(રાગ:-રામગરી) મનરે માન્યું નંદલાલશુંએ ઢાળ.

ભકત થાવું રે ભગવાનનું, છે જો કઠણ કામ;

સુખ સર્વે સંસારનાં રે, કરવાં જોઈએ હરામ. ભકત ।। ૧ ।।

દેહ ગેહ દારા દામનું, મેલવું મમતા ને માન;

એહમાંથી સુખ આવે એવું રે, ભૂલ્યે ન પડે ભાન. ભકત ।। ૨ ।।

વિપત આવે વણ વાંકથી, તે તો સહે જો શરીરે;

ઉપહાસ કરે આવી કોય રે, તેમાં રહે દઢ ધીરે. ભકત ।। ૩ ।।

ખૂની ન થાય ખમે ઘણું, એવા સહજ સ્વભાવે;

નિષ્કુળાનંદ એવા ભકતનો, જશ જુગોજુગ કહાવે. ભકત ।। ૪ ।।