(રાગ:-રામગરી) મનરે માન્યું નંદલાલશુંએ ઢાળ.

ભકત સાચા ભગવાનના, ઝાઝા જડતા નથી;

લક્ષણ જોઈ લેવાં લખી રે, શું કહિયે ઘણું કથી. ભકત ।। ૧ ।।

અતિ દયાળુ દિલના, પડ્યે કષ્ટે ન કાય;

પ્રાણધારીને પીડે નહિ રે, પર પીડ્યે પિડાય. ભકત ।। ૨ ।।

પોતાને સુખ જો પામવા, બીજાનું ન બગાડે;

દુષ્ટ આવે કોઈ દમવા, તેને શાંતિ પમાડે. ભકત ।। ૩ ।।

ક્ષમા ઘણી ક્ષોભે નહિ, સુખ દુઃખને સહે;

નિષ્કુળાનંદ એવા ભકતથી, હરિ દૂર ન રહે. ભકત ।। ૪ ।।