ત્યારે સુર ગયા શ્રીપતિ પાસજી, અમર સહુએ કરી અરદાસજી

અમને રાખ્યા ત્યાં અમે કર્યો છે નિવાસજી, પણ હવે નથી હરિ એ સ્થાનકની

આશા નથી એહ સ્થળની, જોઈ તપ ઋભુરાય તણું ।।

એના તપ પ્રતાપે કરી, અમે તો તપિયા ઘણું ।। ૨ ।।

ત્યારે શ્રીહરિ કહે સુર સાંભળો, તમે જાઓ તમારે સ્થાનકે ।।

એમ કહીને ઊઠિયા, અવિનાશી અચાનકે ।। ૩ ।।

આવ્યા રાય ઋભુ પાસળે, દીધાં દયા કરી દરશન ।।

માગો માગો રાય મુજથી, હું થયો છું પ્રસન્ન ।। ૪ ।।

હેત કરી હાથ ફેરવે, મુખ માથે ને સરવે શરીર ।।

જોઈ ધીરજ એ રાજનની, આવી ગયાં નયનમાં નીર ।। ૫ ।।

અતિ દીન આધીન ઊભા, આગળ ઓશિયાળા થઈ ।।

જાણે આપું એ જનને હું, મારું સુખ સરવે લઈ ।। ૬ ।।

વા’લપ દેખાડે છે વળી વળી, હેત હૈયામાં નથી સામતું ।।

અકળાઈ થયા છે ઉતાવળા, મન ધીરજ નથી પામતું ।। ૭ ।।

ત્યારે રાય પાયે લાગ્યા પ્રભુને, કહે ધન્ય અનાથના નાથ ।।

નીરખી તમને નયણે, શ્રીહરિ હું થયો સનાથ ।। ૮ ।।

માગું છું હું મહાપ્રભુ, પંચવિષય સંબંધી જે સુખ ।।

દેશો મા તે દયા કરી, જેથી થાય તમથી વિમુખ ।।૯।।

ત્યારે શ્રીહરિ કહે શુદ્ધ ભકત તમે, નથી માયાનો લેશ તમમાં જરા ।।

નિષ્કુળાનંદનો નાથ કહે, અનન્ય ભકત મારા ખરા ।।૧૦।।