શુભમતિ સુણો સહુ સુખની વાતજી, હરિ ભજતાં રહેવું રાજી રળિયાતજી
સુખદુઃખ આવે જો તેમાં દિનરાતજી, કાંઈ કચવાઈ ન થાય કળિયાતજી
કળિયાત ન થાય કોઈ દિન, રહે મનમાંય તે મગન ।।
દુઃખ પડતાં આ દેહને, દિલગીર ન થાય કોઈ દન ।। ૨ ।।
વણ તોળી વિપત માંહી, વળી ધરવી અંતરે ધીરને ।।
સદાય ન હોય સરખું, હોય સુખ દુઃખ શરીરને ।। ૩ ।।
તેમાં કાયરતા કોરે કરી, હૈયે હિંમત રૂડી રાખવી ।।
મોળી વાતને મુખથી, વળી ભૂલે પણ નવ ભાખવી ।। ૪ ।।
જેમ શૂરો જુવે શરીરના, ઘણા ઘણા લાગેલ ઘાવ ।।
તેમ તેમ મલકાય મનમાં, વળી નાખે મૂછે તાવ ।। ૫ ।।
ઘણે દુઃખે મુખ ઊજળું, રહે શૂરવીરનું સદાય ।।
અલ્પ દુઃખે અણોસરો, રાત દિવસ રહે હૃદયામાંય ।। ૬ ।।
મુખથી મોટી વારતા, કષ્ટ સહ્યા વિના ન કહેવાય ।।
ભીડ્ય પડ્યામાં ભળ્યો નથી, ત્યાં સુધી ઝાંખ્યપ નવ જાય ।। ૭ ।।
શૂરા સંતનું સરખું કહિયે, તન ઉપર એક તાન ।।
શૂરો મરે સંત સુખ પરહરે, કરે અળગું અંગ અભિમાન ।। ૮ ।।
સંકટના સમૂહ માંહી, દિલે દીનતા આણે નહિ ।।
ચડ્યો રહે કેફ ચિત્તમાં, તેને સમ વિષમ ગણતી સહિ ।।૯।।
ઇચ્છે સંકટ આવવા, જેમાં સાંભરે શ્રી ઘનશ્યામ ।।
નિષ્કુળાનંદ એ ભકત કહિયે, નારાયણના નિષ્કામ ।।૧૦।।