ચોપાઈ :-
મતપંથ પર ડંકા દીધા, દૈવી જીવ ધામે વાળી લીધા ।।
મુમુક્ષુ જન તાર્યા અનેક, એવા તો સ્વામિનારાયણ એક ।। ૧ ।।
ચાલ્યો પાણીમાં પર્વત પોતે, દેવ દૈત્ય પામ્યા દુઃખ જોતે ।।
ત્યારે કચ્છ રૂપે થૈ અકળ, ધર્યો પીઠ પર મંદ્રાચળ ।। ૨ ।।
ધારી વરાહરૂપ દયાળ, રાખી પૃથવી જાતી પાતાળ ।।
વળી માર્યો હિરણ્યાક્ષ જેહ, કર્યા ચરિત્ર ઇત્યાદિ તેહ ।। ૩ ।।
વામન રૂપ ધરી મહારાજ, બળિ છળ્યો ઇન્દ્રરાજ કાજ ।।
વપુ વધારીને વિશ્વ લીધું, પછી બળિને વરદાન દીધું ।। ૪ ।।
ધર્યું કપિલતન માત કાજ, કહ્યું સાંખ્યતત્ત્વ મુનિરાજ ।।
ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભકત, કહ્યું માતા પ્રત્યે સાંખ્ય અતિ ।। ૫ ।।
જયારે હરિ અવતાર ધાર્યો, ત્યારે ગ્રાહથી ગજ ઉગાર્યો ।।
ઋષિ બેઉના શાપેથી એહ, ગજ ગ્રાહ થયા હતા તેહ ।। ૬ ।।
વળી ધરી તન ભગવાન, દીધું ધ્રુવને પોતે વરદાન ।।
એહ ધ્રુવાવતાર જાણો, થયા તપે રાજી પરમાણો ।। ૭ ।।
વળી કહું અવતાર એક, તેમાં જાણવો અતિ વિવેક ।।
અતિ પૃથવી દોહન કર્યું, જયારે પોતે પૃથુતન ધર્યુ ।। ૮ ।।
થઈ આપે દત્તાત્રેય નાથ, કર્યા યદુ હૈહય સનાથ ।।
ભજે રાત દિન જિહ્વાએ દત્ત, તેનાં વળે ચોરાશીનાં ખત ।। ૯ ।।
થયા હરિ હંસરૂપ જેવા, બ્રહ્મા નારદને જ્ઞાન દેવા ।।
પૂછ્યું બ્રહ્માને સનકાદિકે, હંસે ઉત્તર કર્યો વિવેકે ।।૧૦।।
વળી નૃસિંહતન ધારી નાથે, હણ્યો હિરણ્યકશિપુને હાથે ।।
કર્યું પ્રહ્લાદનું પ્રતિપાળ, દાસત્રાસ નિવાર્યો દયાળ ।।૧૧।।
જયારે ઋષભરૂપે પોતે થયા, પુત્ર બોધી પરમહંસ રહ્યા ।।
પરમહંસની રીત દેખાડી, તેને અજ્ઞાની લિયે છે આડી ।।૧૨।।
વળી યજ્ઞાવતાર ધારી, હરિ ત્રિલોકપીડા નિવારી ।।
કર્યું સુખ સહુને તે અતિ, માટે કરવી પ્રભુને વિનતિ ।।૧૩।।
વળી બળભદ્રરૂપ ધારી, માર્યો દ્વિવિદ વાનર ભારી ।।
બીજા પણ કામ કયાર્ં જેહ, હસ્તિનાપુર આદિ કહિયે તેહ ।।૧૪।।
કુમારાદિક રૂપને ધારી, આત્મતત્ત્વની વાત વિસ્તારી ।।
ધર્મ પાળી ભજે જેહ જન, તે પર રાજી થાય ભગવન ।।૧૫।।
વળી હયગ્રીવ તનને ધારી, વેદમય વાણીઓ ઉચ્ચારી ।।
મધુ કૈટભાદિક અસુર, માર્યા પોતે તે મહા કરુર ।।૧૬।।
વળી નારદનું તન લહ્યું, નૈષ્કર્મ્ય સાત્વતતંત્ર કહ્યું ।।
રાજાસુત જે સાઠ હજાર, દઈ જ્ઞાન કર્યા ભવપાર ।।૧૭।।
વળી રામરૂપ થઈ રાજ, માર્યો રાવણ બાંધી સિંધુપાજ ।।
એવાં અનેક ચરિત્ર કરી, આવ્યા અયોધ્યામાં પોતે હરિ ।।૧૮।।
પોતે ધરી કૃષ્ણ અવતાર, માર્યા દાનવ દૈત્ય અપાર ।।
નિજ શરણાગતનાં દુઃખ કાપ્યાં, થઈ રાજી અચળ સુખ આપ્યાં ।।૧૯।।
વળી ધરી વ્યાસ અવતાર, કર્યા એક વેદ વદી ચાર ।।
કર્યા વળી અઢાર પુરાણ, તેને જાણે તે ડાહ્યા સુજાણ ।।૨૦।।
બુદ્ધજીએ તે બોધ જ આપી, કલ્યાણની જડ નાખી કાપી ।।
છળી અસુરને તેહ વારે, કરી દેવરક્ષા એ પ્રકારે ।।૨૧।।
વળી ધન્વંતરી તન ધારી, ટાળ્યો રોગ આયુષ્ય વધારી ।।
દીનબંધુ એ દીનદયાળુ, કર્યું સર્વ જગતને સુખાળું ।।૨૨।।
ધર્યું મોહિનીરૂપ અકળ, જોઈ અસુર થયા વિકળ ।।
પાતાં અમૃત રાહુ શિર છેદ્યું, વળી શિવજીનું વ્રત ભેદ્યું ।।૨૩।।
પોતે ધરી પુરુષ અવતાર, બ્રહ્મા આદિ રચ્યો આ સંસાર ।।
તેમાં દૈવી જીવ પામે સુખ, આસુરી જીવ ભોગવે દુઃખ ।।૨૪।।
વળી નારાયણ તપ કરતા, કામ ક્રોધ લોભ મદ હરતા ।।
કરે તપ પોતે અતિ પ્યારુ, નિજજનના સુખને સારુ ।।૨૫।।
વળી પ્રશ્નિગર્ભ અવતારે, આપ્યું માબાપને સુખ ત્યારે ।।
જો કોઇ પ્રાણી પ્રભુશરણે થાય, તેનાં જન્મમરણ દુઃખ જાય ।।૨૬।।
સહુના અંતરમાં રહ્યા જેહ, એને વાસુદેવ કહિયે તેહ ।।
કર્મ પ્રમાણે સુખ દુઃખ આપે, નિજજનનાં મહાદુઃખ કાપે ।।૨૭।।
ધરી મન્વંતર અવતાર, કરે મનુની રક્ષા તે વાર ।।
એવા અનંત અવતાર થાય, તોય પોતે અજન્મા કે’વાય ।।૨૮।।
ધરી પરશુરામ અવતાર, હણ્યા ક્ષત્રી એકવિશ વાર ।।
સહસ્રાર્જુને બહુ દુઃખ દીધું, ત્યારે એમણે એ કામ કીધું ।।૨૯।।
વળી મત્સ્ય થઈને મુરારિ, વેદ વાળ્યા શંખાસુર મારી ।।
કહ્યું પોતે પણ પરસિદ્ધિ, રાજા સત્યવ્રતની રક્ષા કીધી ।।૩૦।।
કળિ અંતે કલ્કી જે થાશે, તેને ભજી કંઈક રાજી થાશે ।।
પણ વર્તમાન કાળે આજ, સ્વામિનારાયણથી થાય કાજ ।।૩૧।।
આદ્ય મધ્ય અંત્યે અવતાર, થયા અગણિત થાશે અપાર ।।
પણ સર્વેના કારણ જેહ, તે તો સ્વામી સહજાનંદ એહ ।।૩૨।।
અહીં તો એકત્રિશ કહ્યા છે, ઝાઝા બીજા ગ્રંથોમાં રહ્યા છે ।।
ધર્મ ભકતની રક્ષા કાજ, આવ્યા નિષ્કુળાનંદ કે’ મહારાજ ।।૩૩।।
ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતઃ અવતારચિંતામણિઃ સંપૂર્ણઃ ।