પદ રાગ :- ધોળ

સાચેસાચું કહેશું, હરિ રાખે તેમ રહેશું રે…ટેક

ખરાખરું કહેશું ખોળી, શીદ કરિયે વાત મોળી રે .સાચે ।।

કહું કલ્યાણને માંઈ, કસર રાખશો મા કાંઈ રે.સાચે ।। ૧ ।।

જાણો જેની તેની વાતે, નથી કલ્યાણ કોઈ ભાતે રે .સાચે ।।

સાચા મળ્યા વિના સાચું, થાવા કલ્યાણનું કાચું રે .સાચે ।। ૨ ।।

ખોટા સંગે દન ખોયે, જેમ રણમાંહિ રોયે રે.સાચે ।।

થયા કપટીના વેચાણ, ભાંગ્યું મહાદરિયે વા’ણ રે .સાચે ।। ૩ ।।

જાણી જોઈ ઝેર ખાયે, તેમાં સુખી કયાંથી થાયે રે .સાચે ।।

એમ પાપીને ઉપદેશે, પાપ પેટમાંઈ પેસે રે.સાચે ।। ૪ ।।

જાણો ધંતુરાને બીજે, ખાઈ સુખ શાનું લીજે રે.સાચે ।।

તેમ ખોટા ગુરુ કરતાં, પાર ના’વે ભવ ફરતાં રે .સાચે ।। ૫ ।।

લાડુ મસાણને મધ્ય, નો’ય એલચીની ગંધ્ય રે.સાચે ।।

વોરી  વીંછી વરુ વ્યાળા, કોઈ નો’ય જો સુખાળા રે..સાચે ।। ૬ ।।

એવા પાપીને પરહરિયે, સંગ સ્વપ્ને ન કરિયે રે .સાચે ।।

ખાંત્યે વિખફળ  ખાવે, તેણે સુખ શાનું આવે રે .સાચે ।। ૭ ।।

ચાલે ચોરને સંગાથે, માર ખાવાનો છે માથે રે .સાચે ।।

એવા પ્રભુના જે ચોર , તેને મેલો ડાબી કોર રે .સાચે ।। ૮ ।।

કોટે બાંધી કાળાપા’ણા, કોઈ ન તર્યા શિયાણા  રે .સાચે ।।

દૂધ ખરસાણીની  ખીરે, ખાધે સુખ શું શરીરે રે.સાચે ।। ૯ ।।

એવા નકારાને  સંગે, આવે દુઃખ અતિ અંગે રે.સાચે ।।

ગણો ગધેડાની ગાય, ધોયે  ધફોયે  ન થાય રે.સાચે ।।૧૦।।

નપુંસક નરને પરણી, નારી નહિ પામે અઘરણી  રે .સાચે ।।

તેમ ખોટા ગુરુ કરી, કેમ જાશે ભવ તરી રે.સાચે ।।૧૧।।

ભવજળ તરવા કાજ, સાચા સંતનો સમાજ રે.સાચે ।।

ખોટા સંગે ખોટ્ય આવે, બાંધ્યા પા’ણા તે બુડાવે રે .સાચે ।।૧૨।।

એની અધોગતિ અતિ, નથી એની ઊર્ધ્વ ગતિ રે.સાચે ।।

માટે ઓળખીને લેવું, જયાં ત્યાં ઝલાઈ ન રે’વું રે.સાચે ।।૧૩।।

ચોખી ચોળાફળી જાણી, ખાયે નહિ ખરસાણી રે .સાચે ।।

ગાય મહિષી વરોળ્યે, કયાંથી વલોણું વલોવ્યે રે.સાચે ।।૧૪।।

એવા ગુરુ જ્ઞાન હીણા, તે તો કાળના ચવિણા રે.સાચે ।।

જળ જાહ્નવીનું જાણી, પિયે નહિ મઉ પાણી રે.સાચે ।।૧૫।।

આંબ જાણી આક ફળ, ખાધું પડી નહિ કળ  રે .સાચે ।।

તેમ પાપી ગુરુ મળ્યે, સુખ શાંતિ કયાંથી વળે રે.સાચે ।।૧૬।।

અઘ ગુરુનાં એ એંધાણ, તમે સાંભળો સુજાણ રે .સાચે ।।

હોય દલમાં દોંગાઈ,   માને મોટો મનમાંઈ રે.સાચે ।।૧૭।।

ધર્મ નીમ ભકત હીણ, જાણે છૈયે પ્રવીણ રે.સાચે ।।

કુટિલતા ને કૂડ કપટ, દગા દલમાં દોવટ   રે.સાચે ।।૧૮।।

ઝાઝી અંતરમાં જાળું,   વિષયસુખની વિકરાળું રે .સાચે ।।

ભીતર માંઈ તો ભડકા, વિષય સારુ નાખે વડકાં  રે .સાચે ।।૧૯।।

ભાયો એવાને ભરોંસે, રહેશે તેને દુઃખ થાશે રે .સાચે ।।

માટે વિચારવું ઊંડું, એને થયે થાય ભૂંડું રે .સાચે ।।૨૦।।

નાગ વાઘ બલાખારી, તે તો કેનાં હિતકારી રે .સાચે ।।

કાગ બાજ ને બલાઈ, તેથી ન થાય ભલાઈ રે.સાચે ।।૨૧।।

એમ દુષ્ટ ગુરુ દુઃખદાઈ, માની લેજયો મનમાંઈ રે .સાચે ।।

એવા ગુરુ સંત જગે, માંડી છે ઠગાઈ ઠગે રે.સાચે ।।૨૨।।

લઈ શિષ્યનું સરવસ, કરી લીધા પોતાને વશ રે .સાચે ।।

બહુ દિલમાંહી દગા, તે તો ન હોય કેના સગા રે .સાચે ।।૨૩।।

એને અજાણ્યે આશરે, તેનું ભારે ભૂંડું કરે રે.સાચે ।।

માટે કરવો સાચો સંગ, જેથી રહી જાય રંગ રે .સાચે ।।૨૪।।

સાચા હરિ ગુરુ કહિયે, જેથી પરમપદ લહિયે રે .સાચે ।।

કૈવલ્ય  પ્રાપ્તિના દાતા, નથી બીજાને કહેવાતા રે .સાચે ।।૨૫।।

બીજા બહુ છે બકાલી,  બાંધી બેઠા ઢુંગ  ઢાલી રે .સાચે ।।

જેમ કાખના મવાળા, સર્વે સરખા ધોળા કાળા રે .સાચે ।।૨૬।।

શાણા જાણી કરિયે સંગ, સુંવાળા પણ છે ભોયંગ  રે .સાચે ।।

હોય રૂડી હીરાકણી, પણ ખાધે વ્યાધિ ઘણી રે .સાચે ।।૨૭।।

એમ બા’રે દીસે રૂડા, પણ અંતરમાં કૂડા રે.સાચે ।।

એવા જગે ઘણા ધૂતા,  જીવ લેવા જમદૂતા રે.સાચે ।।૨૮।।

ભડવા કેના ભરથાર, વેશ્યા કેની કુળનાર રે.સાચે ।।

એવા બગડેલ બેહાલ, કેને ન કરે નિહાલ રે.સાચે ।।૨૯।।

મળ્યા સો મોટલિયા થાય, પણ શેઠ ન કહેવાય રે .સાચે ।।

શેઠ હોય ધનવાન, ઘેરે સુખના સામાન રે.સાચે ।।૩૦।।

માટે સાચા શેઠ હરિ, પળમાં મૂકે સુખી કરી રે .સાચે ।।

અલૌકિક સુખ લોકે, જન ભોગવે વિલોકે  રે.સાચે ।।૩૧।।

છતી દેહે પામે ધામ, વળી થાય પૂરણકામ રે.સાચે ।।

એવી રીત હોય જિયાં, જાણો પ્રભુ પોતે તિયાં રે .સાચે ।।૩૨।।

કથા આ છે કલ્યાણકારી, સહુ લેજયો હૈયે ધારી રે .સાચે ।।

એમ સમજે ટળશે ફંદ, નિશ્ચે કે’ નિષ્કુળાનંદ રે.સાચે ।।૩૩।।

ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિવિરચિતે કલ્યાણનિર્ણયમધ્યે મુકતમુમુક્ષુ સંવાદે અષ્ટાદશો નિર્ણયઃ ।।૧૮।।

ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિવિરચિતે કલ્યાણનિર્ણયઃ સમાપ્તઃ