દોહા :- મુકત વચન એવાં સાંભળી, વળી બોલિયા કરી હેત ।।
શુદ્ધ મુમુક્ષુ સાંભળ્યે, કહું સર્વે વિગતિ સમેત ।। ૧ ।।
પ્રથમ કહું હું પ્રીછવી, પ્રભુ પ્રગટના અવતાર ।।
પછી કહું તેના કુળનું, નિશ્ચય કરી નિરધાર ।। ૨ ।।
એકે અનેક પ્રકારનાં, સરે નહિ સેવકના કાજ ।।
તે સારુ તન જૂજવાં, ધરણિયે ધરે છે મહારાજ ।। ૩ ।।
વારિ વસુધા વ્યોમમાં, દુષ્ટે દુઃખી કર્યા હોય દાસ ।।
આરતવાનને અરથે, આપે આવે છે અવિનાશ ।। ૪ ।।
ચોપાઈ :-
એક અવતાર એકને કાજ રે, મહેર કરી લિયે છે મહારાજ રે ।।
તેના સર્વે સંકટ ટાળે છે રે, પ્રીતે પૂરણ લાડ પાળે છે રે ।। ૫ ।।
હેતે હળીમળી તેહ સાથ રે, નૌતમ સુખ આપે તેને નાથ રે ।।
તે તો થાય છે પૂરણ કામ રે, વળી પામે છે પ્રભુનું ધામ રે ।। ૬ ।।
એહ વિના હોય હરિદાસ રે, તેનો કષ્ટ કરવો હોય નાશ રે ।।
ત્યારે એ તને જતન ન થાય રે, એમ સમજવું મનમાંય રે ।। ૭ ।।
જળવાસી કરે કામ જળનું રે, સ્થળવાસી કરે કામ સ્થળનું રે ।।
માટે નોખાં નોખાં તન ધરી રે, કામ કરે છે જનનું હરિ રે ।। ૮ ।।
જયારે ધરે છે જૂજવા ગાત રે, ત્યારે હોય જૂજવી રીતભાત રે ।।
પછી જેવી રીત જાણે જન રે, તેવી રીતે કરે છે ભજન રે ।। ૯ ।।
જેવો ગુણ રૂપ ને આકાર રે, જોઈ જન કરે નિરધાર રે ।।
ધરે આકૃતિ જોઈને ધ્યાન રે, ગુણ રૂપનું કરે છે ગાન રે ।।૧૦।।
કોઈ કહે છે મુખે મત્સ્ય મત્સ્ય રે, કોઈ કહે કલ્યાણકારી કચ્છ રે ।।
કોઈ કહે છે વારાહ વારાહા રે, કોઈને નરસિંહજી પ્યારા રે ।।૧૧।।
કોઈ ભજે વામન પરશુરામ રે, કોઈ લિયે રામજીનું નામ રે ।।
કોઈ કૃષ્ણ કૃષ્ણ કહી રહે છે રે, કોઈ બુધ કલકી કહે છે રે ।।૧૨।।
તે તો જેને મળ્યા પ્રભુ જેવા રે, તેના મનમાં રજયા છે તેવા રે ।।
તે તો બીજે રૂપે નવ રાચે રે, કયુર્ં અતિ દઢ મન સાચે રે ।।૧૩।।
સહુને પોતાના ઇષ્ટ છે પ્યારા રે, તેના ગુણ આકાર લાગે સારા રે ।।
એમ સહુએ માન્યું મનમાંઈ રે, પર ઇષ્ટની ન ગમે મોટાઈ રે ।।૧૪।।
એમ જૂજવી પડી છે વાત રે, તેનું સમજી લ્યે સાક્ષાત રે ।।
ઝાલી ટેક એક જો સઘળે રે, હવે કોઈ કેને ભેળું ન ભળે રે ।।૧૫।।
અતિ મમતે બંધાણા મત રે, કહે છે એક બીજાનું અસત રે ।।
એમ નિંદે છે એક એકને રે, હારી બેઠા હૈયે વિવેકને રે ।।૧૬।।
હવે હરિવંશની વાત રે, તે પણ સાંભળજયો મારા ભ્રાત રે ।।
દશ ચોવીશ આદિ અપાર રે, જે જે ધર્યા હરિયે અવતાર રે ।।૧૭।।
તેને મળ્યા જે જે જન ભાવે રે, તે તે સર્વે કલ્યાણકારી કા’વે રે ।।
કેડ્યે રહ્યું તે કુળ કહેવાય રે, તેથી કલ્યાણ કે દી’ ન થાય રે ।।૧૮।।
કે’શો ભકતકુળ એકોત્તર રે, તારે તેમાં નહિ કોઈ ફેર રે ।।
ત્યારે હરિકુળ કેમ ન તારે રે, તે પણ કહું સુણો સહુ પ્યારે રે ।।૧૯।।
હરિની મરજાદમાં રહે નિત્યે રે, ધર્મનિ’મ પાળે રૂડી રીતે રે ।।
લોપે નહિ આજ્ઞા લગાર રે, ચાલે પ્રભુવચન અનુસાર રે ।।૨૦।।
હોય આજ્ઞાકારી અંગ રે, કે દી’ ન કરે આજ્ઞાનો ભંગ રે ।।
એવા થકી થાય કલ્યાણ રે, કહું બીજાની સાંભળ્ય સુજાણ રે ।।૨૧।।
મત્સ્ય પ્રભુના મત્સ્ય જ કહિયે રે, તેથી કલ્યાણ કહો કેમ લહિયે રે ।।
કૂર્મપ્રભુ વંશ કચ્છ કહે છે રે, તે પણ કલ્યાણ કાંઈ કરે છે રે ? ।।૨૨।।
વરાહ પ્રભુ વંશના ભૂંડણા રે, નથી દાતા તે કલ્યાણ તણાં રે ।।
નૃસિંહ પ્રભુવંશના વાઘ રે, તે તો જન જીવના ઘરાઘ રે ।।૨૩।।
વામન પ્રભુવંશ બ્રહ્મચારી રે, તે પણ કયાં થકી કલ્યાણકારી રે ।।
પરશુરામ વંશ પણ વરણી રે, તેનો ક્રોધ જોઈ ધ્રુજે ધરણી રે ।।૨૪।।
રામવંશના સૂરજવંશી રે, તેમાં કલ્યાણની વાત કશી રે ।।
કૃષ્ણવંશના જાદવ જાણો રે, તેમાં કલ્યાણ કયાંથી પ્રમાણો રે ।।૨૫।।
બુદ્ધ પ્રભુના બોધ જ આપી રે, કહે છે કલ્યાણની જડ કાપી રે ।।
કલકિ કેડે કળિમળ રહેેશે રે, તેમાં કલ્યાણનું કોણ કહેશે રે ।।૨૬।।
માટે હરિ હરિજન વોણું રે, કરશે કલ્યાણનું જો વગોણું રે ।।
આપ સ્વારથ સહુ સારશે રે, હરિના થૈ પરઘર મારશે રે ।।૨૭।।
બહુ બાંધી શબ્દ બાંધણે રે, કરશે જીવને વશ આપણે રે ।।
લેશે સર્વસ્વ તેહનું ઠગી રે, કરશે સ્નેહ સ્વારથ લગી રે ।।૨૮।।
એથી કે દી’ નહિ થાય કલ્યાણ રે, બાંધ્યો બૂડતા કોટે પાષાણ રે ।।
ચાલ્યો વાટે ચોરટાને હાર રે, વા’રુ આવે કોણ શાહુકાર રે ।।૨૯।।
માટે તોળી તપાસવું વે’લે રે, કલ્યાણ પ્રભુ કે પ્રભુને મળેલે રે ।।
તેહ વિના કલ્યાણનું કાચું રે, કહે નિષ્કુળાનંદ એ સાચું રે ।।૩૦।।
ઇતિ શ્રી કલ્યાણનિર્ણય મધ્યે મુકતમુમુક્ષુ સંવાદે અષ્ટમો નિર્ણયઃ ।।૮।।