દોહા :- મહામુકત કહે મુમુક્ષુ તને, વણ પૂછ્યે કહું છું વાત ।।
કલ્યાણકારીના કુળની, તું સાંભળી લે સાક્ષાત ।। ૧ ।।
અલૌકિકપણું નહિ આપમાં, લોકમાં વધારવા લાજ ।।
આટાટોપ એહ કારણે, સહુ રાખી રહ્યા ગુરુરાજ ।। ૨ ।।
જેણે કરી જાયે નહિ, રહે ગુરુપણું ઘરમાંહિ ।।
એવી રીતને અનુસરી, બહુ ઠગ કરે છે ઠગાઈ ।। ૩ ।।
જેમ ઉદ્યમ વર્ણ અઢારમાં, સહુ કરે થઈ સાવધાન ।।
તેમ ઉદ્યમ ગુરુએ આદર્યો, મન કર્મ વચને નિદાન ।। ૪ ।।
ચોપાઈ :-
ગુરુવેષ ભજાવવા કાજ રે, રાખે શોભતો સર્વે સમાજ રે ।।
સારાં વસ્ત્ર ઘરેણાં વાહન રે, કહું તેની રીત સુણો જન રે ।। ૫ ।।
પો’ળા પનાળાં કૈક સુંવાળા રે, બહુ બુટ્ટા ને રંગે રૂપાળાં રે ।।
ઝીણાં પોતાં છાપેલ છેડાળાં રે, વાસેલ અત્તરે પાનડિયાળાં રે ।। ૬ ।।
એવાં વસ્ત્ર અંગોઅંગ પે’રી રે, ગુરુપણું લડાવે છે લે’રી રે ।।
વળી પે’રી ઘરેણાં જો ઘણાં રે, જડેલ હીરા મોતી હેમતણાં રે ।। ૭ ।।
વેઢ વીંટી કડા બાંયે બાજુ રે, રૂડા ઘાટવાળાં ઘણાં કાજુ રે ।।
બેસી ગજ બાજ સુખપાલે રે, ખોળે લાલ લઈ ગુરુ મા’લે રે ।। ૮ ।।
વળી સુંદર મંદિર રહેવા રે, કાચ ઢાળેલ હાંડિયે દીવા રે ।।
ખાવા પીવા મળે ખૂબ ખાસુ રે, જેવું ચઉ ચરણને ચોમાસું રે ।। ૯ ।।
સૌથી સરસ સુખિયા ફરે છે રે, વાત કલ્યાણની જો કરે છે રે ।।
આપે પ્રસાદી ને પ્રસાદિયાં રે, એમ ચેલા કરે જિયાં તિયાં રે ।।૧૦।।
કૈક ફૂંકતા ફરે છે કાન રે, ચાદર શ્રીફળ લઈ નિદાન રે ।।
કોઈ દોરા બાંધે દુવા આપે રે, કોઈ તપ્તમુદ્રાએ તન છાપે રે ।।૧૧।।
કોઈ મૂકે છે મસ્તક હાથ રે, ઓહં સોહં જપતાં સનાથ રે ।।
કોઈ મંત્ર આપે બાંધે માળ રે, કોઈ કરાવે જાતિ વિટાળ રે ।।૧૨।।
કોઈ આપે પાન પરમાણા રે, બહુ ધન લેવાને શાણા રે ।।
એમ સહુસહુના મત મળતા રે, આપે ઉપદેશ રાખે ભળતા રે ।।૧૩।।
એમ બાંધી બેઠા ગુરુ દોરી રે, એક બીજાથી રાખે વાત ચોરી રે ।।
કહે આપણી વાત છે એવી રે, નથી કોઈ બીજાને કહ્યા જેવી રે ।।૧૪।।
આપણ સહુનું કલ્યાણ થાશે રે, બીજાં બહુ ભવે ભટકાશે રે ।।
એમ પોતે પોતાના મન માંઈ રે, માન્યું કલ્યાણ કસર ન કાંઈ રે ।।૧૫।।
સહુએ માની છે પરમ પ્રાપ્તિ રે, થાશે કલ્યાણ નહિ ફેર રતિ રે ।।
સગરા પામશે ધણીનું ધામ રે, નથી નગરાનું કોઈ ઠામ રે ।।૧૬।।
માટે સહુ થાઓ ગુરુમુખી રે, શીદ ગુરુવિના રહો દુઃખી રે ।।
એમ સહુ કોઈ સગરા થયા રે, ગુરુ વિના તો કોઈ ન રહ્યા રે ।।૧૭।।
જેને બેસતું આવ્યું છે જેમાં રે, કરી ગુરુ મળિયા છે તેમાં રે ।।
એમ કલ્યાણ ઠેરાવી ઠીક રે, બેઠા મટાડી માથેથી બીક રે ।।૧૮।।
એવા કલ્યાણકારી કંઈ કા’વે રે, વિષય પંચ ભોગવે ભોગવાવે રે ।।
કહે નિર્ભય નિઃશંક રે’જો રે, જમપુરી તમારે જૂઠી છે જો રે ।।૧૯।।
એવી વાતો થાય ઘરોઘર રે, તેણે નીડર થયાં નારી નર રે ।।
એવું ચાલ્યું કલ્યાણનું તૂત રે, કહે છે જખમારે છે જમદૂત રે ।।૨૦।।
એવું સાંભળીને જમે જાણ્યું રે, પડ્યું ભાંગી આપણું પ્રમાણ્યું રે ।।
કહે ચાલો રાયને જઈ કહિયે રે, અમે તેડવા તે કેને જઈયે રે ।।૨૧।।
સહુ ગુરુનો આશરો લઈ રે, બહુ બેઠાં છે નિર્ભય થઈ રે ।।
તેને અમે કેમ લાવું તેડી રે, મહામોટાની મરજાદ ફેડી રે ।।૨૨।।
લિયો કાળપાશ ને કુતડાં રે, કરો ઉજ્જડ જમનાં ગામડાં રે ।।
હુકમ હવે તમારો ન રહ્યો રે, તે તો જમરાય જાણી લિયો રે ।।૨૩।।
એવું કહ્યું છે જમદૂતે જયારે રે, જમરાયે વિચાયુર્ં છે ત્યારે રે ।।
હવે આ વાતનું કેમ થાશે રે, જાઉં શ્રીહરિ શ્યામની પાસે રે ।।૨૪।।
પછી શ્રીહરિ પાસળ જઈ રે, વાત મનુષ્ય લોકની કઈ રે ।।
મર્ત્યલોકે થઈ મોટી વાત રે, કરે પાપ સહુ દિન રાત રે ।।૨૫।।
તેને ભોગવ્યાનો ભય ટાળી રે, બેઠા નિર્ભય થઈ ગાંઠ્ય વાળી રે ।।
કહે છે નગરાનું નરસું થાશે રે, સગરા સહુ ધામમાં જાશે રે ।।૨૬।।
માટે ગુરુ વિના નથી તરવા રે, કાલાઘેલા પણ ગુરુ કરવા રે ।।
એમ બેઠા સહુ ગુરુ ધારી રે, ગુરુ વિના નથી નરનારી રે ।।૨૭।।
હવે સંયમનીનું શું કામ રે, કહો તો કરિયે ઉજ્જડ એ ધામ રે ।।
ગુરુમુખીને દેવો જે દંડ રે, થાય પાપ મોટું એ પ્રચંડ રે ।।૨૮।।
માટે જેમ કહો તેમ કરિયે રે, થાય અપરાધ તેથી ડરિયે રે ।।
જેના ગુરુ થયા છે જમાન રે, તેને કેમ કરું બંધિવાન રે ।।૨૯।।
એટલું કહીને જમરાય રે, પાણ જોડી લાગ્યા પ્રભુ પાય રે ।।
ત્યારે બોલિયા શ્રીહરિ હસી રે, ધર્મ વાત કરો છો એહ કશી રે ।।૩૦।।
ઇતિ શ્રી કલ્યાણનિર્ણય મધ્યે મુકતમુમુક્ષુ સંવાદે નવમો નિર્ણયઃ ।।૯।।