પ્રભુ ભજવા જેને કરવો ઉપાયજી, તેને એમ કરવું જેમ કર્યું ઋભુરાયજી
પ્રભુ પ્રસન્ન કરવા ગયા વનમાંયજી, આરંભી તપ ઊભા એક પાયજી
એક પગે ઊભા રહ્યા, અડગ મને અચળ થઈ ।।
કર બેઉ ઊંચા કર્યા, શરીર પર ફેરવે નહિ ।। ૨ ।।
ઇચ્છા મેલી અન્ન પાનની, પ્રભુ પ્રસન્ન કરવાને કાજ ।।
તજી આશા વળી તનની, જેમ તજી આવ્યા નિજરાજ ।। ૩ ।।
શરીર સર્વે સૂકી ગયું, રહ્યું નહિ લોહી ને માંસ ।।
અસ્થ રહ્યાં એક અંગમાં, રહ્યો શ્વાસ વણ વિશ્વાસ ।। ૪ ।।
નાડી રહી સર્વે નીસરી, ઉઘાડી અંગથી બા’ર ।।
ગળ્યું અંગ મળ્યું પેટ પૂઠે, તોય કરે છે નામ ઉચ્ચાર ।। ૫ ।।
માથું ગૂંઠણ મોટા થયા, રહ્યું હૈયું બા’રું નીસરી ।।
અજિન વળગ્યું અસ્થએ, થઈ કૃશ કાયા તપે કરી ।। ૬ ।।
લાગે પવન અંગ લડથડે, વળી ડોલે છે તેણે દેહ ।।
એવું અચેત અંગ થયું, તોય તપ ન તજે તેહ ।। ૭ ।।
સૂકા કાષ્ઠ સમ ઊભા રહ્યા, અરણ્યમાં એકાએક ।।
હાલે ચાલે નહિ ચરણે, એવી ગ્રહી આકરી ટેક ।। ૮ ।।
રાજી કરવા રમાપતિ, અતિ આકરું તપ આદર્યું ।।
ધરણી લાગી ધ્રુજવા, સ્વર્ગ કંપાયમાન કર્યું ।।૯।।
એવું તપ જોઈ આકરું, સર્વે બીન્યા સુર અસુર ।।
નિષ્કુળાનંદના નાથને કહી, લેશે આપણા સ્થાનક જરુર ।।૧૦।।