વળી ધન્ય ધન્ય ધ્રુવજીને કહિયેજી, જેનો તાત ઉત્તાનપાદ લહિયેજી
સુનીતિને ઉદર આવ્યા જહિયેજી, જનમી ઉરમાં વિચારિયું તહિયેજી
ઉરમાં એમ વિચારિયું, થાવું મારે તે હરિદાસ ।।
એવે વિચારે આવિયા, વળી નિજ પિતાની પાસ ।। ૨ ।।
આદર ન પામ્યા તાતથી, થઈ પુષ્ટ એહ પરિયાણની ।।
અપર માયે પણ એમ જ કહ્યું, થઈ દઢ મતિ સુજાણની ।। ૩ ।।
જેમ શૂરો શત્રુ સેનશું, હૈયે કરે લડવાને હામ ।।
તેને સિંધુ સંભળાવતાં, ભાઈ મરી મટે એહ ઠામ ।। ૪ ।।
તેમ ધ્રુવે એમ ધાર્યું હતું, અતિ થાવું છે સહુથી ઉદાસ ।।
રાજ સાજ સુખ સંપત્તિ, મેલી વન કરવો છે વાસ ।। ૫ ।।
અલપ સુખ સંસારનું, જે મળે ને મટી જાય રે ।।
તેહ સારુ આવું તન ખોઈ, કહો કોણ દુઃખને ચા’ય રે ।। ૬ ।।
અચળ સુખ અવિનાશીનું, જેહ પામીને પાછું નવ ટળે ।।
એવા સુખને પરહરી, બીજા સુખમાં કોણ બળે ।। ૭ ।।
અસત્ય સુખ સંસારનાં, તેને સત્ય માની નરનાર ।।
ભૂલવણીમાં ભૂલા પડ્યાં, કેણે ન કર્યો ઉર વિચાર ।। ૮ ।।
મરીચિ જળે મળ ટાળવા, મનસૂબો કરે છે મનમાંય ।।
પણ જાણતા નથી રીત ઝાંઝુની, એહ અર્થ ન આવે કાંય ।। ૯ ।।
એવું દઢ ધ્રુવે કર્યું, મો’રથી મનમાંય ।।
નિષ્કુળાનંદનો નાથ ભજશું, તજશું બીજી ઇચ્છાય ।।૧૦।।