જેહને થાવું હોય હરિભકતજી, તેહને ન થાવું આ દેહમાં આસકતજી
વળી વિષયસુખથી રે’વું વિરકતજી, જેહ સુખ સારુ આ જળે છે જકતજી
જકત સુખમાં ન જળવું, વળી વિષય સુખને સ્વાદ ।।
શુદ્ધ ભકત શ્રી હરિતણા, થાવું જેવા જન પ્રહલાદ ।। ૨ ।।
પ્રહલાદ ભકત પ્રમાણિયે, જાણિયે જગવિખ્યાત ।।
હિરણ્યકશિપુ સુત હરિજન થયા, કહું કયાધુ જેની માત ।। ૩ ।।
ગર્ભવાસ માંહીથી ગુરુ કર્યા, મુનિ નારદને નિરધાર ।।
નિશ્ચય કર્યું હરિ ભજશું, તજશું સુખ સંસાર ।। ૪ ।।
પછી પ્રહલાદજી પ્રસવ્યા, વળી વીત્યાં વરસ સાત ।।
ત્યારે તાતે તેડાવીને, કહી નિજકુળ રીત ભાત ।। ૫ ।।
આસુરી વિદ્યા આપણી, તમે પઢો કરી બહુ પ્રીત ।।
વિબુધ વામ વિષ્ણુ થકી, તો થાઓ અતિશે અજિત ।। ૬ ।।
ત્યારે પ્રહલાદે પરીક્ષા કરી, આ તો દીસે છે અસુર ।।
મારે એને કેમ મળશે, એમ વિચારિયું વળી ઉર ।। ૭ ।।
મારે ભજવા ભગવાનને, તજવી વિષય સુખની આશ ।।
દેહ ગેહ દારા દામથી, અતિ થાવું છે ઉદાસ ।। ૮ ।।
એહ વાત અસુરને, વળી નહિ ગમે નિરધાર ।।
માટે મારે એને નહિ મળે, એવો કર્યો ઉર વિચાર ।।૯।।
પણ હમણાં તો એને હા કહું, વળી ના કે’વાયે કેમ ।।
પછી નિષ્કુળાનંદના નાથનું, થાશે જેમ ધાર્યું હશે તેમ ।।૧૦।।