કહો ભાઈ આપણે કરિયે કેમજી, સહુ વિચારવા લાગ્યા વળી એમજી

કોણ જાણે કેમ રહે છે એ ક્ષેમજી, હવે જેમ મરે કરો સહુ તેમજી

તેમ તપાસી સહુ કરો, નાખો ઠાઉકો ઠાલે કૂપ ।।

મરી જાશે કે ભોરંગ ખાશે, થાશે તેણે રાજી ઘણું ભૂપ ।। ૨ ।।

તેમાં નાંખ્યે પણ નવ મર્યા, ત્યારે ડર્યા અસુર અપાર ।।

ખરો વેરી છે ખોટું નથી, એમ થયો સહુને વિચાર ।। ૩ ।।

પછી કહે છે પછાડો પહાડથી, થાય તલ તલ એનું તન ।।

તેમનું તેમ તેણે કર્યું, તેમાં કરી હરિયે જતન ।। ૪ ।।

પછી ખારા જળ કીચમાં, ઘાલિયા ઘણો દઈ ભાર ।।

તેથી પ્રહલાદ ઊગર્યા, શ્રીહરિએ કીધી સાર ।। ૫ ।।

પછી શસ્ત્ર સરવે સજજ કરી, ઊઠ્યા મારવા શૂરવીર ।।

તેણે ત્રાસ પામ્યા નહિ, ધન્ય ધન્ય એ જનની ધીર ।। ૬ ।।

પછી પાવકે પરજાળવા, બાળવા કર્યો વિચાર ।।

તેહ વિનાના ઉપાય બીજા, કર્યા હજારે હજાર ।। ૭ ।।

ભકત જાણી ભગવાનના, છે અસુરને વેર અતિ ।।

મનસૂબો મને મારવાનો, કરે છે બહુ કુમતિ ।। ૮ ।।

નર નારી સહુ એમ બોલે, કોઈ ઘાત કરો પ્રહલાદની ।।

તો અસુર સહુ અભય થાયે, જય થાય ક્રવ્યાદની ।।૯।।

આશ્ચર્ય પામ્યા અમર નર, જોઈ પ્રહલાદની ધીર ।।

નિષ્કુળાનંદના નાથની કસણી, જોઈ નયણે આવ્યાં નીર ।।૧૦।।