પ્રગટ્યા નૃસિંહજી પ્રહલાદને કાજજી, બહુ રાજી થઈ બોલિયા મહારાજજી
માગો માગો પ્રહલાદ મુજ થકી આજજી, આપું તમને તેહ સુખનો સમાજજી
આપું સમાજ સુખનો, એમ બોલિયા છે નરહરિ ।।
પ્રહલાદ કહે તમે પ્રસન્ન થયા, હવે શું માગું બીજું ફરી ।। ૨ ।।
મારે તો નથી કાંઈ માગવું, પણ એવું કહેશો મા કોઈને ।।
પંચવિષયમાં પ્રીત જીવને, માગશે રહ્યા છે જેમાં મોઈને ।। ૩ ।।
થોડીક સેવા કરી તમારી, માગે છે મોટા સુખને ।।
એવા વેપારીને ઓળખી, વિષયસુખ દેશો મા વિમુખને ।। ૪ ।।
એમ પ્રહલાદજી ઊચ્ચર્યા, કહ્યો અંતરનો અભિપ્રાય ।।
ધીરજતાનું ધામ ધન્ય, નિષ્કામ કહ્યા ન જાય ।। ૫ ।।
પેખી ભકત પ્રહલાદની, એવી આપણે પણ આદરો ।।
નકી પાયો નાખી કરી, ભય તજી ભકત કરો ।। ૬ ।।
ભકત કહેવાય આ ભવમાં, અભકતપણું અળગું કરો ।।
શુદ્ધ સેવક થઈ ઘનશ્યામના, અમળ ભકત આદરો ।। ૭ ।।
ભકતમાં ભેગ ભૂંડાઈનો, વળી રતી પણ નવ રાખિયે ।।
ડોરી બાંધી અંગે દામની, વિશવાસી પાસે નવ નાખિયે ।। ૮ ।।
ભકત છે બહુ ભાતના, દામ વામ ખૂબ ખાન પાનના ।।
એવું ન થાવું આપણે, થાવું ભકત ખરા ભગવાનના ।।૯।।
સેવક થઈ ઘનશ્યામના, ઇચ્છવા સુખ સંસારનાં ।।
નિષ્કુળાનંદ એ ભકત નહિ, એ તો લક્ષણ છે ચોર જારનાં ।।૧૦।।