દોહા :- ત્યારે મુકત કહે સુણ્ય મુમુક્ષુ, તમે પૂછ્યું જે જે પ્રશ્ન ।।
તેનો ઉત્તર અમે આપિયે, તમે સાંભળજયો દઈ મન ।। ૧ ।।
પૂર્વે ઉત્તરમાંહિ પ્રીછવ્યો, હરિ હરિજનનો સંબંધ ।।
તેહ વિના કોઈ જીવના, વળી છૂટે નહિ ભવબંધ ।। ૨ ।।
જે જે જીવ તર્યા જકતમાં, તેનો કરો વિચારી વિવેક ।।
હરિ હરિજન વણ મળ્યે, કોઈ ઉદ્ધરિયા નહિ એક ।। ૩ ।।
અંતરમાં અવરાઈ રહ્યું, ઉપદેષ્ટાને અજ્ઞાન ।।
તે સામાને શું સમજાવશે, વળી નક્કી વાત નિદાન ।। ૪ ।।
ચોપાઈ :-
માટે જેને મળ્યા મહારાજ રે, એવા સંતથી સરે છે કાજ રે ।।
હરિ સાથે હોય હળ્યા મળ્યા રે, પ્રભુ પ્રગટ પામી તાપ ટળ્યા રે ।। ૫ ।।
રહી નહિ ઉધારાની વાત રે, પામ્યા સાચા સાધુ સાક્ષાત રે ।।
અટકળ અકળ ન રહ્યું રે, જથાર્થ જે છે તે થયું રે ।। ૬ ।।
એવા સંતનો જે સમાગમ રે, તે તો ટાળવા દુઃખ વિષમ રે ।।
જેની સંશય રહિત વાત સાચી રે, પૂરણ પ્રાપતિમાં નથી કાચી રે ।। ૭ ।।
એની બોલી છે રોકડી રૂડી રે, નથી વારતા એની નમૂડી રે ।।
ખાતે ચોપડે નથી ખોળવી રે, જયારે જોઈએ ત્યારે નિત્ય નવી રે ।। ૮ ।।
વણ દીઠી નથી વખાણતા રે, કહે છે નજરો નજરની જાણતા રે ।।
પ્રભુ પાસળના જે રહેનાર રે, જે કહે તેમાં નહિ ફેરફાર રે ।। ૯ ।।
બોલે પ્રભુ પ્રસન્નતા પ્રમાણ રે, તેમાં નહિ તન મન તાણ રે ।।
જોઈ મહાપ્રભુની મરજી રે, ઘણું વાત કરે છે ગરજી રે ।।૧૦।।
અતિ અમલ સહિત ઉચ્ચરે છે રે, બહું જીવનાં કાજ કરે છે રે ।।
સાચા સંત એ છે સુખદાઈ રે, એમ કહે છે સહુ જગ માંઈ રે ।।૧૧।।
એવા સંતથી સરે છે કાજ રે, તેહ દિવસ કે વળી આજ રે ।।
તે તો કહ્યું’તું મેં તુંને મો’રેે રે, ભૂલી પૂછ્યું તેં પૂછ્યાને હોરે રે ।।૧૨।।
સાચા સંત કે શ્રીહરિ સોય રે, જીવ તારવા એ જગે દોય રે ।।
તેહ વિના જે સંત કહેવાય રે, તેહ સંતથી કાજ ન થાય રે ।।૧૩।।
એ તો સંત તણો લઈ વેશ રે, પેટ સારુ આપે ઉપદેશ રે ।।
તેને પણ સમજશો સંત રે, થાશે જયાન મોટું જો અત્યંત રે ।।૧૪।।
એનો જો કરશો વિશ્વાસ રે, નાખશે તો કોટે કાળપાશ રે ।।
પાડશે પ્રભુનો કાળ ચોખો રે, થાશે એ વાતનો બહુ ધોખો રે ।।૧૫।।
કાં તો કરશે કર્મ પ્રધાન રે, કહેશે ઘટ ઘટમાં ભગવાન રે ।।
કાં તો થઈ ગયા હવે થાશે રે, એમ બંબેબંબ બહુ ગાશે રે ।।૧૬।।
નથી પ્રભુ તણી દિશ લાધી રે, મૂરખાઈએ રહ્યા મત બાંધી રે ।।
આપ સ્વારથ સારવા કાજ રે, કરે બહુ જીવનાં અકાજ રે ।।૧૭।।
એવા થકી માનશે કલ્યાણ રે, તે તો બહુ દિન થાશે હેરાણ રે ।।
એહ સમજીને લેવું સાર રે, કલ્યાણ અકલ્યાણ કરનાર રે ।।૧૮।।
સાચા સંતથી સાચું કલ્યાણ રે, બીજે તો મુખસ્વાદની વાણ રે ।।
માટે જે જે તર્યા જગે જંત રે, તેને મળ્યા પ્રગટના સંત રે ।।૧૯।।
હવે શાસ્ત્રનું કહી સંભળાવું રે, તારો સર્વે સંશય ટળાવું રે ।।
શાસ્ત્ર શ્રીમુખના જેહ વેણ રે, સત્ય શાસ્ત્ર એ છે સુખદેણ રે ।।૨૦।।
એના વચન તે સુખકારી રે, લેવાં સહુને અંતરે ધારી રે ।।
એ છે વેદ શાસ્ત્ર ને પુરાણ રે, એમાં રહ્યું છે કોટિ કલ્યાણ રે ।।૨૧।।
કાં તો એની લીલા ને ચરિત્ર રે, સુખદાઈ એ પરમ પવિત્ર રે ।।
કાં તો એના માનેલ જે ગ્રંથ રે, આવે એટલા શ્રેયને અર્થ રે ।।૨૨।।
બીજા કવિ કોવિદની કાવ્ય રે, એ તો વારિ વિનાની છે વાવ્ય રે ।।
તેમાં રહ્યાં છે ભૂત ભોયંગ રે, ગરે તેનું કરે અંગ ભંગ રે ।।૨૩।।
વળી મત મતના જે ગ્રંથ રે, કર્યા સારવા પોતાનો અર્થ રે ।।
તેહ વિના બીજા ગ્રંથ વળી રે, થાય ભૂંડું એ ગ્રંથ સાંભળી રે ।।૨૪।।
રસિકપ્રિયા રસમંજરી રે, સુણતાં તરત જાય બુદ્ધિ ફરી રે ।।
વળી વામી વેદાંતીના ગ્રંથ રે, અતિ નાસ્તિક નામ અનર્થ રે ।।૨૫।।
આવે આસ્તિક મતિ જો એમાં રે, થાય દુઃખી રહે નહિ શેમાં રે ।।
માટે એ સંત શાસ્ત્રનો સંગ રે, સમજી વિચારી ન કરવો અંગ રે ।।૨૬।।
ન હોય ઊજળું એટલું દૂધ રે, તે પણ સમજી લેવું સુબુધ રે ।।
જેમ શાહુકાર શહેરમાં હોય રે, તેમ ચોર વિના શહેર નો’ય રે ।।૨૭।।
એક કનક કુંદન કહેવાય રે, હોય બડવાળ બહુ બીજા માંય રે ।।
માટે શાસ્ત્ર શાસ્ત્ર નહિ એક રે, સંત સંતમાં પણ વિવેક રે ।।૨૮।।
તે તો શુદ્ધ મુમુક્ષુને સૂઝે રે, સહુ સરખું એમ ન બૂજે રે ।।
જેને પામવું પરમ કલ્યાણ રે, તેને અતિ ન રહેવું અજાણ રે ।।૨૯।।
વાત સરવે સમજી લેવી રે, ગ્રહ્યા જેવી હોય તેેને ગ્રહેવી રે ।।
એટલું તો જાણવું જરૂર રે, ભીંતર ભોળાપણ કરી દૂર રે ।।૩૦।।
ઇતિ શ્રી કલ્યાણનિર્ણય મધ્યે મુકતમુમુક્ષુ સંવાદે ચતુર્થો નિર્ણયઃ ।।૪।।