દોહા :- મુમુક્ષુ સુજાણ જેહ, તેહ કહે છે જોડી પાણ ।।
સર્વે સરખું સમજતાં, તેહની આજ પડી ઓળખાણ ।। ૧ ।।
પણ એક ભકત આ જકતમાં, તે ભકતના પણ ભગત ।।
તેનું કલ્યાણ કેમ છે, કહું પાડો તેહની વિગત ।। ૨ ।।
જૂજવી રીતે આ જકતમાં, થયા ભકત તે બહુ ભાત ।।
તેના શિષ્ય સંસારમાં, નથી માનતા કેની વાત ।। ૩ ।।
પ્રભુ થકી પરાપરું ખરું, સમજે છે પોતાનું સિદ્ધાંત ।।
માયિક કહી અવતારને, બહુ જીવને ભરાવી ભ્રાંત ।। ૪ ।।
ચોપાઈ :-
સતશાસ્ત્રને પણ ન માને રે, કહે પોથાં થોથાં લખ્યાં પાને રે ।।
સર્વે શાસ્ત્રમાંહિ શું છે સાર રે, નવરે નવરે કર્યો નિરધાર રે ।। ૫ ।।
બાંધ્યા વર્ણાશ્રમ ચાર ચાર રે, વળી એ વિના વર્ણ અઢાર રે ।।
તેના મર્ણ પરણની વિધિ રે, બહુ નોખી નોખી બાંધી દીધી રે ।। ૬ ।।
એમાં સમજો સઈ થઈ ખાટ રે, જીવ ભ્રમાવી ભુલાવી વાટ રે ।।
એમાં આત્માનું શું સયુર્ં રે, સર્વે પંડનું કૂટણું કયુર્ં રે ।। ૭ ।।
જોજયો વ્યાસ વાલ્મિકની બુદ્ધિ રે, કોઈ વાત કરી નહિ સુધી રે ।।
પારાશર ને શંખ લિખિત રે, ઋષિમુનિ ન સમજ્યા રીત રે ।। ૮ ।।
પાપ પુણ્ય પુરાણે પ્રમાણી રે, બાંધ્યા બહુ જીવને તેમાં તાણી રે ।।
ગૂંથી ગયા છે જાળ્યો જોરાણ રે, તેમાં સહુ થાય છે હેરાન રે ।। ૯ ।।
ગ્રંથ ખોટા ને ખોટા કરનાર રે, એમાં અમે તો ન દીઠું સાર રે ।।
એમ ખળ ખંડે સત્ય ગ્રંથ રે, અભાગી કરવા અનરથ રે ।।૧૦।।
વળી કહે છે અવતાર ખોટા રે, ચૈતન્યમાં કોણ નાના મોટા રે ।।
કહે છે ચોવીશ પ્રભુના રૂપ રે, ત્યારે બીજાં તે કેનાં સ્વરૂપ રે ।।૧૧।।
સર્વે રૂપે રમે એક રામ રે, નથી દેવ દાનવ નર વામ રે ।।
પશુ પંખી સ્થાવર જંગમ રે, તેની ગોતી કાઢો તમે ગમ રે ।।૧૨।।
સર્વે પંચભૂતનાં પૂતળાં રે, શોભે રૂપે અનુપ સઘળાં રે ।।
તેમાં ચૈતન્ય ચમત્કારી રે, તે તો રહ્યું છે સહુને ધારી રે ।।૧૩।।
ચૈતન્ય ચૈતન્ય નહિ ફેર વાલ રે, દીવો દીવી મેતાબ મશાલ રે ।।
એમ ચૈતન્ય ચૈતન્ય એક રે, પિંડ પરઠી કહે છે અનેક રે ।।૧૪।।
એમ શાસ્ત્ર સુણી શુભ મતિ રે, નથી રે’તી તે નરને રતિ રે ।।
એમ કહે છે કુલક્ષણા કથી રે, જેને કોઈની પ્રતીતિ નથી રે ।।૧૫।।
તીર્થ વ્રત નીમ સદાચાર રે, તેના કાપનારા છે કુઠાર રે ।।
એવા જ્ઞાની ઘરોઘર ઘણાં રે, ભર્યા ભારે કળિમળ તણા રે ।।૧૬।।
એનું કેમ સમજવું કો’ને રે, ભારે સંશય એ તમે ભાંગોને રે ।।
સત્ય વાતના થોડા કહેનાર રે, અસત્ય વાતના કહેનારા અપાર રે ।।૧૭।।
મઠ મંદિરને અપાસરે રે, ચોરે દ્વારે એ જ વાત કરે રે ।।
વાટે ઘાટે એનો જ ઉચ્ચાર રે, ચૌટે હાટે એ વાત વેપાર રે ।।૧૮।।
ભટ્ટ પંડિતને જે પુરાણી રે, ભેખ ભકત વદે છે એ વાણી રે ।।
ગુરુ સંત જૂઠા જગે ડોલે રે, તે પણ એમના એમ જ બોલે રે ।।૧૯।।
કહે છે ખાઓ પીઓ ખૂબી કરો રે, શીદ કોઈના ડરથી ડરો રે ।।
નરક સ્વર્ગ ને નથી ચોરાશી રે, ખરી વાત માની લિયો ખાશી રે ।।૨૦।।
રૂડો રહસ્ય કહ્યો રુદે ધારો રે, એમ સમજી સંશય વિસારો રે ।।
કર્મ ધર્મ ગયા મુનિ કથી રે, તેને આ વાતની ગમ નથી રે ।।૨૧।।
એમ કહે છે આ જકતમાં ઝાઝા રે, ધર્મહીન અધર્મીના રાજા રે ।।
એ તો એવાના એવા જ રહેશે રે, કે કોઈ ખબર એની લેશે રે ।।૨૨।।
અતિ અવળી મતિ છે એની રે, નથી બીક કોઈ બીજા કેની રે ।।
થયા ઉપદેષ્ટા સહુના આપે રે, પણ વરતે છે પૂરણ પાપે રે ।।૨૩।।
યાંતો થયા છે અધર્મી આચાર્ય રે, જાણે બેઠા છીએ કરી કાર્ય રે ।।
એમ મને માન્યું મૂરખાયે રે, કરવું રહ્યું નથી હવે કાંયે રે ।।૨૪।।
પોતે માન્યું પાકું કામ થયું રે, જાણે બીજાને ઉપદેશ દિયું રે ।।
જેમ પોતે સમજયાં છે સહી રે, તેમ પરને દેખાડે છે કહી રે ।।૨૫।।
એવા ભવમાં બહુ ભાળેલ રે, નજરો નજરના નિહાળેલ રે ।।
ખરેખરા ખૂની પ્રભુજીના રે, જાણું વેરવાઈ બહુ દિનાં રે ।।૨૬।।
જે જે થાપ્યા છે પ્રભુએ ધર્મ રે, તેને અભાગી કહે છે અધર્મ રે ।।
જેને તેને ધર્મમાંથી પાડે રે, પાપ પુણ્યને ખોટા દેખાડે રે ।।૨૭।।
ધર્મદ્વેષી પાપના તો પા’ડ રે, મોક્ષ મારગે લોહ કમાડ રે ।।
તે તો તન તજે ફળ પામે રે, કહેજયો સર્વે સંશય શોક વામે રે ।।૨૮।।
સમજાવજયો એ સારી પેર રે, મહામુનિ મોટી કરી મે’ર રે ।।
ભવમાં ભૂલવણી છે ઘણી રે, મને બીક લાગે છે તે તણી રે ।।૨૯।।
માટે વળી વળી પૂછું છું વાત રે, કહેજયો રાજી થઈ રળિયાત રે ।।
કહેજયો ખરાખરું વશાવિશ રે, એમ કહીને નમાવ્યું શિશ રે ।।૩૦।।
ઇતિ શ્રી કલ્યાણનિર્ણય મધ્યે મુકતમુમુક્ષુ સંવાદે પંચમો નિર્ણયઃ ।।૫।