હરિ ભજવા હરખ હોય હૈયેજી, ત્યારે ભકત ધ્રુવ જેવા થઇયેજી
એથી ઓરા રતિયે ન રહિયેજી, પરમ પદને પામિયે તહિયેજી
પરમ પદને પામિયે, વામિયે સર્વે વિકાર ।।
કાચા સાચા સુખને, નવ પામે નિરધાર ।। ૨ ।।
અજાર ન દેવો અંગે આવવા, દેહ દમવું ગમતું નથી ।।
એવા ભકત જકતમાં ઘણા, તેની વાત હું શું કહું કથી ।। ૩ ।।
વાંછના વિષય સુખની, રહે અખંડ તે ઉરમાંય ।।
ભાળી એવા ભકતને, કહો કેની કરે હરિ સા’ય ।। ૪ ।।
માટે ભકત એ ભૂલા પડ્યા, નથી ભૂલા પડ્યા ભગવાન ।।
જેહ જેવી ભકત કરે, તેવું ફળ પામે નિદાન ।। ૫ ।।
વાવિયે બીજ વળી વિષનું, કરિયે અમૃતફળની આશ ।।
એહ વાત નથી નીપજવી, તેહનો તે કરવો તપાસ ।। ૬ ।।
કરી લાડવા જો કાષ્ટના, વળી લેવું મોતિયાનું મૂલ ।।
તે સમઝું કેમ સમઝશે, કાષ્ટ પિષ્ટ મિષ્ટ સમ તૂલ ।। ૭ ।।
ભૂત ભવિષ્ય વર્તમાનમાંયે, વળી વિચારવી એહ વાત ।।
ભકત કરી મો’રે ભગતે, તેવી કરવી વિખ્યાત ।। ૮ ।।
છાર સારનો ભાર સરખો, તપાસી તે ઉપાડવો ।।
સારમાં બહુ સુખ મળે, છાર ઢોયે પરિશ્રમ પાડવો ।।૯।।
માટે સાચા થઈ સહુ મંડો, ખોટ્ય ખંખેરી કાઢો ખરી ।।
નિષ્કુળાનંદ કહે નાથજી, રીઝશે તો શ્રીહરિ ।।૧૦।।