રાગ:-સિંધુ

સત્યવાદી સંત સંકટને સહે, રહે ધીર ગંભીર નીરનિધિ જેવા

આપે અમાપે તાપે તપે નહિ કે દી, અડગ પગ મગે પરઠે એવા . સત્યવાદી ।। ૧ ।।

જગ ઉપહાસ ત્રાસ હરિદાસ સહે, અન્ય કાસ ત્રાસ નાશ કીધી જેણે;

અવિનાશ પાસ વાસ આશ કરી, શ્વાસ ઉચ્છવાસ ઉલ્લાસ રહે છે તેણે. સત્યવાદી ।। ૨ ।।

અતિ પ્રસન્નવદન નિશદિન રહે, ધન્યધન્ય જન પાવન સરે;

જગજીવન સ્વજન વિઘન હરે, તેહ વિન ભજન મન નવ કરે.  સત્યવાદી ।। ૩ ।।

ગ્રહી ટેક એક વિવેક કરી ખરી, છેક તે નેક કહ્યે નવ તજે;

નિષ્કુળાનંદ જગવંદ સહજાનંદ, સુખકંદ ગોવિંદ મુકુંદ ભજે.  સત્યવાદી ।। ૪ ।।