વળી પ્રહલાદની કહું સુણો વાતજી, તેહ પર કોપિયો તેનો તાતજી
ઊઠ્યો લઈ ખડગ કરવા ઘાતજી, થયો કોલાહલ મોટો ઉતપાતજી
ઉતપાત તે અતિશે થયો, કહે પાપી પ્રહલાદ કયાં ગયો ।।
દેખાડ્ય તારા રાખનારને, કાઢી ખડગ મારવા રહ્યો ।। ૨ ।।
પ્રહલાદ કહે પૂરણ છે, સરવે વિષે મારો શ્યામ ।।
હમણાં પ્રભુ પ્રગટશે, ટાળશે તારું ઠામ ।। ૩ ।।
અરેરે એવું બોલ્ય મા તું, વળી કહે ઠરાવીને ઠીક ।।
તું ને તારા રાખનારની જો, મારે નથી હૈયામાં બીક ।। ૪ ।।
એમ કહીને જો કાઢિયું, તીખું ખડગ તે વાર ।।
ઘાંઘો થાય ઘણું ઘાવ કરવા, પણ ન ડરે પ્રહલાદ લગાર ।। ૫ ।।
કરડે દાંત ક્રોધે કરી, વળી બોલે વસમાં વેણ ।।
રીસે કરી રાતાં થયાં, મહા પાપીનાં બે નેણ ।। ૬ ।।
પછી પ્રહલાદે પ્રકાશિયું, જોઈ અસુરનો આરંભ ।।
કહ્યું છે આ કાષ્ઠમાં, સ્થર રહ્યા છે થઈ સ્થંભ ।। ૭ ।।
ઠરાવ્યા જયારે હરિ સ્થંભમાં, ત્યારે કોપ્યો લઈ કરવાલ ।।
ઠીકોઠીક મારી સ્થંભમાં, ત્યાં પ્રગટ્યા પ્રભુ કોપાલ ।। ૮ ।।
પછી માગ્યું હતું જેમ મોતને, તેમાં તે બાધ આવે નહિ ।।
તેમ જ તેને મારિયો, નરસિંહજી પ્રગટ થઈ ।।૯।।
હાહાકાર અપાર થયો, રાખ્યું પ્રહલાદજીનું પણ ।।
નિષ્કુળાનંદ કહે તેણે કરી, સહુ સુખી છૈયે આપણ ।।૧૦।।