(રાગ:-રામગરી) ‘મનરે માન્યું નંદલાલશું’ એ ઢાળ.
ભકત થાવું રે ભગવાનનું, છે જો કઠણ કામ;
સુખ સર્વે સંસારનાં રે, કરવાં જોઈએ હરામ. ભકત ।। ૧ ।।
દેહ ગેહ દારા દામનું, મેલવું મમતા ને માન;
એહમાંથી સુખ આવે એવું રે, ભૂલ્યે ન પડે ભાન. ભકત ।। ૨ ।।
વિપત આવે વણ વાંકથી, તે તો સહે જો શરીરે;
ઉપહાસ કરે આવી કોય રે, તેમાં રહે દઢ ધીરે. ભકત ।। ૩ ।।
ખૂની ન થાય ખમે ઘણું, એવા સહજ સ્વભાવે;
નિષ્કુળાનંદ એવા ભકતનો, જશ જુગોજુગ કહાવે. ભકત ।। ૪ ।।