જયારે જાય વો’રવા વસ્તુ અમૂલ્યજી, ત્યારે જોઈએ કરવો મનમાંય તોલજી

દેશે ત્યારે જયારે મુખે લેશે માગ્યું મૂલ્યજી, એહ વાત કહી કથી નથી એમાં ભૂલ્યજી

ભૂલ્યે કરે મનસૂબો મનમાં, તે વિના પૈસે પૂરો ન થાય ।।

તેમ શ્રદ્ધાહીનની ભગતી, તે પણ તેવી કે’વાય ।। ૨ ।।

નથી વિત્ત વો’રે અજિયા, કરે હાથી લેવાની હોંશ ।।

તે તો પામ્યાનાં પાંપળાં, અમથો કરે અપસોસ ।। ૩ ।।

જેમ વર જાનૈયા જાનમાં, વળી જાય જોડા જોડ ।।

જાનૈયા તો જમે રમે, ધરે વર શિરપર મોડ ।। ૪ ।।

માટે જોઈ અધિકાર આપણો, પછી દિલમાં કરવો ડોડ ।।

પ્રહલાદ ધ્રુવ હરિશ્ચંદ્ર જેવો, કયાંથી પૂરો થાય મન કોડ ।। ૫ ।।

જેમ પંચ અસવાર પંથે જાતાં, છઠ્ઠો ભેળો થયો નર ખરે ચડી ।।

તેની પોં’ચવાની પ્રતીત કરવી, એ પણ ભૂલ્ય મોટી પડી ।। ૬ ।।

જેમ બક હંસ બરોબરી, વળી ઊજળા એક જ વાન ।।

તેમ સાચા કાચા સંત સરિખા, એમ જાણવું એ જ અજ્ઞાન ।। ૭ ।।

શરીર સુખને સંભારતાં, નિશદિન નવરાં નવ રહિયે ।।

મહા સુખ મહારાજનું, કહો તે કઈ રીતે લઇયે ।। ૮ ।।

કાયરને કેમ ધીરજ થાવું, એ પણ અટપટી વાત છે ।।

વેષ લેતાં શૂરવીરનો, જન જાણો ઘટની ઘાત છે ।।૯।।

પેખી ભકત પૂરવના, હૈયે રે’તી નથી વળી હામ ।।

નિષ્કુળાનંદ આજે આદર્યું, તે કઠણ છે ઘણું કામ ।।૧૦।।