(રાગ:-રામગરી) ‘મનરે માન્યું નંદલાલશું’ એ ઢાળ.
ભકત સાચા ભગવાનના, ઝાઝા જડતા નથી;
લક્ષણ જોઈ લેવાં લખી રે, શું કહિયે ઘણું કથી. ભકત ।। ૧ ।।
અતિ દયાળુ દિલના, પડ્યે કષ્ટે ન કાય;
પ્રાણધારીને પીડે નહિ રે, પર પીડ્યે પિડાય. ભકત ।। ૨ ।।
પોતાને સુખ જો પામવા, બીજાનું ન બગાડે;
દુષ્ટ આવે કોઈ દમવા, તેને શાંતિ પમાડે. ભકત ।। ૩ ।।
ક્ષમા ઘણી ક્ષોભે નહિ, સુખ દુઃખને સહે;
નિષ્કુળાનંદ એવા ભકતથી, હરિ દૂર ન રહે. ભકત ।। ૪ ।।