સોરઠા :-
સમરતાં સુખ હોય, કોઈ વિઘન ન વ્યાપે વળી ।।
સુખદ મૂરતિ સોય, સહજાનંદ આનંદકંદ ।। ૧ ।।
સમર્થ શ્રીઘનશ્યામ, હામ મદન મનની હરી ।।
કર્યા જન નિષ્કામ, દામ વામ દોષ દૂર કરી ।। ૨ ।।
અવતારી આપે અનુપ, રૂપ અનુપમ આપે ધરી ।।
સો યહ સુખદ સ્વરૂપ, સહજાનંદ જગવંદ હરિ ।। ૩ ।।
સરવોપરી સુખધામ, શ્યામ સહુના નાથ સહી ।।
પ્રભુજી પૂરણકામ, હામ કરી હરિ રહિયે હૈયે ।। ૪ ।।
દોહા :- એક વાત અનુપ છે, સાંભળજયો સહુ કોઈ ।।
સંશય ન રહે શ્રેયમાં, છે સમજયા સરખી સોઈ ।। ૫ ।।
ચોપાઈ :-
શુદ્ધ મુમુક્ષુ જે સુજાણ રે, પૂછ્યું થાવા પ્રથમ કલ્યાણ રે ।।
મહામુકત તમે શિરોમણિ રે, સુણો વિનતિ એક મુજ તણી રે ।। ૬ ।।
સહુ સહુના મનને મતે રે, માન્યું કલ્યાણ મન ગમતે રે ।।
કોઈ કે’ અમે મત્સ્ય ઉપાસી રે, કોઈ કહે કૂર્મ સુખરાશી રે ।। ૭ ।।
કોઈ કહે વારાહના દાસ રે, કેને નૃસિંહનો વિશ્વાસ રે ।।
કોઈ વામનરૂપને ભજે રે, કેને પરશુરામરૂપ રજે રે ।। ૮ ।।
કોઈ રામ ભરોંસે રહે છે રે, કોઈ કૃષ્ણ કૃષ્ણ કહે છે રે ।।
કોઈક બુધજીનું બળ લઈ રે, બેઠા કંઈક કલકિ કઈ રે ।। ૯ ।।
એહ આદિ દશ અવતાર રે, એ તો સર્વે સુખના દાતાર રે ।।
તેને ભજે છે ભિન્ન ભિન્ન ભાવે રે, મને અતિ અચંબો એ આવે રે ।।૧૦।।
જે જે જનના જે ઇષ્ટદેવ રે, તે તે જન કરે તેની સેવ રે ।।
તે વિના નથી બીજું સહેવાતું રે, બોલે બીજા દેવનું ઘસાતું રે ।।૧૧।।
વળી એ વિના બીજા જે અનેક રે, ઝાલી બેઠા છે જૂજવી ટેક રે ।।
વેષ વાત ભિન્ન ભિન્ન ભાતે રે, ઉપાસના તે જૂજવી જાતે રે ।।૧૨।।
કોઈ કોઈ ભેળા નવ ભળેે રે, માન્યું સત્ય પોતાનું સઘળે રે ।।
કોઈ કાન ફડાવી ફરે છે રે, કોઈ કાષાંબરને કરે છે રે ।।૧૩।।
કોઈ દંડી મુંડી ડામખાઈ રે, કોઈ મગન નીરમાં નાઈ રે ।।
કોઈ જટી કાટી ખાલ ખરી રે, કોઈ માળા તિલક રહ્યા ધરી રે ।।૧૪।।
કોઈ કંથા ગોદડી કોપીન રે, વનકલ ટાટાંબર મૃગાજીન રે ।।
કોઈક થયા પંડિત પુરાણી રે, કોઈ એક બ્રહ્મ બોલે વાણી રે ।।૧૫।।
કોઈ રાજ મહારાજ મહારાણી રે, શૂન્ય સમીર પાવક પાણી રે ।।
કોઈ કર્મ ધર્મ કબીર રે, કોઈ કંથર ભરથર પીર રે ।।૧૬।।
કોઈક કપર્દીથી કલ્યાણ રે, માન્યું પરિપૂરણ પ્રમાણ રે ।।
કોઈ શેષ દિનેશ ગણેશ રે, કોઈ શશી વસી વન સુરેશ રે ।।૧૭।।
કોઈ દશા વિશામાનું ભાવે રે, સદા શ્રીરંગ અભંગ ગાવે રે ।।
એમ કલ્યાણ અનેક રીતે રે, સહુએ માન્યું છે ચોક્કસ ચિત્તે રે ।।૧૮।।
તેમાં પોતાનો દોષ ન દેખે રે, અન્યથી આપ અધિક લેેખે રે ।।
સહુથી સમજે પોતાનું સરસ રે, આવે બીજાનું નજરે નરસ રે ।।૧૯।।
નથી નક્કી એક નિરધાર રે, મારે મને એ મોટો વિચાર રે ।।
વળી અવતારના જે ઉપાસી રે, તેની પણ મતિ ગઈ નાશી રે ।।૨૦।।
નોખાં નોખાં વપુને વંદે છે રે, પરસ્પરને નંદે છે રે ।।
કોઈક પૂજે છે બાળમુકુન્દ રે, કોઈક ભજે છે શ્રીવ્રજચંદ રે ।।૨૧।।
કોઈ કહે રુકમણીરાય રે, કોઈ રમાપતિ ગુણ ગાય રે ।।
એમ ભેદ પાડીને ભજે છે રે, તેહ વિના બીજાને તજે છે રે ।।૨૨।।
એમ જૂજવું જૂજવું જન રે, મનભાવતું કરે છે ભજન રે ।।
એહ વિના બીજા ઉપાસી રે, તેપણ પૂછું છું કહેજયો તપાસી રે ।।૨૩।।
કહું કલ્યાણ બહુ પ્રકારે રે, જુદું જુદું માન્યું છે સંસારે રે ।।
સર્વે સરખું કલ્યાણ છે એહ રે, કે કાંઈ અધિક ન્યૂન છે તેહ રે ।।૨૪।।
સહુ પામશે પૂરણ પદ રે, ત્યારે બાંધી જોઈએ નહિ હદ રે ।।
જેમ આ લોકે છે ખેંચાતાણ રે, તેમ કલ્યાણમાં પણ જાણ રે ।।૨૫।।
જેમ આ લોકમાં મારું તારું રે, તેમ કરે છે મતપંથ સારું રે ।।
નથી અલૌકિકપણું એમાં રે, ગૃહી ત્યાગી ગુરુ કહ્યા તેમાં રે ।।૨૬।।
રહ્યું કાચું પોતાની કોરનું રે, પૂછ્યું નોર કે કનોરનું રે ।।
બૂડ્યો બૂડ્યાને કેમ તારશે રે, માટે મોટો એ વાતનો સંશે રે ।।૨૭।।
કહો કેને સેવ્યે કેવું સુખ પામે રે, કેને સેવ્યે કેવું દુઃખ વામે રે ।।
કેને સેવ્યે કેવું ફળ થાય રે, કેને પૂજયે કાળથી મૂકાય રે ।।૨૮।।
કોણ થકી જાય અક્ષરધામ રે, કોણ થકી થાય પૂર્ણકામ રે ।।
એહ સંદેહ સર્વે મટાડી રે, કે’જો વિવેકે વિગતિ પાડી રે ।।૨૯।।
જોગ્ય છોજી જથાર્થ કે’વા રે, પૂછ્યા પ્રશ્નનો ઉત્તર દેવા રે ।।
પૂછી એટલું જોડિયા પાણ રે, ત્યારે બોલિયા મુકત સુજાણ રે ।।૩૦।।
ઇતિ શ્રી કલ્યાણનિર્ણય મધ્યે મુકતમુમુક્ષુ સંવાદે પ્રથમો નિર્ણયઃ ।।૧।।