જેનાં કસાણાં કસોટીમાં તનજી, તે તે થયા નર નિરવિઘનજી
સુખ દુઃખ પડ્યે ન મૂંઝાય મનજી, કાચું માને સાચું કસણી વિનજી
કાચું માને કસણી વિના, શોધાણું માને છે સાર ।।
ફરી ન થાય ફેરવણી, એવો ઊંડો ઉરે વિચાર ।। ૨ ।।
જેમ કુલાલ કસે મૃત્તિકા, વળી કાષ્ઠને કસે સુતાર ।।
દરજી કસે દુકૂળને, લોહને કસે છે લુહાર ।। ૩ ।।
જેમ સલાટ શિલાને કસી કરી, રૂડું આણે વળી તેમાં રૂપ ।।
એમ કસાય છે જન હરિના, ત્યારે થાય છે શુદ્ધ સ્વરૂપ ।। ૪ ।।
જાણો જેમ શોધાય છે સુવર્ણ, તે કનક કુંદન થાય છે ।।
રૂડી રીતે રૂપું શોધતાં, જાણો ચોખી ચાંદી કહેવાય છે ।। ૫ ।।
રૂપ રંગ ને રૂડાપણું, મૂલ તોલમાં વધે વળી ।।
તેહ શોધ્યાથી સહુ સમઝો, વધી કીમત સઘળી ।। ૬ ।।
વળી જેમ બીજી ધાતુને, ગાળી બાળે મેલ માંયથી ।।
તેને તોલે જે ભેગે ભરી, અન્ય ધાતુ આવતી નથી ।। ૭ ।।
જેમ પરિયટ પટકે પટને, વળી દિયે મૂશળનો માર ।।
ત્યારે મેલ માંહ્યલો, નવ રહે રતી નિરધાર ।। ૮ ।।
જેમ મજીઠને ખાંડે ખરી, રૂડી રીતશું રંગરેજ ।।
ચળકે રંગે આવે ચટકી, વળી તેમાં તે આવે તેજ ।।૯।।
એમ ભકત ભગવાનના, આવે કષ્ટે શોધાય આપ ।।
નિષ્કુળાનંદ એ ભકતનો, વળી વધે અધિક પ્રતાપ ।।૧૦।।