મયુરધ્વજ કહે માગું હું તે દેજોજી, આવું રૂપ અનુપ હૃદિયામાં રે’જોજી;
વળી એક બીજું મારે માગવું છેજોજી, હવે આવી પરીક્ષા કેનીએ મ લેજોજી.
લેશોમાં આવી પરીક્ષા કેની, તમે દયાળું દયાને ગ્રહી ।।
એમ મયુરધ્વજે મોર્યે માગ્યું, સહુ જીવ સારુ જાણો સહી ।। ૨ ।।
ભલો ભલો એહ ભૂપતિ, જેની મતિ અતિ મોટી ઘણી ।।
ભલી કરી એણે ભગતિ, એના જેવી જોઈએ આપણી ।। ૩ ।।
સત્ય શ્રદ્ધા ધીરજપણું, જોઈએ એના જેવો વિવેક ।।
ધર્મ પણ દઢ ધારવો, જોઈએ એના જેવી ગ્રહી ટેક ।। ૪ ।।
ટેક એક હરિભકતને, નેક છેક સુધી છાંડવી નહિ ।।
કરી વિવેક અતિ ઉરમાં, વળી એક રંગે રે’વું સહિ ।। ૫ ।।
પળે પળે રંગ પલટે ચઢે, કૈ’યે નવલ કસુંબી કૈ’યે નીલનો ।।
એક રે’ણી કે’ણી એક રીત નહિ, સ્વભાવ સમ સલિલનો ।। ૬ ।।
પણ જે જે ભકત મોરે થયા, તે સર્વેની સુણીએ રીત ।।
કસ્યા વિના કહો કોણ રહ્યા, સહુ ચિંતવી જુવો તમે ચિત્ત ।। ૭ ।।
જેમ ઇક્ષુ પામે અમૂલ્યતા, તે તો પ્રથમ પોતે પીલાય છે ।।
ત્યાર પછી ચડે તાવડે, તેના ગોળ ખાંડ સાકર થાય છે ।। ૮ ।।
તેમ કસ્યા વિના કોઈ વસ્તુ, ખરે ખપે નથી આવતી ।।
એમ સમજી સંકટ સહો, તો ભલી ભજી જાયે ભગતિ ।।૯।।
પોં’ચ્ય વિના પર્વતે ચડ્યાની, હૈયે કરે કોઈ હોંશ ।।
નિષ્કુળાનંદ કહે એ નહિ બને, અમથો થાશે અપસોસ ।।૧૦।।