દોહા :- મુમુક્ષુ કહે મહામુકતને, સંશય રહ્યો નથી રતીભાર ।।

તમે કહ્યું તેમજ છે, એમાં નથી ફેર લગાર ।। ૧ ।।

દુષ્ટ મળ્યે દુઃખ ઉપજે, શુદ્ધ સંત મળ્યે સુખ થાય ।।

ખરા ખરું એ ખોટું નથી, તેને કૂડું કેમ કે’વાય ।। ૨ ।।

વળી હરિ હરિજન મળ્યા વિના, કહ્યું કે દી’ ન હોય કલ્યાણ ।।

એ પણ સર્વે સત્ય છે, નક્કા નક્કી વાત નિર્વાણ ।। ૩ ।।

પણ હરિ ને હરિના જનની, કરી જોઈએ કેટલી સેવ ।।

જેણે કરી શ્રેય શિષ્યનું, થાય એવો પૂછું છું ભેવ ।। ૪ ।।

ચોપાઈ :-

પ્રભુ પ્રગટ મળે પોતે જયારે રે,ખોટ્ય ખામી રહે નહિ ત્યારે રે ।।

જેનાં દર્શન દુર્લભ બહુ રે, નર અમર માને છે સહુ રે ।। ૫ ।।

જોગી જતિ તપસી સંન્યાસી રે,સહુ પ્રભુ દર્શનના પ્યાસી રે ।।

હરિ હર અજ અમરેશ રે, પ્રભુ મળવા ઇચ્છે અહોનિશ રે ।। ૬ ।।

તોય પ્રગટ નથી પામતા રે, રહે છે સદાય શીશ નામતા રે ।।

એવી વાત એ છે દુર્ઘટ રે, તે તો પ્રભુ મળ્યા પ્રગટ રે ।। ૭ ।।

પછી પ્રભુને કરવા પ્રસન્ન રે, શું શું કરે જિજ્ઞાસુ જન રે ।।

કે’જયો એટલું કૃપા કરીને રે, કેમ રાજી કરે એ હરિને રે ।। ૮ ।।

કેવી કરે પ્રભુજીની ભકત રે,જેણે કરીને પામે મુકત રે ।।

કેવું માને હરિનું વચન રે,કેવું રાખે સદા શુદ્ધ મન રે ।। ૯ ।।

કેવી શ્રદ્ધા હોય સેવા માંઈ રે, સેવા વિના ન ગમે બીજું કાંઈ રે ।।

કેવું મેલી પોતાનું માન રે,કેવી રીતે રહે સાવધાન રે ।।૧૦।।

કેવી રીતે વાળે તેમ વળે રે, કેવી રીતે ચલાવે ને ચલે રે ।।

કેવી રીતે રાખે વિશ્વાસ રે, કેવી રીતે રહે પ્રભુ પાસ રે ।।૧૧।।

કેવી રીતે રાખે હૈયે બીક રે, કેવી રીતે રહે ઠીકોઠીક રે ।।

કેવી રીતનાં બોલે વચન રે, કેવી રીતનાં પૂછે તે પ્રશ્ન રે ।।૧૨।।

કેવી રીતે સુણે વાત કાને રે,કેવી રીતે મને સત્ય માને રે ।।

કેવી રીતે થાય પ્રસન્ન રે, કેવી મરજી જોઈને મગન રે ।।૧૩।।

વરતે મન કર્મ ને વચન રે, કેવી રીતે પે’રાવે વસન રે ।।

કેવી રીતની પૂજાને કરે રે, કેવી રીતે અલંકાર ધરે રે ।।૧૪।।

કેવી રીતે ચંદન ઉતારી રે, કરે પૂજા પ્રભુજીની સારી રે ।।

કેવી રીતનાં કુસુમ લાવે રે, કેવી રીતના હાર પે’રાવે રે ।।૧૫।।

કેવી રીતે ઉતારે આરતી રે, કેવી રીતે કરે ધુન્ય અતિ રે ।।

કેવી રીતે કરે વળી સ્તુતિ રે, કેવી રીતની કરે વિનતિ રે ।।૧૬।।

સઈ ભેટ મૂકે પ્રભુ આગે રે, પછી કર જોડી શું માગે રે ।।

કેવી રીતે વર્તવું વળી રે, મહા પ્રભુ પ્રગટને મળી રે ।।૧૭।।

જેણે કરી હરિ રાજી થાય રે, એવા કે’જયો એ સર્વે ઉપાય રે ।।

વિધવિધે કરી એની વાત રે, કે’જયો રાજી થઈ રળિયાત રે ।।૧૮।।

વળી પૂછંુ છું પ્રશ્ન એક રે, કહેજયો તે પણ કરી વિવેક રે ।।

જયારે પ્રભુજી પ્રગટ હોય રે, ત્યારે મનુષ્ય તરે કે તરે કોય રે ।।૧૯।।

હોય સ્વર્ગ મૃત્યુ ને પાતાળે રે, તેનું કલ્યાણ કેમ એહ કાળે રે ।।

દેવ દાનવાદિ જે કે’વાય રે, તેનું કલ્યાણ કઈ પેર થાય રે ।।૨૦।।

ભૂત પ્રેત ને ભૈરવ ભણિયે રે, તેનું કલ્યાણ કેમ ગણિયે રે ।।

વળી પશુ પંખી સરીસર્પ રે, જેના દલમાંહિ બહુ દર્પ રે ।।૨૧।।

વૃક્ષ વેલી વિવિધ કે’વાય રે, તેનું શ્રેય થાય કે ન થાય રે ।।

સ્થાવર જંગમ જડ ચૈતન્ય રે, સ્થૂળ સૂક્ષ્મ ચરાચર જન રે ।।૨૨।।

પ્રભુ પ્રગટને પ્રતાપે રે, એહ તરે કે ન તરે આપે રે ।।

જેને હોય હરિનો સંબંધ રે, તેના છૂટ્યા જોઈએ ભવબંધ રે ।।૨૩।।

માટે એહ દેહથી ઉદ્ધાર રે, થાય કે ન થાય નિરધાર રે ।।

અતિ રજ તમે ભર્યા દેહ રે, કેમ પામે કલ્યાણને તેહ રે ।।૨૪।।

પણ એહ દેહે ઉદ્ધરે જો નઈ રે, ત્યારે પ્રભુની પ્રભુતાઈ સઈ રે ।।

એહ સર્વે સમજાવી કહેજયો રે, જેમ હોય તેમ દેખાડી દેજયો રે ।।૨૫।।

તમે દલના છોજી દયાળું રે, માટે પ્રશ્ન પૂછું છું કૃપાળુ રે ।।

સુણવા હરખ ઘણો છે હૈયે રે, જાણું સર્વ એ સાંભળી લૈયે રે ।।૨૬।।

કયાંથી તમ જેવા કહેનાર રે, વાત ચોખી દેખાડી દેનાર રે ।।

જેમ છે તેમ કહો છો કથી રે, જેમાં લેશ સંશય રે’તો નથી રે ।।૨૭।।

વચન સુધાસમ સુખદાઈ રે, એવાં માનું છું હું મનમાંઈ રે ।।

જેણે કરી પરલોકનું સુખ રે, પામી વામિયે દારુણ દુઃખ રે ।।૨૮।।

એમ કહીને જિજ્ઞાસુ જન રે, પછી કર જોડી કર્યું સ્તવન રે ।।

એમાં સમ વિષમ જો હોય રે, કરજયો ક્ષમા સત્ય મુનિ સોય રે ।।૨૯।।

ઇતિ શ્રી કલ્યાણનિર્ણયમધ્યે મુકતમુમુક્ષુ સંવાદે દ્વાદશો નિર્ણયઃ ।।૧૨।।