પાને લખ્યાં એ પદ ચોસઠ્ય, સુંદર સારાં શોધી ।।
શોધી જોજયો સહુ સારી પઠ્ય, જેવી હોય જેની બુદ્ધિ ।। ૧ ।।
બુદ્ધિમાંહી તે કરી વિચાર, સવળું સાર ગ્રહેજો ।।
ગ્રહેજો કરવાનું તે નિરધાર, ન કરવાનું મૂકી દેજો ।। ૨ ।।
દેજો મા વળી કોયને દોષ, રોષ અંતરમાં આણી ।।
આણી હૈયામાંઈ ઘણી હોંશ, મંડો સહુ સુખ જાણી ।। ૩ ।।
જાણી જોઈને આળસ અંગ, રતીએ રખે રહે ।।
રહે નિષ્કુળાનંદ તો રંગ, અલભ્ય લાભ લહે ।। ૪ ।।
ઇતિ શ્રીનિષ્કુળાનન્દમુનિ વિરચિતા ચોસઠપદી સંપૂર્ણા ।