રાગ:-સિંધુ
સત્યવાદી સંત સંકટને સહે, રહે ધીર ગંભીર નીરનિધિ જેવા
આપે અમાપે તાપે તપે નહિ કે દી, અડગ પગ મગે પરઠે એવા . સત્યવાદી ।। ૧ ।।
જગ ઉપહાસ ત્રાસ હરિદાસ સહે, અન્ય કાસ ત્રાસ નાશ કીધી જેણે;
અવિનાશ પાસ વાસ આશ કરી, શ્વાસ ઉચ્છવાસ ઉલ્લાસ રહે છે તેણે. સત્યવાદી ।। ૨ ।।
અતિ પ્રસન્નવદન નિશદિન રહે, ધન્યધન્ય જન પાવન સરે;
જગજીવન સ્વજન વિઘન હરે, તેહ વિન ભજન મન નવ કરે. સત્યવાદી ।। ૩ ।।
ગ્રહી ટેક એક વિવેક કરી ખરી, છેક તે નેક કહ્યે નવ તજે;
નિષ્કુળાનંદ જગવંદ સહજાનંદ, સુખકંદ ગોવિંદ મુકુંદ ભજે. સત્યવાદી ।। ૪ ।।