શુભમતિ સુણો સહુ સુખની વાતજી, હરિ ભજતાં રહેવું રાજી રળિયાતજી

સુખદુઃખ આવે જો તેમાં દિનરાતજી, કાંઈ કચવાઈ ન થાય કળિયાતજી

કળિયાત ન થાય કોઈ દિન, રહે મનમાંય તે મગન ।।

દુઃખ પડતાં આ દેહને, દિલગીર ન થાય કોઈ દન ।। ૨ ।।

વણ તોળી વિપત માંહી, વળી ધરવી અંતરે ધીરને ।।

સદાય ન હોય સરખું, હોય સુખ દુઃખ શરીરને ।। ૩ ।।

તેમાં કાયરતા કોરે કરી, હૈયે હિંમત રૂડી રાખવી ।।

મોળી વાતને મુખથી, વળી ભૂલે પણ નવ ભાખવી ।। ૪ ।।

જેમ શૂરો જુવે શરીરના, ઘણા ઘણા લાગેલ ઘાવ ।।

તેમ તેમ મલકાય મનમાં, વળી નાખે મૂછે તાવ ।। ૫ ।।

ઘણે દુઃખે મુખ ઊજળું, રહે શૂરવીરનું સદાય ।।

અલ્પ દુઃખે અણોસરો, રાત દિવસ રહે હૃદયામાંય ।। ૬ ।।

મુખથી મોટી વારતા, કષ્ટ સહ્યા વિના ન કહેવાય ।।

ભીડ્ય પડ્યામાં ભળ્યો નથી, ત્યાં સુધી ઝાંખ્યપ નવ જાય ।। ૭ ।।

શૂરા સંતનું સરખું કહિયે, તન ઉપર એક તાન ।।

શૂરો મરે સંત સુખ પરહરે, કરે અળગું અંગ અભિમાન ।। ૮ ।।

સંકટના સમૂહ માંહી, દિલે દીનતા આણે નહિ ।।

ચડ્યો રહે કેફ ચિત્તમાં, તેને સમ વિષમ ગણતી સહિ ।।૯।।

ઇચ્છે સંકટ આવવા, જેમાં સાંભરે શ્રી ઘનશ્યામ ।।

નિષ્કુળાનંદ એ ભકત કહિયે, નારાયણના નિષ્કામ ।।૧૦।।