ જે પાપિયા, નવ માને નાથ વચન ।।
તેહ જાય જમપુરીએ, કહું રીત સુણો સહુ જન ।।૪૧।।
અલ્પ બુદ્ધિ તે પણ ઊંધી, સુધી વાત સમઝે નહિ ।।
સદા હિતકારી શ્રીહરિ, અરિ તેને સમજયો સહિ ।।૪૨।।
અતિ અકોણો લજજાવોણો, ઘરવગોણો ગણિયે ।।
પરમ હેતુ પ્રભુ પરહરી, વરત્યો મતિ આપણિયે ।।૪૩।।
જોને હરિ દયાળુ દલના, કર્યા અનેક એને ગુણ ।।
તે જીવે એકે જાણ્યો નહિ, અતિ હોઈ હરામીલુણ ।।૪૪।।
જોને ઘણું દુઃખ ગર્ભવાસમાં, ત્યાં કરી હરિએ એની સા’ય ।।
પળ પળની પીડા હરી, તેનો પા’ડ ન માન્યો કાંય ।।૪૫।।
ઉદરમાં દુઃખ અતિ ઘણું, કે’તાં તેનો ન આવે પાર ।।
વેદનામાં વ્યાકુળ થઈ, કરતો પ્રભુને જે પોકાર ।।૪૬।।
અતિ દીન દુઃખિયો હતો, પીડા પામ્યો ત્યાં બહુપેર ।।
એહ દુઃખમાંથી કાઢિયો, હરિ કરી મોટી મે’ર ।।૪૭।।
તે વેળા તુંને વીસરી, જયારે આવ્યો ઉદરથી બા’ર ।।
સત્ય કહું સહુ સાંભળો, ઉદર દુઃખ અપાર ।।૪૮।।
સર્વે સંકટ સાંભળ્યાં, જીવે ભોગવ્યાં છે જેહ ।।
ઉદરના દુઃખ આગળે, વળી નથી ગણાતાં તેહ ।।૪૯।।
દુઃખ દુઃખ દુઃખ જિયાં, નહિ સુખનો લવલેશ ।।
માસ નવ સુધી જીવને, હેરાન ગતિ હમેશ ।।૫૦।।
તે કહ્યું કપિલજીએ માતને, ગર્ભવાસનું દુઃખદ્વંદ્વ ।।
તે સંભળાવું સહુને, એમ કહે નિષ્કુળાનંદ ।।૫૧।।