પાને  લખ્યાં એ પદ ચોસઠ્ય, સુંદર સારાં શોધી ।।

શોધી જોજયો સહુ સારી પઠ્ય, જેવી હોય જેની બુદ્ધિ ।। ૧ ।।

બુદ્ધિમાંહી તે કરી વિચાર, સવળું સાર ગ્રહેજો ।।

ગ્રહેજો કરવાનું તે નિરધાર, ન કરવાનું મૂકી દેજો ।। ૨ ।।

દેજો મા વળી કોયને દોષ, રોષ અંતરમાં આણી ।।

આણી હૈયામાંઈ ઘણી હોંશ, મંડો સહુ સુખ જાણી ।। ૩ ।।

જાણી જોઈને આળસ અંગ, રતીએ રખે  રહે ।।

રહે નિષ્કુળાનંદ તો રંગ, અલભ્ય લાભ લહે ।। ૪ ।।

ઇતિ શ્રીનિષ્કુળાનન્દમુનિ વિરચિતા ચોસઠપદી સંપૂર્ણા