વિશ્વામિત્ર કહે વીતશે એક માસજી, ત્યારે હું આવીશ તમારી પાસજી
ત્યાં સુધી કરજો કાશી માંહી વાસજી, પછી હું વેચીશ કરી તપાસજી
તપાસ કરીશ હું ત્રણેનો, પછી વેચીશ વિગતે કરી ।।
ત્યારે ત્રણે ચાલ્યાં ત્યાં થકી, દઢ ધીરજ મનમાં ધરી ।। ૨ ।।
રાજા રાણી કુંવરનાં છે, અતિ કોમળ અંગ ।।
સો સો સેવા જેની કરતા, નથી તેને સેવક એક સંગ ।। ૩ ।।
કાંટા કાંકરા આકરા અતિ, ખાડા ખડિયા ઠેશું ઠબકે ।।
ગોખરું ભ્રંઠ ડાભ શૂળિયા, લાગે પગમાં લોહી ટબકે ।। ૪ ।।
તપે ભૂમિ તીખી અતિ, તેમાં નથી ચલાતું ચરણે ।।
બળે તળાં બે પગનાં, તેણે ઢળી પડે છે ધરણે ।। ૫ ।।
ઉપર તીખો પ્રલય સરિખો, ઊગ્યો અર્ક અગ્ન લઈ ।।
પાણી ન મળે પ્યાસે મરે, અન્ન વિના દિન ગયા કંઈ ।। ૬ ।।
પ્યાસ ભૂખની પીડા થકી, નક્કી દિલે નથી ડોલતાં ।।
અડવડે લડથડે પડે તોય, કાયર વાયક નથી બોલતાં ।। ૭ ।।
વાટમાં બહુ વિઘન કરવા, સત્ય મુકાવવા સામા મળે ।।
ત્રણેની એક ટેક છે, તે ચળાવ્યાં પણ નવ ચળે ।। ૮ ।।
સહ્યાં ન જાય શરીરમાંહે, એવાં બીજા કષ્ટ આવે બહુ ।।
તોય દુઃખી ન માને દિલમાં, એવાં શ્રદ્ધાવાળાં છે સહુ ।।૯।।
દુઃખ તણા દરિયાવ માંહી, ત્રણે પડિયાં છે તળે ।।
નિષ્કુળાનંદ કહે ધન્ય ધીરજ, એમ કહ્યું સંત સઘળે ।।૧૦।।