રાગ:-ધન્યાશ્રી

સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કહીએ જગવંદજી

શરણાગતના સદા સુખકંદજી, પરમ સ્નેહી છે પરમાનંદજી

ઢાળ:-

પરમ સ્નેહી સંત જનના, છે ઘણા હેતુ ઘનશ્યામ ।।

દાસના દોષ ટાળવા, રહે છે તૈયાર આઠું જામ ।। ૨ ।।

અનેક વિઘનથી લિયે ઉગારી, કરી પળેપળે પ્રતિપાળ ।।

પરદુઃખ દેખી નવ શકે, એવા છે જો દીનદયાળ ।। ૩ ।।

નિજ દાસને દુશ્મન જન, ઘડીઘડીએ ઘાત કરે ઘણી ।।

ક્ષણુક્ષણુએ ખબર ખરી, રાખે છે હરિ તેહ તણી ।। ૪ ।।

જેમ પડે જનને પાંસરું, તેમ કરે છે એ કૃપાનિધિ ।।

સુખ દુઃખ ને વળી સમ વિષમે, રાખે છે ખબર બહુ વિધિ ।। ૫ ।।

જેમ પાળે જનની પુત્રને, બહુ બહુ કરી જતન ।।

એમ જાળવે નિજ જનને, બહુ ભાવે કરી ભગવન ।। ૬ ।।

આ જગમાં જીવને વળી, હરિ સમ હેતુ નહિ કોય ।।

પરમ સુખ પામે પ્રાણધારી, એમ ચિંતવે શ્રીહરિ સોય ।। ૭ ।।

જે દુઃખે થાય સુખ જનને, તે દે છે દુઃખ દયા કરી ।।

જેહ સુખે દુઃખ ઊપજે, તે આપે નહિ કે દી હરિ ।। ૮ ।।

જેમ અનેક વિધની ઔષધિ, હોય અતિ કડવી કસાયલી ।।

દર્દારિ દિયે દર્દીને, ટાળવા ઉપાધિ બાહેર માંયલી ।।૯।।

કુપથ્ય વસ્તુ કે દી ન દિયે, ખાવા તે ખોટે મષે કરી ।।

નિષ્કુળાનંદ એમ નિજજનની, સા’ય કરે છે શ્રીહરિ ।।૧૦।।