નિર્બળથી નથી નીપજતું એ કામજી, શીદ કરે કોઈ હૈયામાંહી હામજી
ઘણું કઠણ છે પામવા ઘનશ્યામજી, જેણે પામિયે સુખ વિશ્રામજી
સુખ વિશ્રામ પામિયે, વામિયે સર્વે વિઘન ।।
તેમાં કસર ન રાખિયે, રાખિયે પ્રગળ મન ।। ૨ ।।
ધારી ટેક ધ્રુવના સરખી, ઉર આંટી પાડવી એમ ।।
પામું હરિ કે પાડું પંડને, કરું ધ્રુવે કર્યું હું તેમ ।। ૩ ।।
એમ ઓથ્ય મોટાની લિયે, ખોટ્ય તે ખોવા કાજ ।।
ખાલી ન જાય ખેપ તેની, જરૂર રીઝે મહારાજ ।। ૪ ।।
પ્રહલાદ ધ્રુવની પેરે કરે, સમઝી ભકત સુજાણ ।।
તેથી અધિક કરવી નથી, કરવી એને પ્રમાણ ।। ૫ ।।
એના જેવી જે આદરે, સહે તને કષ્ટ બહુ ટાઢ ।।
એમ કરતાં હરિ મળે, ત્યારે પલટ્યો નથી કાંઈ પાડ ।। ૬ ।।
એના જેવી વળી આપણે, ભલી ભાતે બાંધિયે ભેટ ।।
ત્યારે પ્રસન્ન જન પર પ્રભુ, ન થાય કહો કેમ નેટ ।। ૭ ।।
હિંમત જોઈ હરિજનની, હરિ રહે છે હાજર હજૂર ।।
પણ ભાંગે મને ભકત કરે, તેથી શ્રીહરિ રહે દૂર ।। ૮ ।।
સાચાને સોંઘા ઘણા છે, નથી મોંઘા થયા મહારાજ ।।
ખોટાને ન જડે ખોળતાં, તે દિન કે વળી આજ ।।૯।।
માટે કસર મૂકી કરી, થાઓ ખરા હરિના દાસ ।।
નિષ્કુળાનંદ નજીક છે, તે દાસ પાસ અવિનાશ ।।૧૦।।