દોહાઃ મુકત કહે સુણ્ય મુમુક્ષુ, સારા પૂછ્યા તેં પ્રશ્ન ।।

ઉત્તર એનો આપિયે, કાપિયે સંશય સઘન ।। ૧ ।।

કલ્યાણ છે કૈક ભાત્યનાં, તેની જૂજવી જૂજવી જાત ।।

સર્વે કલ્યાણ સરખાં નહિ, તેની સાંભળી લે હવે વાત ।। ૨ ।।

સાચું કે’તાં સંતાપ છે, ખોટું કહ્યામાં સઈ ખાટ્ય ।।

બેઉ પ્રકારે બાધ છે, મને વિચારું છું તેહ માટ્ય ।। ૩ ।।

પણ જયારે પૂછ્યું તેં પ્રીતશું, ત્યારે આપશું ઉત્તર અનુપ ।।

કે’શું કલ્યાણની વારતા, સાચા સાચી શુદ્ધ સ્વરૂપ ।। ૪ ।।

ચોપાઈ :-

ભેખ ભકત આ ભવમાં ઘણે રે, માન્યું કલ્યાણ પુણ્ય આપણે રે ।।

જે જે કરે છે જગમાં જન રે, વ્રત દાને માને શ્રેય મન રે ।। ૫ ।।

કેને ચપટી ચૂર્ણ દેવાય રે, તેને પણ કલ્યાણ કે’વાય રે ।।

કેને પોષ ભરી પાય પાણી રે, તે પણ કલ્યાણ થવાનું જાણી રે ।। ૬ ।।

કોઈ ભૂખ્યાને આપે ભોજન રે, તે પણ કલ્યાણ માનીને મન રે ।।

કોઈ વસન ભૂષણ આપે ગર્થ રે, તે પણ કલ્યાણ થાવાને અર્થ રે ।। ૭ ।।

સોનું રૂપું આપે ત્રાંબા દાન રે, તે પણ કલ્યાણ કાજે નિદાન રે ।।

ગાય મહિષી ને ગજ બાજ રે, ધામ ધરાદિ કલ્યાણ કાજ રે ।। ૮ ।।

કાશીએ જઈ લિયે કરવત રે, તે પણ કલ્યાણ થાવા તરત રે ।।

હિમાળે જઈ હાડને ગાળે રે, ગડે પૃથ્વીએ પિંડ પ્રજાળે રે ।। ૯ ।।

કમળપૂજા ભૈરવ જપ ખાય રે, તે પણ કલ્યાણ સારુ કે’વાય રે ।।

કોઈ કરે તીર્થ વ્રત સ્નાન રે, કોઈ આપે છે સર્વસ્વ દાન રે ।।૧૦।।

કોઈ ધર્મ નીમ ટેક ધારે રે, જયારે કલ્યાણ કરવા વિચારે રે ।।

કોઈ કઠણ તપ કરે છે રે, થઈ ઉદાસી વન ફરે છે રે ।।૧૧।।

ફળ દળ કરે જળ આહાર રે, કરવા કલ્યાણનો નિરધાર રે ।।

એહ વિના ઉપાય હજારું રે, કરે છે સહુ કલ્યાણ સારુ રે ।।૧૨।।

પણ જેનો જેવો પરિશ્રમ રે, પામે કલ્યાણ માનો એ મર્મ રે ।।

કોઈ પામે અન્ન ધન ધામ રે, કોઈ પામે ગરાસ ને ગામ રે ।।૧૩।।

કોઈ પામે રાજય સાજ સુખ રે, સુત કલત્ર નહિ દેહે દુઃખ રે ।।

એ પણ કલ્યાણ એક કે’વાય રે, સુખ માની રહ્યાં છે એમાંય રે ।।૧૪।।

કોઈ પામે અમરાવતી રે, તે પણ પૂર્ણ માને છે પ્રાપતી રે ।।

શિવ બ્રહ્માની પુરીને પામી રે, માન્યું પામ્યા પૂરણ ભાંગી ખામી રે ।।૧૫।।

એહ વિના બીજા બહુ લોક રે, પામી સમાવી બેઠા છે શોક રે ।।

પણ આત્યંતિક જે કલ્યાણ રે, તેની રીત ભાત જુદી જાણ રે ।।૧૬।।

તે તો હરિ હરિજનથી થાય રે, સાચું કલ્યાણ જેને કે’વાય રે ।।

સમજી લેજે તું એટલુંં સાર રે, નથી બીજો નિશ્ચે નિરધાર રે ।।૧૭।।

મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળેલે કલ્યાણ રે ।।

તેહ વિના તો કોટિ ઉપાયે રે, આત્યંતિક કલ્યાણ ન થાયે રે ।।૧૮।।

જેમ રવિ વિનાની રાત રે, ન જાય ન થાય પ્રભાત રે ।।

તેમ પ્રગટ પ્રભુ મળ્યા પખી રે, નોય કલ્યાણ લેવું એ લખી રે ।।૧૯।।

તેહ વિના જો થાય કલ્યાણ રે, પડે જૂઠાં તો સર્વે પુરાણ રે ।।

ભવે ભેખ ભગત છે બહુ રે, સાવધાન થઈ મંડ્યા સહું રે ।।૨૦।।

મત પોતાને પુષ્ટિને અરથ રે, નવા નવા નિપજાવ્યા ગ્રંથ રે ।।

સર્વે પોતાનું કર્યું છે સાચું રે, કેણે રાખ્યું નથી વળી કાચું રે ।।૨૧।।

પણ કલ્યાણ પ્રભુની પાસ રે, તેહ વિના વલોવે છે છાસ રે ।।

એ છે સર્વે શાસ્ત્રનો મત રે, તે તો ન થાય કે દી અસત રે ।।૨૨।।

એમ સંત શાણા કહે છે રે, શ્રેય પ્રગટ પાસળે રહે છે રે ।।

એમ સર્વેનું છે સિદ્ધાંત રે, મો’રે મોટા ભાંગી ગયા ભ્રાંત રે ।।૨૩।।

જેને ફરી ન પડે ફરવું રે, તેને આત્યંતિક શ્રેય કરવું રે ।।

તેહ વિના તો કલ્યાણ કાચું રે, પામી પડવું પડે છે પાછું રે ।।૨૪।।

કૈક આ લોક સુખથી પડ્યા રે, કૈક પડ્યા સ્વર્ગ લોકે ચડ્યા રે ।।

કૈક હરપુરીથી હણાણા રે, કૈક ચંદ્રલોકથી પછડાણા રે ।।૨૫।।

કિયાં રહ્યું થયું એ કલ્યાણ રે, ભાગ્યું વચ્ચે વારિધિયે વા’ણ રે ।।

એ કલ્યાણ કામ ન આવે રે, જેને કાળ માયા મળી ચાવે રે ।।૨૬।।

જેને માથે છે મોટાં વિઘન રે, એવું કલ્યાણ મ માનો મન રે ।।

તન મનમાં વાત તોળીને રે, કરવું કલ્યાણ ખરું ખોળીને રે ।।૨૭।।

ભેખ લીધે ભલાઈ મ ભાળો રે, એહ ભૂલ્ય ભીંતરથી ટાળો રે ।।

મત મમતે રહ્યાં જે બંધાઈ રે, તેમાં કલ્યાણ ન મળે કાંઈ રે ।।૨૮।।

પરઘર મારી પેટ ભરે રે, પરસુત વિત્ત દારા હરે રે ।।

એમાં કે દિ’ મ માનો કલ્યાણ રે, જેમાં ખરી ખુવારી છે જાણ રે ।।૨૯।।

કહ્યું તમે જે પૂછ્યું’તું તેહ રે, એહ વાતમાં નથી સંદેહ રે ।।

સાચું માની લેજયે સાક્ષાત રે, કહી કલ્યાણની તને વાત રે ।।૩૦।।

ઇતિ શ્રી કલ્યાણનિર્ણય મધ્યે મુકતમુમુક્ષુ સંવાદે દ્વિતીયો નિર્ણયઃ ।।।।