જેનાં કસાણાં કસોટીમાં તનજી, તે તે થયા નર નિરવિઘનજી

સુખ દુઃખ પડ્યે ન મૂંઝાય મનજી, કાચું માને સાચું કસણી વિનજી

કાચું માને કસણી વિના, શોધાણું માને છે સાર ।।

ફરી ન થાય ફેરવણી, એવો ઊંડો ઉરે વિચાર ।। ૨ ।।

જેમ કુલાલ કસે મૃત્તિકા, વળી કાષ્ઠને કસે સુતાર ।।

દરજી કસે દુકૂળને, લોહને કસે છે લુહાર ।। ૩ ।।

જેમ સલાટ શિલાને કસી કરી, રૂડું આણે વળી તેમાં રૂપ ।।

એમ કસાય છે જન હરિના, ત્યારે થાય છે શુદ્ધ સ્વરૂપ ।। ૪ ।।

જાણો જેમ શોધાય છે સુવર્ણ, તે કનક કુંદન થાય છે ।।

રૂડી રીતે રૂપું શોધતાં, જાણો ચોખી ચાંદી કહેવાય છે ।। ૫ ।।

રૂપ રંગ ને રૂડાપણું, મૂલ તોલમાં વધે વળી ।।

તેહ શોધ્યાથી સહુ સમઝો, વધી કીમત સઘળી ।। ૬ ।।

વળી જેમ બીજી ધાતુને, ગાળી બાળે મેલ માંયથી ।।

તેને તોલે જે ભેગે ભરી, અન્ય ધાતુ આવતી નથી ।। ૭ ।।

જેમ પરિયટ પટકે પટને, વળી દિયે મૂશળનો માર ।।

ત્યારે મેલ માંહ્યલો, નવ રહે રતી નિરધાર ।। ૮ ।।

જેમ મજીઠને ખાંડે ખરી, રૂડી રીતશું રંગરેજ ।।

ચળકે રંગે આવે ચટકી, વળી તેમાં તે આવે તેજ ।।૯।।

એમ ભકત ભગવાનના, આવે કષ્ટે શોધાય આપ ।।

નિષ્કુળાનંદ એ ભકતનો, વળી વધે અધિક પ્રતાપ ।।૧૦।।