નિર્બળથી નથી નીપજતું એ કામજી, શીદ કરે કોઈ હૈયામાંહી હામજી

ઘણું કઠણ છે પામવા ઘનશ્યામજી, જેણે પામિયે સુખ વિશ્રામજી

સુખ વિશ્રામ પામિયે, વામિયે સર્વે વિઘન ।।

તેમાં કસર ન રાખિયે, રાખિયે પ્રગળ મન ।। ૨ ।।

ધારી ટેક ધ્રુવના સરખી, ઉર આંટી પાડવી એમ ।।

પામું હરિ કે પાડું પંડને, કરું ધ્રુવે કર્યું હું તેમ ।। ૩ ।।

એમ ઓથ્ય મોટાની લિયે, ખોટ્ય તે ખોવા કાજ ।।

ખાલી ન જાય ખેપ તેની, જરૂર રીઝે મહારાજ ।। ૪ ।।

પ્રહલાદ ધ્રુવની પેરે કરે, સમઝી ભકત સુજાણ ।।

તેથી અધિક કરવી નથી, કરવી એને પ્રમાણ ।। ૫ ।।

એના જેવી જે આદરે, સહે તને કષ્ટ બહુ ટાઢ ।।

એમ કરતાં હરિ મળે, ત્યારે પલટ્યો નથી કાંઈ પાડ ।। ૬ ।।

એના જેવી વળી આપણે, ભલી ભાતે બાંધિયે ભેટ ।।

ત્યારે પ્રસન્ન જન પર પ્રભુ, ન થાય કહો કેમ નેટ ।। ૭ ।।

હિંમત જોઈ હરિજનની, હરિ રહે છે હાજર હજૂર ।।

પણ ભાંગે મને ભકત કરે, તેથી શ્રીહરિ રહે દૂર ।। ૮ ।।

સાચાને સોંઘા ઘણા છે, નથી મોંઘા થયા મહારાજ ।।

ખોટાને ન જડે ખોળતાં, તે દિન કે વળી આજ ।।૯।।

માટે કસર મૂકી કરી, થાઓ ખરા હરિના દાસ ।।

નિષ્કુળાનંદ નજીક છે, તે દાસ પાસ અવિનાશ ।।૧૦।।