દોહા :- મુમુક્ષુ કહે મન માહે રે, નથી રહી કસર કાંઈ ।।

સંશય સર્વે શમી ગયો, સુણી વચન તમારાં સુખદાઈ ।। ૧ ।।

વચને વચને મેં વિચારિયું, તેમાં જોયું તમારું મેં તાન ।।

હરિ હરિજન વણ મળ્યે, નો’ય નિર્ભય જન નિદાન ।। ૨ ।।

પ્રભુ પ્રગટનું નથી પૂછતો, પૂછું છું પ્રભુના મળેલ ।।

એક રહ્યા વા’લાના વચનમાં, એક વચનમાંથી ટળેલ ।। ૩ ।।

એ બેઉનાં વચન બરોબરી, કે અધિક ન્યૂન છે એહ ।।

મુમુક્ષુને કેમ માનવું, એહ મટાડિયે સંદેહ ।। ૪ ।।

ચોપાઈ :-

મો’રે બેઉ હતા હરિદાસ રે, રે’તા પ્રગટ પ્રભુને પાસ રે ।।

બેઉ સરખા માનતા વચન રે, રહેતા આજ્ઞામાં રાત દન રે ।। ૫ ।।

તેમાં એક હતો આત્મજ્ઞાની રે, બીજો ઊંડો અતિ અભિમાની રે ।।

આત્મજ્ઞાનીને માન ન આવે રે, દેહમાની માને સુખ પાવે રે ।। ૬ ।।

તે તો માન મળે કે ન મળે રે, ત્યારે અંતરમાં રહ્યો બળે રે ।।

ઘણું ઘુઘવતો રહે ધોખે રે, પછી પ્રભુજીથી પડ્યો નોખે રે ।। ૭ ।।

બીજે જઈ બાંધે બીજો મત રે, કહે સત્સંગને તે અસત્ય રે ।।

જે જે શીખ્યો’તો સંતની સાથ રે, તે તે હથિયાર આવ્યાં હાથ રે ।। ૮ ।।

કરે વાત વડાઈની ઘણી રે, તેમાં જણાવે મોટ્યપ પોતાતણી રે ।।

બહુ વાત કરે છે બનાવી રે, રૂડી લાવન  લલિત  લાવી રે ।। ૯ ।।

બોલે મુખથી મીઠાં વચન રે, કરે જનનાં મન રંજન  રે ।।

બહુ દેખાડે નિશ્ચયનું જોર રે, પણ હોય પ્રભુજીના ચોર રે ।।૧૦।।

વર્તતા હોય વચન વિરોધે રે, એવા થકા બહુ જીવ બોધે  રે ।।

તેહ જીવ તરે કે ન તરે રે, કે’જયો સમજાવી સંશયને હરે રે ।।૧૧।।

હોય હરિના મળેલ ખરા રે, પણ વચન ન માને જરા રે ।।

વરતે પોતે વચનથી બા’ર રે, તેની ખોટ્ય ન માને લગાર રે ।।૧૨।।

થયો પ્રભુથી પોતે વિમુખ રે, માન્યું પામ્યો પૂરણ હવે સુખ રે ।।

કે’છે બીજાઓને કોરે  તેડી રે, હું તો નીસર્યો છઉં ભાંગી બેડી  રે ।।૧૩।।

એવી ફરી ગઈ હોય બુદ્ધિ રે, તે તો કયાંથી કરે વાત સુધી રે ।।

ઊંધી વાતે રાખ્યા જીવ રુંધી રે, રહ્યા અભાગી એમાં વળૂંધી રે ।।૧૪।।

એનું કલ્યાણ થાય કે ન થાય રે, કે’જયો સમજાવી સંશય જાય રે ।।

કહ્યું કલ્યાણ હરિ હરિદાસે રે, માટે મેં પૂછ્યું તમારે પાસે રે ।।૧૫।।

એવું સાંભળી બોલ્યા મુકત રે, સુણ્ય જિજ્ઞાસુ તેની વિગત રે ।।

જે જે કહ્યાં હરિયે વચન રે, તેમાં રહે જિયાં લગી જન રે ।।૧૬।।

તિયાં લગી તારે જીવ બહુ રે, પામે હરિના ધામને સહુ રે ।।

જયારે નીસરે વચનથી બા’રે રે, ત્યારે પોતે ન તરે ન તારે રે ।।૧૭।।

જેમ જળ બા’ર થયું જા’જ રે, તઈયે તર્યા તારવાની નાજ રે ।।

શક્કો તજીને ચાલે સિપાઈ રે, તેનો ન ચાલે હુકમ કાંઈ રે ।।૧૮।।

છડી પડી મૂકી છડીદાર રે, કરે હજત તો ખાય માર રે ।।

કોટ બા’ર નીસરે શાહુકાર રે, બહુ લૂંટાય કુટાય બા’ર રે ।।૧૯।।

તેમ સંત વચન જો ત્યાગે રે, તેને કાળ માયાનું લારું  લાગે રે ।।

બીજાને તો કયાં થકી તારે રે, પડ્યું પોતાનું પણ ઉધારે રે ।।૨૦।।

ખાધી ખોટ્ય મોટી થયો ખુવાર  રે, કરે છે બીજાને ભાગદાર રે ।।

હોય મૂરખ તે માને એનું રે, નથી ઠોર  ઠેકાણું  જ જેનું રે ।।૨૧।।

એવાનો તોે સંગ તજી દેવો રે, એનો ઉપદેશ પણ ન લેવો રે ।।

નથી મુખ એનું જોયા જેવું રે, દર્શ સ્પર્શ એનું તજી દેવું રે ।।૨૨।।

એની વાત જાણો લાળ વ્યાળ  રે, જેવી હડકાયા શ્વાનની લાળ રે ।।

એને પ્રસંગે પામિયે દુઃખ રે, કરે વિમુખ મળી વિમુખ રે ।।૨૩।।

એની વાતને ઓળખી લેવી રે, ન માનવી સાચા સંત જેવી રે ।।

વચન એનાં છે વિષ  સમાન રે, તેને કે દી દેવા નહિ કાન રે ।।૨૪।।

કોઈ કાયર થઈ રહે કોરે રે, બોલે પોતાનું પોતે ન જોરે રે ।।

કહે સંતની મોટપ્ય ઘણી રે, પોતે કહે ખોટ્ય પોતા તણી રે ।।૨૫।।

એવો હોય કોઈ હરિજન રે, તેનાં સાધારણિક વચન રે ।।

એને સુણે નહિ સાર અસાર રે, વચન વિમુખનાં દુઃખ દેનાર રે ।।૨૬।।

માટે સાચા સંતનાં જે વેણ રે, સહુ જનને છે સુખ દેણ રે ।।

જે જે ઉચ્ચાર એના મુખનો રે, તે તો દેનાર સૌને સુખનો રે ।।૨૭।।

મન કર્મ ને વચને કરી રે, એહ વાત માની લેજયો ખરી રે ।।

કહ્યું કલ્યાણનિર્ણય કથી રે, ખરી વાત છે એ ખોટી નથી રે ।।૨૮।।

શુદ્ધ મુમુક્ષુ શોધશે સાર રે, કરી અંતરે ઊંડો વિચાર રે ।।

ગાફલને તો નહિ પડે ગમ રે, નીર  ક્ષીર સમજશે સમ રે ।।૨૯।।

તેને ઉપર નથી આ વાત રે, સમજુ સમજજયો સાક્ષાત રે ।।

સમું સમજતાં પામશો પાર રે, કહે નિષ્કુળાનંદ નિરધાર રે ।।૩૦।।

ઇતિ શ્રીકલ્યાણનિર્ણયમધ્યે મુકતમુમુક્ષુ સંવાદે સપ્તદશો નિર્ણયઃ ।।૧૭।।