દોહા :- શ્રીહરિ કહે ધર્મ સાંભળો, ગુરુ ન હોય ઘેરોઘેર ।।

ગુરુ તો એક ગોવિંદ છે, બીજી માયા બની બહુપેર ।। ૧ ।।

કલ્યાણકારી કલ્યાણ કરી, સારી જાયે અનેકના અર્થ ।।

પછવાડે પ્રપંચ રચી, અતિ અજા કરે છે અનર્થ ।। ૨ ।।

જેમ નર્તકી નૃત્ય કરી, હરિ લિયે હેવાનનું ધન ।।

વેશ લઈ વિધવિધના, કરે પામરને પ્રસન્ન ।। ૩ ।।

તેમ માયાયે મનગમતા, વળી લીધા વિશ્વમાંય વેશ ।।

એવા ગુરુ શિષ્યની, તમે બીક મ રાખજયો લેશ ।। ૪ ।।

ચોપાઈ :-

ગુરુ કહ્યે શું થઈ ગયા ગુરુ રે, સુણો ધર્મ તેની વાત કરું રે ।।

ગુરુ આ જગમાંય છે ઘણાં રે, તે તો કોળિયા સહુ કાળતણા રે ।। ૫ ।।

જે ગુરુથી જમદંડ જાય રે, તે સાંભળો તમે ધર્મરાય રે ।।

તે તો હોય પોતે ભગવાન રે, આપે આશ્રિતને અભયદાન રે ।। ૬ ।।

સર્વે ધામતણા હોય ધામી રે, વળી અકળ અંતરજામી રે ।।

જાણે સહુના મનની વાત રે, જેમ હોય તેમ સાક્ષાત રે ।। ૭ ।।

અણુ ચોરી એ આગે ન ચાલે રે, ઊપજતાં ઉત્થાનને ઝાલે રે ।।

એથી ન હોય અજાણ્યું જો કાંઈ રે, વળી જકતગુરુ એ કહેવાય રે ।। ૮ ।।

હોય પ્રાણનાડી એને હાથ રે, સર્વેશ્વર એ સર્વેના નાથ રે ।।

ખેંચે પ્રાણનાડી તો ખેંચાય રે, તેની વાર લાગે નહિ કાંય રે ।। ૯ ।।

તાણી ધમની દેખાડે ધામ રે, જોઈ જન થાય પૂરણકામ રે ।।

વળી ધામધામના રે’નાર રે, દેખે અતિ સુખિયા અપાર રે ।।૧૦।।

જન જોઈ આવે ધામ જેવું રે, આવી મર્ત્ય લોકે કહે એવું રે ।।

એવી અલૌકિક રીત જિયાં રે, હોય હરિગુરુ હોય તિયાં રે ।।૧૧।।

વળી અંતકાળે આપે આવે રે, રૂડા રથ વિમાનને લાવે રે ।।

તે પર બેસારીને તેડી જાય રે, સાચા સદ્ગુરુ તેને કહેવાય રે ।।૧૨।।

આવે તેડવા તેનાં એંધાણ રે, જેના પ્રભુ આવ્યે છૂટે પ્રાણ રે ।।

હીરફેલ્ય સમ અંગ હોય રે, અતિ નર્મ વળે વાળે કોય રે ।।૧૩।।

એવી રીત જિયાં લગી જાણો રે, તિયાં સુધી કલ્યાણ પ્રમાણો રે ।।

પછી એ વાતનો થાય નાશ રે, વળતી માયા કરે તિયાં વાસ રે ।।૧૪।।

આવી લિયે છે ગુરુનો વેશ રે, ન હોય ગુરુપણું લવ લેશ રે ।।

સર્વે વિશ્વતણાં ફેલ વળી રે, માયાગુરુમાં રહ્યાં હોય મળી રે ।।૧૫।।

દારી ચોરી વળી મદ્ય માંસ રે, તે તો મળે માયાગુરુ પાસ રે ।।

ગાંજો ભાંગ્ય હોકા બહુ પેર રે, મળે આફુ મફર ગુરુઘેર રે ।।૧૬।।

જે જે જગમાંય હોય ફેલ રે, તે તે સર્વે ગુરુએ રાખેલ રે ।।

હોય વિષયી ને વ્યસની રે, ઘણાં પ્રભુજીના કૃતઘની રે ।।૧૭।।

થઈ જમપુરીના આગવા રે, એવા ગુરુ ઘરોઘર હવા રે ।।

મળી ધર્મ નીમ મુકાવે રે, વેદ મર્યાદામાંથી ચુકાવે રે ।।૧૮।।

વર્ણાશ્રમનો જે વે’વાર રે, નો’યે માયાગુરુને સદાચાર રે ।।

તર્ત કરાવે જાતિ વિટાળ રે, તીર્થ વ્રત નીમના તો કાળ રે ।।૧૯।।

એવા ગુરુને ગુરુના શિષ્ય રે, ઝાલી મગાવજયો અહોનિશ રે ।।

એની શીદ શંકા મન આણો રે, સર્વે જીવ એ તમારા જાણો રે ।।૨૦।।

એવા ગુરુ ચેલા જગે ઘણાં રે, તે તો સર્વ કુળ તમતણાં રે ।।

એવા ગુહ્નેગાર ગુરુ શિષ્ય રે, તેને હેરાન કરો હમેશ રે ।।૨૧।।

એવા ગણિયે મર્ત્ય લોકે ગુરુ રે, સુણો ધર્મરાય નાવે સરું રે ।।

જે જે ક્રિયા શીખવી જેણે રે, તે તો ગુરુ કરી માન્યા તેણે રે ।।૨૨।।

વળી વ્યસની વૃંદળ વેષ રે, તેને પણ ગુરુ હોયે શિષ રે ।।

ભાની તાની ત્રાગી સુંથરા રે, તેને પણ ગુરુ જાણો ખરા રે ।।૨૩।।

એવા ગુરુ જગમાં અપાર રે, તે તો માનો માયાનો પરિવાર રે ।।

માટે જે થકી કલ્યાણ ન થાય રે, તે પણ તે ગુરુ જેવા કે’વાય રે ।।૨૪।।

નો’ય ગુરુનામે ગુરુ સમ રે, તેની ગોતીને કાઢવી ગમ રે ।।

એવા અસત્ય ગુરુની બીક રાખી રે, શીદ દિયો છો આયુધ નાખી રે ।।૨૫।।

લાવો ઝાલી નાખી ગળે પાસ રે, તેનો તલભાર ન રાખો ત્રાસ રે ।।

પાપી લિયે છે અમારી લાજ રે, સત્ય માની લેજયો જમરાજ રે ।।૨૬।।

જે જે બાંધી અમે મરજાદ રે, તે તે ત્રોડે છે એ મનુજાદ રે ।।

માટે એને તો બહુ દંડ દેવો રે, કર્યો હરિયે હુકમ એવો રે ।।૨૭।।

એવું સાંભળીને જમરાય રે, માની આજ્ઞા લાગિયા પાય રે ।।

કે’છે જે જે કૃપા કરી કહ્યું રે, તે તો નિશ્ચે નિઃસંશય થયું રે ।।૨૮।।

એહ વાત છે પદ્મ પુરાણે રે, સ્કંદપુરાણમાં પણ જાણે રે ।।

અસત ગુરુના થાશે એ હાલ રે, સંગે શિષ્ય પીડાશે કંગાલ રે ।।૨૯।।

ત્યારે આંખ્ય એની ઊઘડશે રે, જયારે અણતોળ્યાં દુઃખ પડશે રે ।।

થાશે પછી તેનો પસ્તાપ રે, જયારે નડશે કરેલ પાપ રે ।।૩૦।।

ઇતિ શ્રી કલ્યાણનિર્ણય મધ્યે મુકતમુમુક્ષુ સંવાદે દશમો નિર્ણયઃ ।।૧૦।।