વિપ્ર કહે સુણ્ય રોહિદાસ સુભાગ્યજી, સુગંધી ફૂલ લાવ્ય જઈ બાગજી

ગયા ત્યારે ત્યાં ડશ્યો કાળો નાગજી, તેણે કરી તર્ત કર્યું તન ત્યાગજી

ત્યાગ્યું તન જન જોઈને, કહ્યું વિપ્રને તે વાર ।।

તેહના દેહને દાહ દેવા, મોકલ્યા સેવક ચાર ।। ૨ ।।

તે શબ લાવ્યા ગંગાતટે, ચે’ રચી મૂકે છે આગ ।।

ત્યારે હરિશ્ચંદ્ર કે’ મ મૂકીશ અગ્ન, આપ્યા વિના મારો લાગ ।। ૩ ।।

આપી લાગ લગાડી ચિતા, થયું અર્ધબળ્યું જયારે તન ।।

ત્યારે નાખી ચે’ ઓલવી, ઘણો ઘણો વરષી ઘન ।। ૪ ।।

ત્યારે આવી છે તારા તિયાં, લીધું મડદું તે ખોળામાંય ।।

ત્યાં આવ્યા ઋષિ કહે આપું છરી, રાખો ભૂતભય ન રહે કાંય ।। ૫ ।।

આપી છરી કહ્યું જઈ રાયને, એક વાત કહું કાને ધરિયે ।।

મશાણે મરકી મનુષ્યને, ખાય છે કાપી કાપી છરિયે ।। ૬ ।।

ત્યારે ભૂપ કહે તેડી ભંગિયો, જાઓ મારો ગરદન એહને ।।

ઝાલી લીધી પછી જટિયે, મારવા સારુ તેહને ।। ૭ ।।

ઢીકા ગડદા પાટુએ વળી, મારી કરી છે અધમુઈ ।।

મારો મારો કહે શું વિચારો, કરો મુંડ ધડ થકી જુઈ ।। ૮ ।।

એવાં દુઃખ આવી પડિયાં, જેહ સહ્યાં ન જાય શરીર ।।

સુત મુવાનો અતિ શોક છે, તોય ધરી રહ્યાં છે ધીર ।।૯।।

પછી હરિશ્ચંદ્રને હુકમ કર્યો, આવ્યો મારવા ગરદન ।।

નિષ્કુળાનંદના નાથની કસણી, સહી શકે કહો કોણ જન ।।૧૦।।