ત્યારે પ્રહલાદ કહે પિતા એ સારુંજી, ભણીશ જેમાં ભલું થાશે મારુંજી

એટલું વચન માનીશ તમારુંજી, એવું સુણી સુતથી તેડ્યા અધ્યારુજી

અધ્યારુ શંડામર્ક જે, તેને કહે છે એમ ભૂપાળ ।।

ભણાવો આને વિદ્યા આપણી, જાઓ તેડી બેસારો નિશાળ ।। ૨ ।।

પ્રહલાદ બેઠા પછી પઢવા, લખી આપ્યા આસુરી અંક ।।

તેને તર્ત ટાળી લખ્યા, નારાયણ થઈ નિઃશંક ।। ૩ ।।

ત્યારે શંડામર્ક કે’ સમઝિયે, ભાઈ એ નહિ આપણું કામ ।।

એ છે વેરી આપણા અતિ, તેહનું ન લખવું નામ ।। ૪ ।।

ત્યારે પ્રહલાદ કહે પાપી જનના, હશે શત્રુ શ્રીભગવાન ।।

મારે તો સદા એ મિત્ર છે, આદ્ય અંતે મધ્યે નિદાન ।। ૫ ।।

ત્યારે શંડામર્ક એમ સમઝ્યા, છે આ વાતમાં વિવાદ ।।

એમ કહી ઉપેક્ષા કરી, ત્યારે કહે છે બાળકોને પ્રહલાદ ।। ૬ ।।

મરી જાવું સહુને મૂરખો, શીદ ચઢો છો બીજે નોર ।।

ભજો શ્રી ભગવાનને, તજો બીજો શોર બકોર ।। ૭ ।।

જેને ભજયે જગ જીતી જાયે, અને થાય સુખિયા સદાય ।।

તેને તજી બીજું બોલે જેહ, તેહ કૃતઘ્ની કે’વાય ।। ૮ ।।

અમૂલ્ય તન જેણે આપિયું, આપ્યો સરવે સુખનો સમાજ ।।

તેને ભજિયે ભાવે કરી, તો સરે તે સઘળાં કાજ ।।૯।।

ત્યારે બાળક સહુ બોલિયાં, જેમ કે’શો તેમ કરશું ।।

નિષ્કુળાનંદનો નાથ ભજતાં, નહિ થાય અમારું નરસું ।।૧૦।।

કડવું – ૭